Categories
વાચન સમૃદ્ધિ

સજીવ ખેતી

સજીવો અને સેન્દ્રિય દ્રવ્યોની મદદથી થતી ખેતી.

આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની પસંદગી; (૩)પ્રાકૃતિક (કુદરતી) બિયારણની પ્રાપ્તિ અને જાળવણી; (૪) એક વારાની વાવણીમાં યોગ્ય પાકોનું સંયોજન; (૫) ખેતીને પોષતા સજીવોનું પાલન; (૬) પાકનું પોષણ અને આરોગ્યરક્ષણ; (૭) યંત્રોના ઉપયોગમાં વિવેક; (૮) વિવેકી નીંદણ-નિયમન; (૯) ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા; (૧૦) ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન અને (૧૧) સિદ્ધ થયેલ કૃષિજ્ઞાનની વ્યાપક આપ-લે અને તેનો ઉપયોગ.

સજીવ ખેતી

આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. જમીન બગડે છે અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ નાશ પામે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે અને પાકના વધુ ઉત્પાદન માટે સંકલિત પાક-પોષણ-વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. તેમાં છાણિયું ખાતર, કંપોસ્ટ, વર્મી કંપોસ્ટ કે ખોળ જેવાં સેન્દ્રિય ખાતરોનો અને જૈવ-ખાતરોનો વપરાશ, યોગ્ય પાક-ફેરબદલી તથા પાક-અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ છે. અળસિયાં જમીનને સમૃદ્ધ બનાવે છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચે આવનજાવન તથા મળોત્સર્જન દ્વારા ભૂમિખેડ કરે છે. તેની દાણાદાર ભૂખરી હગાર પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કામ કરે છે. અળસિયાંનું ખાતર ખેતીપાકો, શાકભાજી, રોકડિયા પાકો, બાગાયતી પાકો તથા ફૂલ-છોડ માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાંક ઉપયોગી યોગ્ય જૈવિક ખાતરોનો ખેતીમાં વપરાશ કરવાથી ઊંચી કિંમતનાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીને જમીનની ઉત્પાદક્તા અને ફળદ્રૂપતા જાળવી શકાય છે. ખેતરના દરેક સ્થાને પાકની ફેરબદલીનું આયોજન કરવાથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોનો વધારો થતો અટકે છે અને જમીનમાંથી અમુક જ ખનિજોનું વધારે પડતું શોષણ પણ અટકે છે. મગ, ચોળા, વાલ જેવા કઠોળ પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ જેવાં પોષક ખનિજોનો તેમના મૂળ પર આવેલી ગાંઠોમાં સંચય કરી જમીનની ફળદ્રૂપતાની જાળવણી કરે છે. આજે વિશ્વમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ઝેરી અસરોને કારણે આરોગ્યને નુકસાન થતું અટકાવવા સજીવ ખેતીને અપનાવવામાં આવી રહી છે. આરોગ્ય પ્રત્યેની વધતી જતી લોકજાગૃતિને પગલે સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોનો લગાવ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ આજે અંદાજે પાંચ હજાર હૅક્ટર જમીનમાં સજીવ ખેતી થઈ રહી છે. છસ્સોથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સજીવ ખેતીનું રૂ. દસ કરોડથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ સજીવ ખેતીની નીપજોનાં વેચાણકેન્દ્રો શરૂ થયાં છે અને સજીવ ખેતીને લગતા મેળા ભરાતા થયા છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, મિઝોરમ, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યસરકારોએ સજીવ ખેતીની નીતિ અમલી બનાવી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જિનીવા સમજૂતી

(Geneva Conventions)

યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના ૨ સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે ૨૬ ઑક્ટોબર, ૧૮૬૩ના રોજ જિનીવા ખાતે મળેલી ૧૪ રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો. જૂન ૧૮૫૯ની ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સૉલ્ફારિનો ખાતેની લડાઈ દરમિયાન કમકમાટી ઉપજાવે તેવાં ભીષણ દૃશ્યો જોઈને ડૉક્ટર હેન્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. મૉનિયરની મદદથી તેમણે એક સંગઠન ઊભું કરી ઍમ્બુલન્સ વાહનો તથા ઘવાયેલા સૈનિકોની સારવારનાં સ્થળો પરસ્પર હુમલાથી મુક્ત રાખવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરી હતી. ૨૨ ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ યોજાયેલ ૧૨ રાષ્ટ્રોના સંમેલનમાં થયેલી સમજૂતી જિનીવા સમજૂતી તરીકે ઓળખાય છે. નેધરલૅન્ડના હેગ નગરમાં ૧૮૯૯ તથા ૧૯૦૭માં યોજાયેલી ૨ પરિષદો હેગની શાંતિ પરિષદો તરીકે જાણીતી થઈ હતી. પ્રથમ પરિષદમાં યુદ્ધ અંગેની આચારસંહિતા નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે બીજી પરિષદમાં ૨ રચનાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં : (૧) આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ નિકાલ થાય તે માટેની સમજૂતી અંગે પુનર્વિચારણા; (૨) કરારગત દેવાની વસૂલાત માટે બળપ્રયોગ કરવા પર મુકાયેલી મર્યાદાનું પાલન કરવા સારુ નવી સમજૂતી.

જિનીવા સમજૂતી

જિનીવા સમજૂતીની મુખ્ય કલમો નીચે મુજબ છે : (૧) યુદ્ધસમયમાં ક્ષેત્રીય તથા મુખ્ય હૉસ્પિટલોની અને બીમાર તથા ઘવાયેલા સૈનિકોની હેરફેર કરતાં ઍમ્બુલન્સ વાહનોની તે કાર્યવાહી દરમિયાન નિષ્પક્ષતા સંપૂર્ણપણે માન્ય રાખવી જોઈએ. (૨) જાહેર સુખાકારી માટેના કર્મચારીઓ સહિતનાં તમામ તબીબી કર્મચારીગણ ને સ્વયંસેવકો, પરિચારિકાઓ તથા ઈજાગ્રસ્તોને મદદ કરતા દેશના નાગરિકો અને યુદ્ધક્ષેત્રના તથા હૉસ્પિટલમાંના ઈજાગ્રસ્તોને દુશ્મન લેખવા જોઈએ નહિ અને તેમને તેમનાં અંગત સાધનો તથા ઍમ્બુલન્સ વાહનો લાવવા-લઈ જવાની છૂટ આપવી જોઈએ. (૩) બીમાર તથા ઘવાયેલા સૈનિકોનાં આશ્રયસ્થાનોને સૈનિકોના મુકામ ગણવા જોઈએ નહિ. (૪) સાજા થઈ ગયેલા સૈનિકોને પોતપોતાના સ્વદેશ પાછા મોકલી આપવા જોઈએ. (૫) બીમાર અને ઘવાયેલા સૈનિકોને તથા શરણાર્થી શિબિરવાસીઓની સારવાર તથા આશ્રય માટેની હૉસ્પિટલો તથા સ્થળો પર તેમજ ઍમ્બુલન્સ વાહનો પર પોતાના દેશનો ધ્વજ તથા સફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનો ક્રૉસ દર્શાવેલો હોવો જોઈએ. તબીબી કર્મચારીગણે એ જ ડિઝાઇનની બાંયપટ્ટી (arm band) પહેરવી જોઈએ. (૬) આ કરાર હેઠળ રક્ષણ પામેલી બીમાર કે ઘવાયેલી વ્યક્તિઓ, મકાનો તથા સાધનસામગ્રી અંગે વળતો હુમલો કરવામાં આવશે નહિ. (૭) તબીબી સારવાર માટેનાં વિમાનો યુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રોએ ચોક્કસ સમજૂતી કર્યા મુજબની ઊંચાઈએ, સમયે તથા માર્ગ પર ઊડી રહ્યાં હોય તો તેના પર હુમલો કરવામાં આવશે નહિ. (૮) લશ્કરી હૉસ્પિટલ કે જહાજો વગેરે પર હુમલો કરવામાં આવશે નહિ, તેમને બાનમાં લેવાશે નહિ, શરત એ કે તેમણે પોતાનાં નામ તથા પોતાની ઓળખાણ અંગે યુદ્ધમાં સંડોવાયેલ પક્ષોને વહાણોની સેવા લીધાના ૧૦ દિવસ અગાઉ જાણ કરી હોવી જોઈએ. શત્રુપક્ષ દ્વારા પકડાયેલા સૈનિકોએ પોતાનું નામ, જન્મતારીખ, સર્વિસ નંબર તથા હોદ્દા અંગે જ જાણ કરવાની હોય છે. યુદ્ધકેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાનું હોય છે. તેમના માટે ભોજન, કપડાં  તથા રહેઠાણની વ્યવસ્થા તેમને બંદી બનાવનાર દેશે કરવાની હોય છે. અધિકારીઓ સિવાયના યુદ્ધકેદીઓ પાસેથી, બંદી બનાવનાર પક્ષ યુદ્ધ સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય તેવું કામ પણ લઈ શકે અને આવા કામના બદલામાં તેમને વળતર પણ ચૂકવવાનું રહે. જિનીવા સમજૂતી પર સહી કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ, ૧૮૬૪માં થયેલી પ્રથમ સમજૂતી પછી ૧૯૦૬, ૧૯૨૯, ૧૯૪૯ અને ૧૯૭૭નાં વર્ષો દરમિયાન એમાં બીજી કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

એચ. એમ. પટેલ, અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

શ્વેત ક્રાંતિ

દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાની ક્રાંતિકારી ઘટના.

ભારતમાં ડેરી-ઉદ્યોગની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા ઓગણીસમી સદીમાં શરૂ થઈ. ત્યાર પછી વીસમી સદીમાં સહકારી ડેરી-ઉદ્યોગની શરૂઆત થઈ. આઝાદી પછી દેશમાં સહકારી ક્ષેત્રે ડેરી-ઉદ્યોગનો વિશેષ તથા મહત્ત્વનો વિકાસ થયો છે. ભારત સમગ્ર વિશ્વમાં વધુ દૂધ પેદા કરતો દેશ બન્યો છે. જોકે માથાદીઠ દૂધની ઉપલબ્ધિ તથા વપરાશમાં અને પશુઓની દૂધ-ઉત્પાદકતામાં દેશ ઘણો પાછળ છે. આમ છતાં પશુપાલન વ્યવસાય માટે કેટલાક અનુકૂળ ઘટકો જોવા મળે છે. તેને લીધે દેશની અડધા જેટલી કામ કરતી વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી જોવા મળે છે. આયોજનકાળથી માંડીને અત્યાર સુધી દેશમાં દૂધ-ઉત્પાદનનું પ્રમાણ પાંચ ગણાથી પણ વધારે થયું છે. ભારત દૂધની બનાવટો તથા પેદાશોની વિદેશમાં પણ નિકાસ કરતું થયું છે.

અમૂલ ડેરી

દૂધ શ્વેત રંગનું હોવાથી તેના ઉત્પાદનમાં થયેલા મોટા વધારાની ઘટનાને ‘શ્વેત ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર એશિયામાં જેની નામના છે તે અમૂલ ડેરીની સ્થાપના ગુજરાતમાં આણંદ ખાતે ૧૯૪૬માં કરવામાં આવી હતી. આ ડેરીની સ્થાપના અને વિકાસમાં શ્રી ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનનો મોટો ફાળો હતો. ૧૯૬૪માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી આણંદની મુલાકાતે આવ્યા ત્યારે ડેરીની સફળતાથી પ્રભાવિત થઈ તેમણે ડૉ. કુરિયનને આવી ડેરીઓ સમગ્ર ભારતમાં ઊભી કરવા જણાવેલું. આ અરસામાં દેશમાં સઘન પશુ-વિકાસ કાર્યક્રમ (Intensive Cattle Development Programme – ICDP) શરૂ કરવામાં આવ્યો. તેની અંતર્ગત શ્વેત ક્રાંતિ આણવા માટે પશુમાલિકોને સુધાર-પૅકેજ આપવામાં આવ્યાં. ૧૯૬૫માં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ(National Dairy Development Board – NDDB)ની સ્થાપના કરવામાં આવી. પાંચેક વર્ષ બાદ આ નિગમ દ્વારા ‘ઑપરેશન ફ્લડ’ તરીકે ઓળખાતો વિશ્વનો સૌથી મોટો વિકાસ-કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બે દાયકામાં આ કાર્યક્રમ હેઠળ શ્વેત ક્રાંતિ રૂપે ભારતમાં દૂધના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. ‘ઑપરેશન ફ્લડ’ના સૂત્રધાર અથવા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન હતા. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી-ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે. આ દેશની સરકાર અને સહકારી મંડળીઓના સહિયારા સફળ પ્રયાસથી જે ક્રાંતિ સાધી શકાઈ છે તે ખરેખર દેશના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે ઘણી હિતકર સાબિત થઈ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ