Categories
વાચન સમૃદ્ધિ

મનોજ ખંડેરિયા

જ. ૬ જુલાઈ, ૧૯૪૩ અ. ૨૭ ઑક્ટોબર, ૨૦૦૩

ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો  કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.

‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.

મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

હું કોણ છું ?

ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’

Categories
વાચન સમૃદ્ધિ

રશીદ ખાન

જ. ૫ જુલાઈ, ૧૯૧૫ અ. ૭ નવેમ્બર, ૧૯૭૨

સાઠથી વધુ હિન્દી ચલચિત્રોમાં અભિનય કરનાર ચરિત્ર અભિનેતા રશીદ ખાનનો જન્મ વડોદરા, ગુજરાતમાં થયો હતો. ૧૯૪૬માં ફિલ્મ ‘ધરતી કે લાલ’થી તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૪૬થી ૧૯૭૪ની વચ્ચે તેમણે સાઠથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેતા દેવ આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધો હતા અને તેમણે લગભગ દેવ આનંદનાં મોટા ભાગનાં ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. દેવ આનંદની ફિલ્મ પ્રોડક્શન કંપની નવકેતન ફિલ્મ્સની સૌથી પહેલી ફિલ્મ ‘અફસર’થી લઈને ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘તેરે ઘર કે સામને’, ‘બમ્બઇ કા બાબૂ’ અને ‘કાલા બઝાર’ જેવી હિટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓ કરી હતી. ૧૯૫૦થી ૧૯૭૦ના સમયમાં તેમણે રાજ કપૂર, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન જેવા અનેક મશહૂર અભિનેતાઓ સાથે પણ કામ કર્યું હતું.  મોટા ભાગે તેઓ પિતા, હીરોના સહાયક, વિલન, હાસ્ય કલાકારની ભૂમિકાઓ ભજવતા હતા. ૧૯૭૨માં ૫૭ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ પછી પણ ૧૯૭૪ સુધી તેમની ફિલ્મો આવી હતી. તેમની અભિનીત જાણીતી ફિલ્મોમાં ‘ધરકી કે લાલ’, ‘બાઝી’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘શ્રી ૪૨૦’, ‘નવ દો ગ્યારહ’, ‘કાલા પાની’, ‘મુઝે જીને દો, ‘કાલા બાઝાર’, ‘પ્રોફેસર’, ‘દો દૂની ચાર’, ‘રાજકુમાર’, ‘બનારસી બાબૂ’ અને ‘છુપા રુસ્તમ’નો સમાવેશ થાય છે.