Categories
વાચન સમૃદ્ધિ

તેતર (partridge)

સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે. તેતરનાં નર અને માદા લગભગ સમાન કદનાં હોય છે. તેના શરીરનો બાંધો મજબૂત અને સુવિકસિત હોય છે. તેની ચાંચ ટૂંકી પરંતુ મજબૂત હોય છે. ઉડ્ડયનની દૃષ્ટિએ નિર્બળ જણાતું તેતર, મુખ્યત્વે જમીન પરનું પક્ષી ગણાય છે. દોડવામાં તે ખૂબ પાવરધું હોવાથી રક્ષણ માટે પોતાની પાંખ કરતાં પગ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તેતરની આંગળીઓ નહોરવાળી હોય છે. અને જમીન ઉપર જીવન ગુજારતું હોવા છતાં રાત્રિવાસ માટે તે વૃક્ષ ઉપર ચઢી જાય છે.

ચિત્રાંગ અથવા તલિયા તેતર

આ પક્ષીને અનાજનાં ખેતરોમાં ટોળા-સ્વરૂપે ફરવું ગમે છે. આ ટોળામાં નર, માદા અને બચ્ચાં એકસાથે વિચરે છે. પગની આંગળીઓ નહોરયુક્ત હોય છે. તેથી ખોરાકના ગ્રહણમાં તે ચાંચ કરતાં પગનો ઉપયોગ વધારે કરે છે. તેના ખોરાકમાં મુખ્યત્વે ફળ, બીજ, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. નહોરની મદદથી તે જમીન ખોતરે છે અને ધૂળ-સ્નાન પણ કરે છે. તેના પાચનમાર્ગમાં આવેલું અન્ન સંગ્રહાશય મોટા કદનું હોવાથી તેતર એકીસાથે ઘણું ખાઈ શકે છે. આથી જ કહેવત પડી છે કે ‘‘નાનું એવું તેતરડું, ખાય આખું ખેતરડું.’’ તેતરની પાંખો ગોળાકાર, ટૂંકી અને અલ્પવિકસિત જણાય છે. સ્વરતંત્રની સરળ રચના ધરાવતું હોવાથી, તે મધુર ગાયન ગાઈ શકતું નથી. તેતર સામાન્ય રીતે શીત ઋતુમાં સલામત સ્થળ પસંદ કરી, માળો બાંધે છે. પ્રજનનકાળ દરમિયાન માદાને આકર્ષવા માટે, પૂરી તાકાતથી, નર અવાજ કરે છે. એનો આ અવાજ ‘કીક્ કીરીરીરી, કીક્ કીરીરીરી’ તેવો સંભળાય છે. માદા માળામાં તે એકસાથે 6થી 9 ઝાંખા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર નીકળતાં બચ્ચાં, જન્મતાંની સાથે દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોવાથી અત્યંત સાહજિકતાથી મનુષ્ય સાથે ભળી જાય છે. તેતરની ત્રણ જાતિઓ ભારતમાં સામાન્ય છે : (1) ચિત્રાંગ અથવા તલિયા તેતર (the painted partridge) : તેતરની આ જાતિ દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેતર, પૃ. 914 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેતર/)

Categories
વાચન સમૃદ્ધિ

હોળી

હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી પણ વધુ મહત્ત્વ અપાય છે. ત્યાંની લઠ્ઠામાર હોળી જાણીતી છે. આ ઉત્સવના સંદર્ભમાં ફાગુ-ગીતોની પરંપરા પણ પ્રચલિત છે. પુરાણકાળથી આ પર્વની સાથે પ્રહલાદની વાત જોડાયેલી છે. ઘણાં વર્ષો પૂર્વે હિરણ્યકશિપુ નામનો દૈત્યવંશનો એક રાજા હતો. તેને પ્રહલાદ નામનો એક વિષ્ણુ-ભક્ત પુત્ર હતો. હિરણ્યકશિપુ પોતાને ભગવાનથીય ચડિયાતો માનતો હોવાથી તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ લે તે તેને પસંદ નહોતું. તેણે પોતાના પુત્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેણે ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહિ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પણ રામ રાખે તેને કોણ ચાખે ? અંતે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હોવાથી તેને પ્રહલાદની હત્યા કરવાનું કામ સોંપ્યું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ધર્મના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા બળીને મૃત્યુ પામી. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો. તેની યાદમાં ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળી પ્રગટાવીને પૂજા-પ્રદક્ષિણા કરતા લોકો

ગામમાં કે શહેરમાં રહેતા લોકો અનુકૂળ જગ્યાએ લાકડાં ગોઠવીને ખડકલો કરે છે. તેમાં છાણાં પણ ગોઠવે છે. તેના પર સુકાયેલાં છાણાં(હોળૈયાં)નો હાર ચઢાવવામાં આવે છે. પછી સંધ્યાકાળે, મુહૂર્ત અનુસાર અગ્નિ પ્રગટાવી તેની પૂજા-પ્રદક્ષિણા કરવામાં આવે છે. નાળિયેર, ધાણી, ખજૂર વગેરે અગ્નિમાં હોમવામાં આવે છે. હોળીને મથાળે નાનકડી ધજા રોપાય છે. કેટલાક તેને પ્રહલાદ ભગતનું પ્રતીક માને છે. કેટલાક ધજા ફરકે કે પડે તેની દિશા ઉપરથી ઋતુમાનનો સંકેત ગ્રહણ કરે છે. હોળીના દિવસે લોકો ધાણી-ચણા તથા ખજૂર વગેરે લે છે, કેટલાક ઉપવાસ પણ રાખે છે. આ ટાણે ખાંડના હારડા લોકો લે છે. વળી ઢોલ-નગારાં પણ વગાડાય છે. પ્રાચીન કાળમાં તો આ સમયે ખેતરોમાંથી નવું પાકેલું ધાન્ય ઘરોમાં લવાતું. આ નવું અનાજ પ્રથમ દેવને અર્પણ કરીને પોતાના ઉપયોગમાં લેવાતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હોળી, પૃ. 207)

Categories
વાચન સમૃદ્ધિ

તેજપુર

અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47´ પૂ. રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,48,000 (2025, આશરે). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ તથા રાઈની પેદાશ થાય છે. અહીંથી કૉલકાતા તરફ મોટા પાયા પર ચાની નિકાસ થાય છે, અને તે માટે નગરમાં ચા પર પ્રક્રમણ કરવાના એકમો  વિકસાવવામાં આવ્યા છે. નગરમાં ઉચ્ચશિક્ષણની કૉલેજો તથા સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા (ITI) છે. નગરની કૉલેજો ગુવાહાટી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

મહાભૈરવ મંદિર

આ નગર ઉત્તરીય રેલવેનું અંતિમ મથક છે. નગરની બાજુમાં સલાનિબારી હવાઈ મથક વિકસાવવામાં આવ્યું છે. લશ્કરી દૃષ્ટિએ આ નગર વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મિત્ર રાષ્ટ્રોના સૈનિકોને ચીનના કુનમિંગ ખાતે ઉતારવા માટે અહીંના વિમાની મથકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત-ચીન-યુદ્ધ (1962) દરમિયાન તે ભારતીય લશ્કરનું મહત્ત્વનું થાણું હોવાથી ચીની સૈનિકોએ યુદ્ધના પ્રથમ તબક્કામાં જ આ નગર પર આક્રમણ કર્યું હતું. પુરાણપ્રસિદ્ધ રાજા બાણાસુરનું પાટનગર શોણિતપુર એ જ આજનું તેજપુર એવી માન્યતા પ્રચલિત છે. 10મી સદીમાં નગર પાલ રાજાઓની રાજધાનીનું શહેર હતું. તે જમાનાના કેટલાક શિલાલેખો, કોતરણીઓ તથા મંદિરોના ભગ્ન અવશેષો અહીં છે. કામરૂપના 12મી સદીના શાસક વલ્લભદેવનાં પાંચ તામ્રપત્ર પણ ત્યાંથી મળી આવ્યાં છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8