Categories
વાચન સમૃદ્ધિ

સાઉદી અરેબિયા

અરેબિયન દ્વીપકલ્પમાં આવેલો મય-પૂર્વના દેશો પૈકીનો એક દેશ.

તે આશરે ૧૬° ૦૦´થી ૩૨° ૧૦´ ઉ. અ. તથા ૩૪° ૩૦´થી ૫૬° ૦૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની દક્ષિણમાં યેમેન; અગ્નિમાં ઓમાન; પૂર્વમાં સંયુક્ત આરબ અમીરાત તથા કતાર; ઉત્તરમાં જૉર્ડન, ઇરાક, કુવૈત તથા પશ્ચિમમાં રાતો સમુદ્ર આવેલા છે. તેના મધ્ય ભાગેથી કર્કવૃત્ત પસાર થાય છે. તે આશરે ૨૨,૫૦,૦૭૦ ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી આશરે ૩,૪૫,૬૬,૦૦૦ (૨૦૨૨) જેટલી છે. તે મંત્રીમંડળ સહિતની રાજાશાહી શાસનપદ્ધતિ ધરાવે છે, જે શેખ-શાસનપદ્ધતિ તરીકે પ્રચલિત છે. તેની કાનૂની પદ્ધતિ શરિયતના ઇસ્લામિક કાયદાઓ પર આધારિત છે. આ દેશનું પાટનગર રિયાધ છે જ્યારે જિદ્દાહ વહીવટી કેન્દ્ર છે. આ દેશની ઓમાન સીમાએ ગેડ પર્વતો આવેલા છે. પશ્ચિમે રાતા સમુદ્રકાંઠે તિહમાહનું સાંકડું મેદાન આવેલું છે. પૂર્વ વિભાગમાં પર્શિયન અખાતનાં કિનારાનાં મેદાનો પટ્ટી સ્વરૂપનાં છે. તે જાડા પંકથર ધરાવે છે. રાતા સમુદ્રકાંઠાનાં સાંકડાં મેદાનોની સમાંતરે અને ઉચ્ચ પ્રદેશની પશ્ચિમની કિનારી પર હિજાઝ અને આસિરની તૂટક તૂટક પર્વતશ્રેણીઓ આવેલી છે. તેનું સર્વોચ્ચ શિખર જેબેલ રાઝિખ ૩,૬૫૮ મી.ની ઊંચાઈ ધરાવે છે.

રાજધાની રિયાધનું એક દૃશ્ય

અહીં  પહાડી ક્ષેત્રો અને ઉચ્ચપ્રદેશના કેટલાક ભાગોમાં તથા રણદ્વીપના વિસ્તારોમાં ટૂંકું ઘાસ, વૃક્ષો અને કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ થાય છે. રેતાળ રણપ્રદેશોમાં વનસ્પતિનું પ્રમાણ નહિવત્ છે. હિજાઝ પ્રાન્તમાં બાવળનાં વૃક્ષો, રણદ્વીપોમાં ઘાસ અને ખજૂરનાં વૃક્ષો, જ્યારે દેશના દક્ષિણ ભાગોમાં ઔષધીય વનસ્પતિ ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં શિયાળ, સસલાં, નોળિયા, ઘો, કાચિંડા અને સર્પની વિવિધ જાતોનો સમાવેશ થાય છે. પહાડી ક્ષેત્રોમાં દીપડા જોવા મળે છે. અહીંનાં પાળેલાં પ્રાણીઓમાં ઊંટ, ખચ્ચર, ઘોડા, ગધેડાં, ઘેટાંબકરાં વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ગીધ, સમડી, ગરુડ, બાજ તથા બીજાં રણનિવાસી પક્ષીઓ જોવા મળે છે. જિદ્દાહ અને દમ્મામ દેશનાં મુખ્ય બંદરો છે. આ સિવાય એન્બો, એલ્વોઝ, રેબીગ, લીથ વગેરે અન્ય નાનાં બંદરો છે. આ દેશ આશરે ૧,૩૯૦ કિમી. લંબાઈનો દમ્મામ અને રિયાધને જોડતો એક જ રેલમાર્ગ ધરાવે છે. તે સાઉદી અરેબિયાની જીવાદોરી સમાન ગણાય છે. અહીં મુસ્લિમ ધર્મનાં પવિત્ર યાત્રાધામો મક્કા તથા મદીના આવેલાં છે. મક્કા મહમદ પયગમ્બરસાહેબનું જન્મ-સ્થળ ગણાય છે. તેમના સમયમાં મદીના પાટનગર હતું. આ ઉપરાંત મદીનામાં તેમની પવિત્ર કબર આવેલી છે. અહીં દર વર્ષે લાખો મુસ્લિમો હજ કરવા આવે છે. તેથી અહીં પ્રવાસન અને હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો છે. આ દેશની પ્રજા પ્રાચીન સેમેટિક જાતિની છે. કુલ વસ્તીમાં સાઉદી લોકોની વસ્તી ૬૬ % જેટલી છે. તે સિવાય એશિયા અને ઇજિપ્તના લોકો પણ અહીં વસે છે. અહીંના લોકોની મૂળ ભાષા અરબી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. મુખ્ય ધર્મ ઇસ્લામ છે. વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ અત્યંત અસમાન છે. અહીં જિદ્દાહ, રિયાધ, મક્કા, મદીના, દમ્મામ, તૈફ, બુરૈદા, અનેજા, હોકુફ વગેરે અગત્યની શહેરી વસાહતો છે. દેશનું સૌથી મોટું નગર રિયાધ છે. તૈફ મુખ્ય પર્યટન-કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉદી અરેબિયા, પૃ. 95)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાઉથ સુદાન

આફ્રિકા ખંડમાં આવેલો દેશ.

સાઉથ સુદાન ૩° અને ૧૩° ઉ. અ. અને ૨૪° અને ૩૬° પૂ. રે. વચ્ચે ૬,૧૯,૭૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ સુદાનનો જ ભાગ હતો, પરંતુ ૨૦૧૧માં તે સુદાનથી છૂટો પડી એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ દેશ એની બધી દિશાઓમાં ભૂમિભાગોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા અને કૉંગો (પ્રજાસત્તાક) તથા પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશો આવેલા છે. અહીં વ્હાઇટ નાઇલ નદી દ્વારા રચાયેલો પંક-વિસ્તાર ‘સુદ’ (Sudd) આવેલો છે, જે બહર અલ્ જેબલ તરીકે જાણીતો છે. તેની રાજધાની જુબા છે. તે દસ રાજ્યોમાં વિભાજિત છે. તેની વસ્તી ૧,૨૭,૦૩,૭૧૪ (૨૦૨૩, આશરે) જેટલી છે. તે યુનોનું પણ સભ્ય છે. સાઉથ સુદાનની દક્ષિણે યુગાન્ડાની સીમા પર ઇમાતોન્ગ પર્વતોની હારમાળા વિસ્તરેલી છે. તેનું કિન્યેતી (Kinyeti) શિખર ૩,૧૮૭ મીટરની ઊંચાઈ ધરાવે છે. લોતુકે શિખર ૨,૭૮૫ મીટરની તેમ જ ગુમ્બીરી શિખર ૧,૭૧૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. તે પછી પશ્ચિમ તરફ ઊંચાઈ ઘટતી જાય છે. વ્હાઇટ નાઇલ સાઉથ સુદાનની મુખ્ય નદી છે, જે યુગાન્ડા-કૉંગો પ્રજાસત્તાકની સીમા પાસેના પહાડી ક્ષેત્રમાંના આલ્બર્ટ સરોવરમાંથી ઉદભવે છે. તેને મળતી બહર-અલ્-ઘઝલ તથા સોબાત નદીઓ પણ મહત્ત્વની છે. અન્ય નદીઓમાં પૉન્ગો (Pongo), કુરુન (Kurun), બૉરો, જુલ, પિબોર, યેઇ, સ્યૂ (Sue) વગેરેનો સમાવેશ થાય છે.

રાજધાની જુબાનું એક દૃશ્ય

સાઉથ સુદાન ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે, જેમાં ભેજયુક્ત વર્ષાૠતુનો સમાવેશ થાય છે. યુગાન્ડા સાથેના સીમાવિસ્તારો આશરે ૨૪૦૦ મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે. તેનો સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧,૧૧૮ મિમી. જેટલો છે. પાટનગર જુબાનું જાન્યુઆરીનું તાપમાન ૨૭.૩૦° સે. જ્યારે જુલાઈનું તાપમાન ૨૪.૫૦° સે. રહે છે. સાઉથ સુદાનમાં ટૂંકું ઘાસ, ઊંચા ઘાસનાં બીડ, કાંટાળાં ઝાંખરાં અને બાવળનાં વૃક્ષોનાં જૂથ જોવા મળે છે. આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશ પાનખર-જંગલો અને સવાના પ્રકારની વનસ્પતિથી છવાયેલો છે. છેક દક્ષિણે સદાહરિત વિષુવવૃત્તીય જંગલો જોવા મળે છે. અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળે છે. અહીંના બાન્ડિનજિલો રાષ્ટ્રીય ઉદ્યાન, બોમા (Boma) નૅશનલ પાર્ક તથા સુદ પંકભૂમિ વિસ્તારમાં હાથી, જિરાફ, સિંહ, જંગલી ભેંસ, કોબ (Kob), ટૉપી (Topi) જેવાં પ્રાણીઓ જોવા મળે છે. અહીં આવેલાં અભયારણ્યોમાં હાથી, ચિમ્પાન્ઝી વાનરો તથા અસંખ્ય હરણો વસવાટ કરે છે. અહીં વરસાદી ખેતીના મુખ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં ગ્રામવિસ્તારના આદિવાસીઓ જમીનફેરબદલી(land rotation)-પદ્ધતિથી જુવાર, બાજરી, તલ તથા દુરા જેવાં ધાન્યો ઉપરાંત કપાસ અને બીજા પાકોની ખેતી કરે છે. વ્હાઇટ નાઇલની ઉપલી ખીણના વિસ્તારોમાં ઘાસનાં બીડ આવેલાં છે. અહીં બાન્ટુ તથા સુદાનિક લોકોનું જાતિમિશ્રણ ધરાવતી અઝાન્ડે પ્રજા મોટી સંખ્યામાં વસે છે. પાટનગર જુબા ઉપરાંત મલાકાલ, વાઉ, મારીદી (Maridi) અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉથ સુદાન, પૃ. ૯3)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિર્લિંગ

ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી –  તેજથી – બધી વસ્તુઓ જન્મી છે અને પ્રકાશવાળી વસ્તુઓ પણ પરબ્રહ્મના પ્રકાશથી જ પ્રકાશે છે; અર્થાત્, ભગવાન શિવ પ્રકાશમય કે તેજોમય છે. પરબ્રહ્મ શિવના તેજમાંથી જન્મેલું જગત પરબ્રહ્મ શિવમાં જ લીન થાય છે. આમ, શિવને તેજોમય કે પ્રકાશમય લિંગ રૂપે (ચિહ્ન કે પ્રતીક રૂપે) પૂજવામાં આવે છે. ભારત દેશમાં અસંખ્ય મંદિરોમાં સ્થપાયેલાં શિવલિંગોમાં અતિશય ઉત્કૃષ્ટ શિવલિંગોને જ્યોતિર્લિંગો એટલે પરબ્રહ્મનાં પ્રકાશમય લિંગો કહેવામાં આવ્યાં છે. ઉપનિષદો આદિત્યને બ્રહ્મ કહે છે : એક વર્ષના ૧૨ મહિનાઓમાં ૧૨ જુદા જુદા આદિત્યો છે તેમ પ્રકાશપુંજ પરબ્રહ્મ શિવનાં ૧૨ સર્વપ્રકૃષ્ટ જ્યોતિર્લિંગો પુરાણોમાં આ પ્રમાણે વર્ણવેલાં છે : (૧) સોમનાથ : સસરા દક્ષની વારંવાર વિનંતી છતાં ચંદ્ર તેની ૨૭ નક્ષત્રપત્નીઓમાં રોહિણી પ્રત્યે વધારે અનુરાગ રાખતો, તેથી ક્રુદ્ધ થઈ દક્ષે તેને ક્ષીણ થવાનો શાપ આપ્યો. દુ:ખી ચંદ્રે બ્રહ્માજીની શિખામણથી પ્રભાસક્ષેત્રમાં જઈ ભગવાન શંકરની આરાધના કરી. (૨) મલ્લિકાર્જુન : પોતે વસ્તુત: પૃથ્વીપ્રદક્ષિણા કરી હોવા છતાં, માતા-પિતાની પ્રદક્ષિણાને પૃથ્વીપ્રદક્ષિણાની સમકક્ષ ગણી શિવપાર્વતીએ ગણપતિનાં લગ્ન કરી દીધાં તેથી રોષે ભરાઈને શિવપાર્વતીના જ્યેષ્ઠ પુત્ર કાર્તિકેય દક્ષિણમાં ક્રૌંચ પર્વત ઉપર જતા રહ્યા.

૧૨ જ્યોતિર્લિંગો

(૩) મહાકાલ અથવા મહાકાલેશ્વર : મોક્ષદાયિની ૭ નગરીઓમાંની અવંતી કે ઉજ્જયિનીમાં પ્રાચીન કાળમાં વેદપ્રિય નામે શિવભક્ત બ્રાહ્મણ રહેતો હતો. એક સમયે રત્નમાલા પર્વતનિવાસી દૂષણ નામે અસુરે સર્વત્ર આતંક ફેલાવી ધર્મપરાયણ લોકોમાં હાહાકાર પ્રવર્તાવ્યો ત્યારે, વેદપ્રિયની આગેવાની હેઠળ લોકોની પ્રાર્થના સાંભળી ભગવાન વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અને દુષ્ટોનો સંહાર કર્યો અને ઈશ્વર ત્યાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. (૪) ઓમકારેશ્વર : નારદમુનિની ટકોરથી રિસાયેલા વિંધ્યાચળે નર્મદા અને કાવેરીના સંગમ પર ઓમકારેશ્વરમાં શિવજીની આરાધના કરી. શિવજીએ પ્રગટ થઈ તેને ઇષ્ટ વર આપ્યો અને ઓમકારના લિંગમાંથી બીજા જ્યોતિર્લિંગ રૂપે ઉપસ્થિત થઈ ત્યાં સ્થાયી વાસ કર્યો. તે ઓમકારેશ્વર કહેવાયા. (૫)  વૈદ્યનાથ : પ્રાચીન કાળમાં કેવળ શિવપ્રીતિ અર્થે રાક્ષસરાજ રાવણે શિવજીની આકરી આરાધના કરી. એક પછી એક પોતાનાં ૯ મસ્તકોથી કમલપૂજા કરી. અંતે શિવજી જ્યોતિ રૂપે પ્રગટ થયા. રાવણે જ્યોતિર્લિંગની સ્થાપના પોતાના પ્રદેશમાં કરવા ઇચ્છા કરી. (૬) ભીમાશંકર : પૂર્વે સહ્યાદ્રિમાં મહાકોશી નદીની ખીણમાં કર્કટી નામે રાક્ષસી તેના ભીમ નામે પુત્ર સાથે રહેતી હતી. આ ભીમે પ્રદેશના લોકોને રંજાડવા માંડ્યા. તેથી કામરૂ દેશના રાજાને પ્રભુએ લોકોની રક્ષા કરવા આદેશ આપ્યો. (૭) રામેશ્વરમ્ : સીતાની શોધમાં ભગવાન શ્રીરામ શ્રીલંકા સામેના ભારતના દક્ષિણ કાંઠે પહોંચ્યા. ત્યાં તેમણે પુરોહિત તરીકે રાવણની સહાયથી શિવપૂજા કરી. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ્યા અને રામેશ્વર નામે ત્યાં વસ્યા. (૮) નાગનાથ અથવા નાગેશ્વર : પૂર્વે દક્ષિણમાં દારુકાવનમાં રહેતો દારુક નામનો રાક્ષસ લોકોને પીડા કરતો હતો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જ્યોતિર્લિંગ, પૃ. 70)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી