Categories
વાચન સમૃદ્ધિ

જળબિલાડી

સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને પહોળું હોય છે. ચહેરો સાંકડો હોય છે. રુવાંટી જળરોધક અને લીસી હોય છે.

જળબિલાડીની, દરિયાઈ જળબિલાડી (Enhydra), નદીની જળબિલાડી (Otter-lutra), દક્ષિણ અમેરિકાની મહાકાય (giant) જળબિલાડી (pteroneura), આફ્રિકાની નહોરવિહોણી જળબિલાડી (aonyx), નાના નહોરવાળી એશિયાની જળબિલાડી (amblonyx) અને આફ્રિકાની જળબિલાડી (paraonyx) આમ ૬ પ્રજાતિ છે.

આ બધી પ્રજાતિમાં lutra મુખ્ય પ્રજાતિ છે. તેના શરીરની લંબાઈ ૫૫–૧૦૦ સેમી., પૂંછડીની લંબાઈ ૩૦–૫૫ સેમી. અને વજન ૪.૫–૧૫ કિલોગ્રામ સુધી હોય છે. તેની કુલ અગિયાર જાતિઓ જોવા મળે છે. તેની પૂંછડી લાંબી, સ્નાયુબંધવાળી અને લચીલી હોય છે, છેડો ક્રમશ: સાંકડો થતો જાય છે. અગિયાર જાતિમાં ૬ જાતો વિશ્વના વિવિધ પ્રદેશોની નદીઓમાં જોવા મળે છે જેમાં આપણે ત્યાં જોવા મળતી મુખ્ય જાતિનું વર્ણન જોઈએ.

યુરેશિયન સરિતા જળબિલાડી (Lutra lutra) : તેના શીર્ષની પાર્શ્વ બાજુ, કાનની કિનારી અને ગળું સફેદ હોય છે. સાબરમતી નદીમાં પણ Lutra lutra જોવા મળે છે. મુખ્યત: નદી કે સરોવરમાં અને તેના કિનારાનાં જંગલોમાં વાસ કરતી હોય છે જેથી સંજોગો પ્રમાણે સહેલાઈથી પાણી દ્વારા સ્થાનાંતર કરી શકે છે. ઉપરાંત, તે સ્થિર જળાશય, પૂરથી ભરાતાં સરોવર, નીચા પ્રદેશોમાં આવેલાં તળાવો અને વહેતા પાણીમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે ૨૦૦ મીટર અંતર કાપે છે. પણ, વિશેષ પ્રસંગે, જેમ કે આહારની અછત વેળા રાત્રિના સમયે એક જળાશયમાંથી બીજા જળાશયમાં અંશત: પાણીમાં અને અંશત: ભૂમિ ઉપર એમ લાંબા અંતરનો પ્રવાસ પણ કરે છે. તે સામાન્ય સંજોગોમાં ઊર્ધ્વપ્રવાહની દિશાએ તરતી હોવાથી અનેક કિલોમીટરનું અંતર સહેલાઈથી કાપી શકે છે. પાણીની અંદર ૬થી ૮ મિનિટ સુધી રહી શકે છે. આંખની વિશિષ્ટ રચના પાણી અને હવાના વિવિધ વક્રીભવન(refraction)ને અનુકૂલન પામેલી હોય છે અને પાણીની અંદર આવેલી વસ્તુ કે જીવોને સ્પષ્ટપણે નિહાળી શકે છે. સામાન્યત: નર અને માદા સ્વતંત્ર શિકાર કરતાં હોય છે. જોકે માદા બચ્ચાં સાથે અથવા તો બીજી માદાઓના સમૂહમાં બચ્ચાં સાથે પણ શિકાર કરતી હોય છે. જળબિલાડીનો ખોરાક માછલી છે. યુરોપમાં મત્સ્ય જળબિલાડી (fish otter) તરીકે પણ તે ઓળખાય છે. માછલી ઉપરાંત જળકૂકડી, બતક જેવાં જળચર પક્ષીઓ અને તેમનાં ઈંડાં તથા જલશાર્દૂલમૂષકને પણ ખોરાક રૂપે ગ્રહણ કરે છે. ધ્યાનસ્થ થઈને સહેલાઈથી પાણીનાં ઊંડાણમાં પ્રવેશી ત્યાં ફરતી માછલીને દાંત વડે પકડીને આરોગે છે. શિયાળામાં તે બરફ કે પાણીની સપાટીની નીચે અને જમીનના પોલાણમાં રહેતી હોય છે અને ત્યાં બરફની અંદર જ શિકાર કરતી હોય છે. જાતિ પ્રમાણે જળબિલાડીના પ્રસવકાળમાં વિવિધતા જોવા મળે છે. સામાન્યત: પ્રસવકાળ ૯થી ૧૦ મહિનાનો હોય છે; પરંતુ કૅનેડિયન જાતિમાં પ્રસવકાળ ૧૨ મહિના કરતાં પણ વધારે હોય છે. માદા વર્ષમાં સામાન્યત: એક વાર અને વિશિષ્ટ સંજોગોમાં બે વાર ૨થી ૪ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંઓનો જન્મ ઘણુંખરું એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન થાય છે. બચ્ચાં ૨૮થી ૩૬ દિવસે આંખો ખોલે છે. ચાર માસ સુધી માત્ર માતાના દૂધ પર નભે છે. બે વર્ષે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી પ્રજનનક્ષમતા મેળવે છે. માતા અને બચ્ચાં રમત કરીને ક્રિયાશીલ રહે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન

Categories
વાચન સમૃદ્ધિ

શિસ્ત

આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે.

શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને મનુષ્યત્વના વિકાસની પ્રવૃત્તિઓમાં શિસ્ત પ્રેમાધારિત અને ગુણવિકાસ તથા સંવાદી જીવન માટે હોય છે.

શિસ્ત ન હોય તો અરાજક્તા ફેલાય. વળી એકલી શિસ્તને જડતાપૂર્વક મહત્ત્વ અપાય તો એ ત્રાસરૂપ બની જાય છે. એટલે કટોકટી, યુદ્ધ કે લશ્કર સિવાયના રોજબરોજના જીવનમાં શિસ્ત સહજ વલણ રૂપે પ્રગટ થાય એ ઇષ્ટ સ્થિતિ છે. જે પ્રજા સ્વેચ્છાએ શિસ્ત જાળવે છે, સૌ માટે ઘડાયેલા નિયમો સ્વેચ્છાએ પાળે છે તે વધુ વિકસિત ગણાય છે. મનુષ્ય એકલો રહેતો હોય તો શિસ્તના પ્રશ્નો ઉદભવતા નથી; પરંતુ મનુષ્ય સમાજમાં  રહે છે, વિવિધ પ્રકારના માનસવાળા લોકો સાથે રહે છે એથી બીજાને અગવડ કે પ્રતિકૂળતા ન થાય તેવો વ્યવહાર કરવા શિસ્ત જરૂરી છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્વૈચ્છિક શિસ્તપાલન હોવું જોઈએ.

ટ્રાફિક સિગ્નલ શિસ્તનો એક ભાગ

શિસ્ત કોઈક વાર વ્યક્તિને પ્રતિકૂળ પણ લાગે; પરંતુ આખો સમાજ એ નિયમનું પાલન કરશે તો દરેક વ્યક્તિને માટે સુવિધાભર્યું, સલામત અને સંવાદી જીવન શક્ય બનશે. વ્યક્તિગત ઇચ્છા અને સામાજિક નિયમો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અશિસ્ત સર્જાય છે. એટલે વિવેક કરવો પડે છે કે કેટલીક વ્યક્તિગત બાબતમાં સ્વાતંત્ર્ય હોય અને સમાજસંબંધિત બાબતોમાં સૌનું નિયમપાલન હોય. સૌએ ટિકિટ લઈને મુસાફરી કરવી, વાજબી કરવેરા ચોકસાઈથી ભરવા, પોતાની જવાબદારીનું નિષ્ઠાથી પાલન કરવું, ટ્રાફિકના નિયમો પાળવા, જાહેર સ્થાનની સ્વચ્છતા જાળવવી, સમયપાલન કરવું –આ સઘળાંનું પાલન થાય તો આખા સમાજને લાભ થાય છે. શિસ્ત બે પ્રકારની ગણી શકાય : (૧) કાયદા કે નિયમો રૂપે નિશ્ચિત થયેલ કામો કે વ્યવહારો. (૨) પ્રણાલી, પરંપરા રૂપે કે ગુણવિકાસ માટે સ્થિર થયેલા વ્યવહારો. જે પ્રજા કાયદા કે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે તે વિકસિત ગણાય. જે પ્રજા પરંપરા કે પ્રણાલી કે જીવનની ગુણવત્તા જાળવવા અમુક આચારો સ્થિર કરે અને તેનું પાલન કરે એ સમજદાર ગણાય. બાળકોની કાળજી, બહેનોનું સન્માન, વૃદ્ધોનો આદર –એ નિયમો નથી, પરંતુ સમાજના સ્વાસ્થ્ય માટેની શિસ્ત છે. જ્યાં નિયમો કે કાયદા છે ત્યાં હંમેશાં સજા, દંડ કે કેદ જોડાયેલાં હોય છે; કારણ કે એમાં આખા સમાજ માટેના નિયમોની જાળવણી કરવાનો ખ્યાલ હોય છે. એમાં ફરજિયાતપણું હોય છે. વાહન ડાબી બાજુ ચલાવવું, ચાર રસ્તે લાલ બત્તી હોય તો અટકવું – એ નિયમનો ભંગ અરાજકતા સર્જે છે એટલે તેની સાથે દંડ કે સજા જોડાયેલાં હોય છે. પરંતુ આખો સમાજ કેવળ દંડ કે સજાથી જીવી શકે નહિ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિસ્ત, પૃ. 300)

રાજશ્રી મહાદેવિયા

મનસુખ સલ્લા

Categories
વાચન સમૃદ્ધિ

જળધોધ-જળપ્રપાત

નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય છે. નદીના જળવહનમાર્ગમાં ઓછીવત્તી દૃઢતાવાળા જુદા જુદા ખડકસ્તરોનાં પડ વારાફરતી (ઉપર દૃઢ અને નીચે પોચાં) આવેલાં હોય ત્યારે તેમાં થતા ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે જળધોધ કે જળપ્રપાત રચાય છે. વધુ જાડાઈવાળા ઉપરના દૃઢ સ્તરો ઓછા ઘસાવાથી અને વધુ જાડાઈવાળા નીચેના પોચા સ્તરો વધુ પડતા ઊર્ધ્વ દિશામાં ઘસાવાથી જળધોધ, તથા આવાં જ લક્ષણોવાળા પણ ઓછી જાડાઈવાળા સ્તરોના ત્રાંસા ઢોળાવમાં ઘસાવાથી જળપ્રપાત તૈયાર થાય છે. જળધોધમાં જોવા મળતી ઊભી ખડક-દીવાલ, ઉપરથી નીચે તરફ, ઘસાતી જાય તો ઊંચાઈ ઘટતી જાય અને ધોધમાંથી પ્રપાત બની જવાની સ્થિતિ રચાય છે. અમેરિકા-કૅનેડાની સરહદ નજીકના જગપ્રખ્યાત નાયગરાના જળધોધની હેઠવાસમાં જળપ્રપાત તૈયાર થયેલા જોવા મળે છે. કૉલોરેડોનાં ભવ્ય કોતરોમાં શ્રેણીબદ્ધ જળપ્રપાત રચાયેલા છે. કૅનેડાના મૉન્ટ્રિયલ પાસે સેન્ટ લૉરેન્સ નદીમાં જળપ્રપાત આવેલા છે.

નદીના વહનમાર્ગમાં આડો સ્તરભંગ પસાર થતો હોય, ઉપરવાસ તરફ સ્તરભંગની ઊર્ધ્વપાત બાજુ હોય તો ભેખડ(કરાડ)ની રચના થાય છે અને તેથી જળજથ્થો એકાએક નીચે પડે છે – જળધોધ બને છે.

ઘણા ઉચ્ચસપાટ પ્રદેશો (plateaus) લાવાના ખડકોના ઉપરાઉપરી થરોથી બનેલા હોય, ઉપરનીચેના થરોનું બંધારણ જુદું જુદું હોય, તો ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણથી, ત્યાં વહેતી નદી જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ સર્જે છે. એ જ પ્રકારના ખડકથરોમાં ઊભા સાંધા (joints) પડેલા હોય, હેઠવાસનો વિભાગ સાંધામાંથી તૂટી પડતાં, નદીમાર્ગમાં ઊંચાઈનો ફેરફાર લાવી મૂકે છે અને ધોધ કે જળપ્રપાતની રચના થાય છે. યુ.એસ.એ.ના ઇડાહો રાજ્યમાં સ્નેક નદીના શોશોન, ટિવન અને અમેરિકન ધોધ; તથા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદીનો વિક્ટોરિયા ધોધ આ પ્રકારના છે.

સામાન્ય રીતે મુખ્ય નદીઓ ઊંડી ખીણો બનાવતી હોય છે, જ્યારે શાખાનદીઓ છીછરી તેમજ ઊંચાઈએ રહેલી ખીણો બનાવે છે. ઊંચાઈએ રહેલી શાખાનદીઓની ખીણો ‘ઝૂલતી ખીણ’ તરીકે ઓળખાય છે. ઝૂલતી ખીણમાંનું ઊંચાઈએથી મુખ્ય નદીમાં પડતું પાણી જળધોધની સ્થિતિ રચે છે.

જળધોધની ઊંચાઈ, સ્વરૂપ અને પડતા પાણીનો જથ્થો સ્થાન અને સંજોગભેદે જુદાં જુદાં હોઈ શકે છે. જળધોધ દુનિયાના બધા જ દેશોની નદીઓમાં, મોટે ભાગે પર્વતપ્રદેશોમાં, ઉચ્ચસપાટ પ્રદેશોમાં જોવા મળે છે. જળપ્રપાત સામાન્ય રીતે જળધોધના ઉપરવાસમાં અને હેઠવાસમાં મળતા હોય છે, તેમ છતાં જળધોધ ન હોય એવી નદીઓમાં પણ જળપ્રપાત હોઈ શકે છે. ભારતમાં જોગનો ધોધ પ્રપાત તરીકે ઓળખાય છે.

જળધોધ અને જળપ્રપાત વહાણવટા માટે બાધારૂપ નીવડે છે. આવી સ્થિતિ હોવા છતાં વહાણવટા માટે કે હોડીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા જળમાર્ગો માટે નહેરોના બાંધકામનું આયોજન, લૉકગેટની વ્યવસ્થા સહિત કર્યું હોય તો જ બંને બાજુના જળસ્તર સમાન કરી શકાય અને હેરફેર શક્ય બને.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા