Categories
વાચન સમૃદ્ધિ

હિલસ્ટેશન

સમુદ્રસપાટીથી આશરે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પરનું હવા ખાવાનું મથક.

ગિરિમથક અથવા હિલસ્ટેશન એ એક એવું સ્થળ હોય છે, જે નજીકના મેદાન કે ખીણથી અમુક ઊંચાઈ પર આવેલું હોય. એશિયા, આફ્રિકા અને ભારતમાં આવાં સ્થળોનો વિકાસ ઘણું કરીને અંગ્રેજોએ કર્યો હતો. જ્યાં જ્યાં અંગ્રેજો શાસન કરતા હતા એવા એશિયાઈ દેશોમાં ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ઊંચાઈએ આવેલાં ઠંડાં સ્થળોની પસંદગી કરાતી હતી. ભારતમાં તેઓ ખાસ કરીને હિમાલય અને નીલગિરિ ટેકરીઓમાં આવેલાં ગિરિમથકોમાં સમય વિતાવતા. તેઓએ ગિરિમથક સિમલાને ઉનાળુ પાટનગર(‘સમર કૅપિટલ’)નો દરજ્જો આપેલો. ભારતમાં ૧૮૨૦ના સમયમાં આવાં સ્થળો સેનેટોરિયમ તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. બીમાર માણસોને – ઘણું કરીને ટી.બી. જેવા રોગથી પીડાતા લોકોને સ્વચ્છ હવા, ખુશનુમા વાતાવરણ મળી રહે એવાં ગિરિમથકો પર રાખવામાં આવતા. ત્યારબાદ ૧૮૪૦થી ૧૮૫૦ દરમિયાન ઘણાં નવાં ગિરિમથકોની સ્થાપના થઈ.

સિમલા-કુલુ-મનાલીનાં હિલસ્ટેશન

આ પૂર્વે પણ ઊંચાઈ પર આવેલાં અનેક તીર્થધામોનો પણ વિકાસ થયેલો હતો, જ્યાં લોકો જાત્રા કરવા અવારનવાર જતા હતા. ૧૯મી સદીના અંતમાં ગિરિમથકોનો ઉપયોગ સામાન્ય માનવી હરવાફરવા માટે પણ કરતો થયો. ગિરિમથકો પર પ્રવર્તતી આબોહવાકીય પરિસ્થિતિ મુજબ ત્યાંનું વનસ્પતિજીવન પાંગરેલું હોય છે. અહીં વિવિધ પ્રકારનાં વૃક્ષો, ફૂલો વગેરે થાય છે. અનુકૂળ હવામાનને કારણે સફરજન, પ્લમ, લીચી, નારંગી, દ્રાક્ષ જેવાં વિવિધ ફળોનો પાક લેવામાં આવે છે. આવાં સ્થળોએ વન્ય પ્રાણીઓનું જીવન પણ ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો તેમ જ અભયારણ્યોમાં વિહરતાં વિવિધ જાતનાં પ્રાણીઓ અને પક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે ગિરિમથકોને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. ગિરનાર, પાવાગઢ, પાલિતાણા, તારંગા અને સાપુતારા ગુજરાતનાં જાણીતાં ગિરિમથકો છે. ગિરિમથક આબુને જ્યારે રાજસ્થાનમાં સમાવી લેવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં સાપુતારાનો ગિરિમથક તરીકે વિકાસ કરવામાં આવ્યો. ભારતનાં જાણીતાં ગિરિમથકોમાં શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, કુફરી, સિમલા, ડેલહાઉસી, કુલુ-મનાલી, નૈનિતાલ, રાણીખેત, અલમોડા તથા મસૂરી, ગંગટોક, દાર્જિલિંગ, ક્લિમપૉંગ, ચમ્બા, માથેરાન, મહાબળેશ્વર, આબુ, મુનાર, કોડાઈકેનાલ અને ઉટાકામંડનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હિલસ્ટેશન, પૃ. 178)

Categories
વાચન સમૃદ્ધિ

તુલસી

વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તે ટટ્ટાર, શાકીય, બહુશાખિત, મૃદુરોમિલ, એકવર્ષાયુ અને 30થી 75 સેમી. ઊંચી હોય છે. તે સમગ્ર ભારતમાં હિમાલયમાં 1800 મી. ઊંચાઈથી માંડી આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ થાય છે. સમગ્ર ભારતમાં હિંદુઓ આ વનસ્પતિને પવિત્ર માને છે અને મંદિરોમાં ઉગાડાય છે તેમજ દેવની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર તુલસી તીખી, ગરમ, તીક્ષ્ણ, દાહકર, પિત્તકર, પ્રસ્વેદક, પૌષ્ટિક, કફોત્સારક, કાલિકજ્વરરોધી (antiperiodic), ક્ષુધાવર્ધક, હૃદ્ય, તૂરી અને અગ્નિદીપક છે. તે વાયુ, શ્વાસ, કાસ, કૃમિ, ઊલટી, દુર્ગંધ, કોઢ, પાર્શ્વશૂળ, વિષ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, શૂળ, તાવ અને હેડકીનો નાશ કરે છે.

તુલસી

આળસ, સુસ્તી, અરુચિ, દાહ, વાતવિકાર, પિત્ત, શરદી અને ખાંસી પર તુલસીની ચા ઉપયોગી છે. આશરે 10 ગ્રા. કે વધારે તુલસીનાં પર્ણો 250 મિલી. પાણીમાં નાખી અર્ધું અથવા ચતુર્થાંશ  ભાગનું પાણી બાળીને તુલસીની ચા તૈયાર કરી શકાય છે. ઉપરાંત, તેમાં તેટલું દૂધ, 10થી 20 ગ્રા. સાકર અને એક કે બે એલચી ઉમેરીને કાઢો બનાવી શકાય છે. શરદીમાં કે શરદીના તાવમાં તુલસીનો રસ, આદુનો રસ અને મધનું અનુપાન અત્યંત લાભદાયી ગણાય છે. કાયમી શરદીમાં પણ નિયમિતપણે તુલસીનો રસ અને મરી નંગ 5નું ચૂર્ણ મધ સાથે મેળવી ચાટી જવાથી લાભ થાય છે. પાચનશક્તિ ઓછી હોય ત્યારે તુલસી અને આદુંના રસનું નિયમિત સેવન કરવાથી પાચકરસો પૂરતા પ્રમાણમાં ઝરે છે. ભૂખ લાગે છે; વાયુ થતો નથી અને પેટ સાફ રહે છે. કૉલેરામાં તુલસી, આદું, ફુદીનો અને લીંબુનો ઉપયોગ લાભદાયી છે. તુલસી જંતુઘ્ન હોવાથી કૉલેરામાં તેનો ઉપયોગ સારું પરિણામ આપે છે. તુલસીમાં રહેલા બાષ્પશીલ તૈલી પદાર્થને કારણે શીતજ્વરના મચ્છરો છોડની આસપાસ ફરતા નથી. તે વાતાવરણ શુદ્ધ કરે છે. પદ્મપુરાણ પ્રમાણે ગણપતિના શાપથી તુલસીને વનસ્પતિસ્વરૂપ મળ્યું. અને તુલસીનો આ છોડ બ્રહ્માએ વિષ્ણુને આપ્યો. આમ, બધી પૌરાણિક કથાઓમાં તુલસીનો વિષ્ણુ સાથે સંબંધ રહ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુલસી, પૃ. 866 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુલસી/)

Categories
વાચન સમૃદ્ધિ

હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ

બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં યુ.એસે. જાપાનનાં આ બે શહેરો પર કરેલો અણુબૉમ્બનો ધડાકો.

હિરોશિમા : ૧૯૪૫માં ઑગસ્ટની છઠ્ઠી તારીખે સવારે ૮-૪૫ વાગ્યે યુ.એસ.ના લશ્કરી વિમાને પ્રથમ અણુબૉમ્બ જાપાનના મહત્ત્વના મથક હિરોશિમાના મધ્ય ભાગ પર નાખ્યો હતો. તે બૉમ્બને ‘લિટલ બૉય’ તરીકે ઓળખાવાયો હતો. એ અણુબૉમ્બ પડવાથી વિસ્ફોટ થયો. ૧૦.૪ ચોકિમી. વિસ્તારમાં આગ ફાટી નીકળી અને તેની અસર હેઠળ ૧૩ ચોકિમી. જેટલો વિસ્તાર નાશ પામ્યો. તે વખતની હિરોશિમાની ૩,૪૩,૦૦૦ વસ્તીમાંથી ૧,૩૭,૦૦૦ લોકોને તાત્કાલિક અસર પહોંચી. તે પૈકી આશરે અડધા લોકો તુરત અને બીજા પાછળથી મોતને ભેટ્યા. ૧૯૪૫ના વર્ષના અંતે મૃત્યુનો આંકડો ૧,૪૦,૦૦૦ સુધી પહોંચી ગયો. આ બધી તારાજી નિર્દોષ નાગરિકોની જ થયેલી. બચેલા માણસોમાંથી કેટલાક દાઝ્યા, કેટલાક અપંગ બન્યા તો કેટલાક વિકિરણને લીધે લ્યુકેમિયાની – કૅન્સરની માંદગીનો ભોગ બનતા ગયા. હિરોશિમામાં આશરે ૯૦,૦૦૦ મકાનો નાશ પામ્યાં, બાકીનાં રહેવા યોગ્ય ન રહ્યાં. આમ ૧૯૯૫ સુધીમાં વિકિરણની અસરથી મૃતકોની સંખ્યા ૧,૯૨૦૦૦ જેટલી થઈ.

શાંતિ-સ્મૃતિ ઉદ્યાન : સંગ્રહાલય અને સ્મારક, હિરોશિમા

હિરોશિમામાં જે સ્થળે બૉમ્બ-વિસ્ફોટ થયેલો છે ત્યાં શાંતિ-સ્મૃતિ ઉદ્યાન નામથી સંગ્રહાલય અને સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. મોતને ભેટેલા લોકોની યાદમાં અહીં દર વર્ષે ૬ઠ્ઠી ઑગસ્ટનો દિવસ પુણ્યતિથિ તરીકે ઊજવાય છે.

નાગાસાકી : ૧૯૪૫ની સાલમાં ઑગસ્ટની નવમી તારીખે નાગાસાકી પર જે અણુબૉમ્બ ફેંકવામાં આવ્યો તેને યુ.એસે. ‘ફૅટ મૅન’ એવું નામ આપેલું. આ બૉમ્બના વિસ્ફોટના કારણે ૪.૫ ચોકિમી. વિસ્તારમાં વિનાશક અસર થઈ. ૪૦,૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. ૨૫,૦૦૦ માણસો ઈજાગ્રસ્ત થયા, ૪૦% મકાનો ભસ્મીભૂત થયાં. આ ઘટના પછી જન્મેલાં બાળકો પર વિકિરણની અસર જોવા મળી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ, પૃ. 177)