Categories
વાચન સમૃદ્ધિ

સ્નૂકર

પશ્ચિમમાં વિકસેલી, બિલિયર્ડના ટેબલ ઉપર રમાતી દડાની રમત. સ્નૂકરની રમતમાં કુલ ૨૨ દડાઓનો ઉપયોગ કરાય છે. તેમાં ૧૫ લાલ રંગના હોય છે. ૬ દડા રંગીન અને એક દડો સફેદ હોય છે. દડાઓનો વ્યાસ ૩.૫ સેમી. અને વજન ૩ ગ્રામ હોય છે. લાલ દડો ૧ ગુણ, પીળો ૨, લીલો ૩, કથ્થાઈ ૪, વાદળી ૫, ગુલાબી ૬ અને કાળો દડો ૭ ગુણ ધરાવે છે. દડાઓને રમવા માટે વિવિધ લંબાઈ અને વજનવાળી લાકડીઓ હોય છે. લાકડીઓ આગળથી અણીવાળી અને પાછળથી જાડી હોય છે અને તેની લંબાઈ ઓછામાં ઓછી ૯૧ સેમી. હોય છે. સ્નૂકરની રમત બિલિયર્ડના ટેબલ ઉપર રમવામાં આવે છે. ટેબલ ઉપર ખાસ પ્રકારનું કાપડ લગાડવામાં આવેલું હોય છે. ટેબલના ચાર ખૂણાઓ પર તેમ જ લંબાઈની મધ્યમાં બે – એમ કુલ ૬ ખાનાં હોય છે. રમત રમવા માટેનો ક્રમ ચિઠ્ઠી ઉપાડી નક્કી કરવામાં આવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સની રીતે તેમ જ ટીમો વચ્ચે પણ રમાય છે.

સ્નૂકરની મૅચ રમતા સ્નૂકર-ખેલાડીઓ

રમતની શરૂઆતમાં ત્રિકોણાકાર પેટીના ઉપયોગથી લાલ દડાઓ ટેબલ ઉપર ગોઠવવામાં આવે છે. જ્યાં સુધી લાલ દડો ટેબલ ઉપર હોય ત્યાં સુધી દરેક વારીનો પ્રથમ ફટકો સફેદ બૉલ દ્વારા લાલ બૉલને વાગવો જોઈએ. લાલ બૉલ ખાનામાં જાય ત્યારે ખેલાડી એક ગુણ મેળવે છે. પછીના ફટકા વડે રંગીન બૉલમાંથી કોઈ પણ બૉલને રમી શકે છે. રંગીન બૉલ રમવાની જાણ રમતાં પહેલાં કરવામાં આવવી જોઈએ. જાણ કરેલ રંગીન દડો ખાનામાં જાય ત્યારે બૉલ ઉપર લખેલા ગુણ ખેલાડી પ્રાપ્ત કરે છે. લાલ દડાઓ ખાનામાં જાય પછી ફરીથી ટેબલ ઉપર પાછા મૂકવામાં આવતા નથી, જ્યારે રંગીન દડાઓ ટેબલ ઉપર પાછા મૂકવામાં આવે છે. ખેલાડી જ્યારે ગુણ પ્રાપ્ત કરવાનું ચૂકી જાય છે ત્યારે તેની રમવાની વારી પૂરી થાય છે અને પ્રતિસ્પર્ધી દાવ આગળ ચલાવે છે અને સફેદ બૉલ જ્યાંથી અટકી ગયો હોય ત્યાંથી દાવ ચાલુ કરવામાં આવે છે. બધા જ લાલ દડાઓ ખાનામાં જાય ત્યાર બાદ રંગીન દડાઓને ચઢતા ક્રમની કિંમત મુજબ રમીને ખાનામાં મોકલવાના હોય છે. ટેબલ ઉપરના બધા જ (૨૧) દડાઓ ખાનામાં જાય તે વખતે જે ખેલાડીના ગુણ વધારે થયા હોય તે વિજેતા ગણાય છે. જ્યારે છેલ્લો કાળો દડો ટેબલ ઉપર હોય તે વખતે પ્રથમ ગુણ અથવા પેનલ્ટીથી રમતનો અંત આવે છે. જ્યારે બંને ખેલાડીઓના ગુણ સરખા હોય ત્યારે કાળા દડાને ફરીથી ટેબલ ઉપર મૂકવામાં આવે છે, ચિઠ્ઠી ઉપાડી ક્રમ નક્કી કરાય છે અને કાળા દડાને રમવામાં આવે છે. ગીત સેઠી, પંકજ અડવાણી, ઓમ અગ્રવાલ, સુભાષ અગ્રવાલ, યાસીન મર્ચન્ટ, અનુજા ઠાકોર, આદિત્ય મહેતા, મનનચંદ્ર વગેરે ભારતના જાણીતા સ્નૂકર-ખેલાડીઓ છે; જ્યારે સ્ટીવ ડૅવિસ, ઍલેક્સ હિગિન્સ, સ્ટીફન હૅન્ડ્રી, રૉન્ની ઓ સુલિવાન, જિમ્મી વ્હાઇટ,  સ્ટૂઅર્ટ બિન્ગામ, જડ ટ્રમ્પ તેમ જ જો ડેવિસ વિશ્વના જાણીતા સ્નૂકર-ખેલાડીઓ છે.

અમલા પરીખ

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ડૅઇઝી

દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ Chrysanthamum leucanthemum છે. યુરોપમાંથી પ્રવેશ પામેલી આ જાતિ પૂર્વમાં મુશ્કેલરૂપ અપતૃણ બની ગયું છે. તે 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં અને છેદન પામેલાં હોય છે. તેનો અગ્રસ્થ મુંડક 2થી 5 સેમી. વ્યાસ ધરાવે છે. C. maximum ઑક્સ-આઇ ડૅઇઝી સાથે મળતી આવતી જાતિ છે. પરંતુ તેનો મુંડક 5થી 10 સેમી. વ્યાસ ધરાવે છે.

અમેરિકન ઑક્સ-આઈ ડૅઇઝી              આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી

ઇંગ્લિશ ડૅઇઝી, Bellis perennis જૂની દુનિયાની મૂળ નિવાસી છે. તે 15 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય જાતિ છે. તે તલપ્રદેશે પર્ણોનું ગુચ્છ ધરાવે છે. તેનો મુંડક સફેદ કે ગુલાબી રંગનો હોય છે અને 5.0 સેમી. વ્યાસ ધરાવે છે. તે લાંબા દંડ પર આવેલો હોય છે. તેની કેટલીક જાતો ડબલ પુષ્પો ધરાવે છે.; બીજી કેટલીક જાત ગુલાબી કે લાલ હોય છે. ઉદ્યાનમાં તેની ક્યારીઓ રોપવામાં આવે છે. આફ્રિકન ડૅઇઝી, Arctotis stoechadifolia 75 સેમી ઊંચી એકવર્ષાયુ જાતિ છે. તેની પર્ણકિનારી દાંતા ધરાવે છે. તેનાં પુષ્પીય મુંડક વિવિધરંગી હોય છે. Dimorphotheca aurantiaca આફ્રિકન ઑરેન્જ ડૅઇઝી તરીકે જાણીતી જાતિ છે. Aster પ્રજાતિને મિચેલ્માસ ડૅઇઝી કહે છે. તે 40થી 50 સેમી. જેટલી ઊંચી થાય છે. તેને નાનાં સફેદ તારાકાર પુષ્પ સારી સંખ્યામાં આવે છે. તેની ઠંડા પ્રદેશમાં થતી જાત ઊંચી હોય છે અને ઘણા રંગનાં પુષ્પો આવે છે. શાખાઓને છૂટી કરી રોપવાથી વંશવૃદ્ધિ થાય છે. Solidago પ્રજાતિને પીળી ડૅઇઝી કે ગોલ્ડન રૉડ કહે છે. 60થી 70 સેમી. ઊંચી થતી આ જાતિને સીધા લાંબા દંડ પર નાનાં, અસંખ્ય પીળા રંગનાં પુષ્પો આવે છે અને તે પ્રમાણમાં લાંબા સમય સુધી ટકે છે. મિચેલ્માસ ડૅઇઝીની જેમ બ્લૂ ડૅઇઝી થોડાં નીચાં થાય છે. તેમનાં પુષ્પ થોડાં મોટાં થાય છે.

મ. ઝ. શાહ

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સ્પીકર (અયક્ષ)

પ્રત્યેક ધારાસભા કે વિધાનસભા-ગૃહના સંચાલક મુખ્ય પદાધિકારી –અધ્યક્ષ. ભારતમાં સંસદનાં ગૃહો તેમ જ રાજ્યોનાં ધારાગૃહોના મુખ્ય સંચાલનના વ્યવસ્થાપનની જવાબદારી તેઓ અદા કરે છે. સ્પીકર(અધ્યક્ષ)-પદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. ૧૩૭૭માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ સ્પીકર થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા તેમ ગૃહના નિર્ણયની જાણ તેઓ રાજાને કરતા.

ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર,  લોકસભા-ગૃહ, દિલ્હી

લોકસભા કે વિધાનસભાના ૩ સ્તંભો મનાય છે : ૧. સ્પીકર (અયક્ષ), ૨. વડાપ્રધાન/મુખ્યપ્રધાન અને ૩. વિરોધપક્ષના નેતા. સ્પીકરનું સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું હોય છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. એક પ્રણાલી અનુસાર જો સ્પીકરના હોદ્દાધારી પદાધિકારી નવી ચૂંટણી વખતે ઉમેદવારી કરે તો તેની સામે અન્ય કોઈ પક્ષ ઉમેદવાર ઊભા રાખતા નથી અને તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે સ્પીકરે (અધ્યક્ષે) પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી સ્પીકરનું પદ ચાલુ રહે છે; તેમ છતાં સ્પીકરને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે સ્પીકરને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભાના સ્પીકર કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકાય છે. સ્પીકરની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમ જ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેમની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમ જ પ્રસ્તાવોની રજૂઆત તથા ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. સ્પીકર-પદની ગરિમા, માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમ જ પ્રત્યેક ગૃહના સભ્યની ફરજ છે.

અમલા પરીખ

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્પીકર (અધ્યક્ષ), પૃ. ૮૦)