Categories
વાચન સમૃદ્ધિ

હસ્તિનાપુર

મહાભારતના સમયમાં કુરુવંશીઓના રાજ્યની રાજધાની.

તે હાલના ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ગંગા નદીના કાંઠે આવેલું હતું. દિલ્હીના ઈશાન ખૂણે આશરે ૯૧ કિમી.ના અંતરે આ પ્રાચીન નગરના અવશેષો મળ્યા છે. જોકે તેમનું ગંગા નદીના પ્રવાહથી ધોવાણ થયેલું જણાય છે. પુરાણકાળમાં અત્રિપુત્ર સોમ અહીંના વનમાં ફરતો હતો, ત્યારે તેણે કોઈ પક્ષીને ચાંચમાં હાથીને પકડીને ઊડી જતું જોયું, તેથી તેણે અહીં નગર વસાવ્યું. પાછળથી ભરતપુત્ર હસ્તિ રાજાના સમયમાં તેનું નામ ‘હસ્તિનાપુર’ રખાયું. હસ્તિનાપુરમાં કૌરવોએ રાજ્ય કર્યું. પાંડવો આ હસ્તિનાપુરમાં કૌરવો સાથે જુગાર રમ્યા. તેમાં પાંડવો દ્રૌપદી સહિત પોતાનું સર્વસ્વ હારી ગયા અને દ્રૌપદી અપમાનિત થઈ. યુદ્ધમાં ભાઈઓની હત્યાથી મળેલા હસ્તિનાપુર પાટનગરનો પાંડવોએ અસ્વીકાર કર્યો. તેમણે હસ્તિનાપુર ત્યજી દીધું અને નવું ઇન્દ્રપ્રસ્થ પાટનગર વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પાટનગર વર્તમાન દિલ્હીની નિકટ આવેલું હતું.

હસ્તિનાપુરમાં આવેલું મહાદેવનું એક પ્રાચીન મંદિર, હસ્તિનાપુરમાં આવેલું જૈનોનું એક મંદિર – જંબુદ્વીપ જૈન મંદિર

દુર્યોધનના સમયમાં શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામે ક્રોધમાં નગરને ધ્વસ્ત કર્યું હતું. ફરી વસાવાયેલા નગરને નિમિચક્ર રાજાના સમયમાં ભાગીરથી નદીના પૂરથી ભારે હાનિ થઈ. તેને ફરીથી ઊભું કરાયું. સમય પ્રમાણે તેનાં ‘નાગપુર’ અને ‘ગજપુર’ જેવાં નામો પ્રચલિત બન્યાં. પાછલાં વર્ષોમાં રાજાઓ આ નગરને સાચવી શક્યા નહિ તેથી તેનો નાશ થયો. હસ્તિનાપુર જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ ગણાય છે. મહાવીર સ્વામીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ સ્થળે રાજા શ્રેયાંસે આદિ તીર્થંકર ઋષભદેવને શેરડીનો રસ દાનમાં આપ્યો હતો. તેથી આ સ્થળ ‘દાનીતીર્થ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળનો સંબંધ જૈન ધર્મના શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ નામના તીર્થંકરો સાથે પણ હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

તામ્ર તકનીકી

તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં  આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ

ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)

Categories
વાચન સમૃદ્ધિ

હસ્તપ્રત

હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ).

સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા કરીને પાકું લખાણ તૈયાર થઈ જાય એટલે ગ્રંથકાર પોતે અગર તેમના શિષ્ય વ્યવસ્થિત રીતે હસ્તપ્રત તૈયાર કરતા. આ પ્રથમ હસ્તપ્રત જે તે વિષયના નિષ્ણાતને આપવામાં આવતી જે તેમાં જરૂરી સુધારવધારા કરી આપતા. આ સુધારેલી હસ્તપ્રત લહિયાઓને નકલ કરવા માટે આપવામાં આવતી. મોટા ભાગે હસ્તપ્રતો ભોજપત્ર, તાડપત્ર કે હાથબનાવટના કાગળ પર લખેલી હોય છે. ટૂંકા તાડપત્ર પરનું લખાણ બે સ્તંભ(કૉલમ)માં કરાતું પરંતુ જો પત્ર લાંબા હોય તો ત્રણ સ્તંભમાં પણ કરાતું. પાનાં અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે વચ્ચેના હાંસિયામાં કાણું પાડી તેમાંથી એક દોરી પસાર કરીને બાંધી રાખતા. જમણી બાજુના હાંસિયામાં પાનનો અંક અક્ષરમાં લખાતો અને ડાબા હાંસિયામાં તે અંક આંકડામાં લખાતો.

ભાગવત પુરાણની આશરે ૪૦૦ વર્ષ જૂની એક હસ્તપ્રતનું પાનું

બે કે ત્રણ સ્તંભમાં લખાણ કરાયું હોય તો તેની બંને બાજુ બે કે ત્રણ ઊભી રેખાઓ વડે સીમાંકન કરાતું. પ્રારંભિક કાળમાં હાથકાગળની પ્રતોમાં લંબાઈ પહોળાઈની બાબતમાં તાડપત્રનું અનુકરણ કરાતું, પરંતુ લખાણ બે-ત્રણ સ્તંભમાં નહિ પણ સળંગ લખાતું. સમય વીતતા આવી લાંબી પ્રતો લખવા, વાંચવા તેમ જ વહન માટે પ્રતિકૂળ જણાતાં તે પ્રતનું કદ ૧૨’’ X ૫’’ જેટલું કરી દેવાયું. લખાણની બંને બાજુએ હાંસિયો રખાતો અને તે કાળી શાહીની રેખાઓ વડે અંકિત થતો. ૧૬ના શતક બાદ લાલ શાહીનો ઉપયોગ થવા લાગ્યો. તાડપત્રીય પ્રતોની જેમ હાથકાગળમાં પણ કેન્દ્રમાં દોરી પસાર કરવા માટે કાણું પાડવા માટે કોરી જગ્યા રખાતી; પરંતુ હાથકાગળ તાડપત્રની જેમ સરળતાથી સરી જતો ન હોવાથી દોરી રાખવાની જરૂર રહેતી નહીં. આથી મોટે ભાગે આ જગ્યામાં પુષ્પો, બદામની આકૃતિ, ચોરસ કે ચોકડી રંગબેરંગી શાહીથી દોરાતાં. અધ્યાય કે સર્ગના લખાણનો પ્રારંભ મંગળ ચિહ્નો દ્વારા કરાતો. અંતમાં કેટલીક વાર ચક્ર, કમળ કે કળશ જેવી શોભા માટેની આકૃતિઓ દોરવામાં આવતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તપ્રત, પૃ. 142)