જિરાફ


સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે ૫.૫ મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની રચના શરીરની સમતુલા જાળવવા અગત્યની છે. આમ તો શરીરની સમતુલા જાળવવા માટે પાણી પીવાનું હોય ત્યારે તે આગલા પગને પાર્શ્વ બાજુએથી એકબીજાથી દૂર ખસેડે છે. લાંબી ડોક ઊંચાં વૃક્ષોની ડાળી પરથી પાંદડાં ખાવા ટેવાયેલી હોય છે. જૂજ વૃક્ષો હોય તેવા ઘાસવાળા સપાટ પ્રદેશમાં મુખ્યત્વે ઊગતા બાવળનાં પાન ખાઈને જીવન ગુજારે છે. તેની પૂંછડી રુવાંટીવાળી હોય છે જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ ધરાવે છે. જિરાફના માથાની ટોચે ચામડી વડે ઢંકાયેલાં બે નાનાં શિંગડાં છે, જ્યારે ત્રીજું શિંગડું આંખોની વચ્ચેના ભાગમાં આવેલું છે. જિરાફની ચામડી પીળાશ પડતી હોય છે. તેની ઉપર લીલાશ પડતાં બદામી રંગનાં ટપકાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે.

જિરાફ ટોળામાં રહે છે, જેમાં માદાની સંખ્યા વધારે હોય છે. એકાદ પુખ્ત નર અને નર બચ્ચાં આ ટોળામાં રહેતાં હોય છે. વૃદ્ધ નર સાવ એકલો રહે છે. જિરાફ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યાના સવાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઉત્તરમાં તે સહરાના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલા હોય છે. દક્ષિણનાં જિરાફ દેખાવમાં ઉત્તરનાં જિરાફ કરતાં સહેજ ભિન્ન હોય છે. માનવના પર્યાવરણિક હસ્તક્ષેપને લીધે જિરાફની સંખ્યા સાવ ઘટી ગઈ છે. જિરાફ વાગોળનારું (ruminant) પ્રાણી છે. તેના લાંબા હોઠ અને લાંબી કમાન જેવી વળતી જીભ ઊંચા ઝાડ પર આવેલાં પાંદડાંને કરડી ખાવાની ક્ષમતા ધરાવે છે. જિરાફની નજર, ઘ્રાણસંવેદના અને શ્રવણશક્તિ તેજ હોય છે. હિંસક પ્રાણીઓમાં માત્ર સિંહ જિરાફનો શિકાર કરી શકે છે. તે લાત મારીને રક્ષણાત્મક પદ્ધતિ અપનાવે છે અને આશરે ૫૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે. નર જિરાફ સામસામા લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. તે ધીમો ઊંડો આહ જેવો અવાજ કાઢી શકે છે. માદા ૧૪થી ૧૫ માસની સગર્ભાવસ્થા બાદ એક બચ્ચાને જન્મ આપે છે. નવજાત શિશુ ૨ મી. ઊંચું હોય છે. જિરાફ આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

રા. ય. ગુપ્તે

સમડી


શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું પક્ષી.

સમડીની ૨૦ જાતિઓ છે. તે દરેક ખંડમાં વસે છે. સમડી માનવવસ્તીની પાસે રહે છે. સમડીની ઊડવાની રીત ન્યારી છે. સ્થિર પાંખે ગીધની જેમ તે હવામાં ચકરાવા મારી શકે છે. પવનનો લાભ લઈ તેની સાથે તે ઊડે છે. કોઈક વખત થોડી પાંખો હલાવે કે પૂંછડી આમતેમ મરડે. દરિયાનાં મોજાંની જેમ ક્યારેક ઊંચે ઊડે તો ક્યારેક નીચે પણ ઊતરે તો ક્યારેક કમનીય વળાંકો લઈ ઝડપભેર દિશા પણ બદલે અને એ રીતે તે આસાનીથી લાંબો સમય ઊડ્યા કરે. કોઈ શિકારી દેખાય તો તીરવેગે આવી પગથી પકડી, ઊંચે ચડી જાય અને ઊડતાં ઊડતાં જ તેને આરોગે. પગમાં પકડેલ શિકારમાંથી ચાંચથી ટુકડા કાપી કાપી, ખાતી જાય અને ઊડતી જાય. તેમાંથી ભાગ મેળવવાની લાલચે કાગડાઓ તેની પાછળ ક્યારેક પડતા પણ જણાય; પરંતુ સમડીની ચપળતા અને ઊડવાની ઝડપ આગળ કાગડાઓનું શું ગજું ?

સમડી, ભરબજારે, વાહનોની અવરજવરમાં ભીડભાડમાંથી પણ માણસના હાથમાંથી ખોરાકનું પડીકું ઝડપી લઈને સિફતથી ઊડી જાય છે. સમડી ખોરાકમાં તીડ, તીતીઘોડા, ઉંદર, સાપ, કાચિંડા, મરેલાં પ્રાણી તથા દરિયાકિનારે હોય તો ત્યાંથી માછલી, કરચલા અને કિનારે ઘસડાઈને આવતાં અન્ય પ્રાણીઓ પણ ખાઈ જાય છે. આમ સમડી કૃષિપાક ખાનાર ઉંદર, તીડ, તીતીઘોડા તેમ જ કેટલાક કીટકો વગેરેને ખાઈ જઈને કૃષિપાકનું રક્ષણ કરે છે અને તે મરેલાં પ્રાણીને ખાઈ જતી હોઈ ગંદકી દૂર કરી સ્વચ્છતા પણ જાળવે છે. નર અને માદા સમડી, દેખાવમાં સરખાં લાગે છે. તેઓ નાનું શીશ, લાંબી પાંખો અને અણીદાર પૂંછડી ધરાવે છે. ઊંચા ઝાડ પર તે પોતાનો માળો બાંધે છે અને બે કે ત્રણ ઈંડાં મૂકે છે. નર અને માદા બંને ઈંડાંનું સેવન કરે છે. જન્મે ત્યારે બચ્ચાં કપાસના દડા જેવાં લાગે છે. જોકે હવે તો આમલીની ઊંચી ડાળીઓ ઉપર સમડીના માળા મળવા મુશ્કેલ બની ગયા છે. આમલીનાં વૃક્ષોનો નાશ થઈ રહ્યો હોઈ સમડીના માળા ઓછા જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

જિબ્રાલ્ટર


સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : ૩૬° ૦૭´ ઉ. અ. અને ૫° ૨૧´ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. ૭૧૧માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન તરફ કરેલી કૂચના માર્ગમાં આવેલા આ સ્થાનના ખડક પર એક મજબૂત દુર્ગ બાંધેલો. આ ઉપરથી આ સ્થળનું ‘જેબલ અલ્ તારિક’ (The Hill of Tariq) નામ પડેલું, જેના અપભ્રંશ તરીકે પાછળથી આ ભૂશિરનું નામ ‘જિબ્રાલ્ટર’ પડ્યું છે. ૪.૮ કિમી. લંબાઈ તથા ૧.૨ કિમી. પહોળાઈ ધરાવતી અહીંની વસાહત કુલ ૬.૫ ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી ૩૨,૬૮૮ (૨૦૨૩) જેટલી છે, જેમાંથી મોટા ભાગના નાગરિકો સ્પૅનિશ તથા ઇટાલિયન મૂળના છે. આ લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓ છે. ત્યાંની આબોહવા ખુશનુમા હોય છે. તાપમાન ઉનાળાના સમયે ૧૬°થી ૨૭° સે. રહે છે. ડિસેમ્બરથી મે વચ્ચેના ગાળામાં આશરે સરેરાશ ૭૨૨ મિમી. વરસાદ પડે છે. સંગ્રહ કરેલ મીઠા પાણીનો જથ્થો ખૂટે ત્યારે પીવાના પાણીની યુરોપમાંથી આયાત કરવી પડે છે. યુરોપની વાનરોની એકમાત્ર જાતિ બર્બર વાનર અહીં વસે છે.

જિબ્રાલ્ટર

બર્બર વાનર

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની ઈશાને ૪૨૫ મી. ઊંચાઈ ધરાવતો ‘ધ રૉક’ નામનો ખડક છે જેના પર હાલ બ્રિટિશ કબજા હેઠળનો દુર્ગ છે. આ ખડકની તળેટીમાં જ નાગરિકોની વસાહત છે. સામુદ્રધુનીની બીજી તરફ, સામેના કાંઠા પર ૨૨ કિમી. અંતરે સ્પૅનિશ મોરોક્કોમાં ‘જેબેલ સૂસા’ નામનો ૧૯૪ મી. ઊંચાઈ ધરાવતો બીજો ખડક છે. ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ છેડાની નાકાબંધી કરવા માટે આ સ્થળ મોખરાનું હોવાથી ફિનિશિયન, કાર્થેજિયન, રોમન તથા વિસિગૉથ લોકોએ વારાફરતી તેના પર કબજો કરેલો. અહીં હળવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ લશ્કર સાથે સંકળાયેલા માણસોની નાગરિક જરૂરિયાતો પૂરી કરવા માટેની આર્થિક પ્રવૃત્તિ સિવાય ત્યાં અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ થતી નથી. અમુક અંશે પર્યટકો માટે આ સ્થળ શિયાળાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈસર્ગિક, પુરાણી તથા યુદ્ધમાં વપરાતી વસ્તુઓનાં ત્યાં સંગ્રહાલયો છે. ઇતિહાસ : ૧૪૬૨માં સ્પેનના શાસકોએ જિબ્રાલ્ટર પર કબજો મેળવ્યો. સ્પેનના વારસાયુદ્ધ દરમિયાન ૧૭૦૪માં બ્રિટિશ સૈનિકોએ તે પોતાને હસ્તક લીધું. ૧૭૧૩માં યુટ્રેક્ટ સંધિ (Treaty of Utrecht) હેઠળ તેના પરની બ્રિટિશ હકૂમતને અધિકૃત માન્યતા આપવામાં આવી. ૧૭૨૬માં સ્પેને તેના પર ફરી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી નહિ. નૌકાદળના મથક તરીકે ઓગણીસમી સદીથી અત્યાર સુધી તેનું મહત્ત્વ અકબંધ રહ્યું છે. ૧૮૬૯માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં ઇંગ્લૅન્ડ તથા ભારત વચ્ચેના ભૂમધ્ય સાગર મારફતના લશ્કરી તથા નાગરિક પુરવઠા માર્ગ તરીકે જિબ્રાલ્ટરનું મહત્ત્વ વધ્યું. વીસમી સદીની શરૂઆતમાં આ સ્થળે બંદર બાંધવામાં આવ્યું. પાછળથી આધુનિક ઢબે બંદરનો વિસ્તાર કરવામાં આવ્યો. બ્રિટિશ હકૂમત હેઠળના આ નૌકામથકનો બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન હવાઈ મથક તરીકે પણ ઉપયોગ થયો. આજે પણ નૌકાદળની કવાયતો માટે ‘નાટો’ (NATO) લશ્કરી સંગઠન તેનો ઉપયોગ કરે છે. ૧૯૬૪માં આ વસાહતને આંતરિક સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી. ત્યાંના ગવર્નરની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવે છે. ૨૦૦૨માં જિબ્રાલ્ટર-વાસીઓએ સંયુક્ત (સ્પેન સાથેના) સાર્વભૌમત્વની દરખાસ્તોનો સામનો કરી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું પસંદ કર્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે