Categories
વાચન સમૃદ્ધિ

પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી.  એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’

Categories
વાચન સમૃદ્ધિ

લાલા અમરનાથ

જ. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૫ ઑગસ્ટ, ૨૦૦૦

દૃષ્ટિવંત સુકાની, આક્રમક બૅટ્સમૅન, નિપુણ મધ્યમ ઝડપી ગોલંદાજ, સફળ વિકેટકીપર, સમર્થ સુકાની અને સિલેક્શન કમિટીના દીર્ઘદ્રષ્ટા સિલેક્ટર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં આગવી નામના હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોનાં દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની લાલા અમરનાથની સેવાઓ અવિસ્મરણીય છે. લાલા અમરનાથ ૧૯૩૩માં ભારત તરફથી સર્વપ્રથમ ટેસ્ટ-સદી નોંધાવનારા બન્યા અને આઝાદ ભારતના સર્વપ્રથમ ટેસ્ટ-સુકાની બન્યા. ૧૯૫૨માં એમના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથે પ્રથમ વાર ખેલાયેલી ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવ્યો હતો. બૅટ્સમૅન તરીકે ઑફ-સાઇડના સ્ટ્રૉકનું પ્રભુત્વ ધરાવનાર લાલા અમરનાથ ‘સ્ક્વેર-કટ’ અને ‘સ્ક્વેર-ડ્રાઇવ’ લગાવવામાં કાબેલ હતા તેમજ ‘શૉર્ટ પીચ દડાને સ્ક્વેર લેગ તરફ મોકલી આપતા હતા. ઇંગ્લૅન્ડના પ્રભાવશાળી ગોલંદાજો સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં ૨૧ બાઉન્ડ્રી સાથે ૨૧૦ મિનિટમાં ૧૧૮ રન કર્યા હતા. વિકેટકીપર તરીકે ક્રિકેટ ખેલવાનો પ્રારંભ કર્યો. સાહસિક બૅટ્સમૅન તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો અને એ પછી ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું. સ્વમાની અમરનાથની આસપાસ ક્યારેક વિવાદો પણ સર્જાયા હતા અને એક વાર એમને પ્રવાસ દરમિયાન અધવચ્ચેથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. સ્વાધીન ભારતીય ટીમને વિદેશ લઈ જનારા આ સર્વપ્રથમ સુકાનીનું માન ધરાવનારા લાલા અમરનાથ ટેસ્ટશ્રેણીમાં ભારતને ‘રબર’ અપાવનારા પહેલા ગૌરવશાળી સુકાની છે. અમરનાથ ઇન-સ્વિંગર્સ નાખનારા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જન્મજાત સુકાની તરીકે એમની પાસે વિકેટને પારખવાની અને વિદેશપ્રવાસનાં ભયસ્થાનોને સમજવાની ઊંડી સૂઝ હતી. ખેલાડી તરીકે વિદાય લીધા પછી ટીમના મૅનેજર તરીકે, રેડિયો-ટી.વી. કૉમેન્ટેટર તરીકે અને સિલેક્ટર તરીકે કામગીરી બજાવી. એમના પુત્ર સુરિન્દર અને મોહિન્દર અમરનાથ ટેસ્ટ ખેલાડી તરીકે અને સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રૉફી ખેલાડી તરીકે રમ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સોમનાથ

હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થધામ. ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાં તે પ્રથમ હોવાથી તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. તે પ્રભાસપાટણ તરીકે પણ જાણીતું છે. અહીં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હોવાથી તે દેહોત્સર્ગ કે ભાલકા તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ અહીંના શૈવમંદિર –સોમનાથના મંદિરને લીધે વધુ જાણીતું છે. મંદિરમાંનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. પૌરાણિક કથા પ્રમાણે સોમે (ચંદ્રે) આ મંદિર બંધાવ્યું હોવાથી તે ‘સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું. તીર્થસ્થાન હોવા ઉપરાંત પ્રાચીન કાળમાં તે સમૃદ્ધ બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાતનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. સોમનાથના મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હતો. મૂળમાં એ મંદિર મૈત્રકકાળ (ઈ. સ. ૪૭૦–૭૮૮) દરમિયાન હયાત હોવાનું જણાય છે. સોલંકી રાજ્યના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ભીમદેવ પહેલાએ નવેસરથી આ મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ તેને ખંડિત કર્યું તેથી ભીમદેવે તેની મરામત કરાવી. રાજા કુમારપાલે ઈ. સ. ૧૧૬૯માં તેનું નવનિર્માણ કર્યું. ઈ. સ. ૧૨૯૯માં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના સરદાર ઉલૂઘખાને તે તોડ્યું. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે ૧૩૨૫–૧૩૫૧ દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. ૧૪૬૯માં મહમ્મદ બેગડાએ મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. ૧૭૮૩માં ઇંદોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે જૂના મંદિરથી થોડે દૂર ફરી નવું મંદિર બંધાવ્યું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે મંદિર બાંધવામાં આવ્યું.

સોમનાથ મંદિર, સોમનાથ

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, જામનગરના જામસાહેબ આદિ અગ્રણીઓએ ફરી એક વાર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. ૧૯૫૧–૧૯૬૧ દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને ‘કૈલાસ મહામેરુપ્રાસાદ’ નામ આપવામાં આવ્યું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. તાજેતરમાં સોમનાથ મંદિરના ગર્ભગૃહને સોનાના પતરાથી મઢવામાં આવ્યું છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે. ભાવિકો ત્રિવેણીસંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. વળી આ સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાન્તક મેળો ભરાય છે. મંદિરથી થોડેક દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે, તે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અહીં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદવલ્લભાચાર્યની બેઠક પણ આવેલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦