Categories
વાચન સમૃદ્ધિ

જ્યોતિ પ્રસાદ અગરવાલા

જ. 17 જૂન, 1903 અ. 17 જાન્યુઆરી, 1951

 અસમના રાષ્ટ્રભક્ત કવિ, નાટ્યકાર, ગીતકાર, લેખક અને ફિલ્મ-નિર્માતા જ્યોતિ પ્રસાદનો જન્મ દિબ્રુગઢ જિલ્લાના તામુલબારી ચાયબાગાનમાં થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે અસમિયા સંસ્કૃતિ તથા સભ્યતા તેની મૂળરૂપથી વિછિન્ન થઈ ગઈ હતી. પ્રગતિશીલ વિશ્વની સાહિત્યિક તથા સાંસ્કૃતિક ધારાથી અસમ પ્રત્યક્ષ સંપર્કમાં ન હતું. તેવા સમયે તેમણે પોતાની પ્રતિભાથી અસમની જનતાને એક નવી દૃષ્ટિ આપી અને વિશ્વમાં અસમની સંસ્કૃતિને ઉજાગર કરી. આમ જ્યોતિ પ્રસાદની બહુયામી અને વિલક્ષણ પ્રતિભાને લીધે તેમને એક હજાર સાલના ‘દસ શ્રેષ્ઠ અસમિયા’માં સ્થાન મળેલું છે. તેઓએ માત્ર 14 વર્ષની ઉંમરે ‘શોણિત કુંવરી’ નાટકની રચના કરી, જેમાં ઉષા-અનિરુદ્ધની કથા નાટ્યબદ્ધ થયેલી છે. વળી, રાજકુંવરીની લોકકથાને આધારે રચાયેલી ‘કારેનગર લગીરી’ (1930) તેમની શ્રેષ્ઠ નાટ્યકૃતિ છે. જેના દ્વારા અસમિયા નાટ્યમાં આધુનિકતાનાં મંડાણ થયાં ગણાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના ક્ષેત્રમાં નવીનતા લાવવા બદલ અને વળી મૂળે મારવાડથી પરિવાર આવ્યો હોવાથી તેમને ‘રૂપકુંવર’ એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના તેમનાં અનેક ગીતોમાં મુખરિત થાય છે. તેમનાં ગીતો શૌર્યને ઉત્તેજિત કરનારાં પણ હોય છે. અસમિયા લોકગીતોના ઢાળ પ્રયોજી તેમાં લયમાધુર્ય પણ બક્ષ્યું છે. તેમનાં કાવ્યોને ‘જ્યોતિસંગીત’ નામ મળેલું છે. ‘જ્યોતિ રચનાવલી’ ગ્રંથમાં તેમનું સમગ્ર સાહિત્ય સંગૃહીત છે, તેમણે 10 નાટકો અને લગભગ એટલી જ વાર્તાઓ, એક નવલકથા, 20થી અધિક નિબંધો તથા 359 ગીતોનું સંકલન કર્યું છે. ‘નીમાતી કન્યા’ (મૂંગી કન્યા) નામની નૃત્યનાટિકા પણ લખી છે. આ ઉપરાંત ત્રણ-ચાર હિન્દી ગીતો તથા અંગ્રેજી નાટકો પણ લખ્યાં છે. અસમ સરકાર દર વર્ષે 17 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિને ‘શિલ્પી દિવસ’ તરીકે ઊજવે છે. ત્યારે પૂરા અસમમાં રજા પળાય છે. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત કુમાર

જ.  16 જૂન, 1920 અ. 26 સપ્ટેમ્બર, 1989

વારાણસી(ઉત્તરપ્રદેશ)માં જન્મેલ હેમંત કુમારનું પ્રારંભિક શિક્ષણ કૉલકાતામાં થયું. 13 વર્ષની ઉંમરે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. શાળા બાદ વધુ અભ્યાસ માટે તેમણે બંગાળ ટૅકનિકલ શિક્ષણસંસ્થામાં પ્રવેશ લીધો, પણ શારીરિક અસ્વસ્થતાના કારણે પિતાની નારાજગી હોવા છતાં શિક્ષણ છોડીને સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં સાહિત્યક્ષેત્રે પ્રયોગાત્મક રીતે બંગાળી સામયિક ‘દેશ’માં એક ટૂંકી વાર્તા પ્રકાશિત કરી, પણ સંગીતરસિક જીવ છેવટે સંગીતને જ સમર્પિત થયો. 1940માં તેમણે બંગાળી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1942માં હિન્દી સિનેમામાં ‘મિનાક્ષી’ ફિલ્મથી પ્રવેશ કર્યો. 1947માં સંગીતદિગ્દર્શક તરીકે તેમણે બંગાળી ફિલ્મ ‘અભિયાત્રી’માં કામ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA) સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા, જ્યાં તેમની મુલાકાત સાથી સભ્ય અને સંગીતકાર સલીલ ચૌધરી સાથે થઈ. આ જોડીએ 1947માં હૃદયસ્પર્શી ગીતરચના ‘ગણ્યેર બધુ’ (ગ્રામીણ વહુ) રજૂ કરી, જે ખૂબ સફળ રહી. ફિલ્મ ‘આનંદ મઠ’નાં ગીતોને સંગીતબદ્ધ કરવા તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા. આ ફિલ્મનું  ઐતિહાસિક ગીત ‘વંદે માતરમ્’ ગાયું. તેમણે ‘જાલ’, ‘નાગીન’, ‘હાઉસ નંબર 44’, ‘એક હી રાસ્તા’, ‘દુનિયા ઝૂકતી હૈ’, ‘બીસ સાલ બાદ’ વગેરે ફિલ્મોમાં સુમધુર સંગીત આપ્યું. 1950ના દાયકામાં તેઓ બિનફિલ્મી બંગાળી ગીતો, રવીન્દ્ર સંગીત, બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીત વગેરે થકી કારકિર્દીના શિખર પર રહ્યા. 1959માં હેમંત બેલા પ્રોડક્શન હેઠળ તેમણે ફિલ્મનિર્માણની શરૂઆત કરી. મૃણાલ સેનદિગ્દર્શિત હેમંતદાની પ્રથમ ફિલ્મ ‘નીલ આકાશેર નીચે’ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. બંગાળી અને હિન્દી ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ભાષાઓમાં પણ ગાયું અને સંગીતસર્જન કર્યું. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સહિત અન્ય ઘણા દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા. બંગાળ પાછા ફર્યા બાદ તેમણે 1963માં ‘પલટક’ અને અન્ય બંગાળી ફિલ્મોમાં લોકસંગીત અને સુગમસંગીતનું સંયોજન કરી સંગીત આપવાનું ચાલુ રાખ્યું. 1961માં રવીન્દ્રનાથ ટાગોરની જન્મશતાબ્દી નિમિત્તે ગ્રામોફોન કંપનીએ હેમંત કુમાર દ્વારા ગવાયેલ રવીન્દ્ર સંગીત બહાર પાડ્યું હતું. ‘ઈશ્વરનો અવાજ‘ તરીકે નામના પામેલા આ ગીતકાર, સંગીતકાર અને ફિલ્મનિર્માતાને બંગાળ સરકાર તરફથી અનેક વાર શ્રેષ્ઠ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમને 1956માં ફિલ્મફેર ઍવૉર્ડ અને બે વાર રાષ્ટ્રીય ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

સુરૈયા

જ. 15 જૂન, 1929 અ. 31 જાન્યુઆરી, 2004

હિન્દી ફિલ્મજગતનાં ખ્યાતનામ અભિનેત્રી અને ગાયિકા સુરૈયાનો જન્મ અઝીઝ જમાલ શેખ તથા મુમતાઝ બેગમ શેખને ત્યાં ચુસ્ત મુસ્લિમ પરિવારમાં લાહોર(પાકિસ્તાન)માં થયો હતો. તેમનું મૂળ નામ સુરૈયા જમાલ શેખ હતું. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે એમનો પરિવાર અર્થોપાર્જન માટે લાહોરથી મુંબઈ આવી સ્થાયી થયો. મામા એમ. ઝહૂર તથા નાની બાદશાહ બેગમ હિન્દી ફિલ્મજગત સાથે જોડાયેલાં હોવાથી સુરૈયાને બાળપણથી જ ફિલ્મજગત પ્રત્યે આકર્ષણ હતું. શાળાકીય અભ્યાસ ન્યૂ હાઈસ્કૂલ મુંબઈમાં શરૂ કર્યો. નાની પાસેથી ઇસ્લામનું જ્ઞાન તથા પર્શિયન ભાષાનું જ્ઞાન મળ્યું. 1936માં ફિલ્મ ‘મદામ-એ-ફૅશન’માં બાળકલાકાર તરીકે અભિનય કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1941માં મામા સાથે ફિલ્મનું શૂટિંગ જોવા ગયાં અને ફિલ્મ તાજમહેલમાં ‘મુમતાઝમહલ’નું પાત્ર ભજવવા માટે આમંત્રણ મળ્યું. જે એમણે સ્વીકાર્યું. કિશોર વયમાં આકાશવાણીનાં બાળકોના કાર્યક્રમમાં એમનો અવાજ સાંભળતા સંગીતકાર નૌશાદના ધ્યાનમાં આવ્યાં. 1942માં ફિલ્મ ‘નયી દુનિયા’ માટે એમણે પ્રથમ ગીત ગાયું. ત્યારબાદ અનેક ફિલ્મોમાં અભિનય કરીને અભિનય અને ગાયન એમ બંને ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ‘ઇશારા’, ‘તદબીર’, ‘ફૂલ’, ‘અનમોલ ઘડી’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, ‘દર્દ’, ‘શાયર’, ‘દાસ્તાન’, ‘અફસર’, ‘દિવાના’ જેવી અનેક ફિલ્મોમાં એમણે યાદગાર અભિનય કર્યો. 1954માં ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ એમના જીવનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક પુરવાર થઈ. એમના  કાર્યકાળના સર્વોચ્ચ સમય દરમિયાન ‘મલિકા-એ-હુસ્ન’ તથા ‘મલિકા-એ-અદાકારી’ જેવા ખિતાબ સુરૈયાને પ્રાપ્ત થયા. એમણે 70 ફિલ્મોમાં અભિનય કર્યો તેમજ 338 ગીતોને કંઠ આપ્યો. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ ફિલ્મ સાથે ફિલ્મજગતને તિલાંજલિ આપી. અંગત જીવન એકલતાભર્યું રહ્યું. પ્રિયપાત્ર સાથે લગ્ન ન થઈ શકવાને કારણે આજીવન હતાશાભર્યો સમય પસાર કર્યો. એક સમયે પુરુષ અભિનેતાઓ કરતાં વધુ મહેનતાણું મેળવતાં સુરૈયા જીવનનાં અંતિમ વર્ષોમાં અનેક બીમારીઓ તથા એકલતામાં રહ્યાં બાદ હરકિશન હૉસ્પિટલમાં એમનું અવસાન થયું. ફિલ્મક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન માટે તેમને 1996માં સ્ક્રીન વીડિયોકોન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, 1999માં બિમલ રૉય મેમોરિયલ લાઇફટાઇમ એચીવમેન્ટ ટ્રૉફી, 2003માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ ઉપરાંત અન્ય સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2013માં ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.