Categories
વાચન સમૃદ્ધિ

કિશોરીલાલ ગોસ્વામી

જ. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૫ અ. ૨૯ મે, ૧૯૩૩

હિંદી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક કિશોરીલાલ ગોસ્વામીનો જન્મ બનારસમાં થયો હતો. તેમનું સમગ્ર શિક્ષણ કાશીમાં થયું હતું. હિંદી સાહિત્યમાં તેમની ગણના પ્રથમ મૌલિક વાર્તાકાર તરીકે થાય છે. તેઓ ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં ગુરુ કૃષ્ણા ચૈતન્ય કિશોરીલાલનાં માતામહ થાય, તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ પણ લખી હતી. તેમણે કુલ ૬૫ નવલકથાઓ, ૩ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેઓ સરસ્વતી મૅગેઝિનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે, જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’, ‘ઇન્દુમતી’ અને ‘ગુલબહાર’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’, ‘ત્રિવેણી’, ‘સ્વર્ગીય કુસુમ’, ‘લીલાવતી’, ‘ચપલા’, ‘ચંદ્રિકા વાજડાઉં ચંપાકલિ’, ‘ચંદ્રાવલિ’, ‘તરુણ તપસ્વિની’, ‘ઇન્દુમતી વનવિહંગિની’, ‘પુનર્જન્મ’, ‘માધવી માધવ’ અને ‘અંગુડી કા નગીના’નો સમાવેશ થાય છે. ‘હૃદય હરિણી’, ‘લવંગલતા’, ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’, ‘કનકકુસુમ’, ‘હિરાબાઈ’, ‘સુલતાના’, ‘મલ્લિકાદેવી’, ‘લખનઉ કી કબ્ર’ વગેરે તેમની ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે. તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’નો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જૂઈ (ચમેલી)

: દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે દીર્ઘરોમી હોય છે. તેનાં પર્ણો મોટે ભાગે સાદાં, અથવા કેટલીક વાર ત્રિપંજાકાર (trifoliate) હોય છે. નીચેની બે પર્ણિકાઓ નાની અથવા સૂક્ષ્મ કર્ણાકાર (auriculate) હોય છે અથવા તે ગેરહાજર હોય છે. પુષ્પો સફેદ, મીઠી સુવાસવાળાં, સંયુક્ત રોમિલ અક્ષ પર દ્વિશાખી (biparous) પરિચિત સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ ૫-૮ ઉપવલયી (elliptic) દલપત્રોનો બનેલો હોય છે. જૂઈનું વાવેતર સમગ્ર ભારતમાં થતું હોવા છતાં તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

જૂઈની પુષ્પ સહિતની શાખા

તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા નવેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવે છે. પુષ્પનિર્માણ ચોમાસામાં ઑગસ્ટની શરૂઆતમાં થાય છે. પુષ્પ નાનાં અને વજનમાં હલકાં (૨૬,૦૦૦ પુષ્પો/કિગ્રા.) હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ૯૧-૧૮૫ કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. જૂઈ કજ્જલી ફૂગ(sooty mould)થી સંવેદી છે. આ રોગ Meliola jasminicola દ્વારા થાય છે. જૂઈનાં પુષ્પોનો ઉપયોગ પૂજામાં અને ગજરા, વેણી કે હાર બનાવવામાં તથા સુગંધિત કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. તેના ઉત્પાદનની પદ્ધતિઓ જાઈમાં દર્શાવ્યા મુજબની છે. તેનું અત્તર ઘેરા લાલ રંગનું, સુગંધ તાજાં પુષ્પો જેવી તથા જૅસ્મિનમની બીજી જાતિઓ કરતાં વધારે આનંદદાયી હોય છે. તે ઍસ્ટર (બેન્ઝાઇલ એસિટેટ તરીકે), ૩૫.૭%, આલ્કોહૉલ (લિનેલૂલ તરીકે) ૪૩.૮૧%, ઇન્ડોલ ૨.૮૨% અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ૬.૧% ધરાવે છે. જૂઈ બે પ્રકારની થાય છે : સફેદ પુષ્પોવાળી (યૂથિકા) અને પીળાં પુષ્પોવાળી (હેમયૂથિકા). આ ઉપરાંત, શ્રીપદેજીએ નિઘંટુમાં નીલા રંગની (નીલયૂથિકા) અને મેચક રંગની (મેચક યૂથિકા) જૂઈ વર્ણવી છે. આયુર્વેદ અનુસાર જૂઈ કડવી, શીતળ, લઘુ, સ્વાદુ, તીખી, હૃદ્ય, મધુર, તૂટી અને સુગંધી હોય છે. તે વાયુ તથા કફ કરનારી અને પિત્ત, તૃષા, દાહ, ત્વગ્દોષ, મૂત્રાશ્મરી, દંતરોગ, વ્રણ, શિરોરોગ, સુખરોગ,  નવજ્વર અને વિષનો નાશ કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ પટેલ

Categories
વાચન સમૃદ્ધિ

સુષમા સ્વરાજ

જ. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ અ. ૬ ઑગસ્ટ, ૨૦૧૯

ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ. ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીનાં સૌપ્રથમ મહિલામુખ્યમંત્રીપદે રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મોદી સરકારમાં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશમંત્રીના પદ પર રહેનાર તેઓ બીજાં મહિલાનેતા હતાં. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક હતાં. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.નાં પણ શ્રેષ્ઠ કૅડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કૅડેટ પુરવાર થયાં હતાં. ૧૯૭૦માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી અને રાજકારણમાં અને જાહેરજીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાનાં સૌથી યુવા મંત્રી બન્યાં હતાં. ૧૯૭૭-૧૯૭૯ સુધી દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. ૧૯૮૭માં ફરી દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. તેઓ ઉત્તમ વક્તા હોવાથી ત્રણ વાર હરિયાણા વિધાનસભાનાં ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. સંસ્કૃત ભાષા પર પણ તેમની હથોટી ઉત્તમ કક્ષાની હતી. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવતાં હતાં. ૧૯૯૦માં રાજ્યસભાનાં સાંસદ બની કેન્દ્રીય રાજકારણમાં આવ્યાં. ૧૯૯૬ની ૧૧મી અને ૧૯૯૮ની ૧૨મી લોકસભામાં દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં. તેઓ વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી બન્યાં. ૨૦૦૦માં ઉત્તરાખંડનાં અને ૨૦૦૬માં મધ્યપ્રદેશનાં સાંસદ તરીકે રાજ્યસભામાં કાર્યરત રહ્યાં. તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષ અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા જેવા વિવિધ મહત્ત્વના હોદ્દા પણ સંભાળી ચૂક્યાં હતાં. મોદી સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કેટલાક ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રાજશ્રી મહાદેવિયા