Categories
વાચન સમૃદ્ધિ

ડહેલિયા

વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ ૩,૦૦૦ બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. ખૂબ જ સુંદર આકારનાં લગભગ બધા રંગનાં (એક ભૂરા રંગ સિવાય) પુષ્પવિન્યાસથી શોભતો મોસમી પુષ્પોનો આ છોડ ઉદ્યાનની શોભા અનેરી રીતે વધારી મૂકે છે, ૩૦–૪૦ સેમી.થી એકાદ મીટર ઊંચા થાય તેવા છોડવાળી જાતો બજારમાં પ્રાપ્ય છે. પુષ્પના કદ અને પાંખડીઓની રચનાને આધારે તેની જુદી જુદી જાતો આવે છે; દા.ત., સિંગલ જાત, ડબલ જાત (પાંદડીઓ કમળની માફક ભરાવદાર અને પુષ્પ ૧૦ –૧૫ સેમી. વ્યાસવાળાં), કૅક્ટસ ડહેલિયા (પાંખડીઓ ઉપર પ્રમાણે પણ લગભગ ઊભી), રિફ્લેક્સ ડહેલિયા (પાંખડીઓ બહિર્વલિત), પૉમ્પોન ડહેલિયા (પાંખડીઓ ડબલ, સજ્જડ અને પુષ્પ પ્રમાણમાં નાનાં અને લગભગ ગોળ), ડહેલિયાની વામન જાત અને ઊંચી જાત – એમ પણ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે માટે ઑગસ્ટથી તે ઑક્ટોબર સુધીમાં રોપવામાં આવે છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં પુષ્પનિર્માણ થાય છે. તે ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે. રેતાળ અને ગોરાડુ (sandy loam) પણ ફળદ્રૂપ જમીન, સૂર્યનો તડકો અને સીધા પવનથી પૂરતું રક્ષણ તથા પૂરતા પ્રમાણમાં પાણી એ ડહેલિયાની જરૂરિયાત છે.

ડહેલિયાની જુદી જુદી જાતો

વંશવૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે : (૧) બીજથી. આ પદ્ધતિથી ઇચ્છિત જાત મળતી નથી. (૨) ગુચ્છેદાર સાકંદ મૂળને છૂટાં કરીને તથા (૩) કંદમાંથી ઊગેલા છોડમાંથી શરૂ શરૂમાં કટિંગ કરી લેવાથી દુર્લભ જાતો અધિરોપણ (grafting) દ્વારા તૈયાર કરી શકાય છે. પ્રદર્શન માટે એક છોડ ઉપર એક કે બે પુષ્પ રાખી તેની ખૂબ દરકાર લેવામાં આવે છે. ઉદ્યાન માટે છૂટથી પુષ્પ ખીલવા દેવામાં આવે છે. ક્યારેક છોડ લચી પડે છે. આમ ન બને તે માટે શરૂ શરૂમાં ટોચનું કૃન્તન (pruning) કરવામાં આવે છે, જેથી બાજુમાં શાખાઓ વધારે ફૂટે છે. પુષ્પનિર્માણ બાદ છોડને સુકાવા દેવામાં આવે છે અને એના સાકંદ મૂળને કાઢીને રેતીમાં ઠંડકવાળી જગ્યાએ બીજી મોસમ સુધી સાચવી રાખવામાં આવે છે. ગુજરાતમાં આ રીતે સાચવવામાં ઘણી મુશ્કેલી પડે છે એટલે મોટે ભાગે બહારથી જ છોડ મંગાવવામાં આવે છે. ડહેલિયાનાં સાકંદ મૂળ લિવ્યુલોઝના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાકંદ મૂળના શુષ્ક વજનના ૬૨% ઇન્યુલિન ધરાવે છે, જેના જલવિભાજનથી લિવ્યુલોઝ ઉત્પન્ન થાય છે. સાકંદ મૂળ લગભગ ૮૩.૩% પાણી, ૦.૭૪ % નાઇટ્રોજનયુક્ત પદાર્થો, ૧૦.૩૩% ઇન્યુલિન અને ૧.૨૭% અપચાયક (reducing) શર્કરાઓ ધરાવે છે. તેમાં ફાઇટિન, આર્જિનિન, એસ્પરજિન, હિસ્ટીડિન, ટ્રાઇગોનેલિન અને વેનિલિન વગેરે રાસાયણિક પદાર્થોની હાજરી માલૂમ પડી છે. પુષ્પનો રંગ ફ્લેવૉન અને ઍન્થોસાયનિન નામનાં દ્રાવ્યરંજક દ્રવ્યોને આભારી છે. જુદી જુદી જાતોમાંથી મળી આવેલાં રંજક દ્રવ્યોમાં એપીજેનિન, લ્યુટિયોલિન, ડાયોસ્મિન અને ફ્રેગેસિનનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સોમનાથ

હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થધામ. ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાં તે પ્રથમ હોવાથી તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. તે પ્રભાસપાટણ તરીકે પણ જાણીતું છે. અહીં શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હોવાથી તે દેહોત્સર્ગ કે ભાલકા તીર્થ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ અહીંના શૈવમંદિર –સોમનાથના મંદિરને લીધે વધુ જાણીતું છે. મંદિરમાંનું લિંગ સ્વયંભૂ હોવાનું મનાય છે. પૌરાણિક કથા પ્રમાણે સોમે (ચંદ્રે) આ મંદિર બંધાવ્યું હોવાથી તે ‘સોમનાથ’ તરીકે પ્રસિદ્ધ થયું. તીર્થસ્થાન હોવા ઉપરાંત પ્રાચીન કાળમાં તે સમૃદ્ધ બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાતનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે તેનો બહોળો વેપાર ચાલતો હતો. સોમનાથના મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો હતો. મૂળમાં એ મંદિર મૈત્રકકાળ (ઈ. સ. ૪૭૦–૭૮૮) દરમિયાન હયાત હોવાનું જણાય છે. સોલંકી રાજ્યના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ભીમદેવ પહેલાએ નવેસરથી આ મંદિર બંધાવ્યું હતું. ઈ. સ. ૧૦૨૬માં મહમૂદ ગઝનવીએ તેને ખંડિત કર્યું તેથી ભીમદેવે તેની મરામત કરાવી. રાજા કુમારપાલે ઈ. સ. ૧૧૬૯માં તેનું નવનિર્માણ કર્યું. ઈ. સ. ૧૨૯૯માં સુલતાન અલ્લાઉદ્દીન ખલજીના સરદાર ઉલૂઘખાને તે તોડ્યું. તે પછી જૂનાગઢના રાજા મહિપાલે તેનો પુનરુદ્ધાર કરેલો. તેના પુત્ર ખેંગારે ૧૩૨૫–૧૩૫૧ દરમિયાન તેમાં શિવલિંગની સ્થાપના કરેલી. ૧૪૬૯માં મહમ્મદ બેગડાએ મંદિરના સ્થાને મસ્જિદ બંધાવી. ૧૭૮૩માં ઇંદોરનાં રાણી અહલ્યાબાઈ હોલકરે જૂના મંદિરથી થોડે દૂર ફરી નવું મંદિર બંધાવ્યું. શિવલિંગની સ્થાપના ભોંયરામાં કરી અને ઉપરના ભાગે મંદિર બાંધવામાં આવ્યું.

સોમનાથ મંદિર, સોમનાથ

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, જામનગરના જામસાહેબ આદિ અગ્રણીઓએ ફરી એક વાર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. ૧૯૫૧–૧૯૬૧ દરમિયાન તેનું બાંધકામ પૂર્ણ થતાં તેને ‘કૈલાસ મહામેરુપ્રાસાદ’ નામ આપવામાં આવ્યું. ૧૧ મે, ૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને હસ્તે અહીં જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. તાજેતરમાં સોમનાથ મંદિરના ગર્ભગૃહને સોનાના પતરાથી મઢવામાં આવ્યું છે. અહીં અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ થાય છે. ભાવિકો ત્રિવેણીસંગમના સ્થાને સ્નાન કરી મહાદેવની પૂજા કરે છે. વળી આ સંગમના સ્થળે ચૈત્ર અને ભાદરવામાં લોકો પિતૃશ્રાદ્ધ કરે છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે અહીં ત્રિપુરાન્તક મેળો ભરાય છે. મંદિરથી થોડેક દૂર શ્રીકૃષ્ણના દેહોત્સર્ગનું સ્થાનક આવેલું છે, તે ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અહીં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદવલ્લભાચાર્યની બેઠક પણ આવેલી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ડલાસ

યુ.એસ.ના ટૅક્સાસ રાજ્યમાં આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી નગર તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : ૩૨° ૪૬´ ઉ. અ. અને ૯૬° ૪૭´ પ. રે.. ટૅક્સાસ રાજ્યની ઈશાનમાં આવેલું આ નગર ડલાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. મેક્સિકોના અખાતથી આશરે ૪૦૦ કિમી. અંતરે આવેલું આ શહેર સમુદ્રસપાટીથી ૧૩૨–૨૧૬ મી. ઊંચાઈ પર વસેલું છે. યુ.એસ.નાં મોટાં નગરોમાં તેની ગણના થાય છે. તેનો કુલ વિસ્તાર ૧૪૦૭ ચોકિમી. અને મહાનગર સાથે ૯૨૮૭ ચોકિમી. છે. શહેરની વસ્તી ૧૩,૨૬,૦૦૦ (૨૦૨૪, આશરે), અર્બન વસ્તી ૫૭,૩૨,૦૦૦ (૨૦૨૪, આશરે) અને મહાનગરની વસ્તી ૭૬,૩૭,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. કુલ વસ્તીમાં ૨૫%થી ૩૦% અશ્વેત પ્રજા છે. ટ્રિનિટી નદી તેને બે ભાગમાં વહેંચી નાખે છે. જાન્યુઆરી માસમાં તેનું સરેરાશ તાપમાન ૮° સે. તથા જુલાઈ માસમાં ૨૯° સે. હોય છે. નગરનો સરેરાશ વાર્ષિક વરસાદ ૮૮૦ મિમી. છે.

ટૅક્સાસ રાજ્યનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર ડલાસ નગર

અમેરિકાનું તે ખૂબ ઝડપથી વિકસતું ઔદ્યોગિક નગર છે. ત્યાં આશરે ૪૦૦૦ નાનામોટા ઔદ્યોગિક એકમો છે. ત્યાંના મુખ્ય ઉદ્યોગોમાં વીજળીનાં ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક્સ, પ્રક્ષેપાસ્ત્રોના છૂટા ભાગ, હવાઈ જહાજ તથા સ્ત્રીઓના પોશાકનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત યંત્રો, ખાદ્યપ્રક્રમણ, છાપકામ તથા પ્રકાશનને લગતા એકમો નોંધપાત્ર છે. તેની આસપાસ કપાસનું ઉત્પાદન મોટા પાયા પર થતું હોવાથી વિશ્વનાં મહત્ત્વનાં કપાસ-બજારોમાં આ નગરની ગણના થાય છે. નગરની આસપાસના ૮૦૦ કિમી. વિસ્તારમાં યુ.એસ.ના ખનિજતેલનો આશરે ૭૫% હિસ્સો કેન્દ્રિત થયેલો હોવાથી તેને લગતી ઘણી કંપનીઓનાં  અને ઘણી વીમાકંપનીઓનાં મુખ્ય કાર્યાલયો તથા મોટી બૅંકો ત્યાં આવેલાં છે. ટૅક્સાસ રાજ્યનું તે મહત્ત્વનું શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. ત્યાં બિશપ કૉલેજ (૧૮૮૧), બેલર સ્કૂલ ઑવ્ ડેન્ટિસ્ટ્રી (૧૯૦૫), સધર્ન મેથૉડિસ્ટ યુનિવર્સિટી (૧૯૧૧), યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસ, હેલ્થ સાયન્સ સેન્ટર (૧૯૪૩) તથા યુનિવર્સિટી ઑવ્ ડલાસ (૧૯૫૫) જેવી શિક્ષણ-સંસ્થાઓ જુદી જુદી વિદ્યાશાખાનું શિક્ષણ આપે છે. નગરમાં ઘણાં વસ્તુસંગ્રહાલયો, નાટ્યગૃહો, ઑપેરા-કેન્દ્રો, પાશ્ચાત્ય સંગીતની સંસ્થાઓ, ઉદ્યાનો વગેરે છે. ફૂટબૉલ, બેઝબૉલ તથા  બાસ્કેટબૉલની રમતો માટે આ નગર જાણીતું છે. આ રમતોના ઘણા રમતવીરોનું  તે આશ્રયસ્થાન રહ્યું છે. ત્યાંનું ફૂટવર્થ વિમાનમથક દેશનાં અત્યંત પ્રવૃત્તિશીલ ગણાતાં મથકોમાંનું એક ગણાય છે. યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હૉન એફ. કૅનેડી(૧૯૬૧-૬૩)ની આ નગરમાં જ હત્યા થઈ હતી. ઇતિહાસ : જ્હૉન નીલી બ્રાયન નામના એક વકીલે ૧૮૪૧માં આ નગરની સ્થાપના કરી હતી. ૧૮૪૬માં ત્યાં વસવાટ શરૂ થયો. ૧૮૪૬માં ગામને નગર(town)નો દરજ્જો તથા ૧૮૭૧માં શહેરનો દરજ્જો પ્રાપ્ત થયો. ૧૮૬૫માં ફ્રાન્સમાંથી સ્થળાંતર કરી ત્યાં આવેલા ઘણા વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો, કવિઓ અને સંગીતકારોએ આ નગરમાં કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું અને ત્યારથી ધીમે ધીમે કલા અને સંસ્કૃતિના એક કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયો છે. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧-૬૫) દરમિયાન તે સંઘીય લશ્કરનું પુરવઠાકેન્દ્ર હતું. ઓગણીસમી સદીના આઠમા દશકા દરમિયાન ત્યાં રેલવે આવતાં ત્યારપછીના ગાળામાં દેશના એક ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે તેનો ઝડપથી વિકાસ થયો છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮