Categories
વાચન સમૃદ્ધિ

એકલો હોઉં તેથી શું ?

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને ‘સ્ટાર-ફિશ’ માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને  પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, ‘હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.’ પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, ‘અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.’ વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, ‘જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

યુવાનને સલાહ

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ (ઈ. સ. 1856થી ઈ. સ. 1950) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી રમૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો એમને ઘેરી વળતા હતા. એક વખત જ્યોર્જ બર્નાર્ડ શૉ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગયા. કાર્યક્રમ પૂર્ણ થયો એટલે તરત જ હંમેશની માફક એમના હસ્તાક્ષર લેવા માટે વિદ્યાર્થીઓ ધસી આવ્યા. કેટલાકને હસ્તાક્ષર આપીને જ્યોર્જ બર્નાર્ડ શૉ માંડ છુટકારો પામ્યા. એવામાં એક યુવાન હસ્તાક્ષરપોથી લઈને ધસી આવ્યો. એણે કહ્યું, ‘સર, મને સાહિત્યનો ખૂબ શોખ છે અને મેં તમારાં તમામ નાટકો રસપૂર્વક વાંચ્યાં છે. તમે મારા પ્રિય લેખક છો.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ હળવા સ્મિત સાથે એની ભાવનાનો સ્વીકાર કર્યો. પેલા યુવાને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ‘હું મારા જીવનમાં હજી સુધી મારી આગવી પહેચાન ઊભી કરી શક્યો નથી. હું કશુંક બનવા માગું છું અને એને માટે શું કરવું જોઈએ, તેનો સંદેશો લખીને તમે હસ્તાક્ષર કરો તો ખૂબ આભાર.’’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની હસ્તાક્ષરપોથી હાથમાં લીધી. પોતાનો સંદેશ લખીને હસ્તાક્ષર કર્યા. યુવાન સંદેશો વાંચીને સ્તબ્ધ બની ગયો. બર્નાર્ડ શૉએ લખ્યું હતું, ‘બીજાના હસ્તાક્ષરો એકઠા કરવામાં પોતાનો સમય બરબાદ કરવાને બદલે બીજા તમારા હસ્તાક્ષર પ્રાપ્ત કરવા માટે આતુર રહે, તે માટે પુરુષાર્થ કરો. આગવી પહેચાન બનાવવા માટે સતત મહેનત કરવી અને સંઘર્ષનો સામનો કરવો જરૂરી છે.’ યુવાને આ સંદેશો વાંચ્યો અને કહ્યું, ‘સર, હું આપનો સંદેશો જીવનભર યાદ રાખીશ અને મારી પોતાની એક આગવી પહેચાન ઊભી કરવા માટે પ્રયત્ન કરીશ.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની પીઠ થપથપાવી અને ભવિષ્યની શુભકામના પાઠવી.

Categories
વાચન સમૃદ્ધિ

સમયનો અભાવ

1952થી 1960 સુધી એટલે કે બે સત્ર સુધી અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડ્વાઇટ ડેવિડ આઇઝનહોવરે (જ. ઈ. 1890, અ. ઈ. 1969) બાહોશ સેનાપતિ, કુશળ રાજકારણી અને નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરનાર તરીકે આગવી પ્રતિભા દાખવી. એમને અનેક રાજપુરુષો સાથે સંઘર્ષમાં આવવાનું બનતું હતું; એટલું જ નહીં, પણ અમેરિકાના એક ભાગ જેવાં દક્ષિણનાં રાજ્યો સામે ઝઝૂમવું પડતું હતું. આઇઝનહોવરના પુત્ર જ્હોનને કોઈએ એમ પૂછ્યું, ‘તમારા પિતા ઉચ્ચ લશ્કરી અધિકારી હતા અને તેથી એમણે ક્યારેય એમના વિરોધીઓ તરફ બળાપો કાઢ્યો હતો ખરો ?’ જનરલ આઇઝન હૉવરના પુત્રએ કહ્યું, ‘મારા પિતાને મેં ક્યારેય શત્રુ દેશો કે એ દેશોના અગ્રણીઓ પ્રત્યે કે અન્ય સૈનિક વડાઓ અંગે કોઈ વિરોધી વાતો કરતા સાંભળ્યા નથી.’ વળી પ્રશ્ન કર્યો, ‘પરંતુ એમણે રાજકારણમાં ઝુકાવ્યું અને ઘણાં પરિબળોનો એમને સામનો કરવાનો આવ્યો, ત્યારે એમની નીતિઓનો વિરોધ કરનાર પ્રત્યે એમણે ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે ખરી ?’ જ્હોન આઇઝનહોવરે કહ્યું, ‘મેં મારા પિતાને ક્યારેય કોઈની ઈર્ષ્યા કરતા જોયા નથી. કોઈ નેતા અંગે વિરોધી વાતચીત કે ઉચ્ચારણો કરતા સાંભળ્યા નથી અને કોઈનાય પ્રત્યે એમણે નારાજગી વ્યક્ત કરી નથી.’ ‘આનું કારણ શું ?’ જ્હોને ઉત્તર આપ્યો, ‘આનું કારણ એ કે એમણે એક પણ મિનિટ એવા લોકો વિશે વિચારવામાં બગાડી નથી કે જેમને એ પસંદ કરતા ન હોય કે જે એમની નજરમાંથી ઊતરી ગયા હોય. જેમની સાથે એમને સંઘર્ષ હોય એવી વ્યક્તિ પર પણ એમણે ક્યારેય ગુસ્સો કરીને સમય બરબાદ કર્યો હોય, તેવું મને યાદ નથી.’