Categories
વાચન સમૃદ્ધિ

ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

જ. ૧૯ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૫ ડિસેમ્બર, ૧૯૫૧

ગોપાળદાસ દેસાઈ ગાંધીવાદી, રાજનૈતિક અને સમાજસેવક હતા. તેઓ દરબાર ગોપાળદાસ તરીકે જાણીતા હતા. તેઓ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓ પૈકી ઢસા રજવાડાના રાજા હતા, પણ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડનાર પ્રથમ રાજવી હતા. તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા હતા. તેમના નાનાજીએ તેઓને દત્તક લીધા હતા. ગોપાળદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા. તેઓ તેમને નાણાકીય સહાય પણ આપતા હતા. શિક્ષણ પ્રત્યે તેઓ સજાગ હતા અને મેડમ મૉન્ટેસોરીના વિચારોથી પ્રભાવિત હતા. ૧૯૧૫માં તેમણે વસોમાં મોતીભાઈ અમીનની સહાય લઈને મૉન્ટેસોરી શાળા શરૂ કરી હતી, જે ગુજરાતની અને ભારતની કદાચ સૌપ્રથમ મૉન્ટેસોરી શાળા હતી. તેમની પ્રજાને શિક્ષણ મફત અપાતું હતું. ૧૯૨૧ સુધી તેઓ ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર બન્યા અને ખેડા જિલ્લા કૉંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. વૉરન હેસ્ટિંગની ચેતવણી હતી કે તેઓએ ભારતીય કૉંગ્રેસની સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ ન લેવો અને નાણાકીય સહાય ન આપવી, પણ તે ચેતવણીનો અનાદર કરતાં ગોપાળદાસ પાસેથી તેમનું રજવાડું છીનવી લીધું. આથી ૧૯૨૨માં ગોપાલદાસ અને તેમનાં પત્ની ભક્તિબા સક્રિય સ્વાતંત્ર્યવીર બની ગયાં. તેમના ત્રણ પુત્રો પણ આ માર્ગે વળી ગયા. અસ્પૃશ્યતાનાબૂદી તથા સ્ત્રી-શિક્ષણ જેવા ગાંધીમાર્ગે ગોપાળદાસ અને ભક્તિબા અવિરત કામ કરતાં રહ્યાં. ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણના તેઓ આગ્રહી હતા. ૧૯૩૫માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલયની કન્યા છાત્રાલય બાંધી તેમણે પહેલ કરી. સ્વતંત્રતા બાદ ૧૯૪૭માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં તેમની યાદમાં બનાવેલ કીર્તિમંદિરનું ભૂમિપૂજન તેઓના હાથે થયેલ. વડોદરાથી તેઓ ભારતની કૉન્સ્ટિટ્યુએન્ટ ઍસેમ્બ્લીના સભ્ય નિમાયા હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેમનું રજવાડું પાછું સોંપાતાં તેઓએ સ્વેચ્છાથી ભારત સાથે બિનશરતી વિલીનીકરણમાં સહમતી આપી હતી. આવી સહમતી આપનાર ૫૫૦ રજવાડાંના તેઓ પ્રથમ રાજા હતા. રાજમોહન ગાંધીએ તેમની જીવનકથા ‘ધ પ્રિન્સ ઑફ ગુજરાત’ નામે પ્રસિદ્ધ કરી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શેરડી

ધાન્ય કુળની એક ઊંચા તૃણસ્વરૂપવાળી વનસ્પતિ.

તેના સાંઠા જુદી જુદી જાડાઈ અને આછા કે ઘેરા લીલાથી માંડી ઘેરો પીળો, રતાશ પડતો કે જાંબલી રંગ ધરાવે છે. આ સાંઠામાં રેસા ઓછા અને ખાંડ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ) વધારે હોય છે. તેનાં પાન સાદાં, મોટાં, લાંબાં-સાંકડાં, પટ્ટી આકારનાં અને એકાંતરે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો સમૂહ મોટો અને પીંછાં જેવો હોય છે. શેરડી તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તેનો પ્રકાશસંશ્લેષણનો દર વધારે ઝડપી હોવાથી તે ઘણું વધારે ઉત્પાદન આપે છે. તેના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૭૫૦-૧૦૦૦ મિમી. વરસાદવાળા વિસ્તારની આબોહવા સૌથી ઉત્તમ ગણાય છે. તે સારી નિતારવાળી મધ્યમ કાળી કે ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. વધારે ક્ષારવાળી ઍસિડિક જમીન શેરડી માટે અનુકૂળ આવતી નથી. શેરડીના રસમાં ખાંડનું પ્રમાણ ૧૨-૧૫ % જેટલું અને તેની સારી જાતોમાં લગભગ ૨૦-૨૧ % જેટલું હોય છે. શેરડીના રસમાં વિટામિન B-સંકુલ અને વિટામિન D સારા પ્રમાણમાં હોય છે.

શેરડીનું ખેતર

તે એક લાંબા ગાળાનો અગત્યનો રોકડિયો પાક છે. કૃષિ-આધારિત કાપડ-ઉદ્યોગ પછી ખાંડ-ઉદ્યોગ બીજા ક્રમે આવે છે. દુનિયામાં થતા ખાંડના ઉત્પાદન પૈકી લગભગ ૬૦ % ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીમાંથી ખાંડ અને ગોળ પ્રાપ્ત કર્યા પછી આશરે ૩૦-૩૫ % જેટલા શેરડીના કૂચા મળે છે. આ કૂચાઓનો ઊર્જાના સ્રોત તરીકે અને બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. કૂચામાંથી પૂંઠાં, ફિલ્ટર-પેપર વગેરે બને છે. કૂચામાંથી મળતી રાખ ખાતર તરીકે વાપરવામાં આવે છે. રાખમાંથી ઊંચી ગુણવત્તાવાળા ગ્લાસ બનાવી શકાય છે. ગોળની રસી (મૉલૅસિઝ) સૌથી સસ્તો કાર્બોદિત પદાર્થનો સ્રોત છે. તે પશુઓ અને મરઘાંના આહારમાં ચોક્કસ પ્રમાણમાં વાપરી શકાય છે. શેરડીના કૂચાનાં કે ગોળની રસીનાં ચોસલાં બનાવી ખાણ-દાણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ગોળની રસીમાંથી પેટ્રો-રસાયણો પણ બનાવી શકાય છે. શેરડીનાં મૂળિયાં અને સૂકાં પાનમાંથી ખાતર બનાવવામાં આવે છે. શેરડીના સાંઠાના કટકા કરી ચાવીને ખાઈ શકાય છે. શેરડીનો રસ ઠંડો, મીઠો તથા તૃપ્તિ અને આનંદ આપનાર છે. તે બળવર્ધક છે અને થાક દૂર કરે છે. આયુર્વેદમાં નવા ગોળ કરતાં જૂનો ગોળ ઔષધો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શેરડીનો કમળામાં, સૂર્યના તાપથી લૂ લાગવા ઉપર, આંખ અને મૂત્ર સંબંધી રોગો, કાચ કે કાંટો વાગ્યો હોય અથવા કાનખજૂરો કરડે ત્યારે, હેડકી અને ઘૂંટીના દર્દમાં ઉપયોગ કરવામાં આવે છે. દિનપ્રતિદિન ખાંડની વધતી જતી માંગ અને તેના થઈ રહેલા ભાવવધારાથી શેરડીની ખેતીનું મહત્ત્વ ઘણું વધ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યાનાથ (એ.એન.)

ખોસલા ———-

જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪

સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સિંચાઈ સંબંધી અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમની સલાહ લેવામાં આવતી. તેમના અનેક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વ દબાણ અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ૧૯૫૧-૫૪ના સમયગાળામાં તેઓ આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના અધ્યક્ષપદે  હતા. ૧૯૫૪-૫૯ના સમય દરમિયાન રૂરકી યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું હતું. ૧૯૬૦-૬૨માં તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા ૧૯૫૯-૬૨ સુધી ભારત સરકારના આયોજન પંચના સભ્ય હતા. ૧૯૬૨-૬૭ના સમયગાળામાં  ઓડિશા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજજ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી. તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૫માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૭માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૭૪માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમલા પરીખ