Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા નહેરુ હઠીસિંહ

જ. 2 નવેમ્બર, 1907 અ. 9 નવેમ્બર, 1967

જવાહરલાલ નહેરુ અને વિજયાલક્ષ્મી પંડિતની સૌથી નાની બહેન અને લેખિકા કૃષ્ણાનો જન્મ અલાહાબાદના મીરગંજમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા સ્વરૂપરાણી. તેમનાં લગ્ન અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ પરિવારના ગુણોત્તમ (રાજા) હઠીસિંહ સાથે થયાં હતાં. કૃષ્ણાએ અને તેમના પતિએ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. કૃષ્ણાને સાત વખત જેલવાસ થયો, જેમાં સૌથી લાંબો જેલવાસ 14 મહિના અને 10 દિવસનો હતો.  1931માં પ્રથમ વખત તેમને જેલની સજા થઈ હતી. ત્યારબાદ બીજી વખત 1932માં 11 માસની જેલની સજા થઈ હતી. 1950માં તેઓ તેમના પતિ સાથે અમેરિકામાં વ્યાખ્યાન માટે ગયાં અને ભારતની આઝાદીની લડાઈ પર તેમના અનુભવો રજૂ કર્યા હતા. તેઓ ‘વૉઇસ ઑવ્ અમેરિકા’ સાથે જોડાયાં અને અનેક પ્રવચનો આપ્યાં. તેઓ પંડિત નહેરુની ટીકા કરતાં હતાં. 1952માં કૉંગ્રેસ પક્ષ વિરુદ્ધ ધરણા પર ઊતર્યાં હતાં. તેઓ 1958માં ઇઝરાયલ ગયાં અને પ્રથમ વડાપ્રધાન ડેવિડ બેન-ગુરિયને મળ્યાં હતાં. તેમણે 1959માં સી. રાજગોપાલાચારીને ફ્રીડમ પાર્ટી માટે ટેકો આપ્યો. તેઓ મુંબઈ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષની સામે સમાજવાદી તરીકે ચૂંટણી લડ્યાં હતાં. તેમણે સાત જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમનાં પુસ્તકોમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના જીવનની વાતો લખી છે. ‘વી નહેરુસ’, ‘વિથ નો રિગ્રેટ્સ – એન ઑટોબાયૉગ્રાફી’, ‘ડિયર ટુ બી હોલ્ડ ઃ એન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑવ્ ઇન્દિરા ગાંધી’, ‘શેડોઝ ઑન ધ વૉલ’, ‘ધ સ્ટોરી ઑવ્ ગાંધીજી’, ‘નહેરુઝ લેટર્સ ટુ હિઝ સિસ્ટર’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના પતિ પણ લેખક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વચ્છતા

આરોગ્ય કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્યના આંતરબાહ્ય જીવનમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ, શુદ્ધિ કે સફાઈ. ભારતીય સંસ્કૃતિ સદીઓથી સ્વચ્છતાને ધર્મ સાથે સાંકળી તેનો મહિમા દાખવતી રહી છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિનો અભ્યાસ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં પાણીપુરવઠા અને ગટરની સુનિયોજિત રચનાવાળાં નગરો પણ ભારતમાં હતાં. ભારતીય ધર્મશાસ્ત્રો સ્વચ્છતાના આગ્રહવાળી જીવનશૈલીનો નિર્દેશ કરે છે. મોટા ભાગના ભારતીયો સ્નાન કર્યા બાદ જ પોતાનાં દૈનિક કર્મો શરૂ કરે છે. એ મુજબ વ્યક્તિ સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, પૂજા-પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. જમ્યા પહેલાં અને પછી હાથ-મોં ધોવાં, બહારથી આવીને હાથ-પગ ધોવા, શૌચની ક્રિયા બાદ સ્નાન કરવું, ઘરમાં પ્રવેશતાં પગરખાં ઘરની બહાર મૂકવાં વગેરેમાં સ્વચ્છતાનો આગ્રહ અને તેનું પાલન જોઈ શકાય છે. સ્વચ્છતા આપણી રહેણીકરણીમાં, આપણાં રોજ-બરોજનાં કામમાં પણ જોવા મળતી હોય છે.

સ્વચ્છતા રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતું એક ચિત્ર

આ રીતે નખ કાપવા, વાળ સ્વચ્છ રાખવા, આંખો ધોવી, હાથ-પગ ધોવા જેવી વ્યક્તિની અંગત સ્વચ્છતા પર સામાન્ય રીતે ઘર અને શાળામાં ધ્યાન અપાતું હોય છે. અંગત સ્વચ્છતા જેટલું જ ધ્યાન ઘરની સ્વચ્છતા પર પણ અપાતું હોય છે. રોજબરોજ ઘરની સફાઈ કરવી, શૌચાલય અને સ્નાનાગાર સ્વચ્છ રાખવાં અત્યંત જરૂરી છે. સ્વચ્છ ઘરમાં લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. વળી દિવાળી પહેલાં કે ગ્રહણ બાદ પણ ઘરની સફાઈ કરવાનો જે રિવાજ છે તે પણ સરાહનીય છે. જેટલી પોતાના ઘરની સ્વચ્છતા અંગે હોય તેટલી જ ચીવટ ઘરની બહાર જાહેર સ્થળો માટે પણ હોવી જોઈએ. જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો નાખવો, થૂંકવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો જેવી કુટેવો નજરે પડે છે. આ બધાં પાછળ અનેક પરિબળો કારણભૂત હોય છે – ગરીબાઈ, અજ્ઞાન, આળસ વગેરે ઉપરાંત વધુ પડતી વસ્તી, વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતા જેવાં અન્ય અનેક કારણોથી સ્વચ્છતા કે સફાઈનું કામ અવરોધાતું હોય છે. ગાંધીજી ભારતના દરેક નાગરિકને સ્વચ્છ પાણી ખોરાક અને હવા મળે તે માટે આગ્રહ રાખતા હતા. આશ્રમમાં આ કાર્યો જાતે કરી તેમણે લોકોમાં સ્વચ્છતા ને સમાનતાનો સારો દાખલો બેસાડ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વચ્છતા, પૃ. 88)