Categories
વાચન સમૃદ્ધિ

ઓડ્રી હેપબર્ન

જ. 4 મે, 1929 અ. 20 જાન્યુઆરી, 1993

હોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી ઓડ્રી હેપબર્નનો જન્મ બ્રસેલ્સ, બેલ્જિયમમાં થયો હતો. તેમનું મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન હતું. પિતા જોસેફ વિક્ટર એન્થની રસ્ટન શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા એલા વાન હીમ્સ્યૂ ડચ બેરોનસ હતાં. માતાપિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી તેમનાં માતા સાથે પહેલાં લંડન અને પછી હોલૅન્ડ જતાં રહ્યાં. લંડન અને હોલૅન્ડમાં તેમણે ખાનગી કન્યાશાળામાં શિક્ષણ લીધું. તેઓ હોલૅન્ડમાં હતાં ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓએ હોલૅન્ડ પર કબજો કરી લેતાં ઓડ્રી અને તેમનાં માતાને ખૂબ કફોડી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો હતો. યુદ્ધ પૂરું થયા બાદ શિષ્યવૃત્તિ મળતાં તેઓ લંડનની એક નૃત્યશાળામાં જોડાયાં અને પછીથી મૉડલ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ કામ કરતાં કરતાં જ તેમને અભિનેત્રી બનવાની તક મળી, પરંતુ હોલિવુડમાં સારી તક મળે માટે તેઓ અમેરિકા જતાં રહ્યાં. ઓડ્રીએ 1951માં ‘લવેન્ડર હિલ મૉલ’ અને ‘સિક્રેટ પીપલ’ ચલચિત્રોમાં કામ કર્યું હતું. 1953માં પ્રદર્શિત થયેલા ‘ધ રોમન હૉલિડે’ ચિત્રે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. પ્રેક્ષકો અને સમીક્ષકો બંનેએ વખાણેલા આ ચલચિત્રે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર અપાવ્યો હતો. એ પછી ‘સેબ્રિના’(1954)માં પણ સશક્ત અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મેળવ્યું. વિશ્વનાં પ્રશિષ્ટ ચલચિત્રોમાં સ્થાન પામેલા ‘વૉર ઍન્ડ પીસ’(1956)માં પણ તેમણે ઉત્કૃષ્ટ અભિનય આપ્યો હતો. તેમના પતિ મેલ ફેરર પણ ચલચિત્રો સાથે સંકળાયેલા હતા. ‘વૉર ઍન્ડ પીસ’માં મેલ ફેરરે ઓડ્રી સાથે અભિનય પણ કર્યો હતો. ‘ધ નન્સ સ્ટોરી’(1959)માં પણ ભાવુક અભિનય કરી ફરી વખત શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મેળવ્યું હતું. 1964માં ‘માય ફેર લેડી’એ તેમને લોકપ્રિયતાની ટોચે બેસાડી દીધાં હતાં. ‘વેઇટ અન્ટિલ ડાર્ક’(1967)માં ઓડ્રીએ ભયથી ફફડતી અંધ મહિલાની ભૂમિકા ભજવી ફરી ઑસ્કાર નામાંકન મેળવ્યું. ત્યારબાદ પતિથી છૂટાં પડી તેમણે અભિનયને પણ અલવિદા કરી દીધી, પરંતુ 1976માં ફરી તેમણે ‘રોબિન ઍન્ડ મેરિયન’ અને અંતિમ ચલચિત્ર ‘ધ ઑલ લોફડ’(1981)માં અભિનય કર્યો હતો. અભિનયને અલવિદા કર્યા બાદ તેમણે પોતાનો પૂર્ણ સમય સમાજસેવાનાં કાર્યો માટે આપવા માંડ્યો હતો. તેઓ ‘યુનિસેફ’ સાથે પણ સંકળાયેલાં હતાં. 1993માં ઑસ્કાર ઍવૉર્ડ સમારોહમાં તેમને ‘જીન હરશિલ્ટ હ્યુમેનિટેરિયન’ ઍવૉર્ડ મરણોત્તર આપવાની ઘોષણા કરાઈ હતી. તેમના માનમાં અમેરિકા ટપાલખાતાએ ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વી. કે. કૃષ્ણ મેનન

જ. 3 મે, 1896 અ. 6 ઑક્ટોબર, 1974

ભારતની આઝાદીના પુરસ્કર્તા, રાજકારણી અને વકીલ વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ થિરુવાંગડમાં થયો હતો. તેમનું નામ વેંગલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન હતું. પ્રારંભિક શિક્ષણ આયનચેરી અને થાલાસ્સેરીમાં થયું. 1818માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા, પછી અધ્યાપન કર્યું. તેઓ થિયૉસૉફીમાં જોડાયા અને એની બેસન્ટ દ્વારા સ્થાપિત ‘બ્રધર્સ ઑવ્ સર્વિસ’ના સભ્ય બન્યા હતા. તેમણે ઇંગ્લૅન્ડ જઈ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની અને પછી બી.એસસી. ઑનર્સ તથા એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1934માં બૅરિસ્ટર બન્યા. તેઓ વિદેશમાં પણ ભારતની આઝાદી માટે સક્રિય રહ્યા હતા. તેમણે ઇન્ડિયા લીગની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ તેના મંત્રી પણ હતા. તેઓ લંડનના સેન્ટ પાર્કન્સમાંથી કાઉન્સિલર અને આર્ટસ કાઉન્સિલના પ્રમુખ હતા. તેઓ પેલિકન બુક્સના પ્રારંભથી સંપાદક હતા. આઝાદી પછી ઇંગ્લૅન્ડમાં ભારતના પ્રથમ ઉચ્ચાયુક્ત બન્યા. તેમણે 1949થી 1962 સુધી રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું હતું. તેમણે કાશ્મીર મુદ્દા પર રાષ્ટ્રસંઘમાં સતત ચાર દિવસ ભાષણ આપ્યું હતું. આ ભાષણ રાષ્ટ્રસંઘમાં આપવામાં આવેલ સૌથી લાંબું ભાષણ હતું. ‘ધ ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડઝ’માં આ ભાષણનો સમાવેશ થયો છે. તેઓ 1956માં કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન, 1957-61 દરમિયાન વિદેશપ્રધાન અને 1961-62માં સંરક્ષણ પ્રધાન હતા. તેઓ સેનામાં યોગ્યતા આધારિત પ્રમોશનના હિમાયતી હતા. સંરક્ષણપ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ નહેરુના સલાહકાર હતા. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલર હતા. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘બ્રિટન્સ પ્રિઝનર’, ‘અગેન્સ્ટ ફાસિઝમ’, ‘બ્રિટન ઍન્ડ ફ્રીડમ’ ઉલ્લેખનીય છે. તેમને પદ્મવિભૂષણ, સીરિયન ઑર્ડર ઑવ્ મેરિટ તેમજ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ દેશપાંડે

જ. 2 મે, 1920 અ. 30 જુલાઈ, 1983

ભારતીય શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના કલાકાર. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, અભંગ, નાટ્યસંગીત જેવા વિવિધ પ્રકારોમાં પારંગત વસંતરાવ દેશપાંડે નખશિખ કલાકાર હતા. માત્ર આઠ વર્ષની વયે તેઓ ફિલ્મસર્જક ભાલાજી પેઢરકરના ધ્યાનમાં આવ્યા અને ફિલ્મ ‘કાલિયા મર્દન’માં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળી. સાથે સાથે ગાયન તથા અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. મરાઠી રંગભૂમિમાં શાસ્ત્રીય સંગીતનું પ્રાધાન્ય હોવાને કારણે અભિનય સાથે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. પંડિત શંકરરાવ સપ્રે પાસે કિરાના ઘરાનાની તાલીમ શરૂ કરી. વિવિધ કલાગુરુઓ પાસે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી. જેના કારણે કિરાના સાથે પતિયાલા, ભીંડીબજાર જેવા ઘરાનાની વિશિષ્ટતા વસંતરાવને પ્રાપ્ત થઈ. એમણે ‘કાલિયા મર્દન’ બાદ ‘દૂધ-ભાત’, ‘અષ્ટવિનાયક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ મુખ્યત્વે રંગમંચ ઉપર મરાઠી રંગભૂમિ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. કટિયાર કાલજાત ઘૂસલી સંગીત રૂપક એમના જીવનનું ઐતિહાસિક નાટક બની રહ્યું, જેણે વસંતરાવને અમર ઓળખ આપી. પોતે રંગકર્મી હોવાને કારણે ઠૂમરી, અભંગ, ભજન જેવા પ્રકારોમાં અભિનયનું અંગ ઉમેરીને તેઓ પ્રસ્તુતિને વધુ અસરદાર તેમજ જીવંત બનાવતા. રાગ યમનમાંથી પંચમ વર્જિત કરીને એમણે રાગ ‘રાજ કલ્યાણ’ની રચના કરી હતી. વિશિષ્ટ ચંચલ શૈલીમાં નાટકીય ગાયન શૈલી એ વસંતરાવની એક નોખી ઓળખ છે. ‘કાનડા રાજા પંઢરિચા’, ‘તુ સુખકર્તા, તુ દુઃખહર્તા’, ‘તાલ બોલે’, ‘સૂરત પિયા કી’, ‘મધુમિલના તલ્પા’ જેવાં અનેક મરાઠી નાટ્ય ગીતો સંગીતરસિકો માટે સદાય યાદગાર રહ્યાં છે. વસંતરાવ દેશપાંડેએ અનેક શિષ્યો સંગીતજગતને આપ્યા છે. એમના પૌત્ર રાહુલ દેશપાંડેએ વસંતરાવના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે. એમને 1982માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં ડૉ. વસંતરાવ દેશપાંડે પ્રતિષ્ઠાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ત્રણ દિવસનો વસંતોત્સવ વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે તથા ઉત્તમ યુવાન ગાયકોને વસંતોત્સવ યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એમના જીવન તથા કાર્યને અંજલિ આપવા ‘મી વસંતરાવ’ શીર્ષક સાથે ફિલ્મનું નિર્માણ થયું છે. નાગપુરમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘દેશપાંડે મેમરી’ શીર્ષક હેઠળ ત્રિદિવસીય સંગીતમહોત્સવનું આયોજન થાય છે.