જિયોલૉજિકલ સર્વે ઑફ


ઇન્ડિયા ================================

ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના ૧૮૫૧માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના ૬૮,૦૦૦ કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photo-geology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્કટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.

જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, કૉલકાતા

સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં ૬ પ્રાદેશિક કાર્યાલયો, ૨૯ સર્કલ કાર્યાલયો અને ૨૫ જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે. સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

જયંતીભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ

સફરજન


દ્વિદળી વર્ગમાં આવેલી ગુલાબના કુળની, મીઠાં ફળો આપતી વનસ્પતિ.

સફરજનનાં વૃક્ષો યુરોપ, યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા તથા એશિયાના ઠંડા પહાડી પ્રદેશોમાં ઊગે છે. તે સમશીતોષ્ણ પ્રદેશનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તે કાશ્મીર, જમ્મુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ, તમિળનાડુ તથા બૅંગાલુરુમાં વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે ૨.૩૨ લાખ હૅક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. સફરજનનું ઝાડ કદમાં નાનું હોય છે. તે આશરે ૧૫ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. સફરજનનાં પાન અંડાકાર ટોચે અણીદાર, આશરે ૫થી ૮ સેમી. લંબાઈનાં અને દાંતાદાર હોય છે. પાનનું દીંટું પાનથી અડધું લાંબું અને રુવાંટીદાર હોય છે. ફૂલોનો રંગ લાલ ટપકાંવાળો સફેદ અથવા ગુલાબી હોય છે. તે આશરે ૨.૫થી ૫ સેમી. પહોળાં, ઘંટાકાર અને ગુચ્છામાં થાય છે. ફળો કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે આછાં પીળાં કે લાલ રંગનાં થાય છે. સફરજનની અનેક જાતો છે. તેમના સ્વાદમાં પણ વિવિધતા હોય છે.

સફરજનનું ઝાડ

સામાન્ય રીતે સફરજન બારે માસ મળતાં હોય છે. વખારમાં ૯૦% સાપેક્ષ ભેજવાળા વાતાવરણમાં ઘોડાઓ, ખોખાંઓ કે ટોપલાઓમાં તેનો સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. સફરજન વિવિધ રીતે ઉપયોગી છે. તેના ફળનાં પતીકાં  પાડી તેને સૂકવવામાં આવે છે. તેમાંથી જામ તથા જેલી બનાવી તેની ડબ્બાબંધી (canning) કરાય છે. તેનાં ફળોનો તાજો રસ પણ પિવાય છે. ખાટી જાતનાં સફરજન રાંધવામાં વપરાય છે. તેને પકાવી (baking) તેમાંથી પાઇ વગેરે બનાવાય છે. તેને વરાળમાં બાફી તેમાંથી ‘ઍપલ સૉસ’ (apple sauce) બનાવાય છે. આથવણની ક્રિયાથી તેમાંથી દારૂ, સાઇડર (cider) અને વિનેગર બનાવાય છે. સાઇડર સફરજનમાંથી બનાવાતું પીણું છે.

સફરજનમાં ૮૫% પાણી હોય છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, સી તથા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ફૉસ્ફરસ, મૅંગેનીઝ, ઝિંક, આયોડિન, બોરોન અને લોહ જેવાં ખનિજો ધરાવે છે. આ ખનિજ-ઘટકો મનુષ્યના પોષણ માટે અત્યંત મહત્ત્વનાં ગણાય છે. આયુર્વેદ અનુસાર તે સ્વાદે મધુર, રુચિ ઉત્પન્ન કરનાર, શીતળ, હૃદય માટે લાભદાયી, ઝાડો બાંધનાર, મગજની શક્તિમાં વધારો કરનાર અને પાચનકર્તા છે. તે તાવ, ક્ષય અને સોજાનો નાશ કરે છે. તે ઝાડા અને મરડા માટે ઉત્તમ ઔષધિ ગણાય છે. સફરજન ખાવું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ હિતકારી છે. ‘One apple a day, Keeps the doctor away.’ (રોજનું એક સફરજન ખાશો તો ડૉક્ટરની પાસે નહીં જવું પડે.) તેવી ઉક્તિ પણ પ્રચલિત છે. નાનાં બાળકોને, વૃદ્ધોને તથા ઝાડા કે મરડો થયેલ દર્દીઓને તે આપી શકાય છે. સફરજનનો ઉલ્લેખ સાહિત્યમાં થતો જોવા મળે છે. બાઇબલમાં આદમ અને ઈવ જ્ઞાનના ફળરૂપ સફરજન ખાય છે તેવો ઉલ્લેખ છે. સ્વિસ દંતકથા પ્રમાણે વિલિયમ ટેલ તેના પુત્રના માથા પર મૂકેલ સફરજનને બાણથી વીંધે છે. અનેક બાળવાર્તાઓમાં પણ સફરજનના વિવિધ રીતના ઉલ્લેખો મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

જિબુટી (Djibouti)


જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન ૧૧° ૩૬´ ઉ. અ. અને ૪૩ ૦૯´ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (૧૯૭૭) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 23,000 ચોકિમી. તથા વસ્તી 10,66,809 (૨૦24 અંદાજ) છે. વસ્તીમાં 60% સોમાલી મૂળના ઇસા, 35% ઇથિયોપિયાના મૂળના અફાર તથા 5 % અન્ય છે. ૯૪% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. વસ્તીના H લોકો નગર વિસ્તારમાં તથા 3 ગ્રામીણ વિસ્તારમાં રહે છે. વસ્તીની ગીચતા ૧૮ પ્રતિ ચોકિમી. છે. અત્યંત ગરમ હવામાન ધરાવતા આ દેશમાં જાન્યુઆરીમાં ૨૮.૭ સે. તથા જુલાઈમાં ૪૩.૪ સે. તાપમાન રહે છે. દરિયાકિનારાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ મિમી. તથા મેદાની વિસ્તારમાં ૫૦૦ મિમી. પડે છે. મુખ્ય ભાષા અરબી છે. થોડા પ્રમાણમાં ફ્રેંચ અને કુથિટિક ભાષાઓ બોલાય છે. દેશના કુલ વિસ્તારમાંથી ૬૦% વિસ્તારની જમીન સૂકી, નિર્જન, બિનઉપજાઉ અને ઉજ્જડ છે તથા ૮૯% વિસ્તાર રણથી છવાયેલો છે. ૯% ભૂમિ પર ઘાસ ઊગે છે. કુલ વસ્તીમાંથી ૫૦% લોકો વિચરતી જાતિના છે, જે ઘેટાં, બકરાં કે ઊંટ જેવાં પ્રાણીઓના ઉછેરમાં રોકાયેલા છે. રણપ્રદેશ અને સૂકી જમીનને લીધે ખેતી તથા ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ નહિવત્ છે. દેશનું અર્થતંત્ર મોટા ભાગે વ્યાપાર અને વાણિજ્ય પર નભે છે. જિબુટી બંદર મારફત તથા વ્યાપારમાંથી પ્રાપ્ત થતી આવક એ જ દેશની આંતરિક આવકનો મુખ્ય સ્રોત છે. માથાદીઠ આવક ૨,૮૦૦ (વર્ષ ૨૦૧૦) અમેરિકન ડૉલર હતી. કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખેતી અને ખેતીજન્ય વ્યવસાયોનો ફાળો માત્ર ૫% છે. કૉફી, મીઠું, ચામડું અને કઠોળ દેશની મુખ્ય નિકાસો તથા યંત્રો, કાપડ અને ખાદ્ય પદાર્થો એ મુખ્ય આયાતો છે. અંબુલી નદી પર પીવાના પાણીનો આધાર છે. આવકમાં ઉદ્યોગોનો ફાળો ૧૫% છે. બાકીના ૮૦% સેવા વ્યવસાયો પર આધાર રાખે છે.

જિબુટી બંદર

જિબુટી દેશનું પાટનગર છે. તે બંદર હોવા ઉપરાંત દેશનું મોટામાં મોટું શહેર છે. આફ્રિકાના ઈશાન કિનારા પર તાજુરા ઉપસાગરમાં એડનના અખાતના વાયવ્ય છેડા પર આવેલું છે. એડન શહેરથી ૨૪૦ કિમી. અંતરે છે. બાબ-અલ-માન્ડેબ સામુદ્રધુનીના મુખ પર વસેલું હોવાથી લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનું થાણું છે. ઇથિયોપિયાનો સમગ્ર વ્યાપાર આ બંદર મારફત થાય છે. પશ્ચિમ એશિયાના પ્રદેશો તથા પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોની મિશ્ર વસ્તી ત્યાં વસે છે. નગરનું અર્થતંત્ર બંદરની આવક પર નભે છે. નગરની વસ્તી 7,76,966 (૨૦24 અંદાજ). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. ૧૯૬૭માં લેવાયેલ સર્વમતસંગ્રહમાં બહુમતી મતદારોએ ફ્રેંચ શાસન હેઠળ ચાલુ રહેવાની સંમતિ આપી, પરંતુ ૧૯૭૭માં દેશને સ્વતંત્ર ઘોષિત કરાયો. ત્યારથી ત્યાં પ્રજાસત્તાક પ્રણાલીએ શાસન ચાલે છે. ૧૯૯૪માં રાષ્ટ્રીય સંયુક્ત જોડાણ ધરાવતી સરકાર સ્થપાઈ. રાષ્ટ્રીય લોકપૃચ્છા (રેફરન્ડમ) પછી ૪ સપ્ટેમ્બર, ૧૯૯૨માં નવું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. પ્રમુખ છ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. સંસદ એકગૃહી છે, પાંચ વર્ષની મુદત ધરાવે છે જે (ઉપરના લખાણનું અનુસંધાન) ‘ચેમ્બર ઑવ્ ડૅપ્યુટીઝ’ નામથી ઓળખાય છે અને ૬૫ સભ્યોથી રચાય છે. દેશના બે મુખ્ય સમુદાયો – ઇસા અને અફાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, તેને કારણે દેશને રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વીસમી સદીના નવમા દાયકામાં ઇથિયોપિયામાંથી આ દેશમાં દાખલ થયેલા હજારો શરણાર્થીઓએ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે