Categories
વાચન સમૃદ્ધિ

ડાકોર

ગુજરાતનું અગ્રગણ્ય વૈષ્ણવ તીર્થધામ. તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ૨૨° ૪૫´ ઉ. અ. અને ૭૩° ૦૬´ પૂ. રે. ઉપર શેઢી નદીના કિનારે આવેલું છે. નડિયાદથી તે ૩૮ કિમી., આણંદથી ૩૦ કિમી. અને તાલુકામથક ઠાસરાથી ૮ કિમી. દૂર છે.  અહીં ડંક ઋષિનો આશ્રમ હતો, જેના નામ ઉપરથી આ નગર પ્રાચીન કાળમાં ડંકપુર કહેવાયું હતું. તેની આસપાસના પ્રદેશમાં ખાખરાનાં ઘણાં વૃક્ષો હોવાથી તે ભૂતકાળમાં ખાખરિયા તરીકે અને અનુશ્રુતિ પ્રમાણે ડાકોરની આસપાસનો પ્રદેશ હિડિંબા વન તરીકે ઓળખાતો હતો. સમુદ્રથી દૂર હોઈ આબોહવા સામાન્ય રીતે વિષમ હોય છે. મે માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૪૧° અને ૨૬° સે. રહે છે, જ્યારે જાન્યુઆરી માસમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન ૨૯° સે. અને ૧૪° સે. રહે છે. સરાસરી વાર્ષિક વરસાદ ૮૩૦.૮ મિમી. પડે છે. ડાકોર અનાજના વેપારનું કેન્દ્ર છે. અહીં પતરાળાં બનાવવાનો ગૃહઉદ્યોગ મોટા પાયા ઉપર ચાલે છે, જેની ત્યાંથી નિકાસ થાય છે. ઘરગથ્થુ  વપરાશનાં વાસણો તથા બીડી બનાવવાનો ગૃહઉદ્યોગ, કપાસ લોઢવાનું જિન, સાબુ તથા રબરની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં વિકસ્યાં છે. ડાકોર આણંદ–ગોધરા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. નડિયાદ અને ગોધરા સાથે તે પાકા માર્ગથી જોડાયેલું છે. રાજ્ય-પરિવહનની  બસો દ્વારા તે રાજ્યનાં લગભગ બધાં શહેરો સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીયકૃત બૅંકોની શાખા ઉપરાંત ત્યાં સહકારી બકો છે.

રણછોડરાયનું મંદિર, ડાકોર

ડાકોરની વસ્તી ૩૭,૨૦૦ (૨૦૨૫, આશરે) છે. કુલ વસ્તી પૈકી ૮૩.૨૬% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.

અહીં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર છે. અનુશ્રુતિ અનુસાર ઈ. સ. ૧૧૫૬માં ભક્ત બોડાણા દ્વારકાથી રણછોડરાયની મૂર્તિ લાવ્યા હતા. દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો આ મૂર્તિ પાછી લેવા આવ્યા હતા, પણ તેના બદલામાં ભારોભાર સોનું આપવાનું કહેતાં તેમણે આ દરખાસ્ત સ્વીકારી હતી. વજન કરતાં એક વાળી જેટલું જ વજન થયું હતું ! નવું મંદિર ૧૭૭૨માં ગાયકવાડના શ્રોફ કે શરાફ ગોપાળરાવ તાંબેકરે બંધાવ્યું હતું. આ મંદિર મહારાષ્ટ્રમાં પ્રચલિત હેમાદ્રિ શૈલીનું છે. મંદિરના નિભાવ માટે ડાકોર અને કંજરી ગામો અપાયાં હતાં. અહીં ગોમતી નામનું ઉત્તર–દક્ષિણ ૮૦૪.૭ મી. લાંબું અને ૨૦૧.૨ મી. પહોળું એક પવિત્ર તળાવ છે. ઉપરાંત, લક્ષ્મીજી, ડંકનાથ મહાદેવ, વિશ્વકર્મા-મંદિર, શેષષાયી વિષ્ણુનું મંદિર, કબીર-મંદિર, મહાપ્રભુજીની બેઠક, શ્રીયંત્ર સ્વરૂપનું સરસ્વતી મંદિર વગેરે અનેક મંદિરો છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કૉલેજો, સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો અને ધર્મશાળાઓ છે. કાર્તિકી અને અશ્વિન માસની પૂનમના દિવસે તથા હોળીના દિવસે મોટો મેળો ભરાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

રાજિન્દર પુરી

જ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

જાણીતા કાર્ટૂનિસ્ટ, કૉલમલેખક અને રાજકારણી રાજિન્દર પુરીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના પિતા હવામાનશાસ્ત્રી હતા. પાંચ સંતાનોમાં સૌથી નાના રાજિન્દર પુરી ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે માત્ર તેર વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયા. નાનપણથી જ કાર્ટૂન પ્રત્યે અત્યંત આકર્ષણ ધરાવતા રાજિન્દર પુરીએ સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ કર્યો, પરંતુ તેમની ઇચ્છા ઇંગ્લૅન્ડ જઈને કાર્ટૂન અંગે અભ્યાસ કરવાની હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી થોડો સમય તેમણે ‘ધ માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધ ગ્લાસગો હેરલ્ડ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ઇંગ્લૅન્ડથી ૧૯૫૯માં ભારત આવ્યા પછી તેમણે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં ૧૯૬૭ સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ‘ધ સ્ટેટ્સમૅન’માં કાર્ટૂનિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમનાં કાર્ટૂન ‘શંકર્સ વીકલી’માં પણ પ્રકાશિત થતાં હતાં. કટોકટી પછી તેમણે ૧૯૭૭માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેઓ જનતા પાર્ટીના સ્થાપક જનરલ સેક્રેટરી બન્યા. જનતા પાર્ટીના ભાગલા પડ્યા પછી થોડો સમય લોકદળ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા હતા, પરંતુ ૧૯૮૮ પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેમના જીવનનાં પાછલાં પચીસ-ત્રીસ વર્ષ તેઓ ફ્રીલાન્સ પત્રકાર તરીકે અનેક અખબારો અને સામયિકોમાં કૉલમ લખતા હતા. તેમણે ‘ઇન્ડિયા ૧૯૬૯ : અ ક્રાઇસિસ ઑફ કૉન્સિયસ, ‘ઇન્ડિયા ધ વેસ્ટેડ ઇયર્સ : ૧૯૬૯-૧૯૭૫, ‘ગવર્નમેન્ટ ધેટ વર્ક્સ ઍન્ડ હાઉ’, ‘રિકવરી ઑફ ઇન્ડિયા’, ‘બુલ્સ આઈ’ જેવાં પુસ્તકો લખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એમ્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું. એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?’ ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’ આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’ ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’ આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’ ‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’ એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’ ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’ ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’