Categories
વાચન સમૃદ્ધિ

સાધુ વાસવાણી

જ. 25 નવેમ્બર, 1879 અ. 16 જાન્યુઆરી, 1966

ભારતીય શિક્ષણવિદ, સ્વાતંત્ર્યતાસેનાની અને શિક્ષણક્ષેત્રે મીરાં આંદોલનના પ્રણેતા સાધુ વાસવાણીનું મૂળ નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પોતાની અંદર વિકસિત થઈ રહેલ આધ્યાત્મિક શક્તિને બાળક વાસવાણીએ બચપણથી જ જાણી લીધી હતી. તેથી તેઓ સાંસારિક બંધનોને છોડીને ભગવત ભક્તિમાં પ્રવૃત્ત થવા માગતા હતા, પરંતુ તેમનાં માતાની ઇચ્છા હતી કે પુત્ર ગૃહસ્થાશ્રમ અપનાવી પરિવારમાં જ રહે, પોતાની માતાના આગ્રહને વશ થઈ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1902માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ સાધુ વાસવાણીએ વિવિધ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ટી. જી. કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા હતા. લાહોરની દયાલસિંહ કૉલેજ, કૂચ બિહારની વિક્ટોરિયા કૉલેજ અને કૉલકાતાની મેટ્રોપોલિટન કૉલેજમાં ભણાવ્યા બાદ 1916માં તેઓ પટિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય બન્યા હતા. સાધુ વાસવાણીએ જીવહત્યા અટકાવવા માટે જીવનપર્યંત પ્રયત્નો કર્યા હતા. સમસ્ત જીવોને તેઓ એકસમાન માનતા હતા. જીવહત્યા રોકવા માટે પોતાનું મસ્તક કપાવવા પણ તેઓ તૈયાર હતા. માત્ર જીવજંતુ જ નહિ, પરંતુ વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે તેવો તેમનો મત હતો. યુવાનોને સારું શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવામાં તેમને ખૂબ રસ હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના  પ્રખર હિમાયતી હતા. 30 વર્ષની વયે સાધુ વાસવાણી ભારતના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. ત્યાં પોતાનું અસરકારક ભાષણ કર્યા બાદ તેઓ સમગ્ર યુરોપમાં ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રભાવશાળી વક્તા હોવાથી ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ કરીને તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે સાધુ વાસવાણીએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ જોડાયા હતા. તેઓ ખેડૂતોના હિતરક્ષક અને આધુનિક ખેતીના હિમાયતી હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મુખેથી માંદગીનું ભોજન

આરોગ્યના સંદર્ભમાં વિચારીએ તો આપણે ત્યાં માનવીના શરીરને રાજા રૂપે જોવામાં આવ્યું છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ રાજા સ્વાધીન છે કે પરાધીન એનો વિચાર કરવો જોઈએ. સ્વાધીન રાજા પોતાના સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલું વિચારશે, કારણ કે એને એના જીવન-સંરક્ષણનો મજબૂત કિલ્લો માને છે. એને માટે પ્રધાન જેવી બુદ્ધિને યોગ્ય માર્ગ બતાવશે અને સેનાપતિ સમા મનને કાબૂમાં રાખશે. જ્યારે પરાધીન રાજાને બીજાની તાબેદારી ઉઠાવવી પડે છે. આવો પરાધીન રાજા ફાસ્ટ ફૂડનો ભોગ બને છે. ખાઉધરા જેવો એનો પ્રધાન હોય છે અને ચટાકેદાર સ્વાદ રૂપી એ ચંચળ મનનો ગુલામ હોય છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા અંતે જીવનની ઉપેક્ષા થઈને રહે છે. ત્યારે સુંદર જીવન જીવવા માટે વ્યક્તિએ આહાર પર સંયમ કેળવવો જોઈએ. ઘણી વ્યક્તિ પોતાના જીભના સ્વાદને કારણે જીવનને રોગિષ્ઠ બનાવે છે. આવી વ્યક્તિઓ મુખમાં અન્ન મૂકતી નથી, પરંતુ માંદગી મૂકે છે. ખાઉધરા લોકો બેફિકર બનીને સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત ઉડાવતા હોય છે, પણ હકીકતમાં તો એવું ભોજન એમના સ્વાસ્થ્યને કે આયુષ્યને ઊધઈની માફક ખોખલું કરતું રહે છે. પોતાની ભૂખ કરતાં વધુ ખાનાર અતિભોગી આ જગતની વહેલી વિદાય લઈ લે છે. પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાનાર થોડું વધુ આયુષ્ય ભોગવે છે. જો વ્યક્તિ પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ ન લે તો દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર પણ એને બચાવી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, ‘સોના-ચાંદીના ટુકડા એ સાચી સંપત્તિ નથી. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે.’ અને આપણે ત્યાં તો વારંવાર કહેવાય છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ વળી ચરકસંહિતામાં કહ્યું છે તેમ, ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન આરોગ્ય છે.’

Categories
વાચન સમૃદ્ધિ

હર્બર્ટ સટક્લિફ

જ. 24 નવેમ્બર, 1894 અ. 22 જાન્યુઆરી, 1978

ઇંગ્લૅન્ડની યોર્કશાયર કાઉન્ટી તરફથી અને ઇંગ્લૅન્ડ તરફથી પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે હર્બર્ટ સટક્લિફે 54 ટેસ્ટમાં 60 રનની સરેરાશથી 4555માં રન કર્યા હતા અને પ્રથમ કક્ષાની 754 મૅચમાં 52 રનની સરેરાશથી 50670 રન કર્યા હતા. ટેસ્ટમૅચ ક્રિકેટમાં 16 સદી કરનારા એ પ્રથમ ખેલાડી હતા અને હર્બર્ટ સટક્લિફ અને જેક હોબ્સની ઓપનિંગ જોડી અત્યંત વિખ્યાત બની હતી અને ક્રિકેટજગતની એ એક અત્યંત સમર્થ ઓપનિંગ જોડી ગણાતી હતી. પોતાની એકાગ્રતા અને દૃઢતાથી જમોડી બૅટ્સમૅન હર્બર્ટ સટક્લિફ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને માટે મહત્ત્વની રમત ખેલતો હતો. એમના સમયગાળા દરમિયાન યોર્કશાયરે બાર વખત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો અને આજે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના હેડિંગ્લેનાં મેદાન પર બે ગેટને હર્બર્ટ સટક્લિફનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આઈ.સી.સી. ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં પણ હર્બર્ટ સટક્લિફને સ્થાન મળ્યું છે. આઠ વર્ષની વયથી જ ક્રિકેટની રમતને ગંભીરપણે ખેલતા હર્બર્ટ સટક્લિફ સતત પોતાની બૅટિંગ કલામાં વિકાસ સાધતા રહ્યા. તેરમા વર્ષે 1908માં નિશાળ છોડીને બૂટ કંપનીમાં ક્લિકર તરીકે જોડાયા. એમની ક્રિકેટ કામયાબીને લીધે એમને સ્થાનિક કાપડની મિલે કારકુન તરીકે રાખ્યા, જ્યાં એ હિસાબ-કિતાબ સંભાળતા હતા અને એમાંથી અંતે એ સફળ વેપારી બન્યા. એમણે યોર્કશાયર તરફથી ઇસેક્સની ટીમ સામે 313 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને પહેલી વિકેટની ભાગીદારીમાં પર્સી હોમ્સ સાથે 555 રનનો એ સમયે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. નિવૃત્ત થયા પછી યોર્કશાયરની ક્લબ કમિટીમાં 21 વર્ષ સુધી કામ કરનાર હર્બર્ટ સટક્લિફે ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.