Categories
વાચન સમૃદ્ધિ

સ્પીકર (અયક્ષ)

પ્રત્યેક ધારાસભા કે વિધાનસભા-ગૃહના સંચાલક મુખ્ય પદાધિકારી –અધ્યક્ષ. ભારતમાં સંસદનાં ગૃહો તેમ જ રાજ્યોનાં ધારાગૃહોના મુખ્ય સંચાલનના વ્યવસ્થાપનની જવાબદારી તેઓ અદા કરે છે. સ્પીકર(અધ્યક્ષ)-પદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. ૧૩૭૭માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ સ્પીકર થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા તેમ ગૃહના નિર્ણયની જાણ તેઓ રાજાને કરતા.

ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર,  લોકસભા-ગૃહ, દિલ્હી

લોકસભા કે વિધાનસભાના ૩ સ્તંભો મનાય છે : ૧. સ્પીકર (અયક્ષ), ૨. વડાપ્રધાન/મુખ્યપ્રધાન અને ૩. વિરોધપક્ષના નેતા. સ્પીકરનું સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું હોય છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. એક પ્રણાલી અનુસાર જો સ્પીકરના હોદ્દાધારી પદાધિકારી નવી ચૂંટણી વખતે ઉમેદવારી કરે તો તેની સામે અન્ય કોઈ પક્ષ ઉમેદવાર ઊભા રાખતા નથી અને તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે સ્પીકરે (અધ્યક્ષે) પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી સ્પીકરનું પદ ચાલુ રહે છે; તેમ છતાં સ્પીકરને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે સ્પીકરને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભાના સ્પીકર કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકાય છે. સ્પીકરની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમ જ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેમની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમ જ પ્રસ્તાવોની રજૂઆત તથા ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. સ્પીકર-પદની ગરિમા, માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમ જ પ્રત્યેક ગૃહના સભ્યની ફરજ છે.

અમલા પરીખ

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્પીકર (અધ્યક્ષ), પૃ. ૮૦)

Categories
વાચન સમૃદ્ધિ

ડુંગરપુર

રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો  પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : ૨૩° ૫૦´ ઉ. અ. અને ૭૩° ૪૩´ પૂ. રે.. જિલ્લાની પૂર્વમાં રાજ્યનો વાંસવાડા જિલ્લો, ઉત્તરમાં ઉદેપુર જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમમાં ગુજરાત રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આવેલા છે. તે સમુદ્ર સપાટીથી ૩૦૦થી ૪૦૦ મી. ઊંચાઈ ધરાવે છે. તેનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ છે, જોકે ડુંગરાઓ વચ્ચે સપાટ મેદાનો પણ આવેલાં છે. ભૂસ્તરવિજ્ઞાનની દૃષ્ટિએ આ વિસ્તાર પ્રીકેમ્બ્રિયન યુગનો ખડક પ્રદેશ છે. તેમાં આર્કિયન ગ્રૅનાઇટ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત સિલિકા, ક્વાર્ટઝાઇટ, સ્લેટ તથા ચૂનાના પથ્થરો પણ પ્રાપ્ત થાય છે. ડુંગરાઓની સરેરાશ ઊંચાઈ ૪૯૦ મી. જેટલી છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩,૭૭૦ ચોકિમી. તથા કુલ વસ્તી ૧૩,૮૮,૫૫૨ (૨૦૨૫) છે, જેમાં લગભગ ૭૦% લોકો અનુસૂચિત જનજાતિના છે. વસ્તીનો ગીચતાદર ચોકિમી. દીઠ ૨૩૨ છે. તે પ્રદેશમાં બે મુખ્ય નદીઓ છે : મહીસાગર (મહી) તથા સોમ. મહીસાગર નદી ડુંગરપુર અને વાંસવાડા જિલ્લાઓની સરહદ બનાવે છે. તેનો પટ ૧૦૦થી ૧૩૦ મી. પહોળો છે : ગાલિયાકોટથી આગળ તે ગુજરાતમાં પ્રવેશે છે. સોમ નદી મેવાડથી ડુંગરપુર જિલ્લામાં ઉત્તર-પૂર્વ તરફથી પ્રવેશે છે તથા આગળ જતાં તે મહીસાગર નદીને મળે છે. ઉપરાંત, જાખમ અને મોરન અન્ય નદીઓ છે. ઉનાળામાં જિલ્લાનું તાપમાન સરેરાશ ૪૪° સે. હોય છે. તે ૪૫° સે. સુધી જાય છે. શિયાળામાં તાપમાન ૨૦૦ સે. સુધી નીચે આવે છે. જિલ્લાનો સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦ મિમી. થી ૧૦૦૦ મિમી. હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦%થી ૭૯% રહે છે.

દેવસોમનાથનું મંદિર

એક જમાનામાં આ વિસ્તાર વનપ્રદેશ હતો; પરંતુ હવે મોટા ભાગનાં જંગલો નષ્ટ થઈ ગયાં છે. જે થોડાંક જંગલો બાકી છે તેમાં સાગ, મહુડા, માલબેરી, ખજૂર, ગુલર, સાલર, તેંદુ, બેહેડો અને ટીમરુનાં વૃક્ષો છે. ઉપરાંત, જંગલોમાંથી કાથો, ગુંદર અને મધ પ્રાપ્ત થાય છે. બીડી બનાવવાનાં પાન પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જિલ્લાની કુલ જમીનમાંથી ૧,૨૪,૧૮૭ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. શિયાળુ પાકમાં ઘઉં, જવ, ચણા, ધાણા, જીરું અને કપાસ પેદા થાય છે; જ્યારે ઉનાળુ પાકમાં મકાઈ, ડાંગર, મગફળી, શેરડી અને તેલીબિયાંના પાક લેવાય છે. કૂવાઓ તથા તળાવમાંથી સિંચાઈનું પાણી મેળવવામાં આવે છે. મહીસાગર પર બંધાયેલ બંધમાંથી ડુંગરપુર સુધી પાણી પહોંચાડવા માટે સાઇફન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હિંમતનગરથી ઉદેપુર સુધીની રેલલાઇન આ જિલ્લાના પશ્ચિમ છેડેથી રતનપુરમાં પ્રવેશ કરી ડુંગરપુરમાંથી પસાર થાય છે. ડુંગરપુરથી ૨૪ કિમી. અંતરે બારમી સદીનું દેવસોમનાથનું મંદિર સંપૂર્ણ આરસપહાણનું બનેલું છે. તેનું ગર્ભગૃહ આઠ વિશાળ થાંભલા પર બાંધેલું છે.

શંકરલાલ ત્રિવેદી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮, ડુંગરપુર, પૃ. ૫૪૮, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુંગરપુર/)

Categories
વાચન સમૃદ્ધિ

સ્થળાંતર

૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)