Categories
વાચન સમૃદ્ધિ

સૂરત

અમદાવાદ પછી ગુજરાતનું સૌથી મોટું શહેર. તે ૨૧° ૧૨´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે. પર વસેલું છે. ‘સૂરત’ નામ સૂર્ય પરથી, ‘રાંદેર’નું નામ સૂર્યપત્ની રાંદલ પરથી, ‘તાપી’ નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી અને ‘અશ્વિનીકુમાર’ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વિનીકુમાર પરથી પડ્યું છે; એટલે કોઈ સૂર્યપૂજક જાતિ અહીં રહેતી હશે એવું માની શકાય. સૂરત ક્યારે વસ્યું એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીને કાંઠે પ્રાચીન કાળથી તે વસેલું છે. મૂળ સૂરત તો દરિયામહેલ, ફુરજા, શાહપોર, સોદાગરવાડ, નાણાવટ વગેરે વિસ્તારો પૂરતું મર્યાદિત હતું; પરંતુ ઈસુની ૧૫મી સદીના અંતમાં અથવા ૧૬મી સદીની શરૂઆતમાં મલિક ગોપી નામના હિંદુ અમીર અને અધિકારીએ ગોપીપુરા વસાવી તથા ગોપીતળાવ અને રાણીતળાવ બંધાવી તેનો વિકાસ કર્યો. ભૂતકાળમાં સૂરત ‘સોનાની મૂરત’ તરીકે જાણીતું હતું.

સૂરતના ડાયમંડ-બજારમાં તૈયાર થતા હીરા

આઝાદીની ચળવળમાં પણ સૂરતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ૧૯૦૭માં કૉંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન અહીં યોજાયું હતું. પાટીદાર આશ્રમ અને અનાવિલ આશ્રમ સૂરતની સ્વાતંત્ર્ય-ચળવળનાં બે મુખ્ય કેન્દ્રો હતાં : ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. તેઓ ઘણી વખત સૂરત આવ્યા હતા. સૂરતના નોંધપાત્ર રાજકીય નેતાઓમાં કલ્યાણજી મહેતા, દયાળજી દેસાઈ, કનૈયાલાલ દેસાઈ, હિતેન્દ્રભાઈ દેસાઈ, ગોરધનદાસ ચોખાવાલા વગેરેને ગણાવી શકાય. ગુજરાતમાં સમાજ-સુધારાની ચળવળની શરૂઆત પણ સૂરતથી થઈ હતી. ૧૮૭૩માં ગુજરાતી ભાષાનો પહેલો કોશ નર્મદે આપ્યો. સુધારાયુગના અગ્રણી સાહિત્યકાર નર્મદનું મૂળસ્થાન સૂરત હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં સૂરત શહેરની વસ્તી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. સૂરત શહેરની વસ્તી ૬૩,૪૫,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. તેનો વિસ્તાર આશરે ૩૨૭ ચોકિમી. જેટલો છે. સૂરતની આબોહવા સમધાત રહે છે. ઉનાળા અને ચોમાસાની ૠતુ ભેજવાળી રહે છે. શિયાળો સમધાત હોય છે. ચોમાસામાં વરસાદ પડે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૫૦૦થી ૨૦૦૦ મિમી. જેટલો પડે છે. તાપી અહીંની મુખ્ય નદી છે. વર્તમાનમાં સૂરત ‘હીરાની નગરી’ (ડાયમન્ડ સિટી) તરીકે પ્રસિદ્ધ છે. અહીં આર્ટ સિલ્ક, કાપડ, જરી અને હીરાના ઉદ્યોગો વિકસ્યા છે. હજીરા નજીક મોટાં કારખાનાંઓ આવેલાં છે. સૂરતમાં ભૌતિક સગવડ-સુધારા પણ દાખલ થયા છે. ટ્રાફિકને સરળ બનાવવા કેટલાક ફ્લાય ઓવરબ્રિજ બન્યા છે. તે ઉપરાંત અહીં નહેરુપુલ, સરદારપુલ, વિવેકાનંદપુલ આવેલા છે. રંગઉપવન, ગાંધી સ્મૃતિ ભવન, સરદાર સ્મૃતિ ભવન તથા ઇનડૉર સ્ટેડિયમમાં નાટકો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય તથા સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય પણ જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સૂરત, પૃ. ૩૧)

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રૅમ્પ (પરિવહન)

બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે દરિયાઈ મુસાફરીને લાયક સુસજ્જ જહાજ આવી પહોંચશે તેવી ખાતરી જહાજમાલિક આપે છે અને સામે પક્ષે ઠરાવેલી સંખ્યાના દિવસમાં માલજહાજમાં એક બંદરેથી ચડાવવામાં તથા બીજા બંદરે ઉતારવામાં અને તેમાં કસૂર થાય તો વિલંબ-શુલ્ક (demurrage) ભરવામાં આવશે તેવી કબૂલાત જહાજ ભાડે રાખનાર આપે છે. સમય કરારપદ્ધતિમાં નિર્દિષ્ટ સમય માટે જહાજ ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરાર કરતાં સમય કરારપદ્ધતિ વધારે પ્રચલિત છે અને તેલવાહક જહાજ (tanker) અને અતિકાય તેલવાહક જહાજ (very large crude carriers – VLCC)ની બાબતમાં તો તે સર્વસામાન્ય છે. ટ્રૅમ્પને ભાડે મેળવી આપવાનું કામ જહાજી આડતિયા કે દલાલ કરતા હોય છે.

અતિકાય તેલવાહક જહાજ

ટ્રૅમ્પથી વિરુદ્ધ પ્રકારના જહાજને નિયમિત સેવા-જહાજ (liner) કહે છે. તે વર્ગીકૃત (scheduled) સમુદ્રમાર્ગ ઉપર આવતુંજતું હોય છે. સ્થાપિત થયેલા દરેક માર્ગ ઉપર ઘણી કંપનીઓનાં નિયમિત સેવા-જહાજ ફરતાં હોય છે અને તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight war) ન થાય તે હેતુથી જહાજમાલિકોની પરિષદ આવા દરેક સ્થાપિત માર્ગ ઉપરના પરિવહનનું નૂર નક્કી કરતી હોય છે. કપાસ, ઘઉં અને ખાંડ જેવા ઋતુ અનુસાર તૈયાર થતા કૃષિપાકોના વિપુલ જથ્થાને આખા વર્ષમાંથી ફક્ત ચોક્કસ સમયે પરિવહન કરવાના તથા ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાંથી ખનિજકોલસાને મોટા પાયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડમાં  પરિવહન કરવાના પ્રસંગ ઊભા થાય છે ત્યારે આવા અતિ વિશાળ કાર્યને નિયમિત સેવા-જહાજ પહોંચી વળી શકતાં નથી. તે સમયે ટ્રૅમ્પ પૂરક સેવા પૂરી પાડે છે. વિશ્વ વ્યાપારમાં ટ્રૅમ્પની જરૂરિયાત બહુ-આયામી (multi-dimensional) પ્રકારની હોવાથી નિયમિત સેવા-જહાજની આવકની સરખામણીમાં ટ્રૅમ્પની આવક તીવ્ર ચઢાવ-ઉતારવાળી હોય છે. તાજેતરમાં ટ્રૅમ્પની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે વધુ અને વધુ બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગૃહોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ રચનામાં પોતાની માલિકીનાં જહાજનો ઉપયોગ કરવાનું વલણ લેવા માંડ્યું છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સૂરજમુખી (સૂર્યમુખી)

દ્વિદળી વર્ગમાં આવેલો દિવસભર સૂર્યની સન્મુખ રહેતો પીળાં પુષ્પો ધરાવતો ઊંચો છોડ. સૂરજમુખી(સૂર્યમુખી)ની ૬૦થી વધારે જાતો થાય છે. કેટલીક એકવર્ષીય તો કેટલીક બહુવર્ષીય જાતો હોય છે. સૂર્યમુખીનો ઉદભવ ઉત્તર અમેરિકામાં થયો હતો. ત્યારબાદ તેના છોડને યુરોપમાં અને અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવ્યો. રશિયામાં સૂર્યમુખીની ખેતી સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સૂર્યમુખીનો છોડ ૧થી ૩ મીટર ઊંચો હોય છે. તેનું પ્રકાંડ રુવાંટીવાળું અને બરછટ હોય છે. તેનાં પાન સાદાં, એકાંતરિત, લાંબા દંડવાળાં અને અંડાકાર હોય છે. પાનની બંને બાજુએ રુવાંટી હોય છે. મુખ્ય પ્રકાંડ કે શાખાઓની ટોચ પર દેખાતું એક પીળા રંગનું પુષ્પ વાસ્તવમાં અનેક પુષ્પોનો સમૂહ હોય છે. તેને સ્તબક (પુષ્પનો ગુચ્છ) કહે છે. આ પુષ્પગુચ્છ ચપટો રકાબી આકારનો હોય છે. તેની બહારની સપાટીએ મોટાં, પીળાં, જીભ આકારનાં અને મધ્યમાં બદામી-જાંબલી નળી આકારનાં પુષ્પો હોય છે. બહારની સપાટીએ આવેલાં પુષ્પો કિરણપુષ્પકો અને મધ્યમાં આવેલાં પુષ્પોને બિંબપુષ્પકો કહે છે. દરેક પુષ્પકમાં એક બીજ અને દરેક સ્તબકમાં આશરે ૧૦૦૦ જેટલાં બીજ ઉત્પન્ન થાય છે. બીજ નળાકાર કે ઊંધું– અંડાકાર, દબાયેલું, સફેદ, કાળું કે ભૂખરી પટ્ટીવાળું હોય છે.

સૂર્યમુખીના સ્તબકની એક ખાસિયત છે. તે હંમેશાં સૂર્યની સન્મુખ રહે છે. દિવસભર સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે. તો તે પણ તે પ્રમાણે પોતાની સ્થિતિ બદલી હંમેશાં સૂર્યની સામે જ રહે છે. આ ખાસિયતને લીધે તેનું નામ ‘સૂર્યમુખી’ પડ્યું છે. તે ઘણો મધુર રસ (nectar) ધરાવે છે. તેમાંથી મધમાખી મધ બનાવે છે. સૂર્યમુખી પુષ્પો મધનો સારો સ્રોત ગણાય છે. સૂર્યમુખીનાં બીજમાં ૨૨-૩૬% જેટલું તેલ હોય છે. તેલ આછા બદામી રંગનું અને આનંદદાયી સુગંધવાળું હોય છે. શુદ્ધ કરેલું તેલ આછા પીળા રંગનું હોય છે, તેનું પોષણ-મૂલ્ય ઓલિવ તેલ જેટલું હોય છે. તેથી તેલ માટે સૂર્યમુખીની મોટા પાયે ખેતી થાય છે. તેનાં બીજને શેકી થોડુંક મીઠું નાખી મુખવાસની જેમ ખવાય છે. આ ઉપરાંત બીજનો પાંજરામાં રહેતાં પક્ષીઓના ખોરાક માટે ઉપયોગ થાય છે. તેના છોડ ઢોરને ખાવામાં ઉપયોગી છે. આથી ઢોરના ચારા માટે પણ સૂર્યમુખીની ખેતી થાય છે. સૂર્યમુખી જમીનમાંથી વિવિધ ખનિજદ્રવ્યો શોષી લે છે. આથી જમીનની ફળદ્રૂપતા જાળવવા માટે તેની સાથે ગવાર, ચણા કે તુવેર જેવા પાક લેવાય છે. સૂર્યમુખીના તેલનો ઉપયોગ રાંધવામાં, માર્ગરિન બનાવવામાં અને બેકરી-ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઊંજણ તરીકે, દીવો સળગાવવા તથા કાપડની બનાવટમાં થાય છે. તેનાં બીજ તથા પર્ણનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. સૂર્યમુખી અવાજ સુધારનાર; કફ, દમ, ઉધરસ, તાવ, ફોલ્લા, કોઢ અને પથરી જેવા રોગોમાં ઉપયોગી છે. તેના મૂળનો ઉકાળો દાંતને મજબૂત કરે છે અને દાંતનો દુખાવો મટાડે છે. તેનાં પાન ઊલટી કરાવનાર છે અને કમરની પીડાનો નાશ કરે છે. ભારતમાં સૂર્યમુખીનું વાવેતર મુંબઈ, મૈસૂર, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ તથા પંજાબના વિસ્તારોમાં થાય છે. ઉદ્યાનમાં શોભાના છોડ તરીકે પણ સૂર્યમુખીને ઉગાડવામાં આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી