Categories
વાચન સમૃદ્ધિ

સ્વચ્છતા

આરોગ્ય કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્યના આંતરબાહ્ય જીવનમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ, શુદ્ધિ કે સફાઈ. ભારતીય સંસ્કૃતિ સદીઓથી સ્વચ્છતાને ધર્મ સાથે સાંકળી તેનો મહિમા દાખવતી રહી છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિનો અભ્યાસ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં પાણીપુરવઠા અને ગટરની સુનિયોજિત રચનાવાળાં નગરો પણ ભારતમાં હતાં. ભારતીય ધર્મશાસ્ત્રો સ્વચ્છતાના આગ્રહવાળી જીવનશૈલીનો નિર્દેશ કરે છે. મોટા ભાગના ભારતીયો સ્નાન કર્યા બાદ જ પોતાનાં દૈનિક કર્મો શરૂ કરે છે. એ મુજબ વ્યક્તિ સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, પૂજા-પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. જમ્યા પહેલાં અને પછી હાથ-મોં ધોવાં, બહારથી આવીને હાથ-પગ ધોવા, શૌચની ક્રિયા બાદ સ્નાન કરવું, ઘરમાં પ્રવેશતાં પગરખાં ઘરની બહાર મૂકવાં વગેરેમાં સ્વચ્છતાનો આગ્રહ અને તેનું પાલન જોઈ શકાય છે. સ્વચ્છતા આપણી રહેણીકરણીમાં, આપણાં રોજ-બરોજનાં કામમાં પણ જોવા મળતી હોય છે.

સ્વચ્છતા રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતું એક ચિત્ર

આ રીતે નખ કાપવા, વાળ સ્વચ્છ રાખવા, આંખો ધોવી, હાથ-પગ ધોવા જેવી વ્યક્તિની અંગત સ્વચ્છતા પર સામાન્ય રીતે ઘર અને શાળામાં ધ્યાન અપાતું હોય છે. અંગત સ્વચ્છતા જેટલું જ ધ્યાન ઘરની સ્વચ્છતા પર પણ અપાતું હોય છે. રોજબરોજ ઘરની સફાઈ કરવી, શૌચાલય અને સ્નાનાગાર સ્વચ્છ રાખવાં અત્યંત જરૂરી છે. સ્વચ્છ ઘરમાં લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. વળી દિવાળી પહેલાં કે ગ્રહણ બાદ પણ ઘરની સફાઈ કરવાનો જે રિવાજ છે તે પણ સરાહનીય છે. જેટલી પોતાના ઘરની સ્વચ્છતા અંગે હોય તેટલી જ ચીવટ ઘરની બહાર જાહેર સ્થળો માટે પણ હોવી જોઈએ. જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો નાખવો, થૂંકવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો જેવી કુટેવો નજરે પડે છે. આ બધાં પાછળ અનેક પરિબળો કારણભૂત હોય છે – ગરીબાઈ, અજ્ઞાન, આળસ વગેરે ઉપરાંત વધુ પડતી વસ્તી, વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતા જેવાં અન્ય અનેક કારણોથી સ્વચ્છતા કે સફાઈનું કામ અવરોધાતું હોય છે. ગાંધીજી ભારતના દરેક નાગરિકને સ્વચ્છ પાણી ખોરાક અને હવા મળે તે માટે આગ્રહ રાખતા હતા. આશ્રમમાં આ કાર્યો જાતે કરી તેમણે લોકોમાં સ્વચ્છતા ને સમાનતાનો સારો દાખલો બેસાડ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વચ્છતા, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

ડોડા

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે ૩૨° ૫૩´ ઉ. અ.થી ૩૪° ૨૧´ ઉ. અ. અને ૭૫° ૧´ પૂ. રે.થી ૭૬° ૪૭ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૧૦૭ મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – આબોહવા- વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા ૬૦૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે. આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ ૯૨૬ મિમી. જ્યારે બરફવર્ષા ૧૩૫ મિમી. રહે છે. અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

ચંડીમાતાનું મંદિર

અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે ૬૦૦૦ ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. આ જિલ્લાની ૮૧૯૩ હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે ૬૦૨૯ હેક્ટર ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે. પરિવહન – પ્રવાસન : જમ્મુથી ૧૭૫ કિમી. અને શ્રીનગરથી ૨૦૦ કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસૉર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી : આ જિલ્લાની વસ્તી (૨૦૨૫ મુજબ) ૪,૯૦,૨૮૩ છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૬૮% છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮ અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોડા/)

Categories
વાચન સમૃદ્ધિ

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માં આવેલી સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંશોધન-સંસ્થા.

એક અંગ્રેજ વૈજ્ઞાનિક જેમ્સ સ્મિથસન, જેઓ ૧૮૨૯માં અવસાન પામ્યા. તેમણે પોતાની મિલકત પોતાના સ્વજન હેન્રી જેમ્સ હંગરફૉર્ડને આપેલી. ૧૮૩૫માં આ હેન્રી પણ અવસાન પામ્યા. આથી જેમ્સ સ્મિથસનના વિલ પ્રમાણે બધી મિલકત અમેરિકાને વૉશિંગ્ટનમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન બનાવવા માટે આપવામાં આવી. આમ અમેરિકન સંસદે ૧૮૩૮માં તેનો આરંભ કર્યો. ત્યારબાદ ૧૮૪૬માં તેની સ્થાપના વૉશિંગ્ટન ડી.સી.માં એક ભવનમાં કરવામાં આવી. શરૂઆતમાં ભવનમાં કેવળ સંગ્રહાલય હતું. આજે તે શિક્ષણ, મનોરંજન અને સંશોધનનું વિરાટ ક્ષેત્ર છે. ઓગણીસ મ્યુઝિયમ અને ગૅલરીઓ તથા ધ નૅશનલ ઝૂઓલૉજિકલ પાર્ક સ્મિથસોનિયનના વહીવટ હેઠળ છે. તેમાંનાં અગિયાર મ્યુઝિયમો ધ નૅશનલ મૉલમાં અને બાકીનાં બીજાં વૉશિંગ્ટન ડી.સી. ન્યૂયૉર્ક સિટી અને ચેન્ટિલી(વર્જિનિયા)માં આવેલાં છે.

સ્મિથસોનિયન મ્યુઝિયમની અંદરનું પ્રદર્શન

આ ઉપરાંત બીજાં ૩૯ રાજ્યોમાં આવેલાં ૧૬૮ મ્યુઝિયમો પણ સ્મિથસોનિયન સાથે સંકળાયેલાં છે. વળી આ સંસ્થાનાં હરતાં-ફરતાં પ્રદર્શનો પણ મોટી સંખ્યામાં છે. ૨૦૦૮માં આવાં અઠ્ઠાવન પ્રદર્શનો આખા દેશમાં ૫૧૦ જગ્યાએ રજૂ કરવામાં આવેલાં. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના વહીવટ હેઠળનું ધ કૂપર હ્યૂઇટ મ્યુઝિયમ સુશોભનાત્મક કલા અને ડિઝાઇનનો વિશ્વનો એક વિશાળ સંગ્રહ ધરાવે છે. ધ મેટ્રૉપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ વિશ્વનું એક અગ્રણી મ્યુઝિયમ લેખાય છે. તેમાં વિશ્વની કલાના પ્રત્યેક ક્ષેત્રની મહત્ત્વની નમૂનારૂપ કૃતિઓનો સંગ્રહ છે. ધ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં આધુનિક યુરોપિયન અને અમેરિકન કલાની કૃતિઓનો વિશ્વનો સૌથી વિશાળ ભંડાર છે. વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટના કલાસંગ્રહમાં ઓગણીસમી સદીની કૃતિઓથી માંડીને અતિ આધુનિક અગ્રેસરોની કૃતિઓનું વૈવિધ્ય છે. ધ હિરશૉન મ્યુઝિયમ ઍન્ડ ધ સ્કલ્પ્ચર ગાર્ડનમાં ઓગણીસમી અને વીસમી સદીની કૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ છે. તેમાં મુખ્યત્વે શિલ્પકૃતિઓ પર વિશેષ ઝોક છે. અહીં શિલ્પો ખુલ્લી જગ્યામાં પ્રદર્શિત કરાયાં છે. ધ ફ્રિક કલેક્શનમાં ૧૪મીથી ૧૯મી સદીનાં યુરોપિયન ચિત્રોનો સંગ્રહ છે. ધ ગુગનહાઈમ મ્યુઝિયમમાં ઓગણીસમી અને વીસમી સદીની કલાનો સંગ્રહ છે. ધ નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટમાં યુરોપિયન ચિત્રો અને શિલ્પોનો વિશાળ ભંડાર છે. સ્મિથસોનિયનના ઐતિહાસિક સંગ્રહાલયમાં અમેરિકાના પ્રેસિડેન્ટોની પત્નીઓએ પહેરેલાં વસ્ત્રો, પ્રેસિડેન્ટ લિંકને પહેરેલી સ્ટૉવ પાઇપ હેટ, અમેરિકનો ૧૮૧૨ના વિશ્વયુદ્ધ દરમિયાન ફૉર્ટ મેક્હેન્રી પર લહેરાવામાં આવેલો રાષ્ટ્રવજ, ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલે શોધેલો સૌથી પહેલો ટેલિફોન, રાઇટ બ્રધર્સે ઉડાવેલું સૌથી પહેલું વિમાન અને રહસ્યમય એવો હોપ-ડાઇમન્ડ વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશન, પૃ. 87)