Categories
વાચન સમૃદ્ધિ

મહારાણા પ્રતાપ

જ. 9 મે, 1540 અ. 29 જાન્યુઆરી, 1597

મેવાડના શૂરવીર રાજવી અને મહાન દેશભક્ત રાજપૂત મહારાણા પ્રતાપ તેમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે ખ્યાતનામ છે. મેવાડના સિસોદિયા વંશના રાજાઓએ મુઘલ સમ્રાટો સામે નહીં નમવાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા અનેક કષ્ટો અને સંઘર્ષો વેઠ્યાં. અકબરે ફેબ્રુઆરી, 1568માં ચિતોડ પર આક્રમણ કરીને તે જીતી લીધું. તે સમયે રાણા ઉદયસિંહે કુંભલમેરમાં આશ્રય લીધો. તેમણે ઉદયપુર નામનું શહેર વસાવ્યું. રાણા ઉદયસિંહના અવસાન બાદ તેમના મોટા પુત્ર રાણા પ્રતાપને રાજગાદી મળી. (1 માર્ચ, 1572). રાણા પ્રતાપે મુઘલ સૈન્યનો સામનો કરવા લશ્કર એકત્રિત કરવા માંડ્યું. તેમણે રાજપૂતો અને ક્ષત્રિયો ઉપરાંત પઠાણો તથા ભીલોનો સાથ મેળવ્યો. તે સમયે તેઓ ગોગુન્દાથી રાજ્ય કરતા હતા. તેમણે સૈન્ય એકઠું કરી શસ્ત્રોથી સુસજ્જ કર્યું. અકબરે રાણા પ્રતાપને હરાવવા માટે સેનાપતિ માનસિંહના નેતૃત્વ હેઠળ મોટું લશ્કર મોકલ્યું. 21 જૂન, 1576ના રોજ પ્રતાપસિંહ અને માનસિંહના લશ્કરો વચ્ચે હલદીઘાટીના મેદાન પર ભીષણ યુદ્ધ થયું. પ્રતાપસિંહનો ચેતક નામનો અશ્વ ગંભીર રીતે ઘાયલ થયો, પરંતુ મૃત્યુ પામતાં પહેલાં આ વફાદાર અશ્વ ઝડપી ગતિથી પ્રતાપસિંહને યુદ્ધભૂમિથી દૂર સલામત સ્થળે લઈ ગયો અને સ્વામીનો જીવ બચાવ્યો. રાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ચિતોડ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું કે મારા વંશજો કોઈ પણ ભોગવિલાસથી દૂર રહીશું. વૃક્ષપાત્ર સિવાય કોઈ પણ ધાતુપાત્રમાં ભોજન કરીશું નહીં. ઘાસની શય્યા પર શયન કરીશું અને માથાના વાળ કપાવીશું નહીં. અકબરે રાણા પ્રતાપસિંહને પકડવા અનેક પ્રયાસો કર્યા. તેણે કુંભલગઢમાં આશ્રય લીધો. અકબર દ્વારા કુંભલગઢનો કિલ્લો જીતવા મોટું લાવલશ્કર મોકલવામાં આવ્યું, પરંતુ તે પહેલાં પ્રતાપસિંહ તે સ્થળ છોડી ચૂક્યા હતા. 1584 સુધીમાં પ્રતાપસિંહે મેવાડનો ઘણો પ્રદેશ પાછો મેળવ્યો હતો. તેમણે ચિતોડ અને માંડલગઢ સિવાયનું સમગ્ર મેવાડ પાછું મેળવી લીધું હતું. ભામાશા નામના વફાદાર સાથીએ તેમને નાણાકીય મદદ કરી. માતૃભૂમિની રક્ષા કાજે અણનમ અને અજેય રહેનાર તથા કઠિન પ્રતિજ્ઞાપાલન કરનાર આ દેશભક્ત, ભારતીય ઇતિહાસમાં અમર અને અજોડ છે.

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સેનગુપ્તા

જ. 8 મે, 1916 અ. 23 ઑગસ્ટ, 2017

પ્રસિદ્ધ ભારતીય સિનેમૅટોગ્રાફર રામાનંદ સેનગુપ્તાનો જન્મ 1916માં ઢાકામાં થયો હતો. 2016માં તેમણે જીવનની સદી પૂરી કરી હતી. તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ 1938માં થયો, જ્યારે તેઓ અરોરા ફિલ્મ કૉર્પોરેશન કૉલકાતામાં ઍપ્રેન્ટિસ તરીકે જોડાયા. ‘કુરુક્ષેત્ર’ ફિલ્મમાં તેમણે જી. કે. મહેતા સાથે સહાયક મદદનીશ તરીકે કામ કર્યું. અર્ધેન્દુ મુખરજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘પૂર્વારાગ’માં તેમણે સ્વતંત્ર રીતે સિનેમૅટોગ્રાફર તરીકે કાર્ય કર્યું. તેમણે લગભગ 70થી વધુ ફિલ્મોમાં એક કુશળ સિનેમૅટોગ્રાફર તરીકે સેવાઓ આપી હતી. તેમણે વિખ્યાત ફ્રેન્ચ દિગ્દર્શક જીન રેનોઇર (Jean Renior) 1951માં તેમની ફિલ્મ ‘ધ રિવર’ માટે કૉલકાતામાં શૂટિંગ કરવા આવ્યા હતા ત્યારે રામાનંદે તેમની સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રિત્વિક ઘટક, મૃણાલ સેન જેવા શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું હતું. 2007માં ઉત્સવ મુખરજી દ્વારા સેનગુપ્તા ઉપર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘અન્ડર એક્સપોઝ્ડ’ બનાવવામાં આવી હતી. સિદ્ધાર્થ મૈતીએ તેમના ઉપર એક પુસ્તક પણ લખ્યું હતું અને તેમણે પણ ડૉક્યુમેન્ટરી ‘ફ્રેમિંગ લાઇટ અગેન્સ્ટ ધ શેડોઝ’ બનાવી હતી. મોટા ભાગે તેઓ બંગાળી ચલચિત્રો સાથે જ સંકળાયેલા હતા. સિનેમૅટોગ્રાફર તરીકે તેમની જાણીતી ફિલ્મોમાં ‘ડાકઘર’, ‘બિન્દુર છેલે’, ‘બંધુ’, ‘પર્સનલ આસિસ્ટન્ટ’, ‘નાગરિક’, ‘મેઘ’, ‘હેડ માસ્ટર’, ‘શિલ્પી’, ‘રાત ભોરે’, ‘ધ રિવર’ વગેરેનો સમાવેશ થાય છે. 101 વર્ષની વયે કૉલકાતામાં તેમનું નિધન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

રવીન્દ્રનાથ ટાગોર

જ. 7 મે, 1861 અ. 7 ઑગસ્ટ, 1941

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજસુધારક, ચિત્રકાર અને સંગીત રચયિતા. જ્યારે 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો ત્યારે આ નોબેલ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. મૂળ અટક ઠાકુર. જન્મ કૉલકાતામાં જોડાસાંકાની ઠાકુરવાડીમાં. સાતમે વર્ષે બ્રિટિશ પરંપરાની નૉર્મલ સ્કૂલમાં ભણવા મૂક્યા પણ ત્યાં ફાવ્યું નહિ તેથી ઘેર રહીને જ અભ્યાસ કર્યો. 1878માં મોટા ભાઈ સત્યેન્દ્રનાથ સાથે ઇંગ્લૅન્ડ ભણવા ગયા, પણ 17 મહિના બાદ કોઈ ડિગ્રી મેળવ્યા વગર જ ભારત પાછા આવ્યા. જોકે ત્યાં તેમણે ‘ભગ્નહૃદય’ નામે ગીતિનાટ્ય લખવાનું શરૂ કરેલું. ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા બાદ એક આધ્યાત્મિક અનુભવ થવાને પરિણામે ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’ કવિતા રચી. 1910માં ઈશ્વરને અર્ઘ્ય રૂપે ‘ગીતાંજલિ’ની રચના કરી. તેમણે બંગભંગઆંદોલનમાં સક્રિય ભાગ લીધો, પણ રાજકારણ અનુકૂળ ન આવતાં પાછા શાંતિનિકેતનમાં શિક્ષણ અને સાહિત્યની સાધનામાં લાગી ગયા. તેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમનાં લખાણનાં બે ગીતો બાંગ્લાદેશ અને ભારતના રાષ્ટ્રગાન અનુક્રમે ‘અમાર સોનાર બાંગલા’ અને ‘જન ગણ મન’ સૌ માટે જીવનભરનાં સંભારણાં સમાં બની રહ્યાં. નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત ‘ગીતાંજલિ’નો અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પૅનિશમાં અનુવાદ થયો. 1914માં બ્રિટિશ સરકારે ટાગોરને ‘સર’નો ઇલકાબ આપી નવાજ્યા પણ 1919માં જલિયાંવાલા હત્યાકાંડથી વ્યગ્ર થયેલા તેમણે તે ઇલકાબ પાછો મોકલ્યો. 1921માં ડિસેમ્બરની 23મી તારીખે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી અને બીજે વર્ષે શ્રીનિકેતનની શરૂઆત કરી. 1940માં 7મી ઑગસ્ટે ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટાગોરને ‘ડૉક્ટરેટ’ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરી. જીવનના આખરી દિવસોમાં ‘છેલે બૅલા’નામે પુસ્તકમાં કવિએ બચપણની સ્મૃતિઓ આલેખી છે. ટાગોરે ટૂંકી વાર્તાઓ, કિશોરવાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને ગીતિનાટ્યની રચના કરી છે. તેમણે 49 જેટલા કાવ્યસંગ્રહોમાં હજાર જેટલાં કાવ્યો અને બે હજાર જેટલાં ગીતો કવિએ આપ્યા છે.