Categories
વાચન સમૃદ્ધિ

ત્ર્યંબક

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 18,000 (2026, આશરે) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું, જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર તરીકે જાણીતું થયું. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – આ ત્રણે દેવતાઓનું પ્રતીક ગણાય છે. ત્ર્યંબકેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણાં મંદિરો છે; જેમાં શ્રીકૃષ્ણ, શ્રીરામ, પરશુરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિરો મુખ્ય છે. ગામની ઉત્તરે આશરે એક કિમી. અંતરે નીલપર્વત નામની એક ટેકરી છે જેના પર નીલાંબિકા દેવીનું મંદિર છે. બ્રહ્મગિરિ નામક જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે તે પર્વત ગોદાવરી નદીનું ઉદ્ગમસ્થાન છે. પર્વત પર એક કિલ્લો પણ છે. પર્વતના ઢાળ પર નાથપંથીઓનો મઠ છે જ્યાં નાશિકના કુંભમેળા સમયે નાથપંથના અનુયાયીઓ ભેગા થાય છે. પર્વતની તળેટીએ જ ગંગાસાગર નામક જળાશયના પશ્ચિમ તરફના તટ પર જ્ઞાનેશ્વરના મોટા ભાઈ નિવૃત્તિનાથની સમાધિ છે.

ત્ર્યંબકેશ્વર મંદિર, ત્ર્યંબક

કારતક પૂનમ, નિવૃત્તિનાથની પુણ્યતિથિ, પોષ વદ એકાદશી અને માઘ માસની શિવરાત્રી – દિવસોએ આ ગામમાં મોટા મેળા ભરાય છે. 1866થી ગામની નગરપાલિકા સ્થપાઈ. હવે આ ગામમાં શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ગ્રંથાલય, નગરગૃહ, નગર-ઉદ્યાન વગેરે અદ્યતન સુવિધાઓ છે. ત્ર્યંબકેશ્વરના મંદિર વિશે ઘણી પુરાણકથાઓ પ્રચલિત છે. આ મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. મંદિરનો કુલ વિસ્તાર 80.7 × 66.91 મી. છે. તેની આસપાસના કોટનો વિસ્તાર 80.77 × 66.45 મી. જેટલો છે. મંદિરમાંના શિવલિંગની વિશેષતા એ છે કે તે પિંડીની અંદર છે. અને તેની તડમાંથી સતત પાણી ઝરતું હોય છે. શિવલિંગની સામે શુભ્ર પાષાણનો નંદી છે. મંદિરની પાછળના ભાગમાં પવિત્ર જળનો કુંડ છે. મંદિરની દીવાલોના બહારના ભાગ પર સુંદર મૂર્તિઓ કંડારેલી છે. પહેલા પેશવા બાળાજી બાજીરાવે (1740–61) આ મંદિર બંધાવ્યું હતું અને છેલ્લા પેશવા બાજીરાવ-બીજાના દત્તક પુત્ર નાનાસાહેબના સમય દરમિયાન (1851–57) જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

અભયારણ્ય

વન્ય પ્રાણીઓના ભયમુક્ત વિહાર અને નિસર્ગ તથા વનસંપત્તિના જતન અને રક્ષણ માટેનું અનામત સ્થળ કે વિસ્તાર. ભારતના બંધારણમાં વન્ય જીવનને બચાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે દેશની નૈસર્ગિક વનસંપત્તિ અને પ્રાણીસૃષ્ટિનાં જતન અને સંરક્ષણ માટે ખાસ રક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે ઓળખાય છે. આ જોગવાઈને આધારે ત્યાં વસતા વન્ય જીવોને પૂરતું રક્ષણ મળે છે. આ માટેની કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનારને સજા થાય છે. વન અને વનમાંની પ્રાણીસૃષ્ટિ ભારતની અણમોલ રાષ્ટ્રીય સંપત્તિ છે. માનવ, પશુ-પક્ષી, વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય અથવા તેમનો નાશ થાય, તો તેની વિપરીત અસર મનુષ્યજાતિ પર પણ થાય છે. આથી જ અમુક પ્રાણી અથવા વનસ્પતિની કોઈ જાત નામશેષ થવાની સ્થિતિમાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જતું હોવાનો તેમાં સંકેત છે. આથી જ વન્ય જીવજાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને જ દેશના વિકાસની યોજના ઘડાય છે.

કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતમાં અત્યારે ૫૫૬ અભયારણ્યો અને ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી. કેટલાંક ખાસ પ્રાણીઓની જાળવણી માટે છે; જેમ કે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે છે. ત્યાં સિંહ ઉપરાંત જોવા મળતાં બીજાં પ્રાણીઓમાં દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભુંડ, જરખ તેમ જ વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વેળાવદરમાં અભયારણ્યનું મુખ્ય પ્રાણી કાળિયાર છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા તથા ઉત્તરાંચલમાં આવેલું કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના વન્ય જીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે. કાન્હામાં વાઘ, દીપડા, ચિત્તલ, સાબર, બારાસિંગ, જંગલી ભુંડ, મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, જરખ, રીંછ વગેરે પશુઓ અને પક્ષીઓની ૨૦૦ જાતિઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અભયારણ્ય, પૃ. 34)

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિંકોમાલી

શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34´ ઉ. અ. અને 81° 14´ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી.. વસ્તી : 1,09,000 જેટલી (2026, આશરે) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ ઉપર છે. અગાઉ તે કોડ્ડિયાર તરીકે જાણીતું હતું. તેનો અર્થ નદીના ઉપસાગર ઉપરનો કિલ્લો છે. ત્રિંકોમાલીનું બારું દુનિયાનાં ઉત્તમ કુદરતી બારાં પૈકીનું એક છે. તે 8° ઉ. અ. નજીક હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. બારે માસ હવા ભેજવાળી અને ગરમ રહે છે. તેમ છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. નૈઋત્ય અને ઈશાની મોસમી પવનો ઉનાળા અને શિયાળામાં આશરે 1000 મિમી. વરસાદ આપે છે. કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં વૃક્ષો છે, જ્યારે સપાટ પ્રદેશમાં ડાંગરનો પાક બે વખત લેવાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે, જ્યારે મચ્છીમારી ગૌણ વ્યવસાય છે. મોતી આપતી ઑઇસ્ટર માછલી અહીં ક્વચિત્ જોવા મળે છે.

ત્રિંકોમાલીનું વિહંગાવલોકન

ત્રિંકોમાલી રેલવેનું ટર્મિનસ છે અને લંકાનાં અગત્યનાં શહેરો સાથે રેલ તથા માર્ગો દ્વારા જોડાયેલું છે. 1960થી કોલંબો ખાતે સ્ટીમરની ભારે અવરજવર રહેતી હોવાથી અને લાંબો વખત સ્ટીમરને બારા બહાર રાહ જોવી પડતી હોવાથી ત્રિંકોમાલી ખાતે માલસામાનની ચડઊતર અગાઉ કરતાં વધી છે. અહીં વિમાની મથક પણ છે. ચાની નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, ચામડાં તથા સૂકી માછલીની નિકાસ થોડા પ્રમાણમાં થાય છે. પ્રાચીન કાળમાં ઇન્ડો-આર્યન આગંતુકોની પ્રમુખ વસાહત અહીં હતી. ઈ. સ. પૂ. 543થી તામિલ લોકો અહીં વસે છે. તેમણે દ્વીપકલ્પને છેડે 1000 સ્તંભોવાળું મંદિર બાંધ્યું હતું. પોર્ટુગીઝો અહીં સૌપ્રથમ સોળમી સદીમાં આવ્યા હતા. ઈ. સ. 1622માં આ મંદિરનો તેમણે નાશ કર્યો હતો અને તેના સ્થાને તેના પથ્થરોથી કિલ્લો બાંધ્યો હતો. 1639માં પોર્ટુગીઝોને હરાવીને ડચો અહીં આવ્યા હતા. તેમણે 1676માં ફૉર્ટ ફેડરિક બાંધ્યો હતો. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે અઢારમી સદી દરમિયાન ભારતના કોરોમાંડલ કિનારા ઉપર પ્રભુત્વ જમાવવા માટે અનેક યુદ્ધો થયાં હતાં. અંગ્રેજોએ 1795માં ત્રિંકોમાલી ડચો પાસેથી જીતી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં સિંગાપોરના પતન પછી અહીં ગ્રેટ બ્રિટને નૌકામથક સ્થાપ્યું હતું અને મ્યાનમાર અને મલાયામાંનાં જાપાનનાં લશ્કરી મથકો ઉપર યુ.એસ.નાં યુદ્ધવિમાનો અહીંથી હુમલો કરતાં હતાં. 1948માં શ્રીલંકા સ્વતંત્ર થયું છતાં આ લશ્કરી મથક બ્રિટનની હકૂમત નીચે તે અંગે થયેલા સંરક્ષણકરાર મુજબ 1957 સુધી રહ્યું હતું. સંરક્ષણકરાર રદ કરીને શ્રીલંકાની સરકારે આ મથકનો કબજો લીધો (1957).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9