Categories
વાચન સમૃદ્ધિ

દાદાની દરિયાની વાત

દરિયાકિનારે આવેલી ઊંચી ટેકરી પર ઝૂંપડીમાં રહેતો વૃદ્ધ હાગામુચી પ્રતિદિન નજર સામે હિલોળા લેતો સાગર આંખ ભરીને જોયા કરતો હતો. અતિ વૃદ્ધ હાગામુચીને બીજું કામ પણ શું હતું ? અને આ સાગરદર્શનનો આનંદ એટલો બધો હતો કે બીજું કામ કરવાની વૃત્તિ પણ ક્યાંથી થાય ? બાળપણમાં દાદા-દાદી પાસેથી દરિયાલાલની કેટલીય કથાઓ સાંભળી હતી અને ત્યારથી દરિયો હાગામુચીના મનમાં વસી ગયો હતો. એ દાદાએ દરિયાનાં શાંત જળની સાથોસાથ દરિયાઈ તોફાન અને ઝંઝાવાતોની કેટલીય વાસ્તવકથાઓ કહી હતી. એક વાર વહેલી સવારે ટેકરી પરથી હાગામુચીએ દરિયા તરફ જોયું તો કોઈ મોટું દરિયાઈ તોફાન ધસમસતું આવતું હતું. બાળપણમાં દાદાએ કહેલી વાતનું સ્મરણ થયું. દરિયાનાં અતિ ઊંચે ઊછળતાં અને વેગથી ધસમસતાં આ વિનાશક મોજાંઓ તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો પર ફરી વળશે તો ? હાગામુચી ગમે તેટલી જોરથી બૂમ પાડે, તોય સંભળાય તેમ નહોતું. ટેકરી પરથી ઝડપભેર નીચે ઊતરીને સહુને ચેતવવા જાય, તો વિલંબ થઈ જાય. હવે કરવું શું ? હાગામુચીએ ટેકરી પરની પોતાની ઝૂંપડી પર આગ ચાંપી અને એ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડવા લાગ્યા. તળેટીનાં ખેતરોમાં કામ કરતા લોકો આગની જ્વાળાઓ અને ઊંચે ઊડતા ધુમાડા જોઈને ટેકરી પર દોડી આવ્યા. બધા ખેડૂતો આગ ઓલવવા એકબીજાની મદદ કરવા માટે ટેકરી પર આવ્યા. આવીને એમણે આગથી ભડભડ સળગતી ઝૂંપડી જોઈ અને બાજુમાં નિરાંતે ઊભેલા હાગામુચીને જોયા. હાગામુચીની નજર તો દરિયામાં ઊછળતાં અતિ પ્રચંડ મોજાંઓ પર હતી. બધાંને આશ્ચર્ય થયું કે પોતાની ઝૂંપડી ભડકે બળે છે અને હાગામુચી તો હાથ જોડીને ઊભા છે! હજી કશું પૂછવા માટે કોઈ એની પાસે પહોંચે, એ પહેલાં તો પ્રચંડ દરિયાઈ મોજાંઓ નીચેનાં ખેતરો પર ફરી વળ્યાં. હાગામુચીએ પોતાની ઝૂંપડી બાળીને દરિયાઈ પ્રલયમાંથી અનેકના જીવ બચાવી લીધા.

Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ સમયે

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ. સ. પૂ. 4 થી ઈ. સ. પૂ. 65) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઈસવી સનની પહેલી સદીના મધ્યાહ્નમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી. કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સામે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠ્યો, શિક્ષક થઈને ષડ્યંત્ર રચે ! હવે કરવું શું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરનાં પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું. સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે, આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યારબાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટ્યા. સેનેકાએ સમ્રાટ નીરોને જે પત્ર પાઠવ્યો હતો, તેમાં એમણે નીરોને લખ્યું હતું, ‘તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.’ આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.