Categories
વાચન સમૃદ્ધિ

ધોંડો કેશવ કર્વે

જ. 18 એપ્રિલ, 1858 અ. 9 નવેમ્બર, 1962

સમાજસુધારક અને કેળવણીકાર ભારતરત્ન ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના શેરવલી-મુરુડ ખાતે થયો હતો. તેમણે શાળેય શિક્ષણ મુરુડ અને રત્નાગિરિમાં પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિત સાથે સ્નાતક થયા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક બન્યા હતા. તેઓ વિધવા પુનર્લગ્ન અને વિધવા શિક્ષણના પ્રણેતા હતા. તેમની પત્નીનું અવસાન થતાં ‘શારદાસદન’ સ્ત્રીસંસ્થામાંથી આનંદીબાઈ નામની વિધવા સાથે પુનર્લગ્ન કર્યાં આથી બ્રાહ્મણ સમાજે બહિષ્કાર કર્યો હતો. તેમણે 1893માં ‘વિધવાવિવાહ પ્રતિબંધ નિવારક મંડળ’ની સ્થાપના કરી હતી. 1896માં પૂના પાસે હિંગણે(હવે કર્વેનગર)માં વિધવા મહિલાઓ માટે આશ્રમની સ્થાપના કરી હતી. 1907માં આ આશ્રમમાં મહિલાશાળાની સ્થાપના કરી હતી. તેમણે 1910માં ‘નિષ્કામ કર્મ મઠ’ની સ્થાપના કરી હતી. તેમણે ગ્રામ પ્રાથમિક શિક્ષણ મંડળ સ્થાપીને અનેક શાળાઓ શરૂ કરી. આ બધી સંસ્થાઓનું એકત્રીકરણ કરીને ‘મહર્ષિ કર્વે મહિલા શિક્ષણ સંસ્થા’ બનાવવામાં આવી. તેમણે 1929માં આફ્રિકા, જાપાન, યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી. તેઓ આઇન્સ્ટાઇનને મળ્યા. જાપાનની મહિલા યુનિવર્સિટીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે 1916માં પૂનામાં ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ‘શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરે મહિલા યુનિવર્સિટી’(SNDT યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમણે 1910માં કાર્યકર્તાઓને તૈયાર કરવા માટે ‘નિષ્કામ કર્મ મઠ’ની તથા અસ્પૃશ્યતાનિવારણ માટે 1944માં ‘સમતા સંઘ’ની સ્થાપના કરી. તેમની આત્મકથા મરાઠીમાં ‘આત્મવૃત્ત’ અને અંગ્રેજીમાં ‘લુકિંગ બેક’ નામે પ્રકાશિત થઈ છે. ભારત સરકારના ફિલ્મ વિભાગે ‘ધ સ્ટોરી ઑવ્ ડૉ. કર્વે’ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરી છે. તેમના જીવનઆધારિત નાટક ‘હિમાલયાચી સાવલી’ ભજવાયું હતું અને તેનું ગુજરાતી રૂપાંતર ‘નોખી માટી, નોખાં માનવી’ હતું. પૂનામાં કર્વેનગર અને મુંબઈમાં મહર્ષિ કર્વે માર્ગ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે. બનારસ હિન્દી યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની પદવી આપવામાં આવી હતી. ભારત સરકારે 1955માં પદ્મભૂષણ અને 1958માં ભારતરત્નથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એલેક્ઝાન્ડર કાર્ટરાઇટ

જ. 17 એપ્રિલ, 1820 અ. 12 જુલાઈ, 1892

અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબૉલના જનક મનાતા એલેક્ઝાન્ડર કાર્ટરાઇટનો જન્મ ન્યૂયૉર્ક સિટીમાં થયો હતો. તેમના પિતા સમુદ્રી જહાજના કપ્તાન હતા. 16 વર્ષની વયે કાર્ટરાઇટે વૉલસ્ટ્રીટના એક બ્રોકરને ત્યાં કારકુન તરીકે કામની શરૂઆત કરી. ત્યારબાદ ન્યૂયૉર્કની યુનિયન બૅંકમાં કારકુનની કામગીરી બજાવી. 1845માં ત્યાં આગ લાગવાથી યુનિયન બૅંક નાશ પામી આથી તેમણે બીજા કામની શોધ કરવા માંડી અને તેમણે તેમના ભાઈ આલ્ફ્રેડ સાથે પુસ્તકોની દુકાન ખોલી. બાળપણથી તેમને રમતગમતનો ખૂબ શોખ હતો. બૉલ અને લાકડીના ઉપયોગથી તેઓ રમત રમતા. તેમાંથી તેમણે બેઝબૉલની રમત શોધી કાઢી. આધુનિક રમતના નિયમોનો લાંબા સમય સુધી કાર્ટરાઇટ અને નિકરબોકર્સ(Knickerbockers)ની એક સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. 1845માં તેમણે નિકરબોકર નિયમોને ઔપચારિક રૂપ આપ્યું, જેમાં રમતના મેદાનના આયામ અને રમતના મુખ્ય નિયમો સામેલ હતા. આ ઐતિહાસિક શોધનો યશ અગ્રણી કાર્ટરાઇટને આપવામાં આવ્યો. 1846માં તેમણે પહેલી સત્તાવાર મૅચનું આયોજન કર્યું. બાદમાં અમેરિકાના પશ્ચિમી ભાગમાં તથા હવાઈ ટાપુઓ સુધી બેઝબૉલનો પ્રચાર કર્યો. એવું કહેવાય છે કે 1852માં તેમણે ઓઆહુ દ્વીપ પર મકીકી ફિલ્ડમાં એક બેઝબૉલ મેદાનની સ્થાપના કરી. જોકે કાર્ટરાઇટને બેઝબૉલ રમતના પ્રથમ શોધક માનવા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પરંતુ ઇતિહાસકારો કાર્ટરાઇટને જ આ શોધ માટેનું શ્રેય આપે છે. 1850થી 1863 સુધી તેમણે હોનોલૂલૂમાં અગ્નિશમન ક્ષેત્રે પ્રમુખ કાર્ય કર્યું. તેઓ રાજા કલાકાઉઆ અને રાણી એમ્માના સલાહકાર હતા. 1953માં તેમને 83મી સંયુક્ત રાજ્ય કૉંગ્રેસ દ્વારા અધિકૃત રીતે આધુનિક બેઝબૉલના શોધક ઘોષિત કરવામાં આવ્યા હતા. કાર્ટરાઇટને તેમના મૃત્યુનાં 46 વર્ષો બાદ રમતજગતમાં તેમના યોગદાન બદલ ‘હૉલ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આજે પણ હોનોલૂલૂના ઓઆહુ કબ્રસ્તાનમાં તેમની કબર જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જ. 16 એપ્રિલ, 1903 અ. 6 જાન્યુઆરી, 1991

ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકારનો જન્મ વલસાડના ચીખલી ગામમાં અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ભાગ લેવાથી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો રહ્યો. ત્યારપછી 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી, 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયા અને 1926થી 1928 સુધી વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હોવાથી નવ માસની કારાવાસની સજા પણ ભોગવી. 1931માં સૂરત કૉંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થઈ અને ફરી બે વર્ષનો જેલવાસ થયો હતો. 1934માં જીવનદિશા બદલાઈ અને મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્યપદે નિયુક્ત થયા. 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાયા. પ્રથમ શિક્ષક તરીકે અને નિવૃત્ત થયા બાદ નિયામકપદે વરણી પામ્યા. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ ત્રણ વાર નિયુક્ત થયા. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. વળી આ જ હેતુસર ચંદ્રકાન્ત મેમોરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. સાહિત્યક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1921થી શરૂ થયેલી કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’, 1948માં બીજો ‘પનઘટ’ પ્રગટ થયો. ત્યારબાદ 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ તથા ‘નિજલીલા’. 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ – રૂપેરી સૂરજ’, 1984માં બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળવીજ’ પ્રકાશિત થયા. 1986માં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદોનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થયો. ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવાં બાળકાવ્યોના સંગ્રહો પણ છે. 1967માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1985માં નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક એનાયત થયા હતા.