Categories
વાચન સમૃદ્ધિ

હરિયાણા

ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય.

તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) જેટલી છે. હરિયાણા સ્વાતંત્ર્ય પહેલાં તેમ જ પછીથી થોડાં વર્ષો સુધી પંજાબ રાજ્યનો એક ભાગ હતું. નવેમ્બર, ૧૯૬૬માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી. તેનું પાટનગર ચંડીગઢ છે.

વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ‘ભારત’ નામ જેના પરથી મળ્યું તે ભરતવંશના રાજાઓ આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’માં હરિયાણાનો ઉલ્લેખ છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં છે. પાણીપતની લડાઈઓ પણ આ જ ક્ષેત્રમાં થઈ હતી. મધ્યયુગ દરમિયાન પણ હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ધ રૉક ગાર્ડન, ચંડીગઢ

અહીંનાં જંગલોમાં મલબરી, નીલગિરિ, પાઇન, સીસમ અને બાવળ જેવાં વૃક્ષો ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં કાળિયાર, નીલગાય, દીપડો, શિયાળ, વરુ, નોળિયો વગેરે મુખ્ય છે. પક્ષીઓની લગભગ ૩૦૦ જેટલી જાતિઓ અહીં જોવા મળે છે. હરિયાણામાં બે રાષ્ટ્રીય ઉદ્યાન તથા આઠ અભયારણ્યો તેમ જ પશુપક્ષી-સંવર્ધનકેન્દ્ર પણ આવેલાં છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા), તેલીબિયાં, કપાસ, શેરડી, ડાંગર, જવ, મરચાં અને મકાઈ રાજ્યના પાકો છે. અહીં જુદા જુદા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં કાપડ, કાગળ, સિમેન્ટ, સાઇકલ-ઉદ્યોગ, ખાંડ, ગરમ કાપડ, યંત્રસામગ્રી, કૃષિવિષયક ઓજારો, ઇલેક્ટ્રૉનિક્સ, મોટરકાર, ઘરગથ્થુ ઉપકરણો વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ ટ્રૅક્ટરો અહીં બને છે. ગુરગાંવમાં ઑટોમોબાઇલના એકમો સ્થપાયેલા છે. ભારતીય સેનાની જાટ રેજિમેન્ટ તેની બહાદુરી માટે વિશ્વવિખ્યાત છે. હરિયાણા એક્સ્પ્રેસ ક્રિકેટર કપિલદેવ, વિજેન્દ્રસિંગ તથા સુશીલકુમાર જેવા કુસ્તીબાજો, બૅડમિન્ટન-ચૅમ્પિયન સાયના નેહવાલ તથા બીજા અનેક રમતવીરો હરિયાણાની દેન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાણા, પૃ. 125)

Categories
વાચન સમૃદ્ધિ

તળાજા

ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે.

તળાજાની બૌદ્ધ ગુફાઓ

અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ અને તેના ઉપરથી ‘તળાજા’ નામ થયું જણાય છે. તળાજા ગામનો ઉલ્લેખ મહેર રાજા જગમલના ઈ. સ. 1207ના દાન-શાસનમાં કરવામાં આવ્યો છે. હાથસણી(જિ. ભાવનગર)ના વિ. સં. 1386(ઈ. સ. 1330)ના શિલાલેખમાં તાલધ્વજનો વહીવટ રાજા મહિષે મહાનન્દના પુત્ર ઠેપક નામના મહેરને સોંપ્યો હોવાનું જણાયું છે. તળાજાથી ઘોઘા સુધીના દરિયાકાંઠે આવેલો પ્રદેશ ઘોઘાબારા તરીકે ઓળખાય છે. કિનારાના મેદાનની જમીન કાળી અને ફળદ્રૂપ છે. દરિયાકિનારો 10 કિમી. કે તેથી ઓછો દૂર હોઈને આબોહવા સમધાત છે. સરેરાશ વાર્ષિક વરસાદ 560 મિમી. છે. બાજરી, મગફળી, મરચાં, શેરડી, જીરું વગેરે મુખ્ય પાક છે. ડુંગળીનો વિપુલ પાક થાય છે. શાકભાજી તથા ડુંગળીની નિકાસ થાય છે. શેત્રુંજીબંધ અને કૂવા દ્વારા સિંચાઈ થાય છે. તળાજા આજુબાજુનાં ગામો માટેનું વેપારી મથક છે. અહીં તેલમિલો અને બિસ્કિટનાં કારખાનાં છે. હીરા ઘસવાનો ઉદ્યોગ આસપાસનાં ગામો અને તળાજામાં વિકસતો જાય છે. તળાજા નજીકના અલંગને કારણે ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે તથા ઑક્સિજન ગૅસનાં કારખાનાં અને રોલિંગ મિલો ઊભાં થયાં છે. તાલુકાના માખણિયા ગામે ખાંડનું કારખાનું છે. તળાજા ભાવનગર–તળાજા–મહુવા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. લખપતથી ઉમરગામ સુધીના તટીય ધોરી માર્ગ (‘કોસ્ટલ હાઈવે’) દ્વારા તે મહુવા અને ભાવનગર સાથે અને એસ. ટી. દ્વારા ભાવનગર, મહુવા, જેસર, પાલિતાણા, સાવરકુંડલા, અમદાવાદ વગેરે ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. 10 કિમી. દૂર આવેલા સરતાનપુર બંદરેથી ડુંગળી, બાજરી, તેલ, શાકભાજી વગેરેની નિકાસ થાય છે અને ઇમારતી લાકડું, વિલાયતી નળિયાં અને કપાસિયા આયાત થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તળાજા, પૃ. 745 અથવા જુઓ https://gujarativishwakosh.org/તળાજા/)

Categories
વાચન સમૃદ્ધિ

હરિદ્વાર (હરદ્વાર)

ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ.

તે ૨૯O ૫૭´ ૩૦´´ ઉ. અ. અને ૭૮O ૧૨´ ૦૦´´ પૂ. રે. પર આવેલું છે. ઉત્તરમાં હિમાલયમાં ભગવાન હર (શિવજી) બિરાજે છે તે કેદારનાથ મંદિર તેમ જ ભગવાન હરિ કે શ્રીવિષ્ણુ બિરાજે છે તે બદરીનારાયણ મંદિર જવાનો પર્વતીય માર્ગ જ્યાંથી શરૂ થાય છે, તે સ્થળને હરદ્વાર કે હરિદ્વાર કહે છે. હિમાલયની તળેટીમાં નીલ અને બિલ્વ નામના બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં તે વસેલું છે. નીલ શિખર ઉપર ચંડિકાદેવી તથા બિલ્વ શિખર ઉપર મનસા કે મનીષા દેવીનાં મંદિરો આવેલાં છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને અહીંથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેથી હરિદ્વાર ગંગાદ્વાર તરીકે પણ જાણીતું છે. અહીંથી હિમાલયના પહાડી પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. મોક્ષદાયિકા સાત પવિત્ર નગરીઓમાં તેનું સ્થાન છે.

હર કી પેડી, બ્રહ્મઘાટ, હરિદ્વાર

આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. કહેવાય છે કે અહીં કપિલ મુનિનું તપોવન હતું. તે સમયે આ નગર ‘કપિલા’ નામથી જાણીતું હતું. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞ નિમિત્તે ભગવાન શિવને આમંત્રિત ન કરવા બદલ તેમ જ યજ્ઞમાં શિવનો યજ્ઞભાગ ન કાઢવા બદલ પુત્રી પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદી પડીને પોતાના શરીરની આહુતિ આપેલી. અહીંની ગંગા તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે. હ્યુ-ઍન-સંગ સાતમી સદીમાં અહીં હરિદ્વાર આવેલા. તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરિદ્વારનું મોટામાં મોટું આકર્ષણ ‘હર કી પેડી’ છે, તે સ્થળ બ્રહ્મઘાટ તરીકે પણ જાણીતું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર તથા વિષ્ણુનાં ચરણચિહ્નો આવેલાં છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહ્નોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા ફરે છે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે. એવો આ મહાપવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. ઘાટની વચ્ચે ઘડિયાળસ્તંભ આવેલો છે. સાંજે ગંગાઆરતી સમયે અહીં મોટી ભીડ જામે છે. ઘાટ પર બીજાં અનેક દેવ-દેવીઓનાં મંદિરો આવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે હરિદ્વારમાં ૨૦૦થી વધુ ધર્મશાળાઓ છે. નિ:શુલ્ક ભોજનાલયો પણ આવેલાં છે. દહેરાદૂન સુધીનો રેલમાર્ગ હોવાથી યાત્રીઓને હરિદ્વાર જવા આવવાની અનુકૂળતા રહે છે. બસની પણ સારી સગવડ છે. હરિદ્વારની નજીક કનખલ તથા જ્વાલાપુર તીર્થો આવેલાં છે. કનખલમાં સંત-સંન્યાસીઓ વસે છે. આઠેક કિમી.ના અંતરે કાંગડી ગુરુકુળ આવેલું છે. નજીકમાં હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. લોકમાન્યતા મુજબ હરિદ્વારમાં મૃત્યુ પામનાર પરમપદને પામે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10