Categories
વાચન સમૃદ્ધિ

બાબા આમટે

જ. ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮

ડૉ.  મુરલીધર દેવીદાસ આમટે ભારતના સન્માનિત સમાજસેવક, ચિંતક, કવિ, રક્તપિત્તના રોગીઓની સારવાર માટે આશ્રમો સ્થાપનાર જગતભરમાં વિખ્યાત વ્યક્તિ હતા. મહારાષ્ટ્રમાં વર્ધા  જિલ્લાના હિંગણઘાટ ગામમાં તેઓનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ નાગપુરમાં અભ્યાસ કરી બી.એ. અને એલઅલ.બી.ની ડિગ્રીઓ હાંસલ કરી વકીલ બન્યા હતા. ગાંધીજી અને વિનોબાજીથી પ્રભાવિત થયેલા આમટેએ ગામડાંમાં અભાવમાં રહેતા લોકોની મૂળ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા રક્તપિત્તના રોગીને જોઈ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. મનુષ્યદેહની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું, તેઓએ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રના વરોરા ગામની  બહાર પત્ની સાધનાતાઈ, બે પુત્રો – પ્રકાશ અને વિકાસ સાથે તેઓએ તે ઉજ્જડ જમીનમાં ખેતી કરવાનું તથા રક્તપિત્તના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ આનંદવન નામની સંસ્થાનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તના દર્દીઓ અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવી સ્વમાનભેર જીવે છે. ૧૯૭૪માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી, નિશાળો, દવાખાનાં અને ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈ બાબા આમટેએ ૧૯૮૫માં એકતાનો સંદેશો ફેલાવા યુવક-યુવતીઓ સાથે  કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી લીધી. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. રાષ્ટ્રભૂષણ, જમનાલાલ બજાજ પુરસ્કાર, ડેનિયન ડટ્ટન પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર, રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર અને પદ્મવિભૂષણ અલંકરણથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે ૨૦૧૪માં બાબા આમટેના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પં. મદનમોહન માલવીય

જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬

મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાસબિહારી ઘોષ

જ. ૨૩ ડિસેમ્બર, ૧૮૪૫ અ. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૧

હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના હિમાયતી એવા રાસબિહારી ઘોષનો જન્મ બર્દવાન જિલ્લાના ટોરકોના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા. માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક અને ૧૮૬૭માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૭૧માં ઑનર્સ ઇન લૉની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૮૭૯માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. ૧૮૯૩-૯૫ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ બન્યા. તેમની ગણના બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. ૧૯૦૫માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૦૭માં સૂરત ખાતે તથા ૧૯૦૮માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. તેઓ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજનૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ૧૮૮૪માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. ૧૯૦૮માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા હતા. અઢળક સંપત્તિના માલિક એવા તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપી હતી. તેમણે આપેલા દાનમાંથી અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેમાં કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ, જાદવપુર ટૅકનિકલ કૉલેજ, ટોરકોના જગબંધુ શાળાનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ગામમાં શાળાઓ તથા હૉસ્પિટલ પણ શરૂ કરી હતી. બૅંગાલ કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ વર્કસની સ્થાપના કરવામાં પણ તેમણે રકમ દાનમાં આપી હતી. ૧૯૦૬-૨૧ દરમિયાન તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે લખેલો ‘લૉ ઑવ્ મૉર્ટ્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.

અમલા પરીખ