Categories
વાચન સમૃદ્ધિ

સંધિ (રાજકીય કે વ્યવહાર-ક્ષેત્રમાં)

બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું.

તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. જે તે સંધિકરારનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને કામની સોંપણી કરવામાં આવે છે. આવી સંધિ તેમાં ભાગ લેનાર સૌ પક્ષકારોને બંધનકર્તા હોય છે. સામાન્ય રીતે આવી સંધિઓની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવામાં આવે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો આ માટેનાં ધારાધોરણો નક્કી કરે છે. મહદ્અંશે વિવિધ દેશો વચ્ચેના સરહદી ઝઘડાઓ, વ્યાપારી લેવડદેવડ, આયાત-નિકાસ, નાગરિકોની માન્યતા અને જળવિવાદ તેમ જ યુદ્ધો જેવી બાબતે આ પ્રકારની સંધિઓ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવામાં આવે છે. આ અર્થમાં સંધિ એ દેશો વચ્ચેના મતભેદોની શાંતિમય અને સમજદારીપૂર્વકની પતાવટ હોય છે.

વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ

૧૯૧૯માં થયેલી વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪થી ૧૯૧૮)નો અંત લાવવામાં આવ્યો હતો. જેમાં એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) હતાં અને બીજી તરફ જર્મની, ઇટાલી (axis) જેવાં પરાજિત રાષ્ટ્રો હતાં. તેમાં મુખ્યત્વે વિશ્વયુદ્ધ બંધ કરી સુલેહને લગતી શરતો સામેલ કરવામાં આવી હતી. દેશો દેશો વચ્ચેના ગુનેગારોને પકડવા અંગેની સંધિ પ્રત્યર્પણ સંધિ તરીકે ઓળખાય છે. વિવિધ દેશો વચ્ચે એકબીજાને મુશ્કેલીના સમયે સહકાર આપવા માટે પણ સંધિ કરવામાં આવે છે. નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) દેશોના સમૂહને સલામતી આપતી સંધિઓ છે. આવી કોઈ સંધિ ટૂંકા સમય માટે નક્કી થઈ હોય તો તે કામચલાઉ સંધિ તરીકે ઓળખાય છે. દેશની અંદર કે બે દેશો વચ્ચે સંઘર્ષોના ઉકેલ માટે સંઘર્ષનિવારણ સંધિઓ પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે થયેલા સિમલા કરાર આ પ્રકારની સંધિ છે. આવી સંધિઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી માન્ય થાય પછી જ તેનો અમલ કરી શકાય છે. સંધિ સંઘર્ષોને સમજદારીથી ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જોધપુર

રાજસ્થાનના ૩૩ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો ૨૬°થી ૨૭° ૩૭´ ઉ. અ. અને ૭૨° ૫૫´થી ૭૩° ૫૨´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ ૧૯૭ કિમી. લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ ૨૦૮ કિમી. પહોળાઈ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૨,૮૫૦ ચોકિમી. છે. જોધપુર જિલ્લાનો નીચાણવાળો ભાગ, અરવલ્લી ગિરિમાળા, અગ્નિખૂણે આવેલ રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમે અને વાયવ્ય ખૂણે થરના રણની વચ્ચે આવેલો છે. અર્ધરણ જેવા સપાટ પ્રદેશ વચ્ચે રેતીના ઢૂવા થાય છે. અરવલ્લીના ફાંટા રૂપે આવેલા ડુંગરો ૬૦થી ૧૫૦ મી. ઊંચા છે અને વનસ્પતિ વિનાના છે. જિલ્લાનો શુષ્ક પ્રદેશ રેતાળ છે પણ અરવલ્લી અને લૂણી નદી વચ્ચેનો પ્રદેશ ખેતીલાયક છે. અહીં પાણી ખૂબ ઊંડાઈએ મળે છે. જોધપુર જિલ્લાની આબોહવા રણ જેવી છે. ઉનાળામાં મે માસમાં વધુમાં વધુ તાપમાન ૪૯° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન ૧૪° સે. હોય છે. ઉનાળામાં સખત લૂ વાય છે. સરેરાશ વરસાદ ૨૫૦થી ૫૦૦ મિમી. પડે છે. જિલ્લાની માટીમાં રેતીનું પ્રમાણ વધારે છે. માટી લાલ તથા ખારાશવાળી છે. ખેતીના પાકોમાં જુવાર, બાજરો, સરસવ, એરંડા, ગુવાર, મગ, મઠ વગેરે મુખ્ય છે. પાણીની સગવડ હોય ત્યાં થોડા પ્રમાણમાં ઘઉં અને ચણા થાય છે.

પશુઓમાં ઘેટાં, બકરાં અને ગાય, બળદ, ઊંટ, ઘોડા વગેરે છે. વન્ય પશુઓમાં વાઘ, રીંછ, સાબર, ચીતળ અને રોઝ મુખ્ય છે. ફલોદી પાસેના ખારા તળાવના પાણીનો મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય ચિરોડી, બાંધકામ માટેનો પથ્થર અને મુલતાની માટી વગેરે ખનિજો પણ છે. આછો ગુલાબી પથ્થર અને બલુઆ પથ્થર પ્રસિદ્ધ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉદ્યોગો મુખ્યત્વે જોધપુર શહેરમાં આવેલા છે. અહીં ગરમ કાપડની મિલ, સિમેન્ટનું કારખાનું, મોટરના પિસ્ટન અને કૂલર, શાફ્ટ વગેરેના છૂટક ભાગો બનાવવાનું કારખાનું; કાચ, લોખંડનું રાચરચીલું, ચામડાની બૅગ, પગરખાં તથા ઍલ્યુમિનિયમની વસ્તુઓ અને વાસણો વગેરેનાં કારખાનાં છે. રંગાટી તથા છાપકામ, ધાબળા, બાંધણી વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જોધપુરમાં રાજસ્થાન રાજ્યની સંગીત અકાદમી, વિશ્વવિદ્યાલય, ઇજનેરી તથા અન્ય કૉલેજ, સંગ્રહસ્થાન વગેરે આવેલાં છે. જોધપુર જિલ્લાની વસ્તી ૨૦૨૪માં ૪૭,૯૦,૦૦૦ (આશરે) છે. તે ધોરી માર્ગે રેલવે દ્વારા બિકાનેર, જેસલમેર, જયપુર, અમદાવાદ, દિલ્હી, અજમેર તથા રાજસ્થાનનાં મુખ્ય વેપારી કેન્દ્રો તથા જિલ્લામથકો સાથે જોડાયેલું છે. અહીં ઍર ઇન્ડિયાનું વિમાનઘર તથા વાયુસેનાનું મથક છે. જસવંત થડામાં ટકોરા મારવાથી સંગીતના સૂર કાઢતું સંગેમરમરનું સ્ફટિક ભવન છે. જોધપુરની પ્રાચીન રાજધાની મંડોર કે માંડવગઢમાં કિલ્લો, જનાના ઉદ્યાન, દેવતાઓનો સાલ મહેલ અને સંગ્રહાલય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોધપુર, પૃ. 27)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સંગ્રહાલય (મ્યુઝિયમ)

ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાકીય દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી તથા પ્રદર્શન જ્યાં થતું હોય તે મથક – સંસ્થા. દેશપરદેશની અજાયબી ભરેલી, જાણવા અને જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરીને તેને એક સ્થળે રાખવામાં આવ્યો હોય તેને સંગ્રહાલય, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે : એક જાહેર સંગ્રહાલય – જેનું સંચાલન ને વહીવટ સાર્વજનિક સ્તરે – રાષ્ટ્રસ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થાય છે અને બીજું ખાનગી સંગ્રહાલય – જેનો વહીવટ કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટીમંડળને હસ્તક હોય છે. સંગ્રહાલય લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણીની યોજનામાં આવાં સંગ્રહાલયો શિક્ષણ માટેનું મહત્ત્વનું અંગ હોય છે. સંગ્રહાલયનો નિયામક (ક્યુરેટર) પ્રદર્શિત નમૂનાઓ સાથે સંકળાયેલા વિષયોનો નિષ્ણાત હોય છે. પ્રદર્શિત કરવા માટેની ચીજવસ્તુના મૂલ્યમહિમાનો તે જાણતલ હોય છે. કઈ વસ્તુ કઈ રીતે પ્રદર્શિત કરવી, તેને કઈ જગ્યાએ ગોઠવવી અને તેની જાળવણી કેવી રીતે કરવી તે તે નક્કી કરે છે.

સંગ્રહાલય પરંપરાગત રીતે આજ દિન સુધી વિકસેલી ને ટકેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો હોય છે. તેમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળની અવનવી ચીજવસ્તુઓના મૂળ કે અનુકૃત નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય છે. તેમાં અનેક જુદા જુદા વિભાગો હોય છે; જેમ કે, ઐતિહાસિક-સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનને લગતા તથા પ્રાકૃતિક વગેરે. સંગ્રહસ્થાનોમાં પ્રાણીવિભાગ હોય તો ત્યાં પ્રાણીઓના શબને ચર્મપૂરણ કરી પ્રદર્શિત કરવાની પણ વ્યવસ્થા કરાય છે.

ઐતિહાસિક સંગ્રહાલયમાં ઇતિહાસના જે તે સમયનાં સ્થળ કે વ્યક્તિ વિશેની માહિતી મળે છે. વળી ક્યારેક કોઈ વ્યક્તિએ સંઘરેલા સિક્કાઓ, ચંદ્રકો, ટિકિટો, ફર્સ્ટ-ડે-કવરો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક સંગ્રહાલયમાં જુદા જુદા સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્ત્રો, અલંકારો, જે તે સમયે વપરાતાં વાસણો, રાચરચીલું તથા રહેઠાણ વગેરેની માહિતી મળે છે. ક્યારેક વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલયમાં વિજ્ઞાનનાં પુરાતન ઉપકરણોથી માંડીને આધુનિક શોધોનાં ઉપકરણો જોવા મળે છે. કલાના સંગ્રહાલયમાં ચિત્રો, શિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ વગેરે જોવા મળે છે.

ભારતમાં સાચા અર્થમાં ‘સંગ્રહાલય’નો ખ્યાલ ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજો લાવ્યા. તે પહેલાં રાજાઓના મહેલમાં વૈભવની દૃષ્ટિએ અલભ્ય ચિત્રો, શિલ્પો, શસ્ત્રાસ્ત્રો કે કલાકૃતિઓને રાખવામાં આવતાં હતાં, પણ સામાન્ય લોકોને આ બધું જોવા-જાણવા કે માણવા માટે મળતું નહોતું. ભારતનું સૌથી પ્રથમ સંગ્રહાલય ૧૮૭૫માં કૉલકાતામાં બનાવવામાં આવ્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સંગ્રહાલય [મ્યુઝિયમ], પૃ. 63)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી