Categories
વાચન સમૃદ્ધિ

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ  કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિપુરા

ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યની કુલ વસ્તી આશરે 42,22,000 (2025) તથા વસ્તીગીચતા દર ચોકિમી.એ 350 છે અને સાક્ષરતાનું પ્રમાણ 87.75% છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની ખીણો અને દક્ષિણમાં નદીના કાંપના નિક્ષેપથી તૈયાર થયેલાં ફળદ્રૂપ મેદાનો છે. થોર્લા, સોમપુરા, કેની, દેઓ, મનુ અને ગૌમતી અહીંની મુખ્ય નદીઓ છે. અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 26° સે. અને શિયાળાનું સરેરાશ તાપમાન 10° સે. જેટલું રહે છે. વર્ષનો સરેરાશ વરસાદ 5180 મિમી. છે. રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 54.5% વિસ્તાર જંગલો હેઠળ છે. ડુંગરો પર આવેલાં જંગલોમાં દેવદાર, સ્પ્રૂસ અને ફર ઉપરાંત નિત્ય લીલાં જંગલોમાં અનેક જાતનાં વૃક્ષો અહીં જોવા મળે છે. હાથી, વાઘ, જંગલી ભેંસ, ભુંડ વગેરે અહીં જોવા મળતાં મુખ્ય પ્રાણીઓ છે. અહીંનું વનસ્પતિ અને પ્રાણીજીવન વૈવિધ્યપૂર્ણ છે.

ચાના બગીચા

અહીંથી પ્રાપ્ત થતાં ખનિજોમાં સિલિમેનાઇટ, ફેલ્સ્પાર, કાચું લોહઅયસ્ક અને તાંબું મુખ્ય છે. તે ઉપરાંત કુદરતી વાયુનો વિપુલ જથ્થો અહીં સાંપડ્યો છે. રાજ્યમાં ખેતીલાયક કુલ જમીનનો વિસ્તાર 2.5 લાખ હેક્ટર છે, જેમાંથી 8% વિસ્તારને સિંચાઈની સગવડ મળે છે. પહાડીઓના ઢોળાવો પર ડાંગર, શેરડી, શણ, જુવાર, તમાકુ અને કપાસની ખેતી કરવામાં આવે છે. રાજ્યના ઉત્તરના ખીણવિસ્તાર અને દક્ષિણના નીચા મેદાની વિસ્તારો ડાંગરની ખેતી માટે ખૂબ અનુકૂળ છે. પહાડી ઢોળાવો પર ચાની ખેતી પણ મોટા પાયા પર થાય છે. 5.527 લાખ હેક્ટર વિસ્તારમાં 49 જેટલા ચાના બગીચા વાર્ષિક સરેરાશ 45 લાખ કિલો ચાનું ઉત્પાદન કરે છે. ચાની ખેતીનું મહત્ત્વ સૌથી વધુ છે. ઉપરાંત, શણની ઘણી મિલો અહીં આવેલી છે. પાટનગર અગરતલામાં શણની મિલો રોજના 20 લાખ ટન શણની ચીજોનું ઉત્પાદન કરે છે. હાથવણાટ અને હસ્તકલા ઉદ્યોગ દર વર્ષે સરેરાશ 3 કરોડ રૂપિયાની ચીજોનો વ્યાપાર કરે છે. રેશમના કીડા ઉછેરવાની પ્રવૃત્તિ પણ અહીં વિકસી છે. 809 જેટલા નાના પાયાના ઔદ્યોગિક એકમો અહીં છે. અહીં કુલ 1580 કિમી.ના રસ્તા તેમજ ત્રણ હવાઈ મથકો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિપુરા, પૃ. 58 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિપુરા/)

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ હેન્રી પર્કિન

જ. 12 માર્ચ, 1838 અ. 14 જુલાઈ, 1907

બ્રિટિશ રસાયણવિદ વિલિયમ હેન્રી પર્કિનનો જન્મ લંડનમાં થયો હતો. 15 વર્ષની વયે તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી’માં રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક તરીકે કાર્યરત બન્યા અને તેમણે ઘરે સંશોધનો કરવાનું શરૂ કર્યું. પ્રો. હૉફમૅનની પ્રેરણાથી તેમણે કિવનાઇનના સંશ્લેષણની શક્યતા અંગે પ્રયોગો કરવાનું શરૂ કર્યું. 1856ના ઈસ્ટર વૅકેશન દરમિયાન તેમણે એનીલીનના ઉપચયન દ્વારા ક્વિનાઇન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ પ્રયોગ દરમિયાન તેમણે નોંધ્યું કે કાળા રંગની ઉપનયન નીપજ સાથે જાંબલી રંગનો એક પદાર્થ પણ બને છે. આ પદાર્થને મોવે (Mauve) નામ આપવામાં આવ્યું જે પાછળથી એનીલીન પર્પલ કે ટીરીઅન પર્પલ તરીકે ઓળખ પામ્યો. મોવે રેશમને રંગવામાં વપરાય છે. 18 વર્ષની વયે પર્કિને પોતાના પિતાની મદદ લઈને મોવેના ઉત્પાદનની ફૅક્ટરી સ્થાપી. આ ફૅક્ટરીમાં તેમણે કોર-ટાર આધારિત બીજા ઘણા રંગકો (dyes) બનાવ્યા. ખૂબ ઓછાં સાધનો સાથે તેમણે આ રંગકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માંડ્યું. આ દરમિયાન પણ તેમનો અભ્યાસ ચાલુ હતો. 1860 સુધીમાં તેમણે ગ્લાયસીન (એમિનોઍસિડ) તથા ટાર્ટરિક ઍસિડનું સંશ્લેષણ કર્યું. મોવે ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં તથા પોસ્ટેજ-સ્ટૅમ્પના છાપકામમાં વપરાતો થયો. તે પછી પર્કિને મજન્ટા અને એલિઝરીન રંગકો પણ બનાવ્યા. પાછળથી તેમણે રંગ બનાવવાનું છોડી દીધું અને માત્ર સંશોધનકાર્યમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1867માં તેમણે ઍરોમૅટિક ઍસિડ મેળવવાની એક સામાન્ય રીત શોધી અને વિકસાવી જે પર્કિન-પ્રક્રિયા તરીકે ઓળખાઈ. તેમના ત્રણે દીકરાઓ પણ પ્રખ્યાત કાર્બનિક રસાયણવિદો હતા. પર્કિનને તેમના જીવનકાળ દરમિયાન અનેક સન્માનો પ્રાપ્ત થયાં : 1866માં રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી પામ્યા. 1879માં રૉયલ મેડલ અને 1889માં ડેવી મેડલ એનાયત થયા. 1906માં મોવેની શોધની 50મી વર્ષગાંઠે તેમને ‘સર’ની ઉપાધિથી સન્માનવામાં આવ્યા.