Categories
વાચન સમૃદ્ધિ

આંસુ સારતા નથી

અમેરિકાની વ્યવસાયી બૉક્સિંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની  અસાધારણ શક્તિને કારણે બૉક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બૉક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બૉક્સિંગની મૅચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા ‘જેક’ ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બૉક્સરે પરાજય આપ્યો. બૉક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બૉક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પૉઇંટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રૉડવે પર ‘જેક’ ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, ‘મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.’ સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સરોજિની નાયડુ

જ. ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯ અ. ૨ માર્ચ, ૧૯૪૯

અંગ્રેજી ભાષાનાં ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. તેઓનો સ્વર ખૂબ મીઠો હોવાથી તેમને ‘હિંદની બુલબુલ’નો ખિતાબ મળ્યો હતો. સરોજિનીનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, પણ તેમનો ઉછેર ભારતીય તરીકે થયો હતો. પિતા અઘોરીનાથ વિદ્વાન, વૈજ્ઞાનિક અને સમાજસુધારક અને માતા વરદાસુંદરી દેવી કવયિત્રી હતાં. સરોજિનીએ બાર વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ચેન્નાઈ ઇલાકામાં પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઇંગ્લૅન્ડ ગયાં જ્યાં કિંગ્ઝ કૉલેજ તથા ગિરટન કૉલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમયે તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ તથા સાયમન્સના સંપર્કમાં આવ્યાં હતાં. સરોજિની ચૌદ વર્ષની ઉંમરે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યાં અને ૧૮૯૮માં તેમની સાથે લગ્ન કર્યાં હતાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હીરાની ઉંબર’ ઈ. સ. ૧૯૦૫માં બહાર પડ્યો. આ ઉપરાંત ‘ધ લેડી ઑફ ધ લેક’ શીર્ષક હેઠળ કવિતા અને નાટક લખ્યું. ‘ધ ગોલ્ડન થ્રેશેલ્ડ’, ‘ધ બર્ડ ઑફ ટાઇમ’ અને ‘બ્રોકનવિંગ’ નામના કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ૧૯૧૪માં તેઓ ગાંધીજીને મળ્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ડૂબી ગયાં. ધરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતાં અને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી. આમ ગાંધીજીનાં એક અનન્ય શિષ્યા તરીકે તેઓએ ૧૯૨૦થી ૧૯૪૯ સુધી દેશસેવા કરી હતી. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતાં તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ તેમની સ્મૃતિમાં પંદર પૈસાની ટિકિટ બહાર પાડી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સમુદ્ર

પૃથ્વીની સપાટી પર રહેલો ખારા પાણીનો વિશાળ રાશિ. ખારા પાણીનો આ વિસ્તાર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વી પર ૭૧% વિસ્તાર સમુદ્રો કે સાગરો તથા મહાસાગરોનો છે, બાકીનો ૨૯% જેટલો વિસ્તાર ભૂભાગવાળો – ભૂમિખંડોનો બનેલો છે. સમુદ્રોની ઉત્પત્તિ કેટલા સમય પહેલાં થઈ તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ગરમ ધગધગતા વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે અનેક વાયુઓ ઉત્પન્ન થયા. ધીમે ધીમે તેમાંની વરાળ ઠરીને વાદળ બંધાયાં. છેવટે મુશળધાર પડતા વરસાદથી પૃથ્વી પરના નાનામોટા ગર્ત ભરાતા ગયા. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતો રહ્યો અને સમુદ્રો બનતા રહ્યા. તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ, ગંધક (સલ્ફર), નાઇટ્રોજન અને બીજાં રસાયણો બળવાથી સમુદ્રોનું પાણી ક્ષારવાળું બન્યું. વળી જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોથી અને ખડકોનું ખવાણ થવાથી, વરસાદના પાણીથી સમુદ્રના જળનું સ્તર ઊંચું વધવા માંડ્યું.

મહાસાગરોના પેટાવિભાગોમાં સમુદ્ર, સામુદ્રધુની, અખાત, ઉપસાગર, ખાડી વગેરેનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર, જાપાન સમુદ્ર, બંગાળની ખાડી, ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે સમુદ્રના પેટાવિભાગોનાં નામ ભૌગોલિક પ્રદેશો પરથી પાડવામાં આવ્યાં છે. કેટલાક સમુદ્રોનાં નામ તેમના સંશોધકોના નામ પરથી પણ પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅફિન, વેન્ડેલ, બૅરેન્ટ્સ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તે પ્રશાંત મહાસાગર કહેવાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત રંગની લીલ હોવાને કારણે પાણી લાલ રંગનું દેખાય છે, તેથી તેને રાતો સમુદ્ર કહે છે. કેટલાક સમુદ્રમાં કાળા રંગની માટી ભળેલી હોવાથી કાળો સમુદ્ર કહેવાય છે. કેટલાકમાં પીળી માટી ભળેલી હોવાથી પીળો સમુદ્ર કહેવાય છે. સરગાસો તરીકે ઓળખાતો સમુદ્ર સરગાસમ નામની બદામી-હરિત લીલથી ભરેલો છે, જોકે સૂર્યની ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું વિખેરણ થતાં સામાન્ય રીતે સમુદ્રનાં પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની જળસપાટી પર પવનોની અસરથી મોજાં ઉદભવે છે. મોજાંની ગતિ ઝડપી હોય છે. આવાં મોજાં ઊછળે છે અને પાછાં નીચે પડે છે. સપાટીથી ઊંડાઈ તરફ જતાં મોજાંનું કદ ઘટતું જાય છે. સમુદ્ર-જળમાં મોટા પાયા પરની વધતી જતી જળ-સપાટીને ભરતી કહેવાય છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે ત્યારે પેદા થતા વિશેષ ગુરુત્વાકર્ષણ બળથી ભરતી ઉદભવતી હોય છે. આ ભરતીને મોટી ભરતી કહે છે. સામાન્ય રીતે ભરતી દર બાર કલાકે આવે છે. ભરતી-ઓટને લીધે સમુદ્રમાં પાણીની સપાટી વધે છે અને ઘટે છે. જેમ ધરતી પર ભૂકંપ થાય છે તેમ સમુદ્રમાં પણ ભૂકંપ થાય છે, પરંતુ સમુદ્રને તળિયે થતા ભૂકંપની અસર તો કોઈક જ વખત થાય છે અને તે પણ કાંઠા પર જ. સમુદ્રને તળિયે જ્યારે ભૂકંપ થાય ત્યારે તેના આઘાતથી પાણીમાં મોજાં ઉત્પન્ન થાય છે. મધદરિયે આ મોજાં ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ કાંઠા પાસે પહોંચતાં તે ઊંચકાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સમુદ્ર, પૃ. ૨૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ