Categories
વાચન સમૃદ્ધિ

તાઇપેઈ

ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ 1949થી તે એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે અસ્તિત્વ ધરાવે છે. 1950થી આ નગરનો ઝડપી વિકાસ થયો છે, તેથી તે સમગ્ર એશિયાનાં સૌથી વધુ વિકાસ પામતાં નગરો પૈકીનું એક છે. આ નગરનું મૂળ ક્ષેત્રફળ લગભગ 67 ચોકિમી. હતું, પણ 1967માં અહીં નગરપાલિકા સ્થપાતાં આ ટાપુના સમગ્ર ઉત્તર ભાગમાં આવેલાં કી-લંગ અને તાન-શુઈ બંદરો સહિત ઘણાં ગામડાં અને કસબાઓને આ શહેરી વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યાં હતાં, જેથી તેનું ક્ષેત્રફળ વધીને 272 ચોકિમી. જેટલું થયું. આ શહેરની વસ્તી 24,62,482 (મ્યુનિસિપાલિટી) 90,78,000 મહાનગર (2022) છે. વિશ્વમાં ગીચ વસ્તી ધરાવતાં નગરોમાં તેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય સંગ્રહાલય, તાઇપેઈ

આ નગર વ્યાપાર, ઉદ્યોગ તથા વાહનવ્યવહાર જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં ટાપુનાં અન્ય નગરો કરતાં અગ્રેસર રહ્યું છે. અહીં દેશનાં અગત્યનાં સુતરાઉ કાપડનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. અહીં ખાસ કરીને વીજાણુ પુરજા અને ઉપકરણો, વિદ્યુત-યંત્રસામગ્રી અને ઉપકરણો, તાર, મોટરસાઇકલ, પ્લાસ્ટિક તથા રબરનો સરસામાન, વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવામાં આવતી ચીજવસ્તુઓ, નૌકા તથા જહાજ-બાંધકામ, હસ્તકૌશલ્યની વિવિધ ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. તે શંગ-શાન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. ત્યાં ઉત્તમ પ્રકારની જાહેર આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ છે. નગરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, તકનીકી અને વ્યવસાયલક્ષી શિક્ષણસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ તથા નૅશનલ તાઇવાન યુનિવર્સિટી, નૅશનલ તાઇવાન નૉર્મલ યુનિવર્સિટી અને નૅશનલ ચેંગચી યુનિવર્સિટી આવેલી છે. નગરમાં અનેક જોવાલાયક સ્થળો છે. તે પૈકીનું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન ખૂબ સમૃદ્ધ છે. તેમાં હસ્તકલાકારીગરી, ચિત્રકામ, ભરતકામ, ચિનાઈ માટીનાં વાસણો તથા બીજી અનેક પ્રકારની પ્રાચીન અમૂલ્ય ચીજવસ્તુઓના લગભગ છ લાખ જેટલા નમૂના છે. આ સિવાય નગરમાં સંખ્યાબંધ ખ્રિસ્તી દેવળો તેમજ તાઓ તથા બૌદ્ધમંદિરો છે. તાઇપેઈના મધ્ય ભાગથી આશરે 16 કિમી. દૂર પર્વતની તળેટીમાં ગરમ પાણીના ઝરા છે અને આશરે 11 કિમી. દૂર ગ્રીન સરોવર આવેલું છે, જ્યાં જલવિહાર તથા જલરમતોની સુવિધાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇપેઈ, પૃ. 751 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇપેઈ/)

Categories
વાચન સમૃદ્ધિ

હરિયાણા

ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય.

તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) જેટલી છે. હરિયાણા સ્વાતંત્ર્ય પહેલાં તેમ જ પછીથી થોડાં વર્ષો સુધી પંજાબ રાજ્યનો એક ભાગ હતું. નવેમ્બર, ૧૯૬૬માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી. તેનું પાટનગર ચંડીગઢ છે.

વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ‘ભારત’ નામ જેના પરથી મળ્યું તે ભરતવંશના રાજાઓ આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’માં હરિયાણાનો ઉલ્લેખ છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં છે. પાણીપતની લડાઈઓ પણ આ જ ક્ષેત્રમાં થઈ હતી. મધ્યયુગ દરમિયાન પણ હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

ધ રૉક ગાર્ડન, ચંડીગઢ

અહીંનાં જંગલોમાં મલબરી, નીલગિરિ, પાઇન, સીસમ અને બાવળ જેવાં વૃક્ષો ઊગે છે. અહીં જોવા મળતાં પ્રાણીઓમાં કાળિયાર, નીલગાય, દીપડો, શિયાળ, વરુ, નોળિયો વગેરે મુખ્ય છે. પક્ષીઓની લગભગ ૩૦૦ જેટલી જાતિઓ અહીં જોવા મળે છે. હરિયાણામાં બે રાષ્ટ્રીય ઉદ્યાન તથા આઠ અભયારણ્યો તેમ જ પશુપક્ષી-સંવર્ધનકેન્દ્ર પણ આવેલાં છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા), તેલીબિયાં, કપાસ, શેરડી, ડાંગર, જવ, મરચાં અને મકાઈ રાજ્યના પાકો છે. અહીં જુદા જુદા અનેક ઉદ્યોગો વિકસ્યા છે. તેમાં કાપડ, કાગળ, સિમેન્ટ, સાઇકલ-ઉદ્યોગ, ખાંડ, ગરમ કાપડ, યંત્રસામગ્રી, કૃષિવિષયક ઓજારો, ઇલેક્ટ્રૉનિક્સ, મોટરકાર, ઘરગથ્થુ ઉપકરણો વગેરેના એકમોનો સમાવેશ થાય છે. દેશમાં સૌથી વધુ ટ્રૅક્ટરો અહીં બને છે. ગુરગાંવમાં ઑટોમોબાઇલના એકમો સ્થપાયેલા છે. ભારતીય સેનાની જાટ રેજિમેન્ટ તેની બહાદુરી માટે વિશ્વવિખ્યાત છે. હરિયાણા એક્સ્પ્રેસ ક્રિકેટર કપિલદેવ, વિજેન્દ્રસિંગ તથા સુશીલકુમાર જેવા કુસ્તીબાજો, બૅડમિન્ટન-ચૅમ્પિયન સાયના નેહવાલ તથા બીજા અનેક રમતવીરો હરિયાણાની દેન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરિયાણા, પૃ. 125)

Categories
વાચન સમૃદ્ધિ

તળાજા

ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે.

તળાજાની બૌદ્ધ ગુફાઓ

અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ અને તેના ઉપરથી ‘તળાજા’ નામ થયું જણાય છે. તળાજા ગામનો ઉલ્લેખ મહેર રાજા જગમલના ઈ. સ. 1207ના દાન-શાસનમાં કરવામાં આવ્યો છે. હાથસણી(જિ. ભાવનગર)ના વિ. સં. 1386(ઈ. સ. 1330)ના શિલાલેખમાં તાલધ્વજનો વહીવટ રાજા મહિષે મહાનન્દના પુત્ર ઠેપક નામના મહેરને સોંપ્યો હોવાનું જણાયું છે. તળાજાથી ઘોઘા સુધીના દરિયાકાંઠે આવેલો પ્રદેશ ઘોઘાબારા તરીકે ઓળખાય છે. કિનારાના મેદાનની જમીન કાળી અને ફળદ્રૂપ છે. દરિયાકિનારો 10 કિમી. કે તેથી ઓછો દૂર હોઈને આબોહવા સમધાત છે. સરેરાશ વાર્ષિક વરસાદ 560 મિમી. છે. બાજરી, મગફળી, મરચાં, શેરડી, જીરું વગેરે મુખ્ય પાક છે. ડુંગળીનો વિપુલ પાક થાય છે. શાકભાજી તથા ડુંગળીની નિકાસ થાય છે. શેત્રુંજીબંધ અને કૂવા દ્વારા સિંચાઈ થાય છે. તળાજા આજુબાજુનાં ગામો માટેનું વેપારી મથક છે. અહીં તેલમિલો અને બિસ્કિટનાં કારખાનાં છે. હીરા ઘસવાનો ઉદ્યોગ આસપાસનાં ગામો અને તળાજામાં વિકસતો જાય છે. તળાજા નજીકના અલંગને કારણે ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે તથા ઑક્સિજન ગૅસનાં કારખાનાં અને રોલિંગ મિલો ઊભાં થયાં છે. તાલુકાના માખણિયા ગામે ખાંડનું કારખાનું છે. તળાજા ભાવનગર–તળાજા–મહુવા બ્રૉડગેજ રેલવેનું સ્ટેશન છે. લખપતથી ઉમરગામ સુધીના તટીય ધોરી માર્ગ (‘કોસ્ટલ હાઈવે’) દ્વારા તે મહુવા અને ભાવનગર સાથે અને એસ. ટી. દ્વારા ભાવનગર, મહુવા, જેસર, પાલિતાણા, સાવરકુંડલા, અમદાવાદ વગેરે ગુજરાતનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. 10 કિમી. દૂર આવેલા સરતાનપુર બંદરેથી ડુંગળી, બાજરી, તેલ, શાકભાજી વગેરેની નિકાસ થાય છે અને ઇમારતી લાકડું, વિલાયતી નળિયાં અને કપાસિયા આયાત થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તળાજા, પૃ. 745 અથવા જુઓ https://gujarativishwakosh.org/તળાજા/)