જ. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૫ અ. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૩

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ બહાદુરીનાં દર્શન કરાવનાર લાન્સ નાયક કરમસિંહનો જન્મ પંજાબના સેહના ગામમાં શીખ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકોની પરાક્રમગાથા સાંભળી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો. ગામમાં શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે જાપાનીઓ સામેની લડાઈમાં તેમને પગમાં ગોળી વાગી છતાં લડત ચાલુ રાખી. એમની નીડરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ બ્રિટિશ તાજ દ્વારા લશ્કરી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને લાન્સ નાયકના પદ પર બઢતી આપવામાં આવી હતી. ૧૩ ઑક્ટોબર, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને તિથવાલના મોરચા પર બ્રિગ્રેડ તૈનાત કરી અને સૈનિકોનું એક જૂથ રિછમાર ગલી મોકલ્યું. સવારે છ વાગ્યે આક્રમણ થયું ત્યારે આગળની હરોળની ખાઈમાં કરમસિંહ સહિત ચાર સૈનિકો જ હતા. તેમ છતાંય તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો. ઉપરાઉપરી હુમલા થતા રહ્યા. કરમસિંહ સાથેના જવાનો ઘાયલ થવાથી બીજી હરોળની ખાઈમાં જવું અનિવાર્ય થયું. ૧૦ વાગ્યે ફરી હુમલો થતાં કરમસિંહ ખાઈ છોડીને બહાર આવ્યા અને ગ્રૅનેડનો મારો ચલાવ્યો. બીજી બાજુ ચોકીનો એક સૈનિક ઘવાયેલા સાથી સૈનિકોને ધીરે ધીરે પાછળની હરોળની ખાઈમાં લઈ ગયો. કરમસિંહ બીજી હરોળમાં પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી નીતરતા હતા. રિછમાર ગલીમાં પાકિસ્તાની બ્રિગ્રેડ સામે આપણા ૪૭ જવાનોએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. ભારતનો વિજય થયો. કરમસિંહે સમયસૂચકતા વાપરી ઘવાયેલા સાથીઓને બચાવ્યા અને પોતે ઘાયલ હોવા છતાં સૌને પ્રોત્સાહિત કરી પોતે પણ લડતા રહ્યા. કરમસિંહના અજોડ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૯૫૦માં તેમને પરમવીરચક્રથી સન્માનિત કર્યા. પરમવીરચક્રથી સન્માનિત થનાર તેઓ પ્રથમ જીવિત સૈનિક હતા. સ્વતંત્રતા પછી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાંના તેઓ એક હતા.
અનિલ રાવલ