Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ બોઝ

જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪

ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા.  ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

મલ્લિકાર્જુન મનસૂર

જ. ૩૧ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૨

મૃત્યુંજય સ્વરયોગી અને સશ્રદ્ધ ગાનપરંપરામાંના ‘તાર ષડજ’ તરીકે ઓળખાતા હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. ધારવાડના એક નાના ગામમાં પિતા ભીમરાયપ્પા અને માતા નીલમ્માને ત્યાં જન્મેલ મલ્લિકાર્જુન પોતાના વતન મનસૂરને કારણે ગામના નામથી જ ઓળખાતા હતા. કન્નડ ભાષા-સાહિત્યના જ્ઞાતા હોવા છતાં તેમને હિંદુસ્તાની સંગીત તરફ આકર્ષણ થતાં પ્રસિદ્ધ ગુરુ નીલકંઠબુવા અલૂરમઠ પાસેથી ગ્વાલિયર ઘરાનાની ગાયકીને આત્મસાત્ કરી અને પોતાની ગાયકીથી સંગીતશ્રોતાઓને સંમોહિત પણ કરતા હતા. પછીથી તેમણે હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખા પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યનો આ ઉત્કટ પ્રેમભર્યો સંબંધ જવલ્લે જ જોવા મળે એવો રહ્યો. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનના ગાયનમાં થયો. તેઓ કઠિન રાગોને પણ સહજતાથી રજૂ કરતા અને શ્રોતાઓ આશ્ચર્યમુગ્ધ બની જાય તેવી તાનો તેઓના કંઠેથી સાંભળવા મળતી. ખયાલ ગાયક હોવા છતાં તેઓ ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા. એમની માતૃભાષા કન્નડની ‘વચન અને રગડે’ પ્રકારની ગદ્ય-પદ્ય સાહિત્યના મિશ્રણવાળી શૈલીને શુદ્ધ સંગીત શૈલીમાં ઢાળીને તેને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી. બિહાગ, તોડી, કાનડા અને મલ્હાર તેમના પ્રિય રાગો હતા. તેમને ‘સંગીતરત્ન’, ‘ગંધર્વરત્ન’, કાલિદાસ સન્માન જેવી માનભરી પદવીઓ ઉપરાંત ભારત સરકાર દ્વારા સંગીતક્ષેત્રે કરેલી ઉપકારક સેવાના ફલસ્વરૂપે ૧૯૭૦માં ‘પદ્મશ્રી’, ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૯૨માં ‘પદ્મવિભૂષણ’ જેવા માનખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખયાલ ગાયકીના એક ઉત્કૃષ્ટ ગાયક તરીકે સંગીતપ્રેમીઓમાં તેઓ હંમેશાં યાદ રહેશે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી રમણ મહર્ષિ

જ. ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ અ. ૧૪ એપ્રિલ, ૧૯૫૦

અર્વાચીન ભારતના એક મહાન સંત રમણ મહર્ષિનું મૂળ નામ વેંકટરમણ અય્યર હતું. તેમનો જન્મ તિરુચુલી, તમિળનાડુમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં જ લીધું. ૧૮૯૨માં પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ સાથે મદુરાઈમાં તેમના કાકાને ત્યાં રહી ભણવા લાગ્યા. અહીં સ્કૉટ મિડલ સ્કૂલમાં છઠ્ઠી અને સાતમી  કક્ષાનો અને પછી ત્યાંની અમેરિકન મિશન હાઈસ્કૂલમાં દસમા ધોરણનો અભ્યાસ કર્યો. કુશાગ્ર બુદ્ધિવાળા હોવાથી ગણિત અને તમિળમાં હોશિયારી અસાધારણ હતી. ૧૮૯૫માં નવેમ્બર માસમાં તિરુચ્ચુળિના એક વૃદ્ધ પુરુષ પાસેથી ‘અરુણાચળ’નું નામ સાંભળતાં તેમની નસોમાં વીજળી પ્રસરી ગઈ. વળી એક દિવસ ‘પેરિયપુરાણમ્’ નામનો ગ્રંથ વાંચ્યો અને ભક્તો માટે અસીમ શ્રદ્ધા અને પ્રેમ પેદા થયાં. ૧૮૯૬ના ઑગસ્ટ મહિનાથી દિલમાં ભક્તિનું જોર વધવા લાગ્યું. આમ સત્તર વર્ષની ઉંમરે જ આત્મતત્ત્વની અનુભૂતિ થઈ. છેવટે ૧૮૯૬માં વૈરાગ્ય પ્રબળ થતાં ૧લી સપ્ટેમ્બરે ગૃહત્યાગ કરી અરુણાચળ ઉપરના દેવમંદિરમાં પહોંચ્યા. દેહભાવ ચાલી ગયો અને પરમ શાંતિનો અનુભવ થતાં જાતે જ સંન્યાસ લઈ માથા પરથી વાળ ઉતરાવી, જનોઈ ઉતારી અને માત્ર લંગોટી જેટલું કપડું ફાડી બીજું વસ્ત્ર ફેંકી દીધું. ૧૮૯૭માં ‘ગુરુમૂર્તમ્’ રહેવા ગયા અને ‘બ્રાહ્મણસ્વામી’ તરીકે ઓળખાયા. એક વાર પલનિસ્વામી નામે એક ભાઈ આવ્યા અને પ્રભાવિત થતાં સેવક બની રહ્યા. ૧૮૯૯માં અરુણાચળના પહાડને જ રહેઠાણ બનાવ્યું. અહીં ગંભીરમ્ શેષય્યરે રાજયોગ અને જ્ઞાનયોગમાંથી પ્રશ્નોનું સમધાન માંગ્યું જે સ્વામીજીએ કાગળની કાપલીઓ પર આપ્યું અને તેનું સંકલન ‘આત્માનુસંધાન’ રૂપે પ્રકટ થયું. તેથી આ સ્વામીજીનું પ્રથમ પુસ્તક. ૧૯૦૩માં ગણપતિશાસ્ત્રીએ જાણ્યું કે સ્વામીજીને બાળપણમાં ‘રમણ’ કહી બોલાવતા તેથી તેમણે ‘શ્રીરમણપંચક’ની રચના કરી. તેમણે તમિળમાં ‘ઉળ્ળદુનાર્પદુ’ નામના ૭૦૦ શ્લોકો લખ્યા છે. તેમનાં ઉપદેશવચનો, વિચારસંગ્રહમ્, ‘હુ એમ આઇ’ જેવી કેટલીક રચના મળે છે. એમના ઉપદેશને અનુસરીને એમના અનુયાયીઓ દ્વારા
શ્રી રમણાશ્રમ કાર્યરત છે.

રાજશ્રી મહાદેવિયા