Categories
વાચન સમૃદ્ધિ

તકલામાકાન

ચીનની વાયવ્ય દિશાએ સિંક્યાંગ પ્રાંતમાં આવેલું એશિયાનું સૌથી સૂકું રણ. ભૌગોલિક સ્થાન : 39O ઉ. અ. અને 83O પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 6,48,000 કિમી. છે. તેની ઉત્તરે ટીએનશાન ગિરિમાળા, દક્ષિણે કુનલુન ગિરિમાળા અને પશ્ચિમે પામીરની ગિરિમાળા છે. પૂર્વ તરફ ચીનનો કીંધાઈ પ્રાંત છે. તેની વચ્ચેથી તારીમ નદી વહે છે જે લોપનારના ખારા સરોવરમાં સમાઈ જાય છે. રણની સપાટી ઉપર ચમકતી રેતી છે. રેતીના ઢૂવા વાતા પવનને લીધે ખૂબ ગતિથી સરકતા રહે છે. તારીમ ઉપરાંત ત્યાં કાશ્ગર, હોનાન અને કરકન નદીઓ છે. ઝરણાંએ ખેંચી લાવેલા નિક્ષેપથી વાયવ્ય અને નૈર્ઋત્ય ભાગમાં રણદ્વીપો બનેલા છે.

તકલામાકાનનું રણ : વેરાન અને રેતાળ સૂકી ભૂમિનો પ્રદેશ

અહીંની આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો સખત હોય છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 38O સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન 9O સે. થઈ જાય છે. ઉનાળામાં વધુમાં વધુ તાપમાન 45O–48O સે. રહે છે. આ રણ પર્વતોથી ઘેરાયેલું હોય છે. તેથી ચોમાસાના ભેજવાળા પવનો અંદરના ભાગ સુધી પહોંચતા નથી. વચ્ચેનો ભાગ નિર્જન અને સાવ સૂકો છે. ક્યારેક વરસાદનાં ઝાપટાં પડે ત્યારે ટમારિસ્ક ઘાસ ઊગી નીકળે છે. રણદ્વીપમાં જ્યાં પાણીની સગવડ હોય છે ત્યાં અનાજ, ચણા, કપાસ તથા બી વિનાની દ્રાક્ષ ઊગે છે. રણદ્વીપની જમીન ફળદ્રૂપ છે. આ પ્રદેશમાં હરણ, જંગલી ભુંડ, વરુ અને શિયાળ વગેરે પ્રાણીઓ છે. પાળેલાં પ્રાણીઓમાં ઊંટ અને ઘોડા, બકરાં અને ઘેટાં છે. લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. રણદ્વીપો સિવાય અન્યત્ર ખેતી થતી નથી. લોકો તુર્ક જાતિના છે. ચીનથી ભારત આવવાનો ‘સિલ્ક રૂટ’ આ પ્રદેશમાંથી પસાર થાય છે. ઇટાલિયન પ્રવાસી માર્કોપોલોએ કાશ્ગર અને હોનાનની મુલાકાત લીધી હતી. તારીમ ખીણના પ્રદેશમાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ઇસ્લામના આગમન પૂર્વે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. આ પ્રદેશમાંથી ચાંદીના જેવી ખનિજો મળી આવવાની શક્યતા છે. રણદ્વીપોમાં વસ્તી પાંખી છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સરલા બિરલા

જ. 23 નવેમ્બર, 1924 અ. 28 માર્ચ, 2015

શિક્ષણ, કલા અને સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવતાં ઉદ્યોગપતિ બિરલા પરિવારનાં માતુશ્રી સરલા બિરલાનો જન્મ રાજસ્થાનના કુચામનમાં થયો હતો. પિતા બ્રિજલાલ ગાંધીવાદી કાર્યકર અને સ્વતંત્રતાસેનાની હતા. સરલાનું બાળપણ મહારાષ્ટ્રના અકોલામાં વીત્યું. તેમણે અકોલાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો. એપ્રિલ, 1941માં જમનાલાલ બજાજ અને ગાંધીજીએ બસંતકુમાર સાથે પરિચય કરાવ્યો. તેમણે બસંતકુમાર બિરલા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમણે પતિની સાથે વ્યવસાયમાં ધ્યાન આપ્યું. તેમણે બિરલા પરિવારના વ્યવસાયમાં વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે શિક્ષણ, કલા અને ભારતીય સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું. તેઓ માનતાં હતાં કે શિક્ષણ એ સમાજમાં પરિવર્તન માટે અને મહિલાઓની સ્થિતિ સુધારવા માટેનો અસરકારક માર્ગ છે. આથી તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય એ માટે 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં ફાળો આપ્યો. તેમણે અને તેમના પતિએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ (BITS), બી. કે. બિરલા કૉલેજ ઑફ આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ, બી. કે. બિરલા પબ્લિક સ્કૂલ, મહાદેવી બિરલા વર્લ્ડ એકૅડેમી, મહાદેવી બિરલા શિશુવિહાર, બિરલા એકૅડેમી ઑફ આર્ટ ઍન્ડ કલ્ચર, સંગીત કલામંદિર, બિરલા વિદ્યાનિકેતન વગેરે સંસ્થાઓની મુંબઈ, કૉલકાતા અને દિલ્હીમાં સ્થાપના કરી. તેઓ કલા અને સંસ્કૃતિપ્રેમી હતાં. તેમનામાં વ્યાવસાયિક સૂઝ હતી. તેઓ સંસ્થામાં કામ કરતા લોકોની પરિવારનાં વડાંની જેમ કાળજી રાખતાં. તેઓ મરાઠી, હિન્દી અને અંગ્રેજી જાણતાં હતાં. મોટી ઉંમરે ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું હતું. જી. ડી. બિરલાની 121મી જયંતી નિમિત્તે દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગયા ત્યારે એક નાના અકસ્માતમાં ઘાયલ થયાં અને હૃદયરોગને કારણે તેમનું અવસાન થયું. તેમણે આજીવન કરેલાં સામાજિક કાર્યો બદલ ભારત સરકારે 1990માં પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ઢોળાયેલા દૂધની ચિંતા

ન્યૂયૉર્કના બ્રોંક્સના 939 વુડિક્રિસ્ટ ઍવન્યુમાં આવેલી જ્યોર્જ વૉશિંગ્ટન હાઈસ્કૂલમાં શરીરવિજ્ઞાનના શિક્ષક બ્રાન્ડવાઇન વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ ગયા. એમણે દૂધની એક બૉટલ ડેસ્કના સાવ છેડે રાખી હતી અને વિદ્યાર્થીઓ એ બૉટલને જોઈને વિચારવા લાગ્યા કે આ દૂધની બૉટલનો શરીરવિજ્ઞાન સાથે શું સંબંધ હશે ? એવામાં એકાએક બ્રાન્ડવાઇન ઊઠ્યા, ડેસ્ક થોડું હાલ્યું અને બૉટલ નીચે પડી ગઈ. એમાંનું બધું દૂધ ઢોળાઈ ગયું અને વિદ્યાર્થીઓએ ભારે શોરબકોર કર્યો, ત્યારે શિક્ષક બ્રાન્ડવાઇને કહ્યું કે, ‘દૂધ હવે વહી ગયું છે. આમ રડવાથી હવે ફાયદો શું ? તમે ગમે તેટલો કકળાટ કરશો, તોપણ દૂધનું એક ટીપું તમને મળે તેમ નથી. જો થોડી સાવધાની રાખી હોત તો દૂધની બૉટલ પડી ન હોત, પણ હવે બીજું કંઈ થઈ શકે તેમ પણ નથી. આથી આ ઘટનાને ભૂલીને બીજા કામમાં ડૂબી જાવ, નહીં તો આ ઘટનાનો માત્ર અફસોસ કરતા જ રહેશો.’ અધ્યાપક બ્રાન્ડવાઇનની આ સલાહ સાંભળતાં જ વિદ્યાર્થી એલન સાઉન્ડર્સનું ચિત્ત ચમક્યું, કારણ કે ઘણા લાંબા સમયથી એના મન પર ચિંતાનું એક ભૂત સવાર થઈ ગયું હતું. પોતાની ભૂલને માટે એ સતત ક્ષુબ્ધ અને અશાંત રહેતો હતો. આખી રાત એ બનાવ વિશે વિચારતો અને આમતેમ પડખાં ઘસતો હતો. એની ભૂલ એને સૂવા દેતી નહોતી, તેથી વિચારતો કે આવી સ્થિતિમાં હું પરીક્ષામાં કઈ રીતે સફળ થઈશ. વળી એમ વિચારતો કે મેં પેલી ભૂલ કરી એને બદલે જુદી રીતે કામ કર્યું હોત તો ભૂલ થાત નહીં. ક્વચિત્ એમ પણ થતું કે એણે અમુક રીતે વાત કરી એને બદલે બીજી રીતે વાત કરી હોત, તો વધુ સારું થાત, પણ જ્યારે શિક્ષકે કહ્યું કે, ભૂલ થતી હોય તો સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો એના પસ્તાવામાં જ આખું જીવન કાઢી નાખવું તે ખોટું છે. એમ કરવાથી તો કશું નહીં વળે.