Categories
વાચન સમૃદ્ધિ

હસરત જયપુરી

જ. 15 એપ્રિલ, 1922 અ. 17 સપ્ટેમ્બર, 1999

હિન્દી ફિલ્મજગતના કવિ અને શાયર હસરત જયપુરીનો જન્મ જયપુરમાં થયો હતો. એમનું મૂળ નામ ઇકબાલ હુસૈન જયપુરી હતું. બાળપણમાં જયપુરમાં માધ્યમિક શિક્ષણ એક અંગ્રેજી માધ્યમની શાળામાં લીધું, પરંતુ એમના નાના શાયર ફિદા હુસૈન ફિદા પાસે ઉર્દૂ તથા ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું. શાયરી પ્રત્યે એમનો લગાવ સહજ બન્યો. તેમણે અર્થોપાર્જન માટે 1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું. ત્યાં માસિક અગિયાર રૂપિયામાં બસકંડક્ટરની નોકરી સ્વીકારી. પરંતુ એમનો કવિજીવ એમને વિવિધ કવિસંમેલન તેમજ મુશાયરાઓમાં ખેંચી જતો. જ્યાં તેઓ પોતાની રચનાઓ પ્રસ્તુત કરતા. આવા જ એક કવિસંમેલનમાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું ધ્યાન હસરત જયપુરી ઉપર પડ્યું. ફિલ્મનિર્માતા-નિર્દેશક પુત્ર રાજ કપૂરને પિતા પૃથ્વીરાજે હસરત જયપુરી માટે ભલામણ કરી. ફિલ્મ ‘બરસાત’માં ‘જીયા બેકરાર હૈ’ ગીતના લેખન સાથે એમણે ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ‘છોડ ગયે બાલમ મુજે હાય અકેલા છોડ ગયે’ હસરત જયપુરીની કલમે લખાયેલું પ્રથમ યુગલ ગીત પણ ખૂબ પ્રસિદ્ધ પામ્યું. હસરત જયપુરી રાજ કપૂરની નિર્માણ કંપનીમાં મુખ્ય સ્તંભોમાંના એક ગણાતા હતા. ગીતકાર તરીકેની હસરત જયપુરીની કારકિર્દી શરૂ થતાં એમને પ્રસિદ્ધ સાથે ધનરાશિ પણ વિપુલ પ્રમાણમાં મળવી શરૂ થઈ ગઈ. 1971માં રાજ કપૂર નિર્માણ કંપનીના એક સ્તંભ તથા હસરત જયપુરીના મિત્ર સંગીતનિર્દેશક જયકિશનના અવસાન તથા ફિલ્મ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજકપૂર નિર્માણ કંપનીએ સંગીતનિર્દેશક તથા ગીતકારની ટીમ બદલી સાથે હસરત જયપુરીની કારકિર્દીમાં થોડી ઓટ આવી. 1885માં ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રાજ કપૂરના આમંત્રણથી એમણે ‘સુન સાયબા સુન’ ગીત લખ્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. હસરત જયપુરીની કલમે લખાયેલાં લોકપ્રિય બનેલાં ગીતોમાં ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’, ‘પંખ હોતી તો ઉડ આતી રે’, ‘અજી રૂઠ કર અબ’, ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’, ઝિંદગી એક સફર હૈ સુહાના’ જેવાં અનેક ગીતોનો સમાવેશ થાય છે.  1967 તથા 1972માં એમને સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃત કેશવ નાયક

જ. 14 એપ્રિલ, 1877 અ. 18 જુલાઈ, 1907

ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને લેખક અમૃત નાયકનો જન્મ અમદાવાદમાં વૈશાખ સુદ એકમ, વિ. સં. 1933ના રોજ થયો હતો. કાળુપુર વિસ્તારની દુર્ગામાતાની પોળમાં ઊછર્યા. ગુજરાતી બે ધોરણ દરિયાપુરની શાળામાં અને ઉર્દૂ બે ધોરણ કાળુપુરની શાળામાં ભણ્યા. કૌટુંબિક પરિસ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડવો પડ્યો. તેઓ 1888માં 11 વર્ષની ઉંમરે કાવસજી ખટાઉની નાટ્યમંડળીમાં માસિક ચાળીસ રૂપિયાના પગારથી જોડાયા. ‘ગામરેની ગોરી’ નાટકમાં બહેરામ ઈરાનીની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી. એ પછી ‘બીમાર-એ-બુલબલ’માં ‘પુંબા’ની ભૂમિકા ભજવી. 1891માં નવી આલ્ફ્રેડ કંપનીમાં જોડાઈ સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક બન્યા. એ વખતે એમની ઉંમર માત્ર 14 વર્ષની હતી. તેઓ નાટકની સાથે સાથે ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ ભાષાઓ શીખ્યા. એ પછી કાવસજી ખટાઉની કંપનીમાં દિગ્દર્શક તરીકે જોડાયા. તેમણે ‘ખૂને નાહક’ નાટકનું દિગ્દર્શન કર્યું એટલું જ નહીં, એમાં ‘મલ્લિકા’ની ભૂમિકા પણ ભજવી. તેમણે ‘બજમેફાની’, ‘શહીદેનાઝ’, ‘મુરિદેશક’ જેવાં ઉર્દૂ  નાટકોનું પણ દિગ્દર્શન કર્યું. તેમણે શેક્સપિયરના નાટક ‘સિમ્બલીન’ પરથી ‘મીઠા ઝહર’, ‘હૅમ્લેટ’ પરથી ‘ખૂને નાહક’ અને ‘રોમિયો જુલિયટ’ પરથી ‘બજમે ફાની’ નાટક ભજવ્યાં. તેઓ સ્ત્રી અને પુરુષ એમ બંને પાત્રની ભૂમિકા સફળતાપૂર્વક ભજવતા હતા. તેમણે ગુજરાતી અને ઉર્દૂ ગઝલો લખી હતી. ‘ભારત દુર્દશા નાટક’, કન્યા વિક્રયનો કહેર’ નાટકો, ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ નવલકથા, ‘મરિયમ’ ઉર્દૂમાંથી અનૂદિત નવલકથા, ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ તેમની મુખ્ય કૃતિઓ છે. ઉર્દૂ નાટક ‘ઝહરી સાપ’નું દિગ્દર્શન ચાલુ હતું ત્યારે ત્રીસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. અંગ્રેજી પત્રોએ તેમની સરખામણી હેન્રી ઇરવિંદ સાથે કરી હતી. મુંબઈમાં કોટ વિસ્તારમાં ખાદીભંડાર પાછળની ગલીને ‘અમૃત કેશવ નાયક’ નામ અપાયું છે. અમદાવાદમાં દુર્ગામાતાની પોળ પાસેનો માર્ગ ‘અમૃત કેશવ નાયક માર્ગ’ તરીકે ઓળખાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વામી વિદ્યાપ્રકાશાનંદ ગિરિ

જ. 13 એપ્રિલ, 1914 અ. 10 એપ્રિલ, 1998

વેદાંતભેરીના સ્થાપક, મલયાલ સ્વામીના શિષ્ય અને આધ્યાત્મિક ગુરુ વિદ્યાપ્રકાશાનંદ ગિરિનો જન્મ મછલીપટ્ટનમ્ માં થયો હતો. પિતા આનંદમોહન અને માતા સુશીલા. તેમણે 13 વર્ષની ઉંમરે વિજયવાડામાં મૅટ્રિક પૂર્ણ કર્યું. 1933માં મછલીપટ્ટનમ્ ની નોબલ કૉલેજમાંથી બી.એ. થયા. વારાણસી જઈને હિન્દી વિદ્યાપીઠમાંથી કોવિદની પદવી મેળવી. એક દિવસ તેઓ ગંગાસ્નાન કરતા હતા ત્યારે તેમને તાડના પાંદડા પર લખેલું શ્રીમદ્ ભગવદ્ગીતાનું પુસ્તક મળ્યું. આ ઘટનાએ તેમને ગીતાનો ઉપદેશ આપવા પ્રેરણા આપી. 17 મે, 1936ના રોજ તેઓ ગુરુ મલયાલ સ્વામીના યેરેપડુના વ્યાસાશ્રમમાં ગયા. બાર વર્ષ સુધી કાચું અન્ન ગ્રહણ કર્યું અને એક વર્ષ મૌન રહી તપસ્યા કરી. 3 જુલાઈ, 1947ના રોજ મલયાલ સ્વામી દ્વારા દીક્ષા આપવામાં આવી અને વિદ્યાપ્રકાશાનંદ ગિરિ સ્વામી નામ ધારણ કર્યું. તેમણે શ્રીકાલાહસ્તીમાં સ્વર્ણામુખી નદીના કિનારે 20 જાન્યુઆરી, 1950ના રોજ શ્રી શુકબ્રહ્માશ્રમની સ્થાપના કરી. આ આશ્રમમાં આધ્યાત્મિકતાની સાથે સામાજિક સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી. તેમણે જરૂરિયાતમંદો માટે મફત ઑપરેશન કરાવ્યાં. 1966માં પ્રથમ સરકારી ડિગ્રી અને 1982માં કન્યાઓ માટે જુનિયર કૉલેજ શરૂ કરાવી. આ કૉલેજોનાં નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યાં છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ‘ગીતા મકરંડમ્’ નામનું ભાષ્ય તેલુગુમાં લખ્યું. આ ભાષ્યનું તમિળ, કન્નડ, અંગ્રેજી, હિન્દી, વગેરે ભાષામાં ભાષાંતર થયું છે. તેમણે ‘યોગવશિષ્ઠ’ પુસ્તકનો તેલુગુમાં અનુવાદ કર્યો. ‘ધમ્મપદ’નો હિન્દીમાંથી સંસ્કૃત અને તેલુગુમાં અનુવાદ કર્યો. તેમણે સ્વામી નિર્વિકલ્પાનંદ સાથે `વશિષ્ઠ રામ સંવાદ’ લખ્યું જે શ્રી રામકૃષ્ણ મઠ, હૈદરાબાદે પ્રકાશિત કર્યું છે. તેમના ગીતા પરનાં પ્રવચનોની કૅસેટ્સ-સીડી બહાર પાડવામાં આવી છે. તેઓ 1956થી શ્રી સનાતન વેદાંત સભાના પ્રમુખ હતા.