Categories
વાચન સમૃદ્ધિ

યારોસ્લાવ હેરૉવ્સ્કી

જ. 20 ડિસેમ્બર,1890 અ. 27 માર્ચ, 1967

ચેક ભૌતિક-રસાયણવિદ અને 1959ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમનો જન્મ તે સમયના ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં થયો હતો. તેમણે શરૂઆતનો અભ્યાસ 1909 સુધી પ્રાગમાં સેકન્ડરી સ્કૂલમાં કર્યો. ત્યારબાદ પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ગણિતનો અભ્યાસ કર્યો. 1910થી 1914 સુધી તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1913માં જ બી.એસસી.ની ઉપાધિ મેળવી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ થતાં તેમણે મિલિટરી હૉસ્પિટલમાં કેમિસ્ટ અને રેડિયોલૉજિસ્ટ તરીકે કાર્ય કર્યું. 1918માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને 1921માં ડૉક્ટર ઑફ સાયન્સની ઉપાધિ મેળવી. ચાર્લ્સ યુનિવર્સિટી ખાતેની તેમની કારકિર્દી લાંબી અને વિશિષ્ટ પ્રકારની હતી. તેમની કારકિર્દીની શરૂઆત પ્રાગની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍનાલિટિકલ કેમિસ્ટ્રી ઑફ ચાર્લ્સ યુનિવર્સિટીમાં કરી. ત્યાં પ્રાધ્યાપક બી. બ્રાઉનરના હાથ હેઠળ કાર્ય કર્યું. ત્યારબાદ 1922માં તેમને સહાયક પ્રાધ્યાપક તરીકેની બઢતી મળી. 1926માં તેઓ યુનિવર્સિટીના પ્રથમ ભૌતિક-રસાયણશાસ્ત્રના અધ્યાપક બન્યા. અહીં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા બાદ તેઓ 1926-1954 સુધી ભૌતિક-રસાયણ વિભાગમાં પ્રાધ્યાપક અને પછી નિયામક બન્યા. 1950 અને 1952-1963 દરમિયાન તેઓ ચેકોસ્લોવાક એકૅડેમી ઑફ સાયન્સીઝના પોલેરોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટના નિયામક રહ્યા હતા. હેરૉવ્સ્કીએ પ્રથમ પોલેરોગ્રાફ 1924માં વિકસાવ્યો હતો, પણ તેને સામાન્ય વપરાશમાં આવતાં અને માનક (સ્ટાન્ડર્ડ) પદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થતાં દસ વર્ષ જેટલો સમય લાગેલો. 1941માં હેરૉવ્સ્કીનું વિવરણાત્મક પુસ્તક (મૉનોગ્રાફ) પોલેરોગ્રાફિક પર પ્રકાશિત થયું હતું. તેમને ચેકોસ્લોવાકિયા, જાપાન, ઑસ્ટ્રિયા, ઇંગ્લૅન્ડ અને ભારતમાં અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. વિશ્લેષણની પોલેરોગ્રાફિક પદ્ધતિની શોધ અને વિકાસ બદલ તેમને 1959ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1965માં તેમને ‘ફૉરેન મેમ્બર ઑફ ધ રૉયલ સોસાયટી’ના સભ્ય બનાવવામાં આવ્યા હતા. તેમના વિશિષ્ટ પ્રદાન માટે પ્રાગની કાપ્રોવા શેરીમાં તેમની ધાતુની નકશીદાર તકતી મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

હવામાન

પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.