Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક કરમિંસહ

જ. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૫ અ. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૩

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ બહાદુરીનાં દર્શન કરાવનાર લાન્સ નાયક કરમસિંહનો જન્મ પંજાબના સેહના ગામમાં શીખ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકોની પરાક્રમગાથા સાંભળી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો. ગામમાં શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે જાપાનીઓ સામેની લડાઈમાં તેમને પગમાં ગોળી વાગી છતાં લડત ચાલુ રાખી. એમની નીડરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ બ્રિટિશ તાજ દ્વારા લશ્કરી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને લાન્સ નાયકના પદ પર બઢતી આપવામાં આવી હતી. ૧૩ ઑક્ટોબર, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને તિથવાલના મોરચા પર બ્રિગ્રેડ તૈનાત કરી અને સૈનિકોનું એક જૂથ રિછમાર ગલી મોકલ્યું. સવારે છ વાગ્યે આક્રમણ થયું ત્યારે આગળની હરોળની ખાઈમાં કરમસિંહ સહિત ચાર સૈનિકો જ હતા. તેમ છતાંય તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો. ઉપરાઉપરી હુમલા થતા રહ્યા. કરમસિંહ સાથેના જવાનો ઘાયલ થવાથી બીજી હરોળની ખાઈમાં જવું અનિવાર્ય થયું. ૧૦ વાગ્યે ફરી હુમલો થતાં કરમસિંહ ખાઈ છોડીને બહાર આવ્યા અને ગ્રૅનેડનો મારો ચલાવ્યો. બીજી બાજુ ચોકીનો એક સૈનિક ઘવાયેલા સાથી સૈનિકોને ધીરે ધીરે પાછળની હરોળની ખાઈમાં લઈ ગયો. કરમસિંહ બીજી હરોળમાં પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી નીતરતા હતા. રિછમાર ગલીમાં પાકિસ્તાની બ્રિગ્રેડ સામે આપણા ૪૭ જવાનોએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. ભારતનો વિજય થયો. કરમસિંહે સમયસૂચકતા વાપરી ઘવાયેલા સાથીઓને બચાવ્યા અને પોતે ઘાયલ હોવા છતાં સૌને પ્રોત્સાહિત કરી પોતે પણ લડતા રહ્યા. કરમસિંહના અજોડ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૯૫૦માં તેમને પરમવીરચક્રથી સન્માનિત કર્યા. પરમવીરચક્રથી સન્માનિત થનાર તેઓ પ્રથમ જીવિત સૈનિક હતા. સ્વતંત્રતા પછી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાંના તેઓ એક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રામ જેઠમલાની

જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા.  તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’,  ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર રામાસ્વામી પરમેશ્વરન

જ. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૭

‘પેરી સાબ’ના હુલામણા નામે જાણીતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કે. એસ. રામાસ્વામી અને માતા જાનકી. તેમણે ૧૯૬૩માં સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી (SIES) હાઈસ્કૂલમાંથી શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૬૮માં SIES કૉલેજમાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. પછી તેઓ ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં જોડાયા અને ૧૯૭૨માં પાસ થયા. ૧૫મી મહાર રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૮ વર્ષ સેવા આપી. તેઓ ૧૯૭૪માં લેફ્ટનન્ટ, ૧૯૭૯માં કૅપ્ટન અને ૧૯૮૪માં મેજર બન્યા. શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ માટે આઠમી મહાર બટાલિયનમાં તેમને શ્રીલંકા મોકલવામાં આવ્યા. ૨૪ નવેમ્બર, ૧૯૮૭ના રોજ રામાસ્વામીને બાતમી મળી કે કંતારોદાઈ ગામના ધર્મલિંગમને ત્યાં હથિયારો આવવાનાં છે. તેમણે કૅપ્ટન ડી. આર. શર્માને દસ જવાનો સાથે મોકલ્યા. રસ્તામાં મંદિર પાસે પહોંચતાં જ ટુકડી પર ગોળીબાર શરૂ થયો. આગળ વધવાનું શક્ય ન બનતાં રામાસ્વામી વીસ જવાનો સાથે કંતારોદાઈ પહોંચ્યા. ધર્મલિંગમના ઘરમાંથી કશું ન મળ્યું. પાછા ફરતી વખતે તમિળ ટાઇગર્સે તેમના પર હુમલો કર્યો. પોતાના સૈનિકોને બચાવવા તેમણે દસ સૈનિકોને સાથે લઈ દુશ્મનોને ઘેરવાની યોજના બનાવી. પોતાની સલામતીની ચિંતા કર્યા વગર તેઓ પેટથી ઘસડાઈને નાળિયેરીના બગીચા તરફ આગળ વધ્યા. એક ગોળી તેમના ડાબા કાંડા પર વાગી. તેમનો ડાબો હાથ લગભગ કપાઈ ગયો. તેમણે જમણા હાથથી ગોળીબાર ચાલુ રાખ્યો. તેમણે એક તમિળ ટાઇગરની રાઇફલ છીનવી તેને ગોળી મારી અને લડવાનું ચાલુ રાખ્યું. એ વખતે હેવી મોટર ગનની ગોળીઓ તેમની છાતીમાં વાગી. તેઓ સાથીદારોને દોરવણી આપતાં આપતાં વીરગતિ પામ્યા. બહાદુરી અને નિષ્ઠાપૂર્વક પોતાના સાથીદારોની જિંદગી બચાવવાના કાર્ય બદલ ભારત સરકારે લશ્કરના સર્વોચ્ચ સન્માન પરમવીરચક્ર(મરણોત્તર)થી તેમને નવાજ્યા. આર્મી વેલ્ફેર હાઉસિંગ ઑર્ગેનાઇઝેશન(AWHO)એ ૧૯૯૮માં તેમની યાદમાં ચેન્નાઈમાં આર્કોટ રોડ પરથી એક વસાહતનું નામ AWHO પરમેશ્વરન વિહાર રાખ્યું છે.