Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ સમયે

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. સ. પૂ. 4 થી ઈ. સ. પૂ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહ્નમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યારબાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાદા જીવનનું આશ્વાસન

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો  પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ‘હે માતા ! તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.’ આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રયના દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ‘આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.’