Categories
વાચન સમૃદ્ધિ

હવેલી

મોટું ને સુંદર બાંધણીવાળું મકાન – મહાલય તેમ જ એ પ્રકારની બાંધણીવાળું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર.

હવેલી-૧ : ‘હવેલી’ શબ્દ અરબી ભાષામાંથી આવેલો છે. તે ઐતિહાસિક કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા મોટા મહાલય માટે ભારત તથા પાકિસ્તાનમાં વપરાય છે. પોતાની સમૃદ્ધિ અને દરજ્જો પ્રદર્શિત કરવા શ્રીમંતો હવેલીમાં ખૂબ ખર્ચ કરતા હતા. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, આગ્રા, લખનઉ અને દિલ્હીમાં હવેલીઓ જોવા મળે છે. ‘હવેલી’ શબ્દ સાંભળતાં ચૉકવાળા મકાનનું સ્મરણ થાય છે. તેમાં ક્યારેક ફુવારો અને કુંડ પણ હોય છે. શ્રીમંત કુટુંબો પોતાના નિવાસ માટે હવેલી જેવાં ઘરો બનાવે છે. હવેલી એટલે ઓટલા, ખડકી, ચૉક, પરસાળ, ઓરડો, ઝરૂખા વગેરેવાળું વિશાળ મકાન. ક્યારેક તેમાં અંદર નાનો બગીચો પણ હોય છે. આ મકાન ચારેય બાજુ ઊંચી દીવાલો ધરાવે છે અને તેમાં પ્રવેશ માટે એક દરવાજો હોય છે. ચૉક ઉપરથી ખુલ્લો હોવાથી આવાં ઘરોમાં હવા-ઉજાસ સારાં હોય છે. ગુજરાતની હવેલીઓમાં સુંદર કોતરણીવાળું કાષ્ઠકામ જોવા મળે છે. તેમનાં થાંભલા, ટોડલા, કમાનો, ઝરૂખા-જાળીવાળી બારીઓ વગેરે સુંદર કાષ્ઠકામથી સજાવેલાં હોય છે. તેમાં અપ્સરાઓ તથા ગાંધર્વોની આકૃતિઓ પણ કોતરેલી હોય છે.

શેખાવતમાં આવેલી એક સુંદર હવેલીનો ચૉક, રાજસ્થાન

રાજસ્થાનમાં શેખાવતમાં પણ સુંદર હવેલીઓ આવેલી છે. ત્યાં હવેલીમાં બહાર અને અંદર બે ચૉક  હોય છે. બહારના ચૉકનો વપરાશ પુરુષો કરતા હોય છે અને અંદરના ચૉકનો સ્ત્રીઓ. તેની ભીંતો પર સુંદર ચિત્રો કરેલાં હોય છે. ગુજરાતમાં આવેલ નોંધપાત્ર હવેલીઓમાં વડોદરામાં સૂરેશ્વર દેસાઈની હવેલી તથા હરિભક્તિની હવેલી છે. શાંતિદાસ ઝવેરીની હવેલીઓ ઝવેરીવાડમાં હતી. કમનસીબે તે આગમાં નષ્ટ થઈ ગઈ. અમદાવાદમાં હઠીસિંહની બે પ્રસિદ્ધ હવેલીઓ છે : દોશીવાડાની પોળમાં તથા ફતાશાની પોળમાં. બંને હવેલીઓમાં કાષ્ઠ-કોતરકામ સુંદર છે. અમદાવાદમાં ખાડિયામાં સારાભાઈ કુટુંબની સુંદર હવેલી આવેલી છે. વસોમાં આવેલી દરબારસાહેબની હવેલી તથા વિઠ્ઠલદાસની હવેલી રક્ષિત સ્મારક તરીકે સચવાઈ રહી છે. તેમાં રાસલીલા તથા વૈષ્ણવ પુરાણ-કથાનાં દૃશ્યો આલેખાયેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવેલી, પૃ. 137)

Categories
વાચન સમૃદ્ધિ

હવામાન

પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)

Categories
વાચન સમૃદ્ધિ

તાઇવાન

ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120° 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ ફિલિપાઇન્સ ટાપુઓને તેનાથી અલગ પાડે છે. વળી તાઇવાનની ઉત્તરમાં ‘પૂર્વ ચીનનો સમુદ્ર’ તથા પૂર્વમાં ‘પૅસિફિક મહાસાગર’ આવેલા છે. મુખ્ય ટાપુ ઉપરાંત તાઇવાન ટાપુઓના જૂથમાં બીજા 15 ટાપુઓ તેમજ 64 જેટલા નાના નાના ‘પેસ્કાડૉર્સ દ્વીપસમૂહ’નો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ 36,188 ચોકિમી. જેટલું છે. ખેતી : સિંચાઈની સુવિધાવાળા ખીણપ્રદેશો તથા મેદાનોમાં ડાંગર, શેરડી, શણ, ઘઉં તથા કેળાં, લીચી, પીચ, અનેનાસ, તરબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે.

કી-લંગ બંદર, તાઇવાન

પરંપરાગત રીતે તાઇવાન ખેતીપ્રધાન પ્રદેશ છે. છતાં ખૂબ ઓછા સમયમાં તેણે મોટી ઔદ્યોગિક પ્રગતિ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અહીં ઉદ્યોગોનું વૈવિધ્ય વધારે છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજ અને વીજાણુ (electronics) ભાગો અને ઉપકરણો, કાગળ, ખાંડ, તૈયાર કપડાં, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન, છાપકામ તથા પ્રકાશન વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વાહનવ્યવહાર અને વ્યાપાર : ટાપુ પર આશરે 1,713 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 15,517 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. પાટનગર તાઇપેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. ખાસ કરીને તેનો વિદેશવ્યાપાર કિનારા પરના કી-લંગ તથા નૈઋત્ય ખૂણે આવેલા કાઓ-સીયુંગ એ બે બંદરો દ્વારા ચાલે છે. તેના મોટા ભાગના વ્યાપારી સંબંધો જાપાન, યુ.એસ; હૉંગકૉંગ, વિયેતનામ, જર્મની, મલેશિયા, સિંગાપોર, કુવૈત વગેરે દેશો સાથે છે. વસ્તી અને વસાહતો : તાઇવાનની કુલ વસ્તી 2,33,96,000 (2024, આશરે) જેટલી હતી. ખાસ કરીને પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા તેને અડીને આવેલા ઊંચા પ્રદેશોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ ટાપુમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 62% જેટલું છે. તાઇપેઈ એ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં કી-લંગ, કાઓ-સીયુંગ, તાઇચુંગ, તાઇનાન વગેરે બીજાં અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇવાન, પૃ. 752 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇવાન/)