Categories
વાચન સમૃદ્ધિ

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન

જ. 15 માર્ચ, 1977 અ. 28 નવેમ્બર, 2008

2008ના મુંબઈના આતંકી હુમલા દરમિયાન ફક્ત 31 વર્ષે શહીદ થનારા ભારતીય સેનાના અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન બૅંગાલુરુમાં રહેતા મલયાલી નાયર પરિવારમાંથી હતા, જ્યાં તેઓ કેરળના કોઝિકોડથી સ્થળાંતરિત થયા હતા. તેઓ નિવૃત્ત ઇસરો અધિકારી કે. ઉન્નીકૃષ્ણન અને ધનલક્ષ્મી ઉન્નીકૃષ્ણના એકમાત્ર પુત્ર હતા. મેજરે બૅંગાલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1995માં વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયા હતા. તેઓ બાળપણથી જ સશસ્ત્ર દળોમાં જોડાવા માગતા હતા. મેજર સંદીપ 1995માં મહારાષ્ટ્રના પુણેમાં નૅશનલ ડિફેન્સ અકાદમીમાં જોડાયા. તેઓ ઑસ્કાર સ્ક્વોડ્રનના ભાગ હતા અને 94માં કોર્સ એનડીએના સ્નાતક હતા. તેમણે બેચલર ઑવ્ આર્ટસની ડિગ્રી મેળવી હતી. ભારતીય લશ્કરી અકાદમી (આઇએમએ) દેહરાદૂનમાંથી તેઓ સ્નાતક થયા અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મેળવ્યું. 12 જૂન, 2003ના રોજ તેમને કૅપ્ટન તરીકે નોંધપાત્ર બઢતી મળી. ‘ઘાતક કોર્સ’ દરમિયાન તેમણે બે વખત ‘ઇન્સ્ટ્રક્ટર’ ગ્રેડિંગ અને પ્રશંસાપત્ર મેળવ્યું. તેમને ગુલમર્ગની હાઈ અલ્ટિટ્યૂડ વૉરફેર સ્કૂલમાં પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા પછી જાન્યુઆરી 2007માં તેમને એનએસજીના 51મા સ્પેશિયલ ઍક્શન ગ્રૂપના તાલીમ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એનએસજીનાં વિવિધ ઑપરેશન્સમાં પણ ભાગ લીધો હતો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને 27 નવેમ્બર, 2008ના રોજ હોટલ તાજમહેલ મુંબઈમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલ કમાન્ડો ઑપરેશનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે 14 બંધકોને બચાવ્યા હતા. ઑપરેશન દરમિયાન તેમની ટીમ તીવ્ર પ્રતિકૂળ ગોળીબારમાં આવી હતી, જેમાં તેમની ટીમના એક સભ્યને ગંભીર ઈજા થઈ હતી. મેજર સંદીપે આતંકવાદીઓને કચડી નાખ્યા અને ઘાયલ કમાન્ડોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ પ્રક્રિયામાં તેમના જમણા હાથમાં ગોળી વાગી હતી. ઈજાઓ હોવા છતાં તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી આતંકવાદીઓ સામે લડતા રહ્યા. તેમણે ઉચ્ચ કક્ષાના નેતૃત્વ ઉપરાંત ખૂબ જ નોંધપાત્ર બહાદુરી દર્શાવી રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. 26 જાન્યુઆરી, 2009ના રોજ તેમને મરણોત્તર અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીના પ્રવેશદ્વાર પર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની પ્રતિમા છે. બૅંગાલુરુ વ્હાઇટફિલ્ડ ખાતે એક આર્મી હાઉસિંગ કૉમ્પ્લેક્સનું નામ ‘સંદીપ વિહાર’ છે.

Categories
વાચન સમૃદ્ધિ

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ  કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ હેન્રી પર્કિન

જ. 12 માર્ચ, 1838 અ. 14 જુલાઈ, 1907

બ્રિટિશ રસાયણવિદ વિલિયમ હેન્રી પર્કિનનો જન્મ લંડનમાં થયો હતો. 15 વર્ષની વયે તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી’માં રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક તરીકે કાર્યરત બન્યા અને તેમણે ઘરે સંશોધનો કરવાનું શરૂ કર્યું. પ્રો. હૉફમૅનની પ્રેરણાથી તેમણે કિવનાઇનના સંશ્લેષણની શક્યતા અંગે પ્રયોગો કરવાનું શરૂ કર્યું. 1856ના ઈસ્ટર વૅકેશન દરમિયાન તેમણે એનીલીનના ઉપચયન દ્વારા ક્વિનાઇન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ પ્રયોગ દરમિયાન તેમણે નોંધ્યું કે કાળા રંગની ઉપનયન નીપજ સાથે જાંબલી રંગનો એક પદાર્થ પણ બને છે. આ પદાર્થને મોવે (Mauve) નામ આપવામાં આવ્યું જે પાછળથી એનીલીન પર્પલ કે ટીરીઅન પર્પલ તરીકે ઓળખ પામ્યો. મોવે રેશમને રંગવામાં વપરાય છે. 18 વર્ષની વયે પર્કિને પોતાના પિતાની મદદ લઈને મોવેના ઉત્પાદનની ફૅક્ટરી સ્થાપી. આ ફૅક્ટરીમાં તેમણે કોર-ટાર આધારિત બીજા ઘણા રંગકો (dyes) બનાવ્યા. ખૂબ ઓછાં સાધનો સાથે તેમણે આ રંગકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માંડ્યું. આ દરમિયાન પણ તેમનો અભ્યાસ ચાલુ હતો. 1860 સુધીમાં તેમણે ગ્લાયસીન (એમિનોઍસિડ) તથા ટાર્ટરિક ઍસિડનું સંશ્લેષણ કર્યું. મોવે ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં તથા પોસ્ટેજ-સ્ટૅમ્પના છાપકામમાં વપરાતો થયો. તે પછી પર્કિને મજન્ટા અને એલિઝરીન રંગકો પણ બનાવ્યા. પાછળથી તેમણે રંગ બનાવવાનું છોડી દીધું અને માત્ર સંશોધનકાર્યમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1867માં તેમણે ઍરોમૅટિક ઍસિડ મેળવવાની એક સામાન્ય રીત શોધી અને વિકસાવી જે પર્કિન-પ્રક્રિયા તરીકે ઓળખાઈ. તેમના ત્રણે દીકરાઓ પણ પ્રખ્યાત કાર્બનિક રસાયણવિદો હતા. પર્કિનને તેમના જીવનકાળ દરમિયાન અનેક સન્માનો પ્રાપ્ત થયાં : 1866માં રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી પામ્યા. 1879માં રૉયલ મેડલ અને 1889માં ડેવી મેડલ એનાયત થયા. 1906માં મોવેની શોધની 50મી વર્ષગાંઠે તેમને ‘સર’ની ઉપાધિથી સન્માનવામાં આવ્યા.