Categories
વાચન સમૃદ્ધિ

સિક્કિમ

ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. તે ૨૭ ૩૫´ ઉ અ અને ૪૮ ૩૫´ પૂ રે ની આજુબાજુનો ૭,૦૯૬ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તથા પશ્ચિમે નેપાળ આવેલાં છે. ગંગટોક તેનું પાટનગર છે. તેની વસ્તી ૬,૯૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. સિક્કિમનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં હિમાલય વિભાગના પર્વતો, અવરજવર માટેના ઘાટ, ખીણપ્રદેશો તેમ જ કોતરો આવેલાં છે. ભારતનું પ્રથમ ક્રમે આવતું અને દુનિયામાં ત્રીજા ક્રમે ગણાતું ઊંચામાં ઊંચું શિખર કાંચનજંઘા અહીં આવેલું છે. હિમાલયની કેટલીક હિમનદીઓ પણ અહીં જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીની સહાયક તિસ્તા અહીંની મુખ્ય નદી છે. તે ઉપરાંત રંગીત અને રેંગપો અન્ય નદીઓ છે.

રાજ્યનો ૩,૧૨૭ ચોકિમી. જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. પાઇન, ફર, ઓક અને હોલી અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષો છે. ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગોમાં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અહીં ૪,૦૦૦થી વધુ જાતિનાં ઝાંખરાં અને છોડવા, ૬૬૦ જુદી જુદી જાતિના ઑર્કિડ, રહોડોડેન્ડ્રોન તેમ જ અન્ય ફૂલો થાય છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારમાં સદાહરિત જંગલો તથા વર્ષાજંગલો જોવા મળે છે. સિક્કિમનું વનસ્પતિજીવન ખૂબ જ સમૃદ્ધ છે. ખેતી સિક્કિમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતો અહીંના ઊભા પહાડી ઢોળાવોને ખોતરીને સીડીદાર ખેતરો બનાવે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં ચા, બટાકા, મોટી ઇલાયચી, આદું અને નારંગી મુખ્ય છે. અહીં ફળો પૅક કરવાનો નાના પાયા પરનો ઉદ્યોગ વિકસ્યો છે. પશુપાલનનો વ્યવસાય પણ અહીં ચાલે છે. અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળોમાં ગંગટોક, બખીમ (નૈસર્ગિક બાગ), યામથાંગ, દુબડી મઠ, તાશ્દિંગ મઠ, રામટેક મઠ, પેમાયાન્ત્સે મઠ, સોમગો મઠ તથા ફોડોંગ મઠનો સમાવેશ થાય છે. અહીંનો ખાન્ગચેન્દઝોન્ગ નૅશનલ પાર્ક દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલો છે. યાક અને કસ્તૂરીમૃગ આ રાજ્યમાં જોવા મળે છે. ઘણા લોકો અહીં ટ્રૅકિંગની મોજ માણે છે. ૧૯૭૫ સુધી સિક્કિમ એક અલગ દેશ હતો. ૧૯૭૫માં તે ભારતીય સંઘનું ૨૨મા ક્રમનું રાજ્ય બન્યું. સિક્કિમની રાજધાની ગંગટોકથી ૫૬ કિમી.ના અંતરે નાથુલા ઘાટ ભારત-ચીનની સીમારેખા પર ૪૪૦૪.૪ મીટરની ઊંચાઈએ આવેલો છે. આ માર્ગ ૫૬૩ કિમી. લાંબો છે. નાથુલા ઘાટ પર ભારતીય સીમાનું છેલ્લું ગામ શેરથાંગ અને તિબેટ (ચીન) સીમા પરનું છેલ્લું ગામ ચુમા લહરી છે. ઑર્ગેનિક રીતે ખેતી કરવામાં સફળ થનાર સિક્કિમ ભારતનું સર્વપ્રથમ રાજ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કિમ, પૃ. ૧૯૧)

Categories
વાચન સમૃદ્ધિ

ટર્મિનાલિયા

દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ ૧૩૫ જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં ૧૬ જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં Terminalia crenulata Reta (સાદડ); T arjuna (Roxb). Wight & Arn. (અર્જુન સાદડ); T. catappa, Linn. (દેશી બદામ); T. bellirica, Roxb, (બહેડાં); T. myriocarpa, Heurck & Muell-Arg. (પાનીસાજ); T. chebula, Retz. (હરડે) bialata stcud (સિલ્વર ગ્રે વૂડ), T. Roxb. ex fcm. (બં.હરિતકી) અને T. paniculata Roth(કિંજલ)નો સમાવેશ થાય છે. તેની કેટલીક જાતિઓ ઇમારતી કાષ્ઠ, ટૅનિન, ઔષધો અને ખાદ્ય બીજ માટે ખૂબ જાણીતી છે. ઘણીખરી જાતિઓના પર્ણતલપ્રદેશે એક યા બે સ્પષ્ટ ટપકાંવાળી ગ્રંથિ જોવા મળે છે. તેમનાં પર્ણો સાદાં મોટાં ચર્મિલ (coriaceous), અંડાકાર (ovate) કે દીર્ઘવૃત્તીય (elliptic) અને એકાંતરિક હોય છે. તે Antheraea mylitta (ટસર) પ્રકારના રેશમ કીટક માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે.

દેશી બદામ                                  હરડે

સાદડ ઇમારતી લાકડા માટે આ પ્રજાતિની સૌથી અગત્યની જાતિ છે. તેનું રસકાષ્ઠ (sapwood) આછું પીળાશ પડતું સફેદ હોય છે. અંત:કાષ્ઠ (heartwood) આછા બદામીથી ઘેરા બદામી કે બદામી કાળા રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા રંગના પટ્ટાઓના બનેલા લિસોટા હોય છે. તે ઘણું મજબૂત અને વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૦૭–૦.૯૪ : વજન ૭૩૭–૭૬૧ કિગ્રા./ ઘનમીટર) હોવાથી ઇમારતી ઉપયોગ તથા રેલવે-સ્લીપરો માટે તેની ઘણી માગ રહે છે. અર્જુન સાદડનું રસકાષ્ઠ રતાશ પડતું સફેદ હોય છે અને અંત:કાષ્ઠ બદામીથી ઘેરા બદામી રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા-કાળા રંગની રેખાઓ જોવા મળે છે. કાષ્ઠ ચમકીલું, ખૂબ સખત, ટકાઉ અને મધ્યમસરનું વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૪; વજન ૮૧૬–૮૬૫ કિગ્રા./ ઘનમીટર) હોય છે. તેનો ઉપયોગ ખેતઓજારો, વીજળીના થાંભલા, બંદર-ધક્કા (getty) વગેરે માટે થાય છે. બહેડાંનું કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું હોય છે, જેમાં અંત:કાષ્ઠ જુદું પાડી શકાતું નથી. તેનું વિશિષ્ટ ઘનત્વ ૦.૬૦–૦.૭૭ અને વજન ૫૯૩-૭૬૯ કિગ્રા./ઘનમીટર છે. લાકડું ખાણટેકા, પેટીપટારા, હોડીઓ અને લાકડાનાં પીપ માટે ઉપયોગી છે. તેનું લાકડું સામાન્ય રીતે  એટલું ટકાઉ નથી પરંતુ પાણીની અંદર તે સારું કામ આપે છે. તેનાં ફળમાંથી ટૅનિન તૈયાર થાય છે, જે ચર્મઉદ્યોગ તથા ઇતર ઉપયોગ માટે વપરાય છે. તેનાં બીજમાંથી અખાદ્ય તેલ પણ મળે છે, જે સાબુ માટે વાપરી શકાય છે. દેશી બદામ (બહેડાનું વૃક્ષ) : તેનું રસકાષ્ઠ તરુણ વૃક્ષોમાં ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ મોટાં વૃક્ષોમાં જુદું પાડી શકાતું નથી. તે ઈંટ જેવા લાલ કે બદામી લીલા રંગનું હોય છે. તે ચમકીલું, લીસું અને હલકાથી પ્રમાણસર ભારે વજન (વિશિષ્ટ ઘનત્વ ૦.૪૬૩–૦.૬૭૩; વજન ૪૬૫–૬૭૩ કિગ્રા./ઘનમીટર) ધરાવે છે. તેનું કાષ્ઠ મકાન-બાંધકામ, પૈડાના નકશીકામ અને સામાન્ય સુથારીકામમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પ્લાય-બોર્ડ બનાવવામાં, તરાપો, વળીઓ વગેરેમાં થાય છે. લગભગ બદામ જેવા જ ગુણો ધરાવતાં મીંજ આપનારી આ જાતિનાં પર્ણો ઢોરના ચારા માટે ઉપયોગી હોવા ઉપરાંત ચામડીનાં દરદો માટે અકસીર ગણાય છે. છાલ તેમજ પર્ણોમાંથી મળતો રંગ પણ ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટર્મિનાલિયા, પૃ. ૨૧૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિક્કા અને સિક્કાશાસ્ત્ર

સિક્કા : નિયત ધાતુ અને તોલનું શાસક દ્વારા અધિકૃત વિનિમય-માધ્યમ, ચલણી નાણું. સિક્કાશાસ્ત્ર : સિક્કાઓનો અભ્યાસ, જેમાં કરવામાં આવે છે તે શાસ્ત્ર. તેને મુદ્રાવિજ્ઞાન (numismatics) પણ કહે છે. ઇતિહાસનો એક મહત્ત્વનો સ્રોત સિક્કાશાસ્ત્ર ગણાય છે. તે પરથી રાજકીય, આર્થિક, ધાર્મિક ઇતિહાસ તથા તે પ્રદેશ અને તે કાળની ભાષા અને લિપિ પર પ્રકાશ પડે છે. પ્રાચીન સમયમાં સોના, ચાંદી, તાંબું, લોખંડ જેવી અનેક ધાતુઓમાંથી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. સોનામાંથી બનાવેલા સિક્કા સોનામહોર કહેવાતા હતા. સિક્કાઓમાં રાજા કે રાણીની છાપ, વર્ષ, તેમના ઇષ્ટદેવ કે દેવીની આકૃતિઓ કે ધર્મનું સૂત્ર છપાતાં. ભારતનાં જુદાં જુદાં સંગ્રહસ્થાનો, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓ સિક્કાનો સંગ્રહ કરે છે. ખોદકામ દરમિયાન કેટલીક વાર સિક્કાઓનો ચરુ પણ મળી આવે છે. સિક્કાઓ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે; આથી તેના દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. તેના વડે ભૂતકાળ પર વધારે પ્રકાશ પડી શકે છે.

ભારતના સૌથી પ્રાચીન સિક્કા, આહત સિક્કા (punch marked) છે. તે ઈ. સ. પૂ. ત્રીજીથી ચોથી સદીમાં પ્રચલિત હતા. આ પછીના ઈ. સ. પૂર્વે ૧૨૦ની સાલના ઇન્ડો-ગ્રીક સિક્કાઓ મળે છે. ત્યારબાદ ઇન્ડો-પાર્થિયન, કુશાન અને ક્ષત્રપ સિક્કાઓ પણ જોવા મળ્યા છે. ભારતમાં અનેક નાનામોટા રાજ્યવંશોની સત્તા રહી હતી. તેઓના સિક્કા જોવા મળે છે; દા. ત., મૌર્ય વંશ, પંચાલ, કૌશાંબી, કુશાણ, ગુપ્તવંશ વગેરેના. ભારતના ઇતિહાસમાં ગુપ્તકાલને સુવર્ણકાલ ગણવામાં આવે છે. તે હકીકત સિક્કાના ક્ષેત્રમાં પણ લાગુ પડે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારપછી ૧૯૫૦ના આરંભ સુધી બ્રિટિશ ઢબના સિક્કા ચલણમાં રહ્યા હતા. ત્યારબાદ ભારત પ્રજાસત્તાક થતાં ભારતે નવા સિક્કા પાડવાના શરૂ કર્યા. તેનાં તોલમાપ અને આકાર બ્રિટિશ સિક્કા જેવાં જ રખાયાં. ત્યારે ૧ પૈસો, ૨ પૈસા, ૧ આનો, ૨ આના, ૪ આના (પાવલી), ૮ આના (અડધો) તથા ૧ રૂપિયાના સિક્કા ચલણમાં હતા. ૧૯૫૭માં ભારતે તોલમાપમાં દશાંશપદ્ધતિ અપનાવી. ૧ પૈસો, ૫ પૈસા, ૧૦ પૈસા, ૨૫ પૈસા, ૫૦ પૈસા તથા રૂપિયાના સિક્કા ચલણમાં મુકાયા. એટલે હવે માત્ર ૧ રૂપિયો અને પૈસો – એમ બે જ એકમ રખાયા. આનાનું એકમ સદંતર રદ થયું, ગણતરી સરળ બની. સમય જતાં સિક્કાઓની ધાતુ અને વજનમાં ફેરફાર થતા રહ્યા. હાલમાં ૧ રૂપિયો, ૨ રૂપિયા, ૫ રૂપિયા અને ૧૦ રૂપિયાના સિક્કા ચલણમાં આવ્યા છે. હવે ૧ રૂપિયાથી ઓછા મૂલ્યના સિક્કા વપરાશમાંથી લગભગ બંધ થઈ ગયા છે. સિક્કામાં વપરાયેલી ધાતુની કિંમત પ્રમાણે સિક્કાનું જે મૂલ્ય થાય તેને સિક્કાનું ધાતુઈ મૂલ્ય કહેવાય છે. કાયદાથી નક્કી થયા મુજબ તેના લેવડદેવડના મૂલ્યને ચલણી મૂલ્ય કહેવાય છે. આ મુજબ પહેલાંના સમયમાં ચાંદી-સોનાના સિક્કા તેમના ચલણી મૂલ્ય કરતાં ઘણા મૂલ્યવાન હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કા અને સિક્કાશાસ્ત્ર, પૃ. ૧૯૦)