Categories
વાચન સમૃદ્ધિ

ત્સુનામી

સમુદ્રતળમાં થતા ભૂકંપ(સમુદ્રકંપ–seaquake)થી ઉદ્ભવતા વિશિષ્ટ પ્રકારના ભરતીતરંગો. તે સમુદ્રસપાટી પરથી વિરાટ ભરતી રૂપે કાંઠા તરફ ધસી આવીને વિનાશકારી બને છે. સમુદ્રમાં નિયમિત આવતી ભરતી કરતાં આ તરંગો ભિન્ન પ્રકારના હોય છે. આ તરંગો સમુદ્રકંપને કારણે ઉત્પન્ન થતા હોવાથી તેમને ભૂકંપીય સમુદ્રતરંગો (seismic sea waves) પણ કહે છે. આ પ્રકારની ઘટના પૅસિફિક મહાસાગરમાં, વિશેષે કરીને જાપાન નજીક અવારનવાર થતી રહેતી હોવાથી જાપાની ભાષામાં ‘ત્સુનામી’ નામે પ્રચિલત બનેલી છે.

ત્સુનામી – એક દૃશ્ય

ભૂકંપ આલેખની સહાયથી વિજ્ઞાનીઓ (ભૂકંપશાસ્ત્રીઓ) અમુક કાંઠે ત્સુનામી ક્યારે ત્રાટકશે તેનું પૂર્વાનુમાન કરી શકે છે. ઉદાહરણ રૂપે, એલ્યુશિયન ટાપુઓ નજીકના સમુદ્રતળ પર ભૂકંપ નોંધાય તો હવાઈ ટાપુઓના કાંઠે ત્સુનામીનો ભય તેઓ કળી જાય છે. એલ્યુશિયન નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવતા ભૂકંપતરંગોને હવાઈ ટાપુ સુધી પહોંચતાં લાગેલા સમયની નોંધ લેવાય છે. એલ્યુશિયન ટાપુ નજીક થયેલા ભૂકંપથી ઉદ્ભવેલા ભૂકંપતરંગો જો ચાર મિનિટમાં હવાઈ ખાતે નોંધાય તો ત્સુનામી ભરતી તરંગો હવાઈમાં ચાર કલાકે પહોંચશે એવી આગાહી થઈ શકે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા ત્સુનામીની તરંગ-લંબાઈ 100થી 150 કિમી. જેટલી રહે છે અને પ્રતિ કલાકે તે 640થી 970 કિમી. વેગથી સફર કરે છે, જોકે પાણીની ઊંડાઈ પ્રમાણે તેના વેગમાં વધઘટ થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉદ્ભવતા આ તરંગો ક્યારેક વીખરાઈ પણ જતા હોય છે. તેમની ઊંચાઈ 1 મીટર કે તેથી ઓછી હોય છે; પરંતુ કાંઠે પહોંચે ત્યારે અને પાણી છીછરું હોય તો તે 30 મીટર જેટલી ઊંચી દીવાલ રચી શકે છે. સમુદ્રમાં થતા આ પ્રકારના જળવંટોળને કારણે ઉદ્ભવતા ભરતીતરંગને વંટોળ-ઉત્સર્ગ (storm surge) પણ કહે છે. પવનનો વેગ, વંટોળની અવધિ, પવન તળેનો સમુદ્રવ્યાપ અને વાયુદાબ મુજબ આ તરંગોના કદમાં ફરક પડે છે. સમુદ્રભરતીના સમયે જ જો તરંગો કાંઠા પર પહોંચે અને ત્રાટકે તો વધારે વિનાશક નીવડે છે. 1946માં હવાઈમાં હિલો ખાતે ત્સુનામીએ વિઘાતક અસર પહોંચાડેલી. સમુદ્રતળ પર ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે પણ ત્સુનામી ઉદ્ભવી શકે છે; દા. ત., 1883માં ક્રાકતાવમાં થયેલો જ્વાળામુખી વિસ્ફોટ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્સુનામી, પૃ. 106 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્સુનામી/)

Categories
વાચન સમૃદ્ધિ

અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ખાતે કુદરતી રીતે થોડા સમયગાળા માટે બનતું બરફનું શિવલિંગ. શ્રીનગરની ઈશાને ૧૩૮ કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત હિમાલયમાં ૩,૮૨૫ મીટરની ઊંચાઈ પર કુદરતી રીતે બનેલી ગુફામાં તેનું સ્થાનક છે. ૪૫ મીટર ઊંચી ગુફામાં શ્રાવણી પૂનમને દિવસે આ શિવલિંગ ૪ મીટર જેટલી મહત્તમ ઊંચાઈનું હોય છે. શ્રાવણી સુદ પડવાથી તેના વધવાની અને શ્રાવણ વદ પડવાથી તેના ઘટવાની શરૂઆત થાય છે. શ્રાવણી અમાસના દિવસે તે અદૃશ્ય થાય છે તેવી કિંવદંતી છે. હકીકતમાં તે સંપૂર્ણ અદૃશ્ય થતું નથી. ગુફાની ઉપરના પહાડ પર રામકુંડ છે, જેનું પાણી ગુફાની તિરાડમાંથી નીચે ટપકે છે. તેના બુંદમાંથી શિયાળામાં આ શિવલિંગ બને છે. લિંગ તથા બાણ કઠણ બરફનાં હોય છે. ગુફાની બહારના પરિસરનો બરફ તદ્દન બરડ હોય છે. ગુફામાં શિવલિંગ ઉપરાંત બરફની બીજી બે રચનાઓ બને છે, જે પાર્વતી અને ગણપતિ તરીકે પૂજાય છે. ગુફાની બહાર, નીચે અમરગંગા વહે છે. જોડે બીજી ગુફા છે. તેમાં ભસ્મ જેવી માટી મળે છે. યાત્રાળુઓ શ્રદ્ધાથી આ માટી શિવના પ્રસાદ તરીકે માથે ચડાવે છે. ગુફાની આજુબાજુ લિહાર ખીણની પર્વતમાળા છે. માત્ર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પહોંચી શકાય છે; શિયાળામાં ત્યાં જઈ શકાતું નથી. દર વર્ષે શ્રાવણ માસમાં ત્યાં મેળો ભરાય છે. શ્રાવણ સુદ પાંચમે શ્રીનગરથી અમરનાથની યાત્રા શરૂ થાય છે. છડી મુબારક સાથે આગળના સ્થાને કાશ્મીરમાં આવેલી શારદાપીઠના શંકરાચાર્ય હોય છે.

અમરનાથનું શિવલિંગ, અમરનાથના દર્શને જતા યાત્રીઓ

અમરનાથ જવા માટે બે માર્ગો છે : (૧) શ્રીનગરથી ૬૫ કિમી. પર આવેલા પહેલગામથી ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી થઈને અમરનાથ. (૨) શ્રીનગરથી ૬૧ કિમી. પર આવેલા બાલતાલથી અમરનાથ. આ રસ્તો ટૂંકો પણ વિકટ છે. પગપાળા ન જઈ શકે તેવા યાત્રાળુઓ માટે બંને માર્ગ પર ટટ્ટુ ભાડે મળે છે. હિંદુઓના આ યાત્રાધામ અમરનાથની શોધ મુસ્લિમ ભરવાડ કુટુંબે કરી હતી અને તેથી આજે પણ તેની કુલ આવકનો અમુક હિસ્સો આ કુટુંબના વારસદારોને ચૂકવાય છે. જ્યાં સુધી અમરનાથની યાત્રા ન થાય ત્યાં સુધી બીજી યાત્રાઓ અધૂરી છે એવી એક માન્યતા હિંદુ સમાજમાં પ્રચલિત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

ત્ર્યંબક

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 18,000 (2026, આશરે) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું, જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ નામ પરથી જ આ તીર્થક્ષેત્ર ત્ર્યંબકેશ્વર તરીકે જાણીતું થયું. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – આ ત્રણે દેવતાઓનું પ્રતીક ગણાય છે. ત્ર્યંબકેશ્વર મંદિરની આસપાસના વિસ્તારમાં અન્ય ઘણાં મંદિરો છે; જેમાં શ્રીકૃષ્ણ, શ્રીરામ, પરશુરામ અને લક્ષ્મીનારાયણનાં મંદિરો મુખ્ય છે. ગામની ઉત્તરે આશરે એક કિમી. અંતરે નીલપર્વત નામની એક ટેકરી છે જેના પર નીલાંબિકા દેવીનું મંદિર છે. બ્રહ્મગિરિ નામક જે પર્વતની તળેટીમાં આ ગામ વસેલું છે તે પર્વત ગોદાવરી નદીનું ઉદ્ગમસ્થાન છે. પર્વત પર એક કિલ્લો પણ છે. પર્વતના ઢાળ પર નાથપંથીઓનો મઠ છે જ્યાં નાશિકના કુંભમેળા સમયે નાથપંથના અનુયાયીઓ ભેગા થાય છે. પર્વતની તળેટીએ જ ગંગાસાગર નામક જળાશયના પશ્ચિમ તરફના તટ પર જ્ઞાનેશ્વરના મોટા ભાઈ નિવૃત્તિનાથની સમાધિ છે.

ત્ર્યંબકેશ્વર મંદિર, ત્ર્યંબક

કારતક પૂનમ, નિવૃત્તિનાથની પુણ્યતિથિ, પોષ વદ એકાદશી અને માઘ માસની શિવરાત્રી – દિવસોએ આ ગામમાં મોટા મેળા ભરાય છે. 1866થી ગામની નગરપાલિકા સ્થપાઈ. હવે આ ગામમાં શિક્ષણસંસ્થાઓ, દવાખાનાં, ગ્રંથાલય, નગરગૃહ, નગર-ઉદ્યાન વગેરે અદ્યતન સુવિધાઓ છે. ત્ર્યંબકેશ્વરના મંદિર વિશે ઘણી પુરાણકથાઓ પ્રચલિત છે. આ મંદિર ભારતનાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાય છે. મંદિરનો કુલ વિસ્તાર 80.7 × 66.91 મી. છે. તેની આસપાસના કોટનો વિસ્તાર 80.77 × 66.45 મી. જેટલો છે. મંદિરમાંના શિવલિંગની વિશેષતા એ છે કે તે પિંડીની અંદર છે. અને તેની તડમાંથી સતત પાણી ઝરતું હોય છે. શિવલિંગની સામે શુભ્ર પાષાણનો નંદી છે. મંદિરની પાછળના ભાગમાં પવિત્ર જળનો કુંડ છે. મંદિરની દીવાલોના બહારના ભાગ પર સુંદર મૂર્તિઓ કંડારેલી છે. પહેલા પેશવા બાળાજી બાજીરાવે (1740–61) આ મંદિર બંધાવ્યું હતું અને છેલ્લા પેશવા બાજીરાવ-બીજાના દત્તક પુત્ર નાનાસાહેબના સમય દરમિયાન (1851–57) જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9