Categories
વાચન સમૃદ્ધિ

તુવાલુ

પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે. પહેલાં તે એલિસ ટાપુઓ નામથી ઓળખાતું હતું. આ ટાપુઓની શોધ 1764માં બ્રિટિશ નૌકાસૈન્યના કપ્તાન જ્હોન બાયરને કરી હતી. 1892માં આ ટાપુઓને બ્રિટન સાથે જોડવામાં આવ્યા અને 1915માં તે ‘ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ’ની બનેલી બ્રિટનની ક્રાઉન કૉલોનીના ભાગરૂપ બન્યા. 1974માં પોલિનેશિયન ટાપુઓના મૂળવતનીઓએ આ કૉલોનીમાંથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવાની માંગણી કરી, કારણ કે ગિલ્બર્ટ ટાપુમાં માઇક્રોનેશિયન પ્રજા વસવાટ કરતી હતી. 1976માં એલિસ ટાપુઓથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવામાં આવ્યો. 1975માં એલિસ ટાપુઓના જૂથને સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું અને તેનું નામ બદલીને ‘તુવાલુ’ રાખવામાં આવ્યું.

તુવાલુનું પાટનગર ફુનાફુટી

આજે તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક દેશ બન્યો છે. પૅસિફિક મહાસાગરનાં જળ ઉપર લગભગ 640 કિમી.ની લંબાઈમાં પથરાયેલા અને કુલ 26 ચોકિમી. ભૂમિવિસ્તારને આવરી લેતા નવ જેટલા પરવાળાના નાના નાના ટાપુઓ પૈકી ફુનાફુટી ટાપુ મુખ્ય છે. તેના પર આવેલા બંદર મારફત ત્યાંનો જળવ્યવહાર ચાલે છે. તે ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આમ છતાં દરિયાઈ અસરોને લીધે તેની આબોહવા થોડીક નરમ બનેલી છે. ટાપુઓ પરની રેતાળ અને ક્ષારવાળી જમીનો નારિયેળીનાં વૃક્ષોના ઉછેર માટે વધુ માફક આવે છે, જેથી તેમના પર નારિયેળીનાં વૃક્ષોનાં ઝુંડ છવાયેલાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં પૅન્ડાનસ નામનાં વૃક્ષો ઊગે છે. આ વૃક્ષનાં પાંદડાં લાંબાં અને કાંટાળાં હોય છે, તેમ જ તેને અનેનાસ જેવાં ફળ આવે છે. માત્ર 11,900(2021)ની વસ્તી ધરાવતા તુવાલુમાં સાક્ષરતાનું પ્રમાણ 96% જેટલું છે. અહીંના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, તેમ જ તુવાલુયન અને અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરે છે. આ દેશ કોપરાં અને પૅન્ડાનસની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મેળવે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હીરાઘસુ

કુદરતમાં મળી આવતા રુક્ષ હીરાઓને ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરીને – પહેલ પાડીને પાસાંઓવાળાં ચકચકિત સ્ફટિકમય રત્નોનું સ્વરૂપ આપનાર કારીગર. હીરા-ઉદ્યોગમાં ભારત વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિશ્વનું ૭૦ % હીરાનું વેચાણ ભારત કરે છે. ભારતમાં હીરાનું ઉત્પાદન તો ન જેવું છે, પરંતુ તે હીરાનો કાચો માલ બહારથી આયાત કરીને તૈયાર માલની નિકાસ કરે છે. આ ઉદ્યોગમાં ૧૦,૦૦૦થી વધુ કારખાનાંઓ અને ૧૦ લાખથી વધુ લોકો રોકાયેલા છે. હીરા કાપવા, ઘસવા અને ચમક આપવા માટેનાં મથકો સૂરત, નવસારી, પાલનપુર, ભાવનગર, મુંબઈ અને જયપુર ખાતે આવેલાં છે. હિન્દુસ્તાન ડાયમંડ કંપની તરફથી ગુજરાતમાં સૂરત નજીક સચિન, તમિળનાડુમાં તિરુચિ, રાજસ્થાનમાં જયપુર, યુ.પી.માં હલધાની અને બિહારમાં ગોવિંદપુર ખાતે ઔદ્યોગિક પાર્ક સ્થપાયા છે. રુક્ષ હીરામાંથી ૯૦ % સફાઈદાર હીરા ગુજરાતમાં તૈયાર થાય છે.

હીરા ઘસતા કારીગરો

ભારતમાં વારસાગત કલા તરીકે હીરાને પહેલ પાડવાની કલા વર્ષોથી ચાલતી આવી છે. પહેલાંના સમયમાં જ્યાં હીરાની ખાણો હતી ત્યાં, આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં તે કલા વિકાસ પામી હતી. આઠમી સદીથી ભારતમાં પહેલ પડાયેલા હીરા વેનિસ થઈને વિશ્વમાં બીજે વેચાવા જતા હતા. અઢારમી સદીના મધ્યભાગથી ભારતમાં હીરાના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે મંદી વરતાવા લાગી. હીરાને ઘાટ આપનાર કસબીઓ લગભગ બેકારીની સ્થિતિમાં મુકાઈ ગયા. આવી પરિસ્થિતિમાં આશરે ૧૦૦ વર્ષ પહેલાં સૂરતમાં વિદેશથી રુક્ષ હીરાની આયાત કરી તેમાં પહેલ પડાવી ફરીથી તેની નિકાસ કરવાનો ઉદ્યોગ ચાલુ થયો. શરૂઆતમાં આ કામ નાના પાયે થતું હતું. ૧૯૭૦ પછી, સૌરાષ્ટ્રમાં સતત દુકાળ પડતાં મોટી સંખ્યામાં યુવાનો હીરા-ઉદ્યોગમાં હીરાઘસુઓ તરીકે જોડાયા. આ હુન્નર દ્વારા વિદેશી હૂંડિયામણમાં કમાણીની તક જોઈને ભારત સરકારે આયાત-નિકાસના નિયમો હળવા બનાવ્યા. તેના પરનો જકાતવેરો નાબૂદ થયો. વિશ્વના અન્ય દેશોના મુકાબલે ભારતમાં હીરા ઘડનારા કુશળ કારીગરો સસ્તા દરે કામ કરે છે તેની જાણ થતાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું. ભારત સામાન્ય રીતે બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઇઝરાયલ, સંયુક્ત આરબ પ્રજાસત્તાક, સંયુક્ત આરબ અમીરાત, હૉંગકૉંગ અને અમેરિકાથી રુક્ષ હીરાની આયાત કરે છે; જ્યારે ઘડેલા હીરાની નિકાસ અમેરિકા, બેલ્જિયમ, હૉંગકૉંગ, સિંગાપોર, ઇઝરાયલ, જાપાન, થાઇલૅન્ડ વગેરે દેશોમાં કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હીરાઘસુ, પૃ. 180)

Categories
વાચન સમૃદ્ધિ

તુલસીશ્યામ

જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે ઉલ્લેખ છે. દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો. તેથી સ્થળના નામ સાથે તુલ દૈત્ય અને શ્યામ(કૃષ્ણ)નાં નામો સંકળાયેલાં છે. પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો. તેની પત્ની વૃંદા મહાસતી. તેના પ્રતાપે તેને ત્રણે લોકમાં કોઈ જીતી શકતું ન હતું. દેવો પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેઓ વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો. જાલંધર બહારથી ઘરે આવતાં વિષ્ણુનું છળ પકડાઈ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો. વૃંદાને પસ્તાવો થયો અને તે ચિતામાં બળી મરી. ચિતાના એ સ્થળે એક છોડ ઊગ્યો, તે તુલસીનો છોડ હતો. વિષ્ણુ ભગવાનને પણ પસ્તાવો થયો અને તે તુલસીના છોડ ઉપર ખૂબ પ્રેમ રાખવા લાગ્યા. તેણે બીજા ભવમાં વૃંદાને પરણવા વચન આપ્યું. ત્યારબાદ વૃંદાનો રુક્મિણી તરીકે જન્મ થયો અને વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને તે પરણી. આ કારણે તુલસીનો છોડ વિષ્ણુને ખૂબ પ્રિય છે. કાર્તિક શુક્લપક્ષની એકાદશીને દિવસે તુલસીનાં ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન થાય છે અને અન્નકૂટ ભરાય છે.

ગીરની ટેકરીઓ અને વનરાજીની મધ્યે તુલસીશ્યામ

તુલસીશ્યામથી 4 કિમીના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખાઈમાં ઝમરી નદી ધોધ રૂપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી. નજીકમાં કોઈ જળાશય ન હતું. તેથી ભીમે પૃથ્વી ઉપર લાત મારતાં અહીં ખાડો પડ્યો અને જળાશય બની ગયું ને કુંતીએ તેની તરસ છિપાવી. અહીં કુંતીનું મંદિર છે. તુલસીશ્યામને પ્રવાસધામ તરીકે પ્રવાસનખાતાએ વિકસાવ્યું છે. અહીં છ કુટુંબો રહી શકે એવી સગવડ છે. જિલ્લાપંચાયતના પથિકાશ્રમમાં પણ નિવાસની સગવડ છે. મંદિરની પોતાની આદર્શરૂપ ગૌશાળા છે. તેમાં ચારસોથી વધુ ગીર ઓલાદની ગાયો અને જાફરાબાદી ભેંસો છે. તુલસીશ્યામ નજીક સાત ગરમ પાણીના કુંડો છે. તેનો ચામડીનાં દર્દો મટાડવા ઉપયોગ થાય છે. તુલસીશ્યામ પાકા રસ્તા દ્વારા ધારી અને ઉના સાથે જોડાયેલું છે. અહીં આવાસોની સંખ્યા 17 છે અને વસ્તી 75 (2011, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8