Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ ડેરી

દૂધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનો કરતી આણંદ ખાતે આવેલી ડેરી. તેનું પૂરું નામ છે Anand Milk-Producers’ Union Ltd.. તે ઉપરથી AMUL – ‘અમૂલ’ નામ પડ્યું છે. તે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ડેરી છે. સમગ્ર એશિયામાં તેની નામના છે. આ સહકારી ડેરીની શરૂઆત ૧લી જૂન, ૧૯૪૮થી થઈ. ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના બાહોશ નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલે ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી છે. આજે તેની દૂધ સંઘરવા ને સાચવવાની તાકાત ૫૦ લાખ લિટર પર પહોંચી છે. અમૂલથી ૮ કિમી.ના અંતરે મોગર ખાતે ચૉકલેટ તથા બાલ-આહાર બનાવવાનું કારખાનું છે. ખાત્રજ ચોકડી પાસે ચીઝ બનાવવાનું અને કણજરી ખાતે અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી બની છે. અમૂલમાંથી પાશ્ચરીકરણ (જીવાણુમુક્ત) થયેલું દૂધ ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કૉલકાતા જેવાં શહેરોને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત પાઉડર, ઘી, ચીઝ, માખણ, કેસીન જેવી દૂધની પેદાશોનું નિયમિત ઉત્પાદન કરીને ભારતભરમાં ગ્રાહકો સુધી પહોંચાડાય છે. દૂધ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ બ્રેડ, ચૉકલેટ, મીઠાઈ તથા ફ્રોઝન ફરસાણ પણ મળે છે. વળી સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા અને તેમનાં ઉછેર, માવજત ને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટેની સેવા પણ અમૂલ બજાવે છે. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

થરાદ

બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે ૨૪°થી ૨૫° ઉ. અ. અને ૭૧° ૩´થી ૭૧° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. ૪૫માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. ૫૫માં થરાદ શહેર વસાવ્યું એવી અનુશ્રુતિ છે. ‘પ્રભાવકચરિત’માં તેનો ‘થારાપદ્ર’ તરીકે ઉલ્લેખ છે. નગર વસાવનાર થીરપાલના નામ ઉપરથી તે થીરપુર, થીરાડી, થીરપદ્ર તરીકે પણ ઓળખાતું હતું. વાવ સહિત આ તાલુકાનો પ્રદેશ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચોકિમી. છે. આ તાલુકાની વસ્તી અંદાજે 4,00,000 (2025, આશરે) જેટલી છે. થરાદની વસ્તી 39,000 (2025, આશરે) જેટલી છે.

થરાદનું માર્કેટ યાર્ડ

સમગ્ર તાલુકો સમતળ છે. સપાટી ઉપર ભાગ્યે જ ખડકો દેખાય છે. જમીન રેતીમિશ્રિત કાંપની છે. તેમાં સેન્દ્રિય તત્ત્વનો અભાવ છે. આ પ્રદેશ એકંદરે સૂકો છે તેથી અહીં બાવળ, કેરડો, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસ થાય છે. આ પ્રદેશમાં ઓછો વરસાદ હોવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે અને જમીનનો કસ સચવાઈ રહે છે તેથી ઘાસ પૌષ્ટિક હોય છે. વાવેતર નીચે ૧,૨૨,૨૫૦ હેક્ટર જમીન છે. અહીંની જમીનમાં બાજરી, જુવાર, ઘઉં, મગ, અડદ વગેરે અનાજ અને રાઈ, જીરું, તલ વગેરે અન્ય પાક થાય છે. શિયાળામાં જ્યાં કૂવાના પાણીની સગવડ હોય છે ત્યાં જ ઘઉં અને જીરું થાય છે. કૂવા અને પાતાળકૂવા દ્વારા ૧૨ %થી ૧૭ % જમીનને સિંચાઈનો લાભ મળે છે. દાંતીવાડા યોજનામાંથી નહેર દ્વારા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, થરાદ, પૃ. 113 અથવા જુઓ https://gujarativishwakosh.org/થરાદ/)

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતસર

પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, તાલુકામથક તથા જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : ૩૧° ૩૫´ ઉ. અ. અને ૭૪° ૫૩´ પૂ. રે.. તે ભારત-પાકિસ્તાનને જુદી પાડતી વાઘા સીમાથી ૫૦ કિમી.ને અંતરે છે. શહેરનું નામ ‘અમૃતસર’ અમૃત સરોવર પરથી પાડવામાં આવેલું છે. તે શીખોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ આપેલી જાગીર ઉપર ૧૫૭૭–૭૯માં આ શહેરની સ્થાપના કરી હતી. ગુરુ રામદાસનું અધૂરું કાર્ય પાંચમા ગુરુ અર્જુનદેવે પૂર્ણ કર્યું હતું. તેમણે અમૃત સરોવરની મધ્યમાં ભવ્ય હરિમંદિરનું નિર્માણ કરાવ્યું. ગુરુ ગ્રંથસાહિબનું સંકલન કરીને હરિમંદિરમાં તેની સ્થાપના કરી. ૧૮૦૩માં મહારાજા રણજિતસિંહે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. મંદિરનો નીચેનો અર્ધો ભાગ આરસજડિત કરાવ્યો અને ઉપરના તાંબાના પતરાના ઘુમ્મટને પણ સુવર્ણના પતરાથી મઢાવ્યો. આ કારણે આ મંદિર સુવર્ણમંદિર તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થયું. અમૃતસર જિલ્લાની વસ્તી ૨૮,૭૦,૦૦૦ (૨૦૨૫, આશરે) અને વિસ્તાર ૫૦૭૫ ચોકિમી. છે. જ્યારે શહેરની વસ્તી ૧૬,૫૫,૦૦૦ (૨૦૨૫, આશરે) લાખ જેટલી છે.

અમૃતસરનું સુવર્ણમંદિર

સુવર્ણમંદિર ઉપરાંત અહીં અકાલ તખ્ત, બાબા અટલરાયનો ટાવર અને દુર્ગિયાનું મંદિર જોવાલાયક છે. અમૃતસર આઝાદીની ચળવળ સાથે પણ જોડાયેલું છે. ૧૯૧૯માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે અહીં અંગ્રેજો દ્વારા થયેલા જલિયાંવાલા હત્યાકાંડના સ્થળે શહીદોની સ્મૃતિમાં એક સ્મારક તૈયાર કરાયેલું છે. આ શીખ યાત્રાધામ સમય જતાં વેપારધંધાનું કેન્દ્ર પણ બન્યું છે. અહીં ઊની તથા રેશમી કપડાં, ધાબળા, શાલ, સ્વેટર, ગાલીચા, શેતરંજીઓ તેમ જ વીજળીનાં સાધનો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. અહીંનો મુખ્ય પાક ઘઉં છે. ૧૮૯૩માં અહીં ખાલસા કૉલેજ સ્થપાઈ. શહેરમાં ગુરુ નાનક યુનિવર્સિટી, મેડિકલ કૉલેજ, આયુર્વેદિક કૉલેજ તથા માનસિક રોગોની હૉસ્પિટલ આવેલી છે. દર વર્ષે વસંતપંચમીએ અહીં મેળો ભરાય છે. દિવાળીમાં પશુમેળો યોજાય છે. અમૃતસર સંતશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું મુખ્ય મથક છે. વર્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગુરુદ્વારાની મુલાકાત લેતા રહેતા હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1