Categories
વાચન સમૃદ્ધિ

સિગમન્ડ ફ્રૉઇડ

જ. 6 મે, 1856 અ. 23 સપ્ટેમ્બર, 1939

મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની સિગમન્ડનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે વિયેના આવ્યા. ત્યાં તેમનું બાળપણ ઘરની આર્થિક તંગી તથા વિકટ સંજોગોમાં પસાર થયું. પાંચ વર્ષની વયે તેઓ શાળામાં દાખલ થયા, ભણવામાં મોખરે રહ્યા. તેઓએ રમવાની ઉંમરમાં સતત અભ્યાસ, વાચન અને પરિશ્રમમાંથી આનંદ લેવાનું વલણ વિકસાવ્યું. 17 વર્ષની વયે તેઓએ ઉજ્જ્વળ સફળતા સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે તબીબી વિદ્યાનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. 1873માં તેમણે વિયેના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, તેઓનો મુખ્ય વિષય તબીબી વિદ્યા હોવા છતાં તેમની શૈક્ષણિક અભિરુચિનું ક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું. 1876માં તેઓએ સંશોધનના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. તેમણે 1885માં મજ્જાકીય રોગો વિશેનાં તેમનાં સંશોધનો અને નિરીક્ષણોને આધારે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ત્યારબાદ તેઓ મજ્જાવિકૃતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેઓએ ‘સ્ટડીઝ ઑવ્ હિસ્ટેરિયા’ પર પુસ્તક લખ્યું છે. સમગ્ર જીવન દરમિયાન ફ્રૉઇડે ઘણાં બધાં પુસ્તકો, લેખો, સંશોધન-અહેવાલો લખ્યાં છે. તેમના અચેતન મનના સિદ્ધાંતે વિચારકો અને વૈજ્ઞાનિકોમાં ખળભળાટ મચાવેલો. છેલ્લાં સો વર્ષમાં વૈચારિક ક્રાન્તિમાં વિશિષ્ટ પ્રભાવ પાડનારાઓમાં ફ્રૉઇડનું સ્થાન મોખરે રહ્યું. તેના વિચારો અને સિદ્ધાંતોનો પ્રભાવ ચિકિત્સાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે બહુ જ પ્રબળ અને વ્યાપક બન્યો. તે ઉપરાંત રોજિંદા જીવનને સમજવામાં, સાહિત્ય-કળાઓને મૂલવવામાં, ધર્મનાં રહસ્યો સમજવામાં અને સાંસ્કૃતિક ઘટનાઓ સમજવા સુધી તેનો વ્યાપ વધતો ગયો. જિંદગીનાં છેલ્લાં 16 વર્ષ તેઓ વિકટ પરિસ્થિતિમાં જીવ્યા. 1938માં નાઝી ઉગ્રવાદીઓને કારણે તેમને ઑસ્ટ્રિયા છોડવું પડ્યું અને લંડન સ્થાયી થયા. ત્યાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત રઘુનાથ મુર્મૂ

જ. 5 મે, 1905 અ. 1 ફેબ્રુઆરી, 1982

ઓલ ચીકી લિપિને વિકસિત કરનાર લેખક રઘુનાથ મુર્મૂનો જન્મ ઓડિશાના ડાંડબુસ ગામમાં થયો હતો. પિતા નંદલાલ અને માતા સલમા. તેમનું બાળપણનું નામ ચુનુ મુર્મૂ હતું. તેમણે શાળેય શિક્ષણ ગાંબરિયા યુ. પી. સ્કૂલ અને બહલદા પ્રાથમિક શાળામાં મેળવ્યું. 1928માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે બારીપાડા પાવરહાઉસમાં નોકરી શરૂ કરી. પછી ઔદ્યોગિક તાલીમ માટે સેરામપોર મોકલવામાં આવ્યા. તેઓ બારીપાડા ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે જોડાયા. 1933માં બદામતલિયા પ્રાથમિક શાળામાં જોડાયા. શિક્ષણકાર્ય દરમિયાન તેમને સંથાલી સાહિત્યમાં રસ જાગ્યો. સંથાલી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક અલગ લિપિની આવશ્યકતા જણાઈ. તેમણે એ માટે ઓલ ચીકી લિપિ વિકસાવી. ઓલ ચીકી લિપિમાં ‘હોર સેરેંજ’ તેમનું પહેલું પુસ્તક હતું જે 1936માં પ્રકાશિત થયું હતું. 1942માં પહેલું નાટક ‘બિદુ ચંદન’ પ્રકાશિત થયું. તેમણે ઓલ ચીકી માટે ‘પારસી પોહા’, ‘પારસી ઈતુન’, ‘રણારહ’, ‘અલખા’ વગેરે પુસ્તકો લખ્યાં. ‘દાડે ગે ધોન’, ‘સિદ્ધુ-કાન્હૂ’, ‘ખેરવાડ બીર’ તેમનાં જાણીતા પુસ્તકો છે. તેમણે વ્યાકરણ, કવિતા, નાટક, નવલકથાનાં 150થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં સંતાલી સાહિત્યનો વ્યાપ વધારવા માટે ‘સાગેન સકમ’ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. તેમણે બાબા તિલક માઝી પુસ્તકાલય શરૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1953માં આદિવાસી સાંસ્કૃતિક સંગઠન નામની સંસ્થા શરૂ કરી. આજે એનું નામ આદિવાસી સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંગઠન છે. તેમના વિશિષ્ટ યોગદાન બદલ રાંચી યુનિવર્સિટી અને ઘુમકુરિયા સંસ્થાએ તેમને ડી.લિટ.ની પદવી આપી હતી. મયૂરભંજ આદિવાસી મહાસભાએ ‘ગુરુ ગોમકે’ની પદવી આપી હતી. ઊડિયા સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

શત્રુતાનો નાશ

પ્રાચીન રોમના પ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ જુલિયસ સીઝરના જેટલા મિત્રો હતા, એટલા જ શત્રુઓ હતા. એક વાર એ પોતાના મહેલમાં એકલો રજાના દિવસો ગાળી રહ્યો હતો. સીઝરના પરમ મિત્રને આની જાણ થતાં એણે વિચાર્યું કે જુલિયસ સીઝર પાસે જઈને થોડાં ટોળટપ્પાં મારી આવું. બન્ને પ્રેમથી મળ્યા અને વાતચીત સમયે જુલિયસ સીઝરના મિત્રએ કહ્યું, ‘હું એક વાત સમજી શકતો નથી કે તમારા વિરોધીઓ તમારા પર જાતજાતના અસહ્ય આક્ષેપો કરે છે અને તેમ છતાં તમે એ બધાને ચૂપચાપ સહન કરો છો. તમે તમારા વિરોધીઓના આક્ષેપોનો જડબાતોડ, સણસણતો જવાબ આપો ને !’ મિત્રની વાતને ગંભીરતાથી લેવાને બદલે ચર્ચાને બીજે પાટે ચઢાવી દીધી. પરમ મિત્રને દુ:ખ થયું કે એમની આવી ગંભીર વાતની જુલિયસ સીઝરે સદંતર ઉપેક્ષા કરી. આ સમયે ખેપિયાએ આવીને જુલિયસ સીઝરને કાગળોનું એક બંડલ આપ્યું અને જુલિયસ સીઝરે એ ખોલ્યું તો એમના એક વિરોધીએ લખેલા ઘણા આક્ષેપભર્યા કાગળો હતા. આ કાગળોમાં સીઝરના એ વિરોધીએ આક્ષેપો કરવામાં પાછું વાળીને જોયું નહોતું. સીઝરનો મિત્ર તો આ કાગળો વાંચીને ગુસ્સાથી સળગી ઊઠ્યો. જ્યારે સીઝર થોડી વાર શાંત રહ્યા અને પછી એ કાગળો વાંચ્યા વિના જ એને સળગાવી નાખ્યા. આ જોઈને એમના મિત્રએ પૂછ્યું, ‘તમે શા માટે આ બધા કાગળો સળગાવી નાખ્યા. એ તો ઘણા કીમતી હતા. સમય આવ્યે એ વિરોધી પર પ્રહાર કરવા માટે ઉપયોગી બની શક્યા હોત.’ આ સાંભળીને જુલિયસ સીઝરે હસીને કહ્યું, ‘અરે દોસ્ત, મેં વિચાર કર્યા પછી જ આ કાગળો સળગાવ્યા છે. જ્યાં સુધી આ કાગળો મારી પાસે હોય, ત્યાં સુધી એને જોઈને હું મનોમન ક્રોધથી ધૂંધવાતો રહેત. મારે માટે ક્રોધને નષ્ટ કરવાનો સૌથી સરળ ઉપાય આ કાગળોને નષ્ટ કરવાનો હતો. આમ કરવાથી શત્રુતા આપોઆપ ખતમ થઈ જશે. વળી, એ કાગળો પાસે રાખીને તણાવપૂર્વક જીવવાનો શો અર્થ ?’ પેલા મિત્રએ ખોટી સલાહ આપવા માટે સીઝરની ક્ષમા માંગી.