Categories
વાચન સમૃદ્ધિ

સ્વામિનારાયણ સંપ્રદાય

સહજાનંદ સ્વામીએ સ્થાપેલો સંપ્રદાય.

સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસેના લોજ ગામમાં ઉદ્ધવના અવતાર મનાતા સ્વામી રામાનંદ પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લઈ નીલકંઠ બ્રહ્મચારી સ્વામી સહજાનંદ બન્યા. સ્વામી રામાનંદે પોતાના અવસાન પહેલાં પોતાના અનુયાયીમંડળના આચાર્યપદે સ્વામી સહજાનંદને સ્થાપ્યા. ગુરુ રામાનંદ સ્વામીના અવસાન બાદ ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ વૈદિક તત્ત્વજ્ઞાનના સાર રૂપે ‘સ્વામિનારાયણ’નો મંત્ર આપ્યો. એ જ મંત્રથી તેઓ ‘ભગવાન સ્વામિનારાયણ’ તરીકે ઓળખાયા અને આ ઉદ્ધવ સંપ્રદાય વખત જતાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ના નામે ઓળખાયો.

સ્વામિનારાયણ મંદિર, મૂળી

ઈ. સ. ૧૮૦૧માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી અને આ પ્રવૃત્તિએ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને વ્યાપક સ્વીકૃતિ અપાવી. સહજાનંદ સ્વામી સંયમના ચુસ્ત આગ્રહી હતા, તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં જે વિલાસિતાનાં તત્ત્વોએ પ્રવેશ કરવા માંડ્યો હતો તેને દૂર કરી ધર્મમાં સદાચારને પ્રાધાન્ય આપ્યું. એમણે યજ્ઞોને અહિંસક બનાવ્યા; એ સમયની અરાજક સ્થિતિનો લાભ ઉઠાવતી ધાડ અને ચોરીનો ધંધો કરતી કાઠી અને કોળી જેવી કોમોને શાંત, પ્રામાણિક, મહેનતુ અને ધર્મનિષ્ઠ બનાવી; લોકોનાં અફીણ, દારૂ ને તમાકુનાં વ્યસન છોડાવ્યાં; રાજપૂતો ને કાઠીઓનો દીકરીને દૂધ-પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો; સતી થવાના ચાલને પોતાની અસંમતિ આપી; વિધવાઓને ભગવાનને પતિ માની તેની ભક્તિ કરવાનો માર્ગ ચીંધી વૈધવ્યને ધર્મપરાયણ અને હેતુલક્ષી બનાવ્યું. આમ તળગુજરાત અને કાઠિયાવાડના લોકોમાં વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક આગવું સ્થાન મેળવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયની દાર્શનિક વિચારધારા રામાનુજદર્શન(શ્રીસંપ્રદાય)થી પ્રભાવિત છે; તેથી અહીં પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ – એમ પાંચ અનાદિ તત્ત્વોનો નિર્દેશ છે. બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી પર છે. જીવ અને ઈશ્વર બ્રહ્મ સાથે એકતા કરી માયાથી પર થઈ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. સંપ્રદાયમાં શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદિત કરેલા સદાચારને ધર્મ ગણવામાં આવે છે, આથી સંપ્રદાયના ત્યાગી વર્ગને પંચવર્તમાન – નિષ્કામ, નિ:સ્નેહ, નિ:સ્વાદ, નિર્માન અને નિર્લોભ – આ પાંચ વ્રતો પાળવાનાં હોય છે. આ ઉપરાંત દરેક ત્યાગી-ગૃહસ્થી સત્સંગીએ લસણ-ડુંગળીનો ત્યાગ પણ કરવાનો હોય છે.

રાજશ્રી મહાદેવિયા

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વામિનારાયણ સંપ્રદાય, પૃ. 98)

Categories
વાચન સમૃદ્ધિ

ઢાલશંકુ (shield cone)

જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુ આકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત કે વિસ્ફોટક પ્રકારની હોઈ શકે છે. આવા શંકુ ઓછી ઊંચાઈવાળા, ચોતરફથી પહોળા દેખાવવાળા હોય છે. ફાટ દ્વારા થતાં વારંવારનાં લાવાપ્રવાહનાં પ્રસ્ફુટનોથી વિસ્તરણ થવાને બદલે એક જ ફાટ વિભાગની આજુબાજુ લાવા જમા થતો જાય તો તે પહોળા, ગોળાકાર ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો રચે છે. તેને ઢાલશંકુ કહે છે. તેની ટોચ પર યોદ્ધાની ઢાલને મળતો આવતો આછો બહિર્ગોળ ઉચ્ચસપાટપ્રદેશ જેવો આકાર રચાતો હોવાથી તેનું નામ ઢાલશંકુ પડેલું છે. જોવા મળેલા ઢાલશંકુઓ પૈકી કેટલાકનું કદ હજારો ઘન કિલોમીટરનું હોય છે. આવા ઢાલશંકુઓમાં શિખરભાગથી ટેકરીની નીચેની બાહ્ય કિનારીઓ સુધીની ફાટ જામીને લાંબી દીવાલ જેવી દેખાતી હોય છે. ઢાલશંકુઓ લગભગ સંપૂર્ણપણે અસંખ્ય ઉપરાઉપરી પાતળા લાવા-પ્રવાહોનાં આવર્તનોથી બનેલા હોય છે. પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુના મોના લોઆ અને કિલોઆ ઢાલશંકુનાં લાક્ષણિક ઉદાહરણો છે. આઇસલૅન્ડના વિશાળ બેસાલ્ટયુક્ત જ્વાળામુખી પણ ઉદાહરણરૂપ ગણાવી શકાય.

મોના લોઆનો ઢાલશંકુ

ઢાલશંકુઓના બાહ્ય ઢોળાવો તદ્દન આછા (3O થી 8O સુધીના) હોય છે. તેમના શિખરભાગોમાં સપાટ તળભાગવાળાં અને લગભગ ઊભી કે ત્રાંસી દીવાલોવાળાં જ્વાળામુખો હોય છે. ઢાલશંકુઓમાં જોવા મળતાં આ પ્રકારનાં વિશિષ્ટ જ્વાળામુખો ગર્ત-જ્વાળામુખ તરીકે ઓળખાય છે. ઢાલશંકુઓને તેમના વિશાળ કદ અને રચનાત્મક માળખાને આધારે નીચે મુજબના બે પ્રકારોમાં વહેંચેલા છે : (1) આઇસલૅન્ડ પ્રકાર : તે પ્રમાણમાં ઓછા પરિમાણવાળા હોય છે, ઊંચાઈ 100થી 1000 મીટર વચ્ચેની હોય છે, તેમના તળેટીભાગનો વ્યાસ ઊંચાઈ કરતાં આશરે વીસગણો હોય છે, જ્યારે ટોચ પરના જ્વાળામુખોનો વ્યાસ 100થી 2000 મીટર જેટલો હોય છે. (2) હવાઈઅન પ્રકાર : આઇસલૅન્ડ પ્રકારની સરખામણીએ તેમનાં પરિમાણ અત્યંત વિશાળ હોય છે. સમુદ્રસપાટીથી નીચે વિસ્તરેલા ઢોળાવો સહિતનો ‘મોના લોઆ’ જ્વાળામુખી શંકુ આ પ્રકારનું ઉદાહરણ છે. તેની ઊંચાઈ આશરે 10,000 મીટર છે, તળભાગનો વ્યાસ આશરે 400 કિમી. જેટલો છે, બાજુઓના ઢોળાવના ખૂણા 6Oથી વધુ હોતા નથી, જ્યારે તેમના શિખરભાગો ક્યારેક ઉચ્ચસપાટપ્રદેશ સ્વરૂપના બની રહે છે. બધા જ ઢાલશંકુ લગભગ સંપૂર્ણપણે બેસાલ્ટ (કે ઑલિવીન બેસાલ્ટ) ખડક બંધારણવાળા હોય છે. હવાઈઅન ઢાલશંકુઓમાં બેસાલ્ટની સાથે સ્વભેદનક્રિયાથી તૈયાર થયેલા ટેફ્રાઇટ, ટ્રેકાઇટ અને ફોનોલાઇટ પણ ગૌણ પ્રમાણમાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા (Statue of Liberty)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની વિશ્વવિખ્યાત પ્રતિમા. આ શિલ્પનું પૂરું નામ છે ‘લિબર્ટી એન્લાઇટનિંગ ધ વર્લ્ડ’. તાંબાનું આ ભવ્ય પ્રતિમાશિલ્પ યુ.એસ.ની ઓળખના પ્રતીકરૂપ છે. પ્રતિમાવાળો લિબર્ટી ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈઋત્ય છેડાથી આશરે ૨.૫ કિમી. જેટલા અંતરે આવેલો છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ કરે છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પરનાં સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યદિનની રોમન અંકોમાં દર્શાવેલી ૪ જુલાઈ, ૧૭૭૬ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશતાં સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમાની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રતિમા આવકાર આપતી હોય અને સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા માટેની પ્રેરણા આપતી હોય તેવું ન લાગે તો જ નવાઈ.

અમેરિકાના લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા

સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમા ફ્રાન્સના લોકોએ ૧૮૮૪માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલી છે.
સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા બાબત સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ એડવર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબાઉલને સ્ફુરેલો. ૧૮૬૫માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ-અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેમણે કરેલું. ફ્રેન્ચ શિલ્પી બાર્થોલ્ડી તેમના મિત્ર હતા. આવું ભવ્ય શિલ્પ બનાવવા માટે તેમણે બાર્થોલ્ડીને તૈયાર કર્યા. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પ્રતિમાના આકારની રૂપરેખા બનાવેલી તેમ જ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું. પ્રતિમા તૈયાર કરવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુ.એસ.ના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા, પૃ. 95)