Categories
વાચન સમૃદ્ધિ

ટગબોટ

રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ તે કરે છે. વરાળયુગના પ્રારંભમાં ઈ. સ. ૧૮૦૦ની આસપાસ પૅડલ-વ્હીલ (paddle – ક્ષેપણી) સંચાલિત ટગબોટ કામ કરતી હતી. ૧૮૫૦માં સ્ક્રૂ-સંચાલિત ટગબોટ અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૯૦૦થી વરાળ-એન્જિનનું સ્થાન ડીઝલ-એન્જિને લીધું હતું. ૧૭૩૬માં જોનાધન હલે (ગ્લૉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) ન્યૂકોમેન સ્ટીમ-એન્જિન દ્વારા સંચાલિત ટગબોટ માટે પેટન્ટ લીધો હતો. સર્વપ્રથમ બંધાયેલ ટગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ’ હતી, જેનું સંચાલન વૉટ એન્જિન અને પૅડલ-વ્હીલ દ્વારા થતું હતું, તેનો ઉપયોગ સ્કૉટલૅન્ડની ફૉર્ડ નદી અને ક્લાઇડ નદીની નહેરમાં જહાજોને લાવવા લઈ જવા થતો હતો. યુ.એસ.માં ૧૮૫૦માં સ્ક્રૂ પ્રોપલ્ઝનવાળી ટગબોટનો ઉપયોગ થતો હતો.

જહાજને ખેંચી લાવતી ટગબોટ

ઓગણીસમી સદી દરમિયાન ટગનું કદ એકસરખું અને સ્થિર (૨૧ મી.થી ૬૪ મી. સુધીનું) રહ્યું હતું. અગાઉની ટગ કરતાં હાલમાં વપરાતી ટગનું એન્જિન દસગણી વધારે શક્તિ ધરાવે છે. કેટલીક ટગનાં તો ૩૦૦૦ હો.પા.થી વધારે પાવરનાં એન્જિનો હોય છે. સામાન્ય રીતે માત્ર બારામાં જ હેરફેર કરતી ટગ ૨૧.૪૬ મી. લાંબી, એક સ્ક્રૂવાળી અને ૧૭૫૦ હોર્સપાવરવાળી હોય છે. ખુલ્લા સમુદ્રમાંથી લાધેલાં જહાજને કાંઠે બારામાં ધક્કા સુધી લાવવા વધારે શક્તિશાળી ટગની જરૂર પડે છે. લાધી ગયેલા જહાજને કાંઠે લાવતી ટગ ૩૮ મી.થી ૬૦ મી. લાંબી હોય છે અને તેનું એન્જિન ૫૦૦૦ હો.પા. સુધીનું હોય છે. આંતરિક જળમાર્ગ માટે યંત્રવિહીન બજરા(dumb barge)ને ખેંચવા ટગ વપરાય છે. રેલવેના ડબાની માફક દોરડાં કે સાંકળ દ્વારા ૧૦થી ૨૦ બજરાઓને ટગ ખેંચે છે. ધક્કા સુધી બજરાને કે જહાજને ખેંચી લાવતી ટગનું ખોખું (hull) સ્થિતિસ્થાપક (resilient) લાકડાનું બનેલું હોય છે, જેથી જહાજ કે ટગને ખેંચવાથી નુકસાન થતું નથી. ટગ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે તેની લંબાઈ ઓછી અને તેનો મોરો (stern) સાંકડો હોય છે. પાણી ઉપર તેના પ્રૉપેલરની સારી પકડ રહે તે માટે તેની ગતિ ધીમી હોય છે. ટેમ્સ નદીમાં ફરતી ટગો ૨૪ મી.થી ૩૬ મી. લાંબી હોય છે. દુનિયાના અન્ય ભાગોમાં તેનો દેખાવ, લંબાઈ વગેરે જુદાં જુદાં હોય છે. જર્મનીની રહાઇન નદી અને યુ.એસ.ની મિસિસિપી નદીમાં લાંબા અંતર સુધી ઘણા દિવસો સુધી બજરાઓના સમૂહને ટગ ખેંચી જતી હોય છે. આવી ટગોમાં ટગના કર્મચારીઓ માટે રહેવાની તથા ખોરાક વગેરે સંઘરવાની સગવડ હોય છે. લાધી ગયેલાં જહાજોને સલામત લાવતી ટગ ખૂબ જ શક્તિશાળી અને દરિયામાં લાંબો વખત રહી શકે તેવી હોય છે. જહાજને ખેંચી લાવવા ભારે ગિયર કે ગેરવાળી ટગ હોય છે. આવી ટગમાં લોખંડના તારનાં દોરડાં, પાણી ઉલેચવાનો પંપ તથા અગ્નિ શમાવવાનાં સાધનો હોય છે. ગુજરાતમાં ઘોઘામાં ૨૦૦ ટનથી ૨૫૦ ટનની ટગ બંધાય છે. મુંબઈ, કૉલકાતા તથા વિશાખાપટ્ટનમમાં પણ તે જરૂર પ્રમાણે બંધાય છે. ડચ લોકો ટગના બાંધકામ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે ૬૫ મી. લાંબી, ૧૫.૬ મીટરના સ્તંભવાળી ૧૬,૦૦૦ કિવૉ.ની શક્તિશાળી ‘સ્મીટ લંડન’ ટગ બાંધી હતી, જે ગમે તેવા વિશાળકાય જહાજને ખેંચી લેવા સમર્થ હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ)

સાલારજંગ દીવાને કરેલા કલાસંગ્રહને અનુલક્ષીને આંધ્રમાં હૈદરાબાદ ખાતે સ્થપાયેલું અદ્વિતીય સંગ્રહાલય. ૧૯મી સદીના મધ્યભાગમાં હૈદરાબાદના નિઝામે એક દીવાનની નિયુક્તિ કરી જેને ‘સાલારજંગ’ની ઉપાધિ આપવામાં આવી. આ દીવાનનો પુત્ર સાલારજંગ બીજો અને પૌત્ર સાલારજંગ ત્રીજો પણ દીવાનપદે રહ્યા. આ સાલારજંગ ત્રીજાએ ત્રીસ વર્ષોમાં કરેલો સંગ્રહ તે સાલારજંગ સંગ્રહાલય તરીકે ઓળખાયો.  મીર યૂસુફ ખાન (સાલારજંગ ત્રીજો) કલાપ્રેમી હોવાથી તેને જુદી જુદી કલાકારીગીરીવાળી વસ્તુઓનો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ હતો. તે ૧૯૪૯માં મૃત્યુ પામ્યો. તેને કોઈ વારસ ન હોવાથી એક કમિટી રચાઈ અને તેણે એમની સંઘરેલી વસ્તુઓનું મહેલમાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. ૧૯૫૮માં આ સંગ્રહ ભારત સરકારને આપવામાં આવ્યો અને ૧૯૬૮માં તે  સંગ્રહને સંગ્રહાલય-સ્વરૂપે જાહેર જનતાને જોવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યો.

સાલારજંગ મ્યુઝિયમ

હજારો મૂલ્યવાન નમૂનાઓ જે પ્રથમ મહેલમાં ‘દીવાન દેવડી’માં રાખવામાં આવેલા તે એક કરોડના ખર્ચે બંધાયેલા નવા મકાનમાં ૧૯૬૮માં વિભાગવાર અને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. તેમાં પૌરસ્ત્ય (પૂર્વના) અને પાશ્ચાત્ય (પશ્ચિમના) – એમ  બે મુખ્ય વિભાગો પાડવામાં આવ્યા. પૌરસ્ત્ય વિભાગમાં નાના-મોટા ૪૦ ખંડો અને વરંડાઓ છે. તેમાં જેડ (Jade), શસ્ત્રો, વસ્ત્રાભૂષણો અને સોના, ચાંદી તેમ જ અન્ય ધાતુઓના અલંકારોનો ઉત્તમ સંગ્રહ છે, જે મુઘલ શાસકોના તત્કાલીન જીવનના વૈભવ અને જાહોજલાલીનો નિર્દેશક છે. ભોંયતળિયાના પ્રથમ ખંડમાં સાલારજંગની અંગત ચીજવસ્તુઓનો સંગ્રહ છે. તેમનાં વસ્ત્રો, ઘરવખરી, ફર્નિચર, પુસ્તકો, ભેટસોગાતો, તેમના જીવન અને સમયના ફોટોગ્રાફો વગેરેની દસ્તાવેજી સામગ્રી ત્યાં પ્રદર્શિત કરાઈ છે. બાકીના ભાગમાં ભારતીય કલાકારીગીરીના નમૂનાઓનો સમાવેશ થાય છે. અહીં આભૂષણો, ચિત્રો, શસ્ત્રો, ચિનાઈ માટીનાં અને કાંસાનાં વાસણો, ઝવેરાત, ગાલીચા, હાથીદાંતની કેટલીક ચીજો, કાચ ઉપરની ચિત્રકારીવાળી વસ્તુઓ, વિવિધ પ્રકારનાં ઘડિયાળો, કીમતી ધાતુ પરની કારીગરીના નમૂનાઓ, ધાતુ-પથ્થર તથા કાષ્ઠની મૂર્તિઓ વગેરે હજારોની સંખ્યામાં પ્રદર્શિત કરેલાં છે. શિલ્પવિભાગમાં  નેલાકોન્ડા-પલ્લીમાંથી મળી આવેલી ૩જી સદીની બુદ્ધની પ્રતિમા, કોસામ્બીમાંથી મળેલું ૪થી સદીનું એકમુખી લિંગ, વારાંગલથી મળેલ ૧૨મી સદીની કાર્તિકેયની પ્રતિમા તથા પલ્લવ, ચોળ અને પાંડ્ય રાજ્યકાલ દરમિયાનની ભારતીય કાંસ્ય અને પથ્થરની પ્રતિમાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાલારજંગ સંગ્રહાલય (મ્યુઝિયમ), પૃ. ૧૨૦)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝેન

બૌદ્ધ મહાયાન સંપ્રદાયની ચીનમાં આરંભાયેલી અને જાપાનમાં પ્રસરેલી શાખા. દક્ષિણ ભારતના આચાર્ય બોધિધર્મ (ઈ. સ. ૪૭૦–૫૪૩) ચીન ગયેલા; તેમના દ્વારા ઝેનનો ત્યાં આરંભ થયો. મૂળ સંસ્કૃત શબ્દ ‘ધ્યાન’નું ચીની ભાષામાં ‘ચ-આન’ કે ‘ચાન’ (ch-an) અને જાપાની ભાષામાં ‘ઝેન’ એવું રૂપાંતર થયેલું છે. ભગવાન બુદ્ધે ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરેલું. તે સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઝેનમાં મોટું માહાત્મ્ય છે. બૌદ્ધ યોગાચાર પંથમાં અને એમ તો બધાં ભારતીય દર્શનોમાં ધ્યાનનું મહત્ત્વ છે, પણ ત્યાં ધ્યાન એક સાધનમાત્ર છે. ઝેનમાં ધ્યાનની ચીની પ્રણાલી અને તેના ઉપર તાઓ સંપ્રદાયની પદ્ધતિની અસરને લીધે તે અન્ય દાર્શનિક પ્રણાલીઓથી કંઈક વિશિષ્ટ પ્રણાલી છે. ઝેન માત્ર ધ્યાનની પ્રક્રિયા જ નહિ પણ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. એ મનની નિર્વિકલ્પ સ્થિતિ છે જેમાં ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત મટી જાય છે. ધ્યાતા પોતાના શુદ્ધ નિર્ગુણ અસ્તિત્વનો એટલે કે સત્ ચિતનો અનુભવ કરે છે. ઉપનિષદના ‘अहं ब्रह्मास्मि’ – અનુભવને ઝેનના અનુભવની સાથે સરખાવી શકાય. બુદ્ધે તેમના એક શિષ્ય મહાકાશ્યપને આવા ધ્યાનનો ઉપદેશ કરેલો. આ જ્ઞાન શિષ્યપરંપરાએ અઠ્ઠાવીસમી પેઢીના આચાર્ય બોધિધર્મને પ્રાપ્ત થયેલું. ગુરુની આજ્ઞાથી બોધિધર્મ ઈ. સ. ૫૨૦ કે ૫૨૬માં ચીન ગયા અને ત્યાં વેઈ રાજ્યમાં આવેલા એક બૌદ્ધવિહારમાં રહ્યા. ત્યાં તે ભીંત સામે બેસી ધ્યાન કરતા. કદાચ તેથી જ ભીંત સામે બેસી ધ્યાન કરવાની પદ્ધતિ ઝેનમાં પ્રચલિત થઈ. બોધિધર્મના સર્વપ્રથમ શિષ્ય હુઈ-કે હતા. તે કન્ફ્યૂશિયસ અને બૌદ્ધ બંનેય દર્શનોના મોટા પંડિત હતા. તેમણે વેશભૂષા વગેરેના આડંબર વિના ઝેનનો પ્રચાર કરવા માંડ્યો તે ત્યાંના પરંપરાવાદી ચીની ધર્મગુરુઓને ન રુચ્યો અને તેમણે રાજા પાસે હુઈ-કેને મૃત્યુદંડની સજા કરાવી. હુઈ-કેના શિષ્ય સેંગ-ત્સાંગે ચીની ભાષામાં એક ગ્રંથ લખ્યો જેના શીર્ષકનો અર્થ થાય ‘હૃદયની શ્રદ્ધા’. એમાં તેમણે બુદ્ધમન અને વ્યક્તિનું મર્યાદાઓવાળું પરિચ્છિન્ન મન એક જ છે એમ કહ્યું. ઝેનના પ્રચારમાં આ ગ્રંથે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ પંથના ચીની આચાર્ય હુઈનેંગ (ઈ. સ. ૬૩૮–૭૧૩) ચીનના છેલ્લા આચાર્ય હતા. તેમણે આઠ વર્ષ સુધી ગુરુની એકનિષ્ઠ સેવા કરી ગુરુના ઉપદેશ વિના પણ સ્વયંસ્ફુરણાથી ઝેનનું રહસ્ય પ્રાપ્ત કર્યું હતું. તેથી ગુરુએ તેમને પોતાના ઉત્તરાધિકારી નીમેલા.

ઝેન સાધુઓ

આ સમય દરમિયાન જાપાનમાં ઝેનનો પ્રચાર શરૂ થયો. જાપાનના યેઈ-સાઈ નામે સાધુએ ચીનમાં જઈ ઝેનનું વિધિવત્ જ્ઞાન મેળવી જાપાન આવી ક્યોતો નગરમાં ધ્યાનવિહાર સ્થાપ્યો (ઈ. સ. ૧૧૯૧). ત્યાર પછી જાપાનમાં સર્વત્ર ઝેન પ્રસર્યો અને તેના અસંખ્ય અનુયાયીઓ અને ધ્યાનવિહારો થયા. ઝેનમાં કોઈ વિધિવિધાનનું આલંબન નથી. શાસ્ત્રગ્રંથોનાં વિધાનોને પણ ચુસ્તપણે વળગી નહિ રહેતાં તેની પેલે પાર મુક્ત વિહાર કરવાનો છે. તેમાં શબ્દરૂપકો અને સંકેતોનું આલંબન કરવાનું નથી. મનને અહં અને મમ એ ભાવોમાંથી મુક્ત કરી તેને શુદ્ધ કરવાનું છે અને તે દ્વારા સ્વ-સ્વરૂપનું દર્શન એટલે કે બોધિ-સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. બોધિ-સ્થિતિ એટલે શુદ્ધ કેવલ આત્મસ્વરૂપ. વિધિવિધાન આદિનો આધાર લીધા વિના જ શિષ્યને બોધિસ્વરૂપ સમજાવવા સારુ ગુરુ ઉક્તિવૈચિત્ર્યનો આશ્રય લે છે. ગુરુશિષ્યના પ્રશ્નોત્તરો ઉપલકિયા દૃષ્ટિએ અસંબદ્ધ લાગે પણ તેમની વ્યંજના સચોટ હોય છે; જેમ કે, એક ઝેન સાધુએ કહ્યું, ‘હું જ્યારે પુલ ઉપરથી પસાર થાઉં છું, ત્યારે પાણી નથી વહેતાં, પુલ વહેવા માંડે છે.’ અર્થાત્ જે તે ક્રિયા કે પ્રસંગમાં લીન થઈ અભેદ અનુભવવો તે ઝેન. એટલે કે પોતે જાતે જ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તેમાં કોઈ આલંબનની જરૂર નથી, કોઈ મૂર્તિ કે પ્રતીકની પણ નહિ. મનમાં જે શાસ્ત્રગ્રંથોના પૂર્વાર્જિત ગ્રહો એટલે કે પોતે સ્વીકારેલા શાસ્ત્રના અભિપ્રાયોમાંથી મુક્ત થયા સિવાય આ સ્થિતિ પ્રાપ્ત ન થાય. એક વિદ્વાન ઝેનનું જ્ઞાન મેળવવા એક ઝેન સાધુ પાસે ગયો. સાધુએ જોયું કે તે વિદ્વાનના મનમાં અનેક માન્યતાઓનો શંભુમેળો હતો. ગુરુએ તેમના કપમાં ચા રેડવા માંડી. કપ ઊભરાવા લાગ્યો. પેલો વિદ્વાન બોલી ઊઠ્યો : ‘અરે, તમે ચા ઢોળી રહ્યા છો !’ સાધુએ કહ્યું, ‘તમારું મન પણ અનેક માન્યતાઓથી ભરેલું છે. તે ખાલી થાય તો જ હું ઝેન વિશે કંઈક કહી શકું ને ?’ ઝેનના આવા કર્મકાંડથી અને ગૃહીત માન્યતાઓથી પર રહેલા સ્વરૂપને લીધે વિશ્વમાં બૌદ્ધિકોમાં તે સિદ્ધાંત આદરપાત્ર બન્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી