Categories
વાચન સમૃદ્ધિ

ફ્લૉરેન્સ નાઇટિંગેલ

જ. ૧૨ મે, ૧૮૨૦ અ. ૧૩ ઑગસ્ટ, ૧૯૧૦

આધુનિક નર્સિંગના સ્થાપક અને સમાજ સુધારક ફ્લૉરેન્સ નાઇટિંગેલનો જન્મ ઇટાલીના ફ્લૉરેન્સ શહેરમાં થયો હતો. ફ્લૉરેન્સનો જન્મ એવા સમયે થયો જ્યારે નર્સો અને સૈનિકોને સમાજમાં આદરની દૃષ્ટિએ જોવામાં આવતાં નહોતાં. પિતા વિલયમ એડવર્ડ એક સમૃદ્ધ જમીનદાર હતા. ફ્લૉરેન્સે પોતાના પરિવારની સામે નર્સિંગ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી, પહેલાં તો એમના પિતાએ સખત વિરોધ નોંધાવ્યો, પણ છેવટે એમની વાત માની લીધી અને જર્મનીની પ્રોટેસ્ટંટ ડેકોનેસિસ સંસ્થામાં ફ્લૉરેન્સે નર્સિંગની તાલીમ લીધી. ૧૮૫૩માં તેમણે લંડનની મહિલાઓ માટેની એક હૉસ્પિટલ, ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કેયર ઑફ સિંક જેન્ટલવુમન’ શરૂ કર્યું, જ્યાં તેમણે દર્દીઓની સંભાળ માટે ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરી અને નર્સોની કાર્યકારી પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો. ઈ. સ. ૧૮૫૪માં બ્રિટિશ સરકાર દ્વારા ફ્લૉરેન્સની આગેવાની હેઠળ ઑક્ટોબર ૧૮૫૪માં ૩૮ નર્સોની ટીમ ઘાયલ સૈનિકોની સેવા માટે તુર્કી મોકલવામાં આવી હતી. એમની સખત મહેનત અને સારસંભાળને કારણે યુદ્ધમાં ઘાયલોની સંખ્યા ઓછી થઈ. યુદ્ધ દરમિયાન ફ્લૉરેન્સ રાતદિવસ ઘાયલ સૈનિકોની સંભાળ લેતાં રહ્યાં અને તેમના હાથમાં દીવો હતો તેથી તે ‘લેડી વિથ ધ લૅમ્પ’ તરીકે જાણીતાં થયાં. ભારતમાં પણ એમનું વિશેષ યોગદાન છે. ઈ. સ. ૧૮૬૦માં તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યાં અને તેજ વર્ષે તેમણે નર્સો માટે ‘નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ’ પણ ખોલી અને ‘નોટ્સ ઑન નર્સિંગ’ નામનું પુસ્તક પણ લખ્યું. દર્દીઓની અને ગરીબોની સેવા કરતી વખતે તેઓ પોતે બીમાર થઈ ગયાં હતાં, પરંતુ તેમણે પીછેહઠ કરી ન હતી. તેમણે નર્સોને યોગ્ય રીતે તાલીમ આપવાની પરંપરા શરૂ કરી અને નર્સિંગના કાર્યને સન્માનજનક વ્યવસાયમાં બદલી નાખ્યું. ફ્લૉરેન્સ નાઇટિંગેલને બ્રિટન સરકારે 1907માં તેના સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ મેરિટ’થી નવાજ્યાં હતાં. આ સન્માન મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં. નર્સિંગ ક્ષેત્રે ઉમદા સેવા માટે તેઓના નામથી આંતરરાષ્ટ્રીય સ્તરે નર્સો માટે ‘ફ્લૉરેન્સ નાઇટિંગેલ મેડલ’ પણ આપવામાં આવે છે. આ મેડલને નર્સિંગ ક્ષેત્રમાં અપાતો સૌથી પ્રતિષ્ઠિત મેડલ માનવામાં આવે છે. ભારતમાં આજે પણ ‘પરિવાર અને કલ્યાણ મંત્રાલય’ દ્વારા ૧૯૭૩થી ‘રાષ્ટ્રીય ફ્લૉરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર’ આપવામાં આવે છે. નર્સિંગ અને સેવાના ક્ષેત્રમાં ફ્લૉરેન્સના યોગદાનને આજે પણ દુનિયા યાદ કરે છે અને તેમનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

જ. ૧૧ મે, ૧૮૯૫ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૬

આંધ્રપ્રદેશના મદનાપલ્લીમાં જન્મેલા વીસમી સદીના મહાન તત્વચિંતક, પ્રવચનકાર અને લેખક જે. કૃષ્ણમૂર્તિનું ચિંતન કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં બંધિયાર નહોતું, પરંતુ એમણે હંમેશાં ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપીને વિશ્વપરિપ્રેક્ષ્યમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. અક્ષરજ્ઞાન વિનાનો માણસ અજ્ઞાની નથી, પરંતુ જે પોતાની જાતને ઓળખતો નથી એ અજ્ઞાની છે એમ તેઓ કહેતા હતા.

‘સ્વ’ની સમજ એટલે શિક્ષણ અને એમણે સમજાવ્યું કે, ‘માનવસમસ્યાઓ’નાં મૂળમાં અહમ્ છે અને તેનો ઉકેલ ‘પસંદગી વગરનાં નિરીક્ષણ વડે અહમનું વિસર્જન કરવામાં આવે.’ સિત્તેર જેટલાં પુસ્તકોમાં એમનાં ભાષણો, સંવાદ, પત્ર અને રોજનીશીનો સમાવેશ થાય છે. થિયૉસૉફિકલ સોસાયટીના વડા એની બેસન્ટના સહાયક લેડબિટરને જિદ્દુમાં ઈસુ અને બુદ્ધની કક્ષાના અસાધારણ તત્ત્વનું દર્શન થયું હતું, પરંતુ ૧૯૨૫ની ૧૩મી નવેમ્બરના રોજ એમના ભાઈ નિત્યાનંદનું મૃત્યુ થતાં માનવવિષાદ અને માનવયાતનાની ઉત્કટ અનુભૂતિથી જિદ્દુ કૃષ્ણમૂર્તિના જીવનમાં પરિવર્તન થયું. એમને તરુણાવસ્થામાં વિશ્વભરમાં પથરાયેલી થિયૉસૉફિકલ સંસ્થાઓમાંની એક ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ’નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું હતું, તેનું એમણે ૧૯૨૯ની ૩જી ઑગસ્ટે જાતે જ વિસર્જન કરી દીધું. એથીયે વિશેષ સંઘ, સંસ્થા, ગુરુ, મંત્ર, જાપ, વિધિ, વિચારસરણી કે સંપ્રદાય સત્યનાં દુશ્મન હોવાની ઘોષણા કરી અને પોતે જગદગુરુ બનવા માગતા નથી એવી જાહેરાત કરી. વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ મેળવે તે માટે એમણે ઋષિવેલી-આંધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવુડ પાર્ક જેવાં સ્થળે તેમના વિચારોને કાર્યાન્વિત કરતી શાળાઓનું નિર્માણ કર્યું. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધરાવતા આ આંતરરાષ્ટ્રીય વિચારકે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને વિશ્વપ્રવાસ કર્યો અને સાદી, સરળ અંગ્રેજી ભાષામાં એમણે આપેલાં પ્રવચન અને પરિચર્યાઓનાં ધ્વનિમુદ્રણ પરથી ગ્રંથોનું સર્જન કર્યું. ગુજરાતી ભાષામાં પણ એમના ગ્રંથો પ્રાપ્ય છે. કૅલિફૉર્નિયામાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવ

જ. ૩૦ એપ્રિલ, ૧૯૧૦ અ. ૧૫ જૂન, ૧૯૮૩

તેલુગુ કવિ, ગીતકાર અને ફિલ્મી પટકથાલેખક શ્રીરંગમ્ શ્રીનિવાસ રાવનો જન્મ વિશાખાપટ્ટનમમાં થયો હતો. પિતા પુડીપેદ્દી વેંકટરામનૈયા અને માતા અટપ્પાકોંડા, પરંતુ તેમને શ્રીરંગમ્ સૂર્યનારાયણ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. તેઓ શ્રી શ્રીના નામે જાણીતા છે. તેમનું શાળેય શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું. ૧૯૩૧માં મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા. પછી વિઝાગની એસ.વી.એસ. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. ૧૯૩૮માં ‘દૈનિક આંધ્રપ્રભા’માં સબ-એડિટર બન્યા. બાદમાં દિલ્હી આકાશવાણી અને દૈનિક આંધ્રવાણીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું. તેઓ પેન ઇન્ડિયા, સાહિત્ય અકાદમીના સભ્ય, આંધ્રના ક્રાંતિકારી લેખક સંગઠન, આંધ્રપ્રદેશ નાગરિક સ્વતંત્રતા સમિતિ અને પ્રગતિશીલ લેખક સંગઠનના પ્રમુખ તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મ લેખક ઍસોસિયેશનના ઉપપ્રમુખ હતા. તેમણે સાત વર્ષની ઉંમરે લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ૧૯૨૮માં ‘પ્રભાવ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો હતો. તેમણે પરંપરાગત શૈલીથી ભિન્ન કાવ્યલેખન કર્યું. તેમણે સામાન્ય માણસના રોજિંદા જીવનને અસર કરતા મુદ્દાઓને કવિતામાં પ્રતિબિંબિત કર્યા. તેમણે જુન્નારકરની ‘નીરા ઔર નંદા’(૧૯૪૬)નું તેલુગુ સંસ્કરણ ‘આહુતિ’ (૧૯૫૦) સાથે તેલુગુ સિનેમામાં પ્રવેશ કર્યો. તેમણે ઘણી તેલુગુ ફિલ્મો માટે પટકથાઓ અને ગીતો લખ્યાં. તેમણે કન્નડ ફિલ્મ ‘કન્યાદાનમ્’ માટે એક જ દિવસમાં ૧૨ ગીતો લખ્યાં હતાં, જે એક રેકૉર્ડ છે. તેમને શ્રેષ્ઠ ગીતકાર માટે ૧૯૭૪નો રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર, નંદી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રાજા-લક્ષ્મી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.