Categories
વાચન સમૃદ્ધિ

તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્)

કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી અને તેની અહીં સ્થાપના કરવામાં આવી. ‘તિરુવનન્તપુરમ્’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2192 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી 35,21,000 (2021, આશરે) છે. વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ 1344 છે. જિલ્લાની સાક્ષરતાનું પ્રમાણ 92 ટકા છે. ભારતનાં બધાં રાજ્યો પૈકી સાક્ષરતામાં તેનું બીજું સ્થાન છે. જિલ્લાના ત્રણ તાલુકાઓ છે.

કોવાલમ્ બીચ, તિરુવનન્તપુરમ્

જિલ્લાની ઉત્તરે કેરળનો કોલ્લમ જિલ્લો, દક્ષિણે તમિળનાડુનો કન્યાકુમારી જિલ્લો, પૂર્વ દિશાએ તમિળનાડુનો તિરુનેલવેલી અને કટ્ટાબોમ્મન જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો છે. પૂર્વ ભાગમાં પશ્ચિમઘાટનો ડુંગરાળ વિસ્તાર છે. વચ્ચે મધ્યનું મેદાન અને તેની પશ્ચિમે દરિયાકાંઠે આવેલું મેદાન છે. ત્રિવેન્દ્રમ્ દરિયાની સપાટીથી 76 મી. ઊંચું છે. જિલ્લામાં દરિયાકિનારે તાડ, નારિયેળી, કેળ અને સોપારીનાં વૃક્ષો છે. મોસમી પ્રકારની આબોહવાવાળાં જંગલોમાં સાગ, મૅહોગની, સીસમ, વાંસ, રબર વગેરે વૃક્ષો તથા સર્પગંધા જેવી ઔષધિઓ જોવા મળે છે. ડાંગર, શેરડી, મરી, એલચી, ચા, કાજુ, ટોપિઓકા વગેરે મુખ્ય પાક છે. અનાજની ખાધવાળા આ જિલ્લામાં 50 % જમીનમાં રોપણી દ્વારા થતા પાકોનું વાવેતર થાય છે. તેનાં જંગલોમાં વાઘ, હાથી, વાંદરા, હરણ, મગર, ઝેરી અને બિન-ઝેરી સાપો જોવા મળે છે. અહીં કાબર, કબૂતર, પોપટ, મેના, કાગડો ઉપરાંત અનેક રંગબેરંગી પક્ષીઓ હોય છે. અહીં પદ્મનાભનું મંદિર તથા અન્ય મંદિરો, વેધશાળા, વસ્તુ-સંગ્રહાલય, રાજમહેલ વગેરે જોવાલાયક સ્થળો છે. તિરુવનન્તપુરમ્ શહેરની નજીક ‘કોવાલમ્ બીચ’ સહેલાણીઓને આકર્ષે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તિરુવનન્તપુરમ્, પૃ. 836 અથવા જુઓ https://gujarativishwakosh.org/તિરુવનન્તપુરમ્/)

Categories
વાચન સમૃદ્ધિ

હિમાલય પર્વતમાળા

ભારતની ઉત્તરે આવેલી, વિશ્વમાં સૌથી ઊંચાં હિમાચ્છાદિત શિખરો ધરાવતી પર્વતમાળા. હિમાલય પર્વતોની અનેક હારમાળાઓથી બનેલો છે. આ હારમાળાઓ પશ્ચિમમાં પાકિસ્તાનથી માંડીને પૂર્વમાં તિબેટ સુધી આશરે – ૨૪૦૦ કિમી. લાંબી ભારત તરફ બહિર્ગોળ – એવી ચાપ આકારે આવેલી છે. દુનિયાની આ સૌથી વિશાળ પર્વતશ્રેણી ગણાય છે. આ પર્વતમાળાઓના દક્ષિણ ઢોળાવો સીધા જ્યારે ઉત્તર ઢોળાવો આછા છે. આ પર્વતશ્રેણીનાં ૩૦ શિખરો તો ૭૩૦૦ મીટરથી (૨૪,૦૦૦ ફૂટ) પણ વધુ ઊંચાઈ ધરાવે છે. આ શિખરો બરફથી છવાયેલાં અને ઉગ્ર ઢોળાવવાળાં છે. આ પર્વતશ્રેણીમાંની ખીણો મોટી હિમનદીઓ પણ ધરાવે છે. દક્ષિણ એશિયાની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન અહીં રહેલું છે. ભારતની સિંધુથી માંડી બ્રહ્મપુત્રા સુધીની મોટી નદીઓ હિમાલયમાંથી ઉદય પામે છે. આજથી લગભગ ૩ કરોડ ૮૦ લાખ વર્ષ પૂર્વે હિમાલયની પર્વતમાળાનો તબક્કાવાર ઉદ્ભવ થયેલો. હિમાલય એ ગેડવાળા પર્વતની હારમાળા છે, જે બે ભૂતક્તીઓ (ભારતીય અને એશિયાઈ) એકબીજા સાથે અથડાતાં સર્જાઈ છે.

હિમાલય પર્વતમાળા

હિમાલય પર્વતમાળામાં કીમતી પથ્થરો અને ખનિજોના ભંડારો આવેલા છે. વળી ઘણી નદીઓ પર બંધ બાંધી વિદ્યુત પેદા કરવામાં આવે છે. નદીઓના ખીણપ્રદેશમાં તથા પહાડોના ઢોળાવો પર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, શેરડી જેવા પાકો થાય છે. સિમલા, દાર્જિલિંગ અને આસામમાં ચાના બગીચાઓ પણ આવેલા છે. તે સિવાય ફળાઉ વૃક્ષો, ચીડ, દેવદાર, સાગ, સિડાર, શંકુવૃક્ષો, ચેસ્ટનટ વગેરે થાય છે. આ વિસ્તારોમાં જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે. હિમાલયમાં વૈવિધ્યવાળી પ્રાણીસૃષ્ટિ છે. ર્હાઇનૉસિરોસ, યાક, રીંછ, ગૌર (જંગલી ગાય), કસ્તૂરીમૃગ, હંગુલ (કાશ્મીરી સાબર), કાળાં હરણ, દીપડા, લંગૂર વાનરો, બકરાં વગેરે પ્રાણીઓ તથા ૮૦૦થી વધુ જાતિનાં કીટકો તેમ જ પક્ષીઓ પણ અહીં વસે છે. હિન્દુ તથા બૌદ્ધ લોકો જેને ખૂબ પવિત્ર માને છે એ કૈલાસ પર્વત (ઊંચાઈ ૬,૭૪૧ મીટર) તિબેટમાં આવેલો છે. આ સ્થળે ભારત તથા મધ્ય એશિયાના ઘણા યાત્રાળુઓ યાત્રા કરવા આવે છે. કૈલાસ પર્વત પાસે મોટું માનસરોવર આવેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિમાલય પર્વતમાળા, પૃ. 175)

Categories
વાચન સમૃદ્ધિ

તિરુપતિ

દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળાં વૃક્ષોથી આચ્છાદિત તિરુમાલા પર્વતમાળાને ‘સપ્તગિરિ’ પણ કહેવામાં આવે છે; કારણ કે સાત ટેકરીઓ વચ્ચે આ પ્રદેશ વહેંચાયેલો છે. તિરુપતિ બાલાજી ‘વેંક્ટેશ્વર’ કે ‘શ્રીનિવાસ’ તરીકે પણ જાણીતા છે. પર્વત પર બિરાજમાન તિરુપતિ બાલાજીના દર્શને જવા માટે પાંચ માર્ગો છે, જેમાં બે માર્ગ વાહનો માટે જ્યારે ત્રણ માર્ગ પદયાત્રીઓ માટે છે. દરરોજ અહીં સરેરાશ ત્રીસથી પાંત્રીસ હજાર યાત્રાળુઓ આવે છે.

તિરુપતિનું મંદિર, તિરુપતિ

મંદિરમાં દર્શનવિધિ સાથે મુંડનવિધિનું વિશેષ મહત્ત્વ છે. દેવસ્થાનમ્ ટ્રસ્ટ તરફથી આ અંગે ખાસ વ્યવસ્થા છે. આ વિધિની વ્યવસ્થાના વિભાગને અહીં ‘કલ્યાણકટ્ટ’ કહે છે. કલ્યાણકટ્ટ દ્વારા એકત્ર થયેલ વાળની વીગ બનાવવા માટે નિકાસ થાય છે. વરસ દરમિયાન ઊજવાતા અનેક ઉત્સવોમાં નવરાત્રી અહીંનો સૌથી મોટો ઉત્સવ છે. બાલાજીની ભવ્ય મૂર્તિ પર 28,313 હીરાથી જડેલો મુગટ છે, જેની કિંમત રૂપિયા છ કરોડથી અધિક આંકવામાં આવે છે. તિરુપતિનગર ચેન્નાઈથી 131 કિમી., બૅંગાલુરુથી 170 કિમી. અને મુંબઈથી 1,281 કિમી.ને અંતરે આવેલ છે. આ નગરમાં વેંકટેશ્વર યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત ટ્રસ્ટ-સંચાલિત સંસ્કૃત વિદ્યાલય અને હૉસ્પિટલ તેમજ અનેક અતિથિગૃહો આવેલાં છે. તિરુપતિનગરમાં પદ્માવતી ગોવિંદરાજનું મંદિર ઉપરાંત નજીકમાં 35 કિમી.ના અંતરે શંકરનું પ્રાચીન મંદિર કાલહસ્તિ જોવાલાયક છે. શહેરની વસ્તી 4,18,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 6,74,000 (2025, આશરે).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8