Categories
વાચન સમૃદ્ધિ

કમાવાની આદત

ગ્રીસ દેશના ઍથેન્સ નગરમાં કિલેંથિસ નામનો બાળક નિશાળમાં અભ્યાસ કરતો હતો. આ અત્યંત ગરીબ બાળકના શરીર પરનાં કપડાં સાવ ફાટેલાં હતાં. એને દિવસના બે ટંક ભોજન પણ મળતું નહોતું. આવું હોવા છતાં દર મહિને એ નિયમિત રૂપે નિશાળની ફી ભરતો હતો. અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષા કરતા હતા. કેટલાક સુખી વિદ્યાર્થીઓને તો થયું કે અત્યંત ગરીબ કિલેંથિસ પાસે પહેરવાનાં પૂરતાં કપડાં નથી, તેમ છતાં નિશાળની ફી કઈ રીતે નિયમિત રૂપે ભરે છે ? નક્કી, એ ક્યાંક ચોરી કરીને પૈસા લાવતો હશે. એની ઈર્ષા કરતા કેટલાક ધનિક વિદ્યાર્થીઓએ એના પર ચોરીનું આળ લગાડીને એને પકડાવી દીધો. અદાલતમાં એનો કેસ ચાલ્યો. ન્યાયાધીશે કિલેંથિસને પૂછ્યું, ત્યારે એણે નિર્ભય થઈને કહ્યું, ‘‘હું ચોરી કરતો નથી અને મારી વાતની પુષ્ટિ રૂપે બે સાક્ષીઓને હાજર કરવા ઇચ્છું છું.’’ ન્યાયાધીશે સાક્ષીઓને બોલાવવાની મંજૂરી આપી, ત્યારે એણે પહેલાં સાક્ષીના રૂપમાં એક માળીને બોલાવ્યો. માળીએ કહ્યું કે, આ છોકરો રોજ વહેલી સવારે મારા બગીચામાં આવીને કૂવામાંથી પાણી ખેંચી આપે છે અને બગીચાને પાણી પાય છે, એના બદલામાં હું એને થોડા પૈસા આપું છું. બીજા સાક્ષીના રૂપમાં એક વૃદ્ધ નારી આવી. એણે કહ્યું કે એના ઘરમાં કોઈ નથી એટલે આ બાળક આવીને રોજ મારી ઘંટીમાં અનાજ દળી આપે છે અને થોડા ઘણા પૈસા આપે છે. ન્યાયાધીશ આ ગરીબ, મહેનતુ બાળકની સચ્ચાઈની કમાણીની વાત સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું કે જો કિલેંથિસ ઇચ્છે તો હવે પછીના એના અભ્યાસનો તમામ ખર્ચ ભોગવવા તેઓ તૈયાર છે. વિદ્યાર્થી કિલેંથિસે ન્યાયાધીશની આ વાતનો સાદર અસ્વીકાર કરતાં કહ્યું કે હવે એને મહેનત કરીને કમાવાની આદત પડી ગઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

વિજય હઝારે

જ. 11 માર્ચ, 1915 અ. 18 ડિસેમ્બર, 2004

ટેસ્ટ ટીમના સુકાની તરીકે એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર, ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 અને 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં લાગલગાટ ત્રણ દાવમાં સદી નોંધાવનારા પ્રથમ ભારતીય ખેલાડી વિજય હઝારેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે હતું. તેઓ મરાઠી ખ્રિસ્તી હતા. 1934-35માં 19 વર્ષની વયે તેમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1939-40માં પુણે ખાતે વડોદરા સામે મહારાષ્ટ્ર તરફથી રમતાં તેમણે ત્રેવડી સદી ફટકારતાં અણનમ 316 રન નોંધાવ્યા હતા., જે તેમની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો. વડોદરા સ્થાયી થયા બાદ તેમણે વડોદરા રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1946-47માં વડોદરા ખાતે વડોદરા તરફથી હોલકરની ટીમ સામે રમતાં વિજય હઝારેએ શાનદાર 288 રન નોંધાવ્યા હતા અને ગુલ મોહંમદ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન ઉમેર્યા હતા. 1939-40ની રણજી ટ્રૉફી સીઝનમાં મહારાષ્ટ્રની ટીમને વિજય અપાવવામાં બૅટ્સમૅન વિજય હઝારેનું મહત્ત્વનું યોગદાન રહ્યું. એ પછી મહારાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી મેળવી શકી નથી. 1946માં લૉડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1947-48માં ઑસ્ટ્રેલિયા ખાતે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઝડપી બૉલરોનો સામનો કરી એડિલેડ ટેસ્ટમાં તેમણે બંને દાવમાં સદીઓ નોંધાવી હતી. એવી સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 1946થી 1953ના ગાળામાં તેમણે 30 ટેસ્ટમૅચોના બાવન દાવમાં છ વાર અણનમ રહીને સાત સદી, નવ અર્ધસદી સાથે 47.65ની સરેરાશથી કુલ 2192 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે 1952માં નવી દિલ્હી ખાતે પ્રથમ ટેસ્ટમાં નોંધાવેલો 164નો જુમલો સર્વોચ્ચ જુમલો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 60 સદીઓ સહિત કુલ 18,740 રન નોંધાવ્યા હતા. વિજય હઝારેએ કુલ 14 ટેસ્ટમૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું જેમાં એક વિજય, પાંચ પરાજય અને આઠ અનિર્ણીત મૅચો રહી હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સર ડૉન બ્રેડમૅનને તેમણે ત્રણ વાર આઉટ કર્યા હતા. 1960માં પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમના નામ સાથે એકદિવસીય ડોમેસ્ટિક ક્રિકેટ ચૅમ્પિયનશિપ યોજાય છે, જે વિજય હઝારે ટ્રૉફી તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1996માં હઝારેને સી. કે. નાયડુ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અનાજ

ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જવ, ઓટ, જુવાર જેવી તૃણ(ઘાસ)કુળની વનસ્પતિઓના દાણા. માનવ-ઇતિહાસમાં આ વનસ્પતિઓ સૌથી અગત્યનો પાક ગણાય છે. શરૂઆતમાં આ વનસ્પતિઓ કુદરતી રીતે જંગલી ઘાસસ્વરૂપે ઊગતી હતી. હજારો વર્ષ પહેલાં તેની ખોરાક તરીકેની ઉપયોગિતા સમજાતાં આદિમાનવે તેની વ્યવસ્થિત રીતે ખેતી કરવાની શરૂઆત કરી. આદિમાનવે તેનાં અવલોકનોના આધારે આ પાકોમાં સુધારણા કરવા માંડી; જેના કારણે કૃષિવિદ્યા (agriculture) નામની વિજ્ઞાનની શાખાનો ઉદય થયો. અનાજના દાણા વિજ્ઞાનની દૃષ્ટિએ ધાન્યફળ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયથી ધાન્યોનો બીજા પાક કરતાં ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેના ખોરાક તરીકે ઘણા ફાયદા છે. તેમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પોષક છે. અનાજના દાણામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. તેમજ લાંબા અંતર સુધી તેની હેરફેર પણ કરી શકાય છે.

અનાજ

વિશ્વમાં તથા ભારતમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધારે છે. ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ રાંધવામાં અને મમરા-પૌંઆ જેવી બનાવટમાં થાય છે. આ ઉપરાંત ચોખા કાઢી લીધા પછી તેના છોડનો ઉપયોગ ઢોરના ચારા તરીકે અને પૂંઠા, કાગળ વગેરે બનાવવામાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરેનો સામાન્ય રીતે દળીને તેનો લોટ બનાવી તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, પૂરી, બ્રેડ, બિસ્કિટ વગેરે બનાવવામાં આવે છે. ઘઉંના લોટમાંથી શીરો, લાડુ, લાપસી, સેવ વગેરે પણ બનાવાય છે. અનાજના આથવણ દ્વારા દારૂ (બિયર અને વ્હિસ્કી) જેવાં પીણાં બનાવવામાં આવે છે. સામો, મોરૈયો, કોદરા, નાગલી વગેરે અન્ય ધાન્યપાકોનો ઉપયોગ ગ્રામલોકો તથા આદિવાસીઓ વધારે કરે છે. હાલમાં સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવવાથી અન્ય લોકો પણ પોતાના આહારમાં તેનો ઉપયોગ કરે છે. અનાજના મુખ્ય પ્રકારો ને તેમના ઉત્પાદક દેશો-પ્રદેશો – ઘઉં : સમશીતોષ્ણ કટિબંધના દેશોનો આ પાક છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારનાં રાજ્યો તેનું ઉત્પાદન વધુ કરે છે. વિશ્વમાં યુ.એસ., ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કૅનેડા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાના ઘઉં આગળ પડતું સ્થાન ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અનાજ, પૃ. 22)