Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકન રિપબ્લિક

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19O ઉ. અક્ષાંશ અને 70O 30’ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને, ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912 કિમી. છે. તેની કુલ વસ્તી 1,15,32,000 (2025, આશરે) છે. આ દેશની રાજધાની સેંટો ડોમિન્ગો છે, જે ડોમિનિકન ગણતંત્રનું સૌથી મોટું શહેર છે. અહીંના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. પેસો (peso) તેનું મુખ્ય ચલણ છે. આ ગણતંત્રની પૂર્વ બાજુએ મોના પૅસેજ, પશ્ચિમે હૈતી, ઉત્તરે આટલાન્ટિક મહાસાગર તથા દક્ષિણે કૅરિબિયન સાગર આવેલા છે. દ્વાર્ટી સૌથી ઊંચું (3175 મી.) શિખર છે અને તેમાં એનરિકિયો સરોવર આવેલું છે. દેશની ત્રણ નદીઓમાં થાકી ડેલ નોર્ટ, થાકી ડેલ સર અને યુના છે. આબોહવા : શિયાળામાં અહીંનું સરાસરી તાપમાન 18 O સે.થી 27 O સે. સુધી તથા ઉનાળામાં 23 O સે.થી 35 O સે. સુધી રહે છે. પૂર્વ ભાગમાં સરાસરી વાર્ષિક વરસાદ આશરે 1325 મિમી. પડે છે જ્યારે ઈશાનમાં આશરે 2050 મિમી. તથા પશ્ચિમે 4440 મિમી. વરસાદ પડે છે.

સેંટો ડોમિન્ગો શહેર

અહીંની 15,840 ચોકિમી. જમીન ખેતીને યોગ્ય છે. ખેતી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. સીબાઓની ખીણ ખેતીનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ કિનારાના પ્રદેશોમાં મોટા પાયે શેરડી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કોકો, તમાકુ અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. બટાટા, વટાણા, નારિયેળ, સંતરાં, અનનાસ અને મકાઈની ખેતી પણ થાય છે. પશુપાલનનો વિકાસ થયેલો નથી. મત્સ્યઉદ્યોગનો આંશિક વિકાસ થયો છે. મેહૉગની તથા અનનાસ આ પ્રદેશની વિશિષ્ટ વનસ્પતિ છે. લોખંડ, નિકલ, ચાંદી, સોનું, યુરેનિયમ, સીસું, જસત અને કલાઈ અહીંનાં ખનિજો છે. સંગેમરમર, ચિરોડી અને તાંબું પણ અહીં મળી આવે છે. બારાબોનાની નજીક આશરે 16 કિમી. લાંબો મીઠાનો પર્વત આવેલો છે. સાતથી ચૌદ વર્ષ સુધીની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. સૅન્ટો ડોમિંગો વિશ્વવિદ્યાલય દેશની એકમાત્ર ઉચ્ચ શિક્ષણની  સંસ્થા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 68 % છે. દેશના પર્વતીય વિસ્તારમાં જંગલી સૂવર જોવા મળે છે. અનેક પ્રકારનાં કબૂતર, બતક વગેરે પક્ષીઓ તેમજ અમેરિકન મગર તથા રાજહંસ પણ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકન રિપબ્લિક, પૃ. 600 અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોમિનિકન રિપબ્લિક/)

Categories
વાચન સમૃદ્ધિ

સ્વચ્છતા

આરોગ્ય કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ મનુષ્યના આંતરબાહ્ય જીવનમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ, શુદ્ધિ કે સફાઈ. ભારતીય સંસ્કૃતિ સદીઓથી સ્વચ્છતાને ધર્મ સાથે સાંકળી તેનો મહિમા દાખવતી રહી છે. હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિનો અભ્યાસ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં પાણીપુરવઠા અને ગટરની સુનિયોજિત રચનાવાળાં નગરો પણ ભારતમાં હતાં. ભારતીય ધર્મશાસ્ત્રો સ્વચ્છતાના આગ્રહવાળી જીવનશૈલીનો નિર્દેશ કરે છે. મોટા ભાગના ભારતીયો સ્નાન કર્યા બાદ જ પોતાનાં દૈનિક કર્મો શરૂ કરે છે. એ મુજબ વ્યક્તિ સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, પૂજા-પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. જમ્યા પહેલાં અને પછી હાથ-મોં ધોવાં, બહારથી આવીને હાથ-પગ ધોવા, શૌચની ક્રિયા બાદ સ્નાન કરવું, ઘરમાં પ્રવેશતાં પગરખાં ઘરની બહાર મૂકવાં વગેરેમાં સ્વચ્છતાનો આગ્રહ અને તેનું પાલન જોઈ શકાય છે. સ્વચ્છતા આપણી રહેણીકરણીમાં, આપણાં રોજ-બરોજનાં કામમાં પણ જોવા મળતી હોય છે.

સ્વચ્છતા રાખવી જોઈએ તેનો નિર્દેશ કરતું એક ચિત્ર

આ રીતે નખ કાપવા, વાળ સ્વચ્છ રાખવા, આંખો ધોવી, હાથ-પગ ધોવા જેવી વ્યક્તિની અંગત સ્વચ્છતા પર સામાન્ય રીતે ઘર અને શાળામાં ધ્યાન અપાતું હોય છે. અંગત સ્વચ્છતા જેટલું જ ધ્યાન ઘરની સ્વચ્છતા પર પણ અપાતું હોય છે. રોજબરોજ ઘરની સફાઈ કરવી, શૌચાલય અને સ્નાનાગાર સ્વચ્છ રાખવાં અત્યંત જરૂરી છે. સ્વચ્છ ઘરમાં લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. વળી દિવાળી પહેલાં કે ગ્રહણ બાદ પણ ઘરની સફાઈ કરવાનો જે રિવાજ છે તે પણ સરાહનીય છે. જેટલી પોતાના ઘરની સ્વચ્છતા અંગે હોય તેટલી જ ચીવટ ઘરની બહાર જાહેર સ્થળો માટે પણ હોવી જોઈએ. જાહેર સ્થળો પર ગમે ત્યાં કચરો નાખવો, થૂંકવું, મળ-મૂત્રનો ત્યાગ કરવો જેવી કુટેવો નજરે પડે છે. આ બધાં પાછળ અનેક પરિબળો કારણભૂત હોય છે – ગરીબાઈ, અજ્ઞાન, આળસ વગેરે ઉપરાંત વધુ પડતી વસ્તી, વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતા જેવાં અન્ય અનેક કારણોથી સ્વચ્છતા કે સફાઈનું કામ અવરોધાતું હોય છે. ગાંધીજી ભારતના દરેક નાગરિકને સ્વચ્છ પાણી ખોરાક અને હવા મળે તે માટે આગ્રહ રાખતા હતા. આશ્રમમાં આ કાર્યો જાતે કરી તેમણે લોકોમાં સ્વચ્છતા ને સમાનતાનો સારો દાખલો બેસાડ્યો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વચ્છતા, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

ડોડા

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે ૩૨° ૫૩´ ઉ. અ.થી ૩૪° ૨૧´ ઉ. અ. અને ૭૫° ૧´ પૂ. રે.થી ૭૬° ૪૭ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૧૦૭ મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – આબોહવા- વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા ૬૦૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે. આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ ૯૨૬ મિમી. જ્યારે બરફવર્ષા ૧૩૫ મિમી. રહે છે. અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

ચંડીમાતાનું મંદિર

અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે ૬૦૦૦ ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. આ જિલ્લાની ૮૧૯૩ હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે ૬૦૨૯ હેક્ટર ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે. પરિવહન – પ્રવાસન : જમ્મુથી ૧૭૫ કિમી. અને શ્રીનગરથી ૨૦૦ કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસૉર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી : આ જિલ્લાની વસ્તી (૨૦૨૫ મુજબ) ૪,૯૦,૨૮૩ છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૬૮% છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮ અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોડા/)