Categories
વાચન સમૃદ્ધિ

સમુદ્રમંથન

દેવો અને દાનવોએ કરેલું ક્ષીરસાગરનું મંથન.

ભાગવત પુરાણની પ્રચલિત કથા અનુસાર એક વાર ફરવા નીકળેલા ઇન્દ્રને દુર્વાસા ૠષિ મળ્યા. ૠષિએ એક ફૂલમાળા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે માળા હાથીની સૂંઢ પર ફેંકી તો હાથીએ તેને પગ નીચે કચડી. દુર્વાસાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો. આ શાપના કારણે દેવતાઓ શ્રીહીન, દુર્બળ અને નિસ્તેજ થયા. અસુરોએ સ્વર્ગમાં તાંડવ મચાવી દીધું. અમરાવતી તેમનું ક્રીડાંગણ બની ગઈ. ભયભીત દેવોએ ભગવાન વિષ્ણુનું શરણું લીધું. વિષ્ણુએ અસુરો સાથે સંધિ કરી. બેઉને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય સૂચવ્યો. પરિણામે દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરું (મંથન માટેનું દોરડું) બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું; તે સમયે દેવોએ નાગના પૂંછડાનો અને દાનવોએ મુખનો ભાગ પકડેલો.

સમુદ્રમંથન

મંથન વખતે નિરાધાર મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો તો વિષ્ણુએ કાચબાનો અવતાર (કચ્છપાવતાર) લઈ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો. ઘણા દિવસો સુધી સમુદ્રને વલોવ્યા બાદ તેમાંથી કાલકૂટ અથવા હળાહળ વિષ નીકળ્યું; જે જગતના રક્ષણાર્થે મહાદેવે પી લીધું. (વિષ તેમણે કંઠમાં જ રોકી રાખ્યું, તેથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો ને તેથી તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.) તે પછી કામધેનુ ગાય, ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્રવા ઘોડો, રંભા આદિ અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી (મદિરા), (પાંચજન્ય) શંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, પારિજાતક વૃક્ષ અને લક્ષ્મીજી નીકળ્યાં. છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈ ધન્વંતરિ પ્રગટ થયા. આ ચૌદ રત્નો કયા ક્રમે નીકળ્યાં તે વિશે અને જે રત્નો નીકળ્યાં તેમની બાબતમાં પણ મતભેદો છે. વળી કોઈ મત પ્રમાણે સારંગધનુષ પણ નીકળેલું. આ સંદર્ભે નીચેનો એક શ્લોક પણ પ્રચલિત છે :

‘लक्ष्मीः कौस्तुभपारिजातकसुराधन्वन्तरिश्चन्द्रमाः

गावः कामदुहा सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः ।

अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोडमृतं चाम्बुधेः ।

रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यात्सदा मङ्गलम् ।।’

આમાંથી કામધેનુ ગાય ૠષિઓએ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો બલિરાજાએ, ઐરાવત ઇંદ્રે, કૌસ્તુભમણિ વિષ્ણુએ, વારુણી અસુરોએ લીધાં. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં પત્ની બન્યાં. અમૃતકુંભમાંથી અમૃત પીવા માટે અસુરોએ પ્રયત્ન કર્યો અને દેવતાઓ નાસીપાસ થયા ત્યારે ભગવાને મોહિની-સ્વરૂપ લઈ અસુરોને મોહજાળમાં ભરમાવ્યા અને અમૃત દેવતાઓને પિવડાવ્યું. રાહુએ પણ દેવસ્વરૂપ લઈ અમૃત પીવાનો પ્રયત્ન કર્યો; પણ સૂર્ય અને ચંદ્રે તે અંગે ભગવાનને સાવધ કર્યા એટલે ભગવાને ચક્રથી તેનું મસ્તક કાપી નાંખ્યું. તેનું ધડ નીચે પડ્યું; પણ મસ્તક અમર થઈ ગયું ! બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યો.  ત્યારથી મનાય છે કે સૂર્યચંદ્ર પર વેર રાખી પર્વને દિવસે તે સૂર્ય અને ચંદ્રને ઘેરે છે. જુદાં જુદાં પુરાણોમાં આંશિક ભેદ સાથે સમુદ્રમંથનની આ કથા મળે છે. આમ સમુદ્રમંથનમાં દેશ, કાલ, હેતુ, કર્મ અને બુદ્ધિ દેવ અને દાનવોમાં સમાન હોવા છતાં ફળમાં ભેદ થયો. ભગવાનનો આશ્રય લેવાથી દેવોને તેના ફલસ્વરૂપ અમૃત મળ્યું જ્યારે દૈત્યોને એ મળ્યું નહીં.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શ્રદ્ધા ત્રિવેદી, શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જૂઈ (ચમેલી)

: દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે દીર્ઘરોમી હોય છે. તેનાં પર્ણો મોટે ભાગે સાદાં, અથવા કેટલીક વાર ત્રિપંજાકાર (trifoliate) હોય છે. નીચેની બે પર્ણિકાઓ નાની અથવા સૂક્ષ્મ કર્ણાકાર (auriculate) હોય છે અથવા તે ગેરહાજર હોય છે. પુષ્પો સફેદ, મીઠી સુવાસવાળાં, સંયુક્ત રોમિલ અક્ષ પર દ્વિશાખી (biparous) પરિચિત સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ ૫-૮ ઉપવલયી (elliptic) દલપત્રોનો બનેલો હોય છે. જૂઈનું વાવેતર સમગ્ર ભારતમાં થતું હોવા છતાં તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

જૂઈની પુષ્પ સહિતની શાખા

તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા નવેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવે છે. પુષ્પનિર્માણ ચોમાસામાં ઑગસ્ટની શરૂઆતમાં થાય છે. પુષ્પ નાનાં અને વજનમાં હલકાં (૨૬,૦૦૦ પુષ્પો/કિગ્રા.) હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ૯૧-૧૮૫ કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. જૂઈ કજ્જલી ફૂગ(sooty mould)થી સંવેદી છે. આ રોગ Meliola jasminicola દ્વારા થાય છે. જૂઈનાં પુષ્પોનો ઉપયોગ પૂજામાં અને ગજરા, વેણી કે હાર બનાવવામાં તથા સુગંધિત કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. તેના ઉત્પાદનની પદ્ધતિઓ જાઈમાં દર્શાવ્યા મુજબની છે. તેનું અત્તર ઘેરા લાલ રંગનું, સુગંધ તાજાં પુષ્પો જેવી તથા જૅસ્મિનમની બીજી જાતિઓ કરતાં વધારે આનંદદાયી હોય છે. તે ઍસ્ટર (બેન્ઝાઇલ એસિટેટ તરીકે), ૩૫.૭%, આલ્કોહૉલ (લિનેલૂલ તરીકે) ૪૩.૮૧%, ઇન્ડોલ ૨.૮૨% અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ૬.૧% ધરાવે છે. જૂઈ બે પ્રકારની થાય છે : સફેદ પુષ્પોવાળી (યૂથિકા) અને પીળાં પુષ્પોવાળી (હેમયૂથિકા). આ ઉપરાંત, શ્રીપદેજીએ નિઘંટુમાં નીલા રંગની (નીલયૂથિકા) અને મેચક રંગની (મેચક યૂથિકા) જૂઈ વર્ણવી છે. આયુર્વેદ અનુસાર જૂઈ કડવી, શીતળ, લઘુ, સ્વાદુ, તીખી, હૃદ્ય, મધુર, તૂટી અને સુગંધી હોય છે. તે વાયુ તથા કફ કરનારી અને પિત્ત, તૃષા, દાહ, ત્વગ્દોષ, મૂત્રાશ્મરી, દંતરોગ, વ્રણ, શિરોરોગ, સુખરોગ,  નવજ્વર અને વિષનો નાશ કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ પટેલ

Categories
વાચન સમૃદ્ધિ

સમુદ્ર

પૃથ્વીની સપાટી પર રહેલો ખારા પાણીનો વિશાળ રાશિ. ખારા પાણીનો આ વિસ્તાર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વી પર ૭૧% વિસ્તાર સમુદ્રો કે સાગરો તથા મહાસાગરોનો છે, બાકીનો ૨૯% જેટલો વિસ્તાર ભૂભાગવાળો – ભૂમિખંડોનો બનેલો છે. સમુદ્રોની ઉત્પત્તિ કેટલા સમય પહેલાં થઈ તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ગરમ ધગધગતા વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે અનેક વાયુઓ ઉત્પન્ન થયા. ધીમે ધીમે તેમાંની વરાળ ઠરીને વાદળ બંધાયાં. છેવટે મુશળધાર પડતા વરસાદથી પૃથ્વી પરના નાનામોટા ગર્ત ભરાતા ગયા. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતો રહ્યો અને સમુદ્રો બનતા રહ્યા. તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ, ગંધક (સલ્ફર), નાઇટ્રોજન અને બીજાં રસાયણો બળવાથી સમુદ્રોનું પાણી ક્ષારવાળું બન્યું. વળી જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોથી અને ખડકોનું ખવાણ થવાથી, વરસાદના પાણીથી સમુદ્રના જળનું સ્તર ઊંચું વધવા માંડ્યું.

મહાસાગરોના પેટાવિભાગોમાં સમુદ્ર, સામુદ્રધુની, અખાત, ઉપસાગર, ખાડી વગેરેનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર, જાપાન સમુદ્ર, બંગાળની ખાડી, ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે સમુદ્રના પેટાવિભાગોનાં નામ ભૌગોલિક પ્રદેશો પરથી પાડવામાં આવ્યાં છે. કેટલાક સમુદ્રોનાં નામ તેમના સંશોધકોના નામ પરથી પણ પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅફિન, વેન્ડેલ, બૅરેન્ટ્સ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તે પ્રશાંત મહાસાગર કહેવાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત રંગની લીલ હોવાને કારણે પાણી લાલ રંગનું દેખાય છે, તેથી તેને રાતો સમુદ્ર કહે છે. કેટલાક સમુદ્રમાં કાળા રંગની માટી ભળેલી હોવાથી કાળો સમુદ્ર કહેવાય છે. કેટલાકમાં પીળી માટી ભળેલી હોવાથી પીળો સમુદ્ર કહેવાય છે. સરગાસો તરીકે ઓળખાતો સમુદ્ર સરગાસમ નામની બદામી-હરિત લીલથી ભરેલો છે, જોકે સૂર્યની ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું વિખેરણ થતાં સામાન્ય રીતે સમુદ્રનાં પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની જળસપાટી પર પવનોની અસરથી મોજાં ઉદભવે છે. મોજાંની ગતિ ઝડપી હોય છે. આવાં મોજાં ઊછળે છે અને પાછાં નીચે પડે છે. સપાટીથી ઊંડાઈ તરફ જતાં મોજાંનું કદ ઘટતું જાય છે. સમુદ્ર-જળમાં મોટા પાયા પરની વધતી જતી જળ-સપાટીને ભરતી કહેવાય છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે ત્યારે પેદા થતા વિશેષ ગુરુત્વાકર્ષણ બળથી ભરતી ઉદભવતી હોય છે. આ ભરતીને મોટી ભરતી કહે છે. સામાન્ય રીતે ભરતી દર બાર કલાકે આવે છે. ભરતી-ઓટને લીધે સમુદ્રમાં પાણીની સપાટી વધે છે અને ઘટે છે. જેમ ધરતી પર ભૂકંપ થાય છે તેમ સમુદ્રમાં પણ ભૂકંપ થાય છે, પરંતુ સમુદ્રને તળિયે થતા ભૂકંપની અસર તો કોઈક જ વખત થાય છે અને તે પણ કાંઠા પર જ. સમુદ્રને તળિયે જ્યારે ભૂકંપ થાય ત્યારે તેના આઘાતથી પાણીમાં મોજાં ઉત્પન્ન થાય છે. મધદરિયે આ મોજાં ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ કાંઠા પાસે પહોંચતાં તે ઊંચકાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સમુદ્ર, પૃ. ૨૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ