Categories
વાચન સમૃદ્ધિ

હવામાન

પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)

Categories
વાચન સમૃદ્ધિ

તાઇવાન

ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120° 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડેલો છે. તાઇવાનની દક્ષિણમાં આવેલી ‘બાશી ચૅનલ’ ફિલિપાઇન્સ ટાપુઓને તેનાથી અલગ પાડે છે. વળી તાઇવાનની ઉત્તરમાં ‘પૂર્વ ચીનનો સમુદ્ર’ તથા પૂર્વમાં ‘પૅસિફિક મહાસાગર’ આવેલા છે. મુખ્ય ટાપુ ઉપરાંત તાઇવાન ટાપુઓના જૂથમાં બીજા 15 ટાપુઓ તેમજ 64 જેટલા નાના નાના ‘પેસ્કાડૉર્સ દ્વીપસમૂહ’નો સમાવેશ થાય છે. આ બધાનું કુલ ક્ષેત્રફળ 36,188 ચોકિમી. જેટલું છે. ખેતી : સિંચાઈની સુવિધાવાળા ખીણપ્રદેશો તથા મેદાનોમાં ડાંગર, શેરડી, શણ, ઘઉં તથા કેળાં, લીચી, પીચ, અનેનાસ, તરબૂચ, નારંગી જેવાં ફળો અને શાકભાજીની ખેતી તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે.

કી-લંગ બંદર, તાઇવાન

પરંપરાગત રીતે તાઇવાન ખેતીપ્રધાન પ્રદેશ છે. છતાં ખૂબ ઓછા સમયમાં તેણે મોટી ઔદ્યોગિક પ્રગતિ સાધીને દેશના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. અહીં ઉદ્યોગોનું વૈવિધ્ય વધારે છે. બધા ઉદ્યોગોમાં કાપડ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અહીં વીજ અને વીજાણુ (electronics) ભાગો અને ઉપકરણો, કાગળ, ખાંડ, તૈયાર કપડાં, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, રસાયણો, સિમેન્ટ, કાચ, સિગારેટ, રબર તથા ચામડાનો સરસામાન, છાપકામ તથા પ્રકાશન વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે. વાહનવ્યવહાર અને વ્યાપાર : ટાપુ પર આશરે 1,713 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા 15,517 કિમી. લંબાઈના સડકમાર્ગો આવેલા છે. પાટનગર તાઇપેઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે. ખાસ કરીને તેનો વિદેશવ્યાપાર કિનારા પરના કી-લંગ તથા નૈઋત્ય ખૂણે આવેલા કાઓ-સીયુંગ એ બે બંદરો દ્વારા ચાલે છે. તેના મોટા ભાગના વ્યાપારી સંબંધો જાપાન, યુ.એસ; હૉંગકૉંગ, વિયેતનામ, જર્મની, મલેશિયા, સિંગાપોર, કુવૈત વગેરે દેશો સાથે છે. વસ્તી અને વસાહતો : તાઇવાનની કુલ વસ્તી 2,33,96,000 (2024, આશરે) જેટલી હતી. ખાસ કરીને પશ્ચિમ કિનારાનાં મેદાનોમાં તથા તેને અડીને આવેલા ઊંચા પ્રદેશોમાં ગીચ વસ્તી જોવા મળે છે. આ ટાપુમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 62% જેટલું છે. તાઇપેઈ એ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ ઉપરાંત અહીં કી-લંગ, કાઓ-સીયુંગ, તાઇચુંગ, તાઇનાન વગેરે બીજાં અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇવાન, પૃ. 752 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇવાન/)

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાળી ક્રાંતિ (green revolution)

નવી ટૅક્નૉલૉજી દ્વારા ભારતમાં ખેતીક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ.

‘હરિયાળી’ એટલે લીલોતરી. એ શબ્દ વનસ્પતિની – ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે; જ્યારે ‘ક્રાંતિ’ શબ્દ મૂળભૂત પરિવર્તન સૂચવે છે. ભારતના હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ. એસ. સ્વામીનાથન નોંધે છે કે, ‘ખેતવિકાસની પ્રક્રિયા એ ફક્ત અન્નક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઝડપી અને વધુ શક્ય આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.’ હરિયાળી ક્રાંતિ એટલે ખેતીક્ષેત્રે ઉત્પાદનપદ્ધતિમાં આમૂલ પરિવર્તન; પરંતુ આ આમૂલ પરિવર્તન સાથે કેટલીક બાબતો જોડાયેલી છે.

હરિયાળી ક્રાંતિ દર્શાવતો પંજાબનો એક ક્ષેત્રવિસ્તાર

આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા : ઊંચી ઉત્પાદકતા ધરાવતાં બીજ, રાસાયણિક ખાતરો અને સમયસર અને પૂરતો પાણી-પુરવઠો. વધુ ઉત્પાદકતા ધરાવતાં બીજની એ ખાસિયત છે કે તેમાંથી ઊગતા છોડની લંબાઈ ઓછી રહે છે અને તે ઝડપથી પરિપક્વ થાય છે, તેથી તેને ખાતર રૂપે પૂરતું પોષણ અને સમયસર માપસરનું – પૂરતું પાણી મળવું જોઈએ. આની સાથે જંતુનાશક દવાઓનો વ્યાપક ઉપયોગ સંકળાયેલો છે; કેમ કે નવાં બિયારણ પર આધારિત પાક સરળતાથી રોગચાળાનો અને જીવજંતુઓનો ભોગ થઈ પડે છે. ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિ ૧૯૬૬માં રવી પાકથી શરૂ થઈ. ભારતના કૃષિક્ષેત્ર પર આને પરિણામે અનેક પ્રકારની અસરો પડી છે. તેની કેટલીક સારી અસરો નીચે પ્રમાણે છે : (૧) ભારતમાં નવી ઉત્પાદનપદ્ધતિના કારણે કેટલાંક ધાન્યો અને વ્યાપારી પાકોના ઉત્પાદનમાં વધારો થયો. (૨) નવાં સુધરેલાં બિયારણો અને આધુનિક પદ્ધતિના ઉપયોગથી ખેત-ઉત્પાદકતામાં વધારો થયો. (૩) ઘઉંના ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો. ત્યાર બાદ ચોખા અને અન્ય ધાન્ય-પાકોમાં પણ અનુકૂળ અસરો દેખાવા માંડી. કપાસ, શેરડી, શણ અને કૉફી જેવા પાકોમાં ઉત્પાદન વધ્યું. (૪) ખેડૂતોના દૃષ્ટિબિંદુમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ વધુ ઉત્પાદન અને તેના સારા ભાવો કઈ રીતે મેળવવાં તે અંગે વિચારતા થયા. તેઓની આવકમાં પણ વધારો થયો. (૫) હરિયાળી ક્રાંતિને લીધે અનાજના ઉત્પાદનમાં વધારાના કારણે અનાજની આયાત ઘટવા માંડી. (૬) રોજગારીની તકોમાં વધારો થયો. (૭) ઔદ્યોગિક ક્ષેત્રે નવા ઉદ્યોગોને વેગ મળ્યો. (૮) ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થયો. (૯) સમગ્ર દુનિયાના કૃષિ-ઉત્પાદનમાં હિસ્સાની દૃષ્ટિએ ભારત અગ્રણી બન્યું છે. નવી ટૅક્નૉલૉજીની કેટલીક મર્યાદાઓ પણ છે તે છતાં પણ તેને ‘હરિયાળી ક્રાંતિ’ જેવું મોટું નામ આપવામાં આવ્યું છે તે હકીકતને સમજવા માટે પંજાબનું ઉદાહરણ તપાસી શકાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાળી ક્રાંતિ (green revolution), પૃ. 126)