Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણવીર દીક્ષિત

જ. ૧૨ જુલાઈ, ૧૯૧૫ અ. ૧૩ એપ્રિલ, ૧૯૯૯

સંપાદક, વિવેચક અને પત્રકાર તરીકે જાણીતા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ સૂરતમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનારાયણ અને માતાનું નામ સૂર્યવદનગૌરી હતું. તેઓ ‘કૃ. દી.’ અને ‘પરંતપ’થી જાણીતા હતા. તેમણે સૂરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. તે પહેલાં તેઓએ સૂરત સુધરાઈનાં વિવિધ ખાતાંઓમાં કામગીરી કરેલી. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન સૂરતમાં શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળમાં શિક્ષક રહ્યા. ત્યારબાદ ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તસંપાદક તરીકે કાર્ય કર્યું. માટુંગાની વિમેન્સ કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે સાતેક વર્ષ પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. તેમણે ૧૯૪૮થી ‘જન્મભૂમિ’માં સમાચારસંપાદક અને સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું અને સાથે સાથે ૧૯૫૪થી સૂરતથી નીકળતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ‘અક્ષરની આરાધના’ કૉલમનું મૃત્યુપર્યંત સંપાદન કર્યું. પુસ્તકોનાં અવલોકનો અને વૃત્તાંતનિવેદનની અપૂર્વ કામગીરી કરી. તેમની પાસેથી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત ‘સ્વામી આનંદ’ની પુસ્તિકા મળે છે. ‘જ્યાં જ્યાં નજર પડે મારી’ તથા ‘હીરાને પત્રો’નું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત કૃષ્ણવીર દીક્ષિતે ‘આહલાદ’, ‘કથાદીપ, ‘પરિચય પુસ્તિકાનાં પચીસ વર્ષ’, ‘ભાવન’, ‘રંગવિહાર’, ‘લહર’, ‘સંપ્રાપ્તિ’, ‘સંસ્પર્શ’ જેવાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

વાડીલાલ મોતીલાલ શાહ

જ. ૧૧ જુલાઈ, ૧૮૭૮ અ. ૨૧ નવેમ્બર, ૧૯૩૧

ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધલેખક. એમનું વતન અમદાવાદ જિલ્લાનું વિશલપુર ગામ. પ્રાથમિક શિક્ષણ વિરમગામમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા ટ્યૂશન પણ તેઓ કરતા હતા. કૉલેજના અભ્યાસ દરમિયાન મુનિશ્રી છગનલાલજી સ્વામીના સંપર્કમાં આવ્યા. બાળપણથી જ પિતાએ ધાર્મિક સંસ્કાર આપેલા. જૈન સમાજમાં જાગૃતિ લાવવા માટે એમણે એક માસિકપત્ર શરૂ કરવાનું વિચાર્યું. તેઓ જે લખતા તેમાં વિષયવૈવિધ્ય એટલું હતું કે એમણે ત્રીસથી પણ વધારે ઉપનામો રાખેલાં. થોડાંક ઉપનામો જોઈએ – ‘કૈવલ્ય’, ‘અનેકાન્તવાદી’, ‘ભમતો ભૂત’, ‘વનિતાનો વકીલ’, ‘શાહ’ વગેરે. તેમના રસના વિષયો વેદાંત અને જૈનદર્શનના રહ્યા હતા. તત્ત્વજ્ઞાની શોપનહોઅર અને નિત્શેથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. એમણે સાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમના સાહિત્યમાંથી પસાર થતાં કોઈ સાધકનું સર્જન હોય તેમ લાગે. તેમનાં લખાણો અભ્યાસીઓને ઉપયોગી થાય તેવાં છે. તેમણે જૈન ધર્મના વાડા ભૂલીને જૈન વિદ્યાર્થીગૃહની સ્થાપના કરેલી. તેમણે નવલકથાઓ આપી છે તેમાં મુખ્યત્વે ધર્મતત્ત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. જેમાં ‘નમીરાજ’ (૧૯૦૬), ‘સુદર્શન’ ભાગ-૧ (૧૯૦૮) અને ‘મૃત્યુના મોંમાં અથવા અમૃતલાલનું અઠવાડિયું’ (૧૯૨૧) ઉલ્લેખનીય છે. તેમણે લખેલી ધર્મકથાઓમાં ‘સતી દમયંતી’ (૧૯૦૨), ‘ઋષિદત્તા આખ્યાયિકા’ (૧૯૦૪) અને ‘મસ્તવિલાસ’ (૧૯૨૫). ‘શ્રી મહાવીર’ (૧૯૦૮) શીર્ષક સૂચવે છે તેમ ચરિત્રનો ગ્રંથ છે. એમણે થોડાં સંપાદનો પણ કર્યાં છે. ‘મહાત્મા કબીરનાં આધુનિક પદો’ ભાગ-૧, ‘ધર્મસિંહ બાવની’, ‘જૈન સમાચાર ગદ્યાવલિ’ ખંડ ૧-૮ અને ખંડ ૯-૧૦. વાડીલાલનાં અન્ય નોંધપાત્ર પુસ્તકોમાં ‘પોલિટિકલ ગીત અથવા ધી ફિલૉસૉફી ઑફ લાઇફ’, ‘આર્યધર્મ’, ‘પ્રાયશ્ચિત્ત’ અને જૈન ધર્મના સ્તોત્ર વિશે, ભગવાન મહાવીર વિશે, પર્યુષણ પર્વ વિશે અનેક પુસ્તકો એમની પાસેથી મળે છે.  ‘જૈન હિતેચ્છુ’ માસિક અને ‘જૈન સમાચાર’ સાપ્તાહિકના તંત્રીપદે પણ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ચિંતનગદ્યના જનક’ તરીકે બિરદાવ્યા છે. બળવંતરાય ઠાકોરે વિલક્ષણ ગદ્યકાર અને મૂર્ધન્ય વિવેચક ગણાવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

તિમિર બરન ભટ્ટાચાર્ય

જ. ૧૦ જુલાઈ, ૧૯૦૪ અ. ૨૯ માર્ચ, ૧૯૮૭

ભારતના શાસ્ત્રીય સંગીતકાર, સરોદવાદક, બંગાળી-હિન્દી સિનેમાના સંગીતનિર્દેશક તેમજ ભારતીય સિમ્ફની ઑરકેસ્ટ્રાના પિતા. તિમિર બરનને પિતા જ્ઞાનેન્દ્ર ભટ્ટાચાર્ય પાસેથી સંગીત વારસામાં મળ્યું. કિશોરવયે ગુરુ રાજેન્દ્રનાથ પાસે હાર્મોનિયમ તથા સિતારની તાલીમ મેળવી. ત્યારબાદ મૈહર જઈને બાબા અલ્લાઉદ્દીન ખાનસાહેબ પાસે તેમજ ક્રમશ: ઉસ્તાદ અમિરખાનસાહેબ પાસે વિશેષ સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ૧૯૧૩માં ન્યૂ થિયેટર્સ, કૉલકાતા સાથે સંગીતનિર્દેશન માટે જોડાયા. રવીન્દ્ર ભારતીય યુનિવર્સિટી સાથે પણ શિક્ષક તરીકે ઘણાં વર્ષો કાર્ય કર્યું. ૧૯૩૦માં નૃત્યકાર ઉદયશંકરનાં સર્જનોમાં સંગીતનિર્દેશક તરીકે જોડાઈને વિશ્વભરમાં કાર્યક્રમો આપ્યા. ૧૯૩૬માં કે. એલ. સાયગલઅભિનીત દેવદાસમાં સંગીતનિર્દેશન માટે તેઓ ખૂબ પ્રખ્યાત થયા. એ પછી ‘બંધન’, ‘ફૂટપાથ’, ‘અધિકાર’, ‘સંપત્તિ’, ‘દીપક’, ‘લક્ષ્મી’, ‘સુહાગન’, ‘કુમકુમ’, ‘રાજનર્તકી’ જેવી અનેક હિન્દી તેમજ બંગાળી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું. રવીન્દ્રસંગીતમાં પણ બરનનું ઘણું મોટું યોગદાન રહ્યું. ભારતમાં સિમ્ફની ઑરકેસ્ટ્રાની શરૂઆત કરી અને સિમ્ફની ઑરકેસ્ટ્રાના પિતા કહેવાયા. કે. એલ. સાયગલ, ગીતા દત્ત, તલદ મહેમૂદ જેવાં અનેક ગાયકોએ એમના સંગીતનિર્દેશનમાં કંઠ આપ્યો હતો. એમણે સંગીતબદ્ધ કરેલું વંદે માતરમનું કોરસ સિંગાપોર આકાશવાણી પરથી પણ પ્રસારણ પામ્યું હતું. એમની પત્નીનું નામ મોનિકા દેવી હતું. પુત્ર ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય ઉત્તમ સિતારવાદક હતા. બરનને સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘રોશન હૈ તેરે દમસે’, ‘પિયાબિન નહિ આવત ચૈન’, ‘બદલા હુઆ ઝમાના’, ‘મનકી મૈના બોલ રહી’, ‘બાલમ આયે બસો મેરે મનમેં’ વગેરે જેવાં અનેક ગીતો તે સમયે ખૂબ પ્રચલિત બન્યાં હતાં. ૧૯૭૯માં એમનું અંતિમ આલબમનું વિમોચન થયું. ૮૩ વર્ષની વયે એમનું અવસાન થયું.