Categories
વાચન સમૃદ્ધિ

ટોકિયો

જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે ૩૫° ૪૦´ ઉ. અક્ષાંશવૃત્ત અને ૧૩૯° ૪૫´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી ૩.૭ કરોડ અને શહેરની વસ્તી ૧,૪૨,૫૪,૦૦૦ છે (૨૦૨૫, આશરે), વિસ્તાર ૨૧૮૭ ચોકિમી. છે. તે સમુદ્રની સપાટીથી ૨૪ મી. ઊંચાઈ પર છે. તેનું તાપમાન જાન્યુઆરીમાં ૫.૮° અને જુલાઈમાં ૨૫.૪° સે રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧૪૬૭ મિમી. પડે છે. જાપાનના કુલ વિસ્તારમાં આ નગરનો વિસ્તાર માત્ર ૦.૫% જમીન, કુલ વસ્તીમાં ૧૦% વસ્તી તથા કુલ આર્થિક લેવડદેવડમાં ૪૦% હિસ્સો ધરાવે છે.

ટોકિયોનું એક દૃશ્ય

ટોકિયો કાન્ટોનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે, જ્યાં સુમિદા નદી વહે છે. વળી આ મેદાનો નહેરોની વિસ્તૃત જાળ ધરાવે છે. ટોકિયોની આસપાસ હરિયાળાં ખેતરો અને પર્વતીય ગામડાં નજરે પડે છે. યોકોહામા તેનું દરિયાઈ બંદર છે. આમ છતાં સુમિદા નદીના મુખ પાસે પણ એક માનવસર્જિત બંદર છે. અહીંથી લોખંડ, પોલાદ, યંત્રસામગ્રી અને રસાયણોની નિકાસ સારા પ્રમાણમાં થાય છે. ટોકિયો પોતાની રેલ-સેવા ધરાવે છે. તેનો નીચાણવાળો ભાગ અને નજીકનું હેનેડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ રેલ-સેવાથી સંકળાયેલાં છે. વળી, ટોકિયો અને ઓસાકા વચ્ચે વિશ્વની અત્યંત ઝડપી ટ્રેનો પૈકીની ‘હિકારી’ નામની રેલગાડી દોડે છે, જેની ઝડપ કલાકે ૪૮૦ કિમી. જેટલી છે. ટોકિયો અને તેની આસપાસનાં ઉપનગરો વૈવિધ્યસભર અનેક ઔદ્યોગિક સંકુલો ધરાવે છે. અહીં જહાજ-બાંધકામ, યંત્રસામગ્રી, ધાતુકામ, છાપકામ અને પ્રકાશનકાર્ય, ખાદ્યચીજોનું પ્રક્રમણ, ખનિજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રો-રસાયણો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો, મોટરવાહનો, લોખંડ-પોલાદ, રસાયણો, કૅમેરા તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણો, ફર્નિચર, ચામડાની ચીજવસ્તુઓ, વિવિધ શ્રેણીબદ્ધ વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો મુખ્ય છે. ટોકિયો વિવિધ પ્રકારનાં સંગ્રહસ્થાનો, ૨૦૦ કરતાં પણ વધુ બાગ-બગીચા તથા અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તે પૈકી ટોકિયો નગરના મધ્યભાગમાં આવેલા બાગમાં સમ્રાટ મેઇજી તથા તેમની પત્નીનાં સ્મારકો અને સંગ્રહસ્થાન છે. આ ઉપરાંત આ નગર અનેક પ્રાચીન મંદિરો ધરાવે છે. ટોકિયો ટાવર (૧૯૫૮), એ ધાતુના બનેલા વિશ્વના સૌથી ઊંચા ટાવરો પૈકીનો એક છે, જેમાં દુકાનો, રેસ્ટોરાં અને વિજ્ઞાનસંગ્રહાલય છે. ઇદેમિત્સુ કલા-સંગ્રહાલયમાં જાપાની કલાકારીગરીના નમૂના રાખવામાં આવ્યા છે. ટોકિયોનું ખરીદી તથા આનંદપ્રમોદનું કેન્દ્ર ગિન્ઝા છે. મારુનૉચી ક્વાર્ટર તેનું ધંધાકીય પ્રતિષ્ઠાન છે. આ ઉપરાંત મધ્ય ટોકિયોથી આશરે ૧૦ કિમી. અગ્નિદિશામાં ટોકિયો વાન ઉપસાગરની ઉત્તરમાં ‘ટોકિયો ડિઝનીલૅન્ડ’ આવેલ છે. આ સિવાય ટોકિયો એ વિશ્વનું પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર છે. તે ટોકિયો યુનિવર્સિટી (૧૮૭૭) અને ૧૦૦ જેટલી કૉલેજો ધરાવે છે. ૧૯૨૩ના ભયંકર ધરતીકંપ અને અગ્નિતાંડવ પછીથી ઝડપથી પુન: બંધાયેલા અને બીજા વિશ્વયુદ્ધના ભારે બૉમ્બમારા પછી પુનર્જીવિત થયેલા ટોકિયોને પૃથ્વીના ગોળા પરનું અત્યંત આધુનિક નગર કહી શકાય. અહીં અવારનવાર ભૂકંપ થતા રહે છે. આ શહેર બારમી સદીમાં કાન્ટો પ્રદેશમાં સ્થપાયું, તે સમયે તે ‘એદો’ કે ‘યેદો’ નામની ગ્રામીણ વસાહત રૂપે હતું. આ પ્રદેશના એક લશ્કરી અધિકારીએ બારમી સદીમાં અહીં એક કિલ્લો બાંધ્યો. ૧૪૫૬માં ઓટા ડોકાને તેના પર વ્યાપક સમારકામ કર્યું અને ત્યારપછીના સમયમાં આ વસાહત વિકસિત થઈને પ્રાંતીય પાટનગર બની. ૧૮૬૮માં જાપાનના પાટનગર તરીકે તેની વરણી થતાં તેનું નવું નામ ‘ટોકિયો’ રાખવામાં આવ્યું. તે પહેલાં જાપાનનું પાટનગર ક્યોટો હતું. હાલના ટોકિયો મહાનગરના ૨૩ ભૌગોલિક પેટાવિભાગો છે, તે ઉપરાંત સાઇટામા, ચિબા તથા કનીગાવાના ભૌગોલિક વિભાગોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ (નદી)

દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી.

દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. અહીં તેને ઝાસ્કર નદી મળે છે. ત્યારબાદ ત્યાંથી ૨૪૦ કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે શ્યોક, શિગાર, હુંઝા, ગિલગિટ, અસ્તોર વગેરે નદીઓ પણ મળે છે.

સિંધુ નદી

કાશ્મીરની પશ્ચિમ સરહદના વટાવ્યા પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. અહીં નંગા પર્વતની હારમાળામાં આ નદીએ ૩,૦૦૦ મીટર ઊંડું અને ૨૦થી ૨૫ કિમી. પહોળું કોતર કોરી કાઢેલું છે. અહીં તેણે ૧,૫૦૦ મીટર જેટલો ઢાળ તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે તથા પશ્ચિમ તરફથી આવતી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ જેવી નાની નદીઓ મળે છે. અહીંના ૬૦૦ મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ-સડકમાર્ગ ધરાવતો પુલ આવેલો છે. અહીંથી તે પશ્ચિમ તરફ ફંટાય છે. ત્યારબાદ કાલાબાઘ નજીક પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે, ત્યાં તેને પૂર્વ કાંઠે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ એક પછી એક મળતી જાય છે, ત્યાર બાદ તે ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતી હોવા છતાં તેને પાંચ નદીઓનો પુરવઠો મળતો હોવાથી વિશાળ પટવાળી બની રહે છે. ત્યારબાદ કાંપ અને રેતીના થર પથરાતા જતા હોવાથી તેનો પ્રવાહ-વેગ ઘટતો જાય છે અને મેદાની સ્વરૂપ રચાતું જાય છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર્વ કિનારા તરફ કાંપજમાવટ થતી રહે છે અને વહનમાર્ગ બદલાતો જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદ વટાવ્યા પછી કરાંચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે તે પંજાકારે વહેંચાઈને આશરે ૩,૦૦૦ ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની લંબાઈ આશરે ૨૦૮ કિમી. જેટલી બની રહે છે. ભરતી વખતે નદીનાળામાં પાછાં પડતાં પાણી અંતરિયાળ ભાગ તરફ ૮ કિમી.થી ૩૨ કિમી. સુધી ફેલાય છે.

જળજથ્થો – કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે ૧૧૧ અબજ ઘનમીટર જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. એ જ રીતે તેમાં ઉપરવાસમાંથી આવતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો ૧૦ લાખ ટન જેટલો મુકાયેલો છે. વસવાટ : ૪,૦૦૦ વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિ આ નદીને કાંઠે વિકસી હતી. તેથી તેના ‘સિંધુ’ નામ પરથી ‘હિંદુ’ શબ્દ આવેલો છે. તેના કાંઠા પર આજે કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન અને અટક જેવાં શહેરો વસેલાં છે. કરાંચી તે પૈકીનું મોટું શહેર, વેપારીમથક અને કુદરતી બારું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ (નદી),
પૃ. ૨૦૮)

Categories
વાચન સમૃદ્ધિ

ટેંજિર

મોરોક્કો રાજ્યનું તે જ નામ ધરાવતા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : ૩૫o ૩૪’ ઉ. અ. અને ૬o ૦૦’ પ. રે. તે ઉત્તર આફ્રિકામાં આવેલું છે. આ પ્રાંતની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ અને પૂર્વ દિશાએ ટેટવાન પ્રાંત છે. શહેરથી દક્ષિણે આવેલ રીફ પર્વત સુધી પ્રાંતની હદ છે. પ્રાંતનું ક્ષેત્રફળ ૧૧,૫૭૦ ચોકિમી. છે. તેની વસ્તી ૧૨,૭૫,૦૦૦ (૨૦૨૪, આશરે) છે.

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીના પશ્ચિમ છેડે દેશના ઉત્તર કિનારે આવેલું આ આંતરરાષ્ટ્રીય બંદર છે. તે સ્પેનની મુખ્ય ભૂમિથી દક્ષિણે ૩૦ કિમી. અને કાસાબ્લાંકાથી ઈશાને ૩૫૪ કિમી. દૂર છે. તે ભૂમધ્ય સમુદ્રનું પ્રવેશદ્વાર છે અને લશ્કરી દૃષ્ટિએ તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. સમુદ્રકિનારાથી દક્ષિણે મેદાન અને રીફ પર્વતમાળાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. ઉનાળો સૂકો અને સમધાત હવામાન ધરાવે છે. શિયાળામાં ૬૧૦થી ૮૧૦ મિમી. વરસાદ પડે છે. માર્ગો તથા રેલવે દ્વારા ટેંજિર અન્ય પ્રવાસધામો તથા રબાત, કાસાબ્લાંકા, ફેઝ, મેકનેસ વગેરે અન્ય શહેરો સાથે અને દરિયાઈ માર્ગ દ્વારા સ્પેન, ફ્રાન્સ, ઇટાલી વગેરે દેશો સાથે જોડાયેલ છે. આંતરરાષ્ટ્રીય વિમાનઘર દ્વારા આફ્રિકા તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે તે સંકળાયેલું છે.

ટેંજિર શહેર

અહીં અનાજ, ખાંડ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત થાય છે, જ્યારે ગાલીચા, ફૉસ્ફેટ વગેરેની નિકાસ થાય છે. ટેંજિરના લોકો મુખ્યત્વે આરબ કે બર્બર છે. અરબી ઉપરાંત ત્યાં અંગ્રેજી, સ્પૅનિશ, ફ્રેન્ચ અને બર્બર ભાષાઓ બોલાય છે. ઇતિહાસ : ટેંજિરની ઈ. સ. પૂ. ૧૫૦૦માં  ફિનિશિયનોએ સ્થાપના કરી હતી. આ શહેર તેમનું વેપારી થાણું હતું. ત્યારબાદ કાર્થેજના લોકો અહીં વસ્યા હતા. રોમનો અહીં ઈ. સ. પૂ. ૮૨થી વસ્યા હતા. રોમનોએ તેને ટિનજિસ નામ આપ્યું હતું અને તે મૉરેટાનિયા ટિન્જિયાનાના રોમન પ્રાંતની રાજધાની હતું. રોમનોએ આશરે ઈ. સ. ૫૦૦ સુધી અહીં રાજ્ય કર્યું હતું. ત્યારબાદ તે વેન્ડાલ અને બાઇઝેન્ટીન શાસન નીચે હતું. ઈ. સ. ૭૦૫માં આરબોએ તે કબજે કર્યું હતું અને ૧૪૭૧ સુધી તે મુસ્લિમ શાસકોને કબજે હતું. ૧૪૭૧થી ૧૫૮૦ સુધી તે પોર્ટુગીઝોને અને ૧૫૮૦થી ૧૬૫૬ સુધી પોર્ટુગલ અને સ્પેનને તાબે હતું. ૧૬૬૨માં પોર્ટુગલની રાજકુંવરી કૅથેરાઇનને ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલા સાથે પરણાવતાં તેને તે દાયજામાં આપવામાં આવ્યું હતું. અંગ્રેજો અહીં ૧૬૬૨થી ૧૬૮૪ સુધી રહ્યા હતા. ૧૬૮૪માં મોરોક્કોના સુલતાને ટેંજિર અને આસપાસનો પ્રદેશ કબજે કર્યો હતો. ઓગણીસમી સદી દરમિયાન ટેંજિર પરદેશી એલચીઓનું નિવાસસ્થાન બન્યું હતું. ૧૯૧૨માં મોરોક્કો ફ્રાન્સનું રક્ષિત રાજ્ય બનતાં અહીં ફ્રેન્ચ અસર વધી હતી. ટેંજિરનું વ્યૂહાત્મક મહત્ત્વ પિછાનીને ૧૯૨૩માં તે અને આસપાસના પ્રદેશ આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મુકાયા હતા. ૧૯૪૦ના જૂનમાં સ્પેને તેનો કબજો  લીધો હતો. ૧૯૪૫માં ફ્રેન્ચ, બ્રિટન, યુ.એસ. તથા રશિયાએ ફરી તેનો કબજો લીધો હતો. ૧૯૫૬માં  મોરોક્કો સ્વતંત્ર થતાં તેણે આ નગરનો કબજો લીધો હતો. ૧૯૬૮માં અમેરિકન યુનિવર્સિટીની અને ૧૯૭૧માં ઉત્તર આફ્રિકન યુનિવર્સિટીની ત્યાં સ્થાપના થઈ હતી. નગરમાં પંદરમી સદીનો કોટ, સત્તરમી સદીની મસ્જિદ અને જૂનો રાજમહેલ જોવાલાયક છે. ત્યાંના રાજમહેલનો સંગ્રહસ્થાન તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી