Categories
વાચન સમૃદ્ધિ

શરણરાણી બેકલીવાલ

જ. 9 એપ્રિલ, 1929 અ. 8 એપ્રિલ, 2008

ભારતનાં પ્રથમ મહિલાસરોદવાદક અને સંગીતકાર શરણરાણીનો જન્મ દિલ્હીના રૂઢિવાદી હિંદુ પરિવારમાં થયો હતો. પરિવાર અને સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરીને પણ તેમણે નાની વયથી જ સંગીત અને નૃત્યની સાધના કરવા માંડી. નૃત્ય અને કંઠ્યસંગીતક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સૌપ્રથમ મોટા ભાઈ પાસેથી સરોદવાદન શીખવા માંડ્યું. આઠ વર્ષની વયે નાટક અને રેડિયોનાટક વગેરેમાં ભાગ લીધો, કેટલીક સંગીતરચનાઓ કરી. સાથે સાથે શાળા-કૉલેજનું શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી દિલ્હીના વ્યાપારી કુટુંબના વિદ્વાન સમાજસેવક સુલતાનસિંગ બેકલીવાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

સરોદવાદનનું વધુ શિક્ષણ તેમણે ઉસ્તાદ અલાઉદ્દીનખાં અને તેમના પુત્ર સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી લીધું. 1952માં કૉલકાતાની અખિલ ભારતીય તાનસેન વિષ્ણુદિગંબર પારિતોષિક સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. પ્રથમ અખિલ ભારતીય યુવક સમારોહમાં દિલ્હી વિશ્વવિદ્યાલયનું પ્રતિનિધિત્વ કરી વાદ્યસંગીતનો પુરસ્કાર જીત્યાં. તેમને વાદ્યસંગીતમાં વધુ અભ્યાસ માટે કેન્દ્રીય સંગીત અકાદમી તરફથી શિષ્યવૃત્તિ મળી. તેઓ આકાશવાણીનાં ‘એ’ શ્રેણીનાં કલાકાર હતાં. તેઓ આકાશવાણીના અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો, કલાસંગીત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સંગીતસંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. દેશ-વિદેશમાં સરોદવાદનના અનેક કાર્યક્રમો આપી ખૂબ પ્રશંસા મેળવી. તેમણે પહેલી વાર ભારતીય અને ફારસી સંગીતની જુગલબંધીનો પ્રયોગ કર્યો. જીવનભર સંગીતને સમર્પિત શરણરાણીએ સરોદવાદન અને સંગીતકલા ઉપર ‘ડિવાઇન સરોદ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે તેમનો સંગીતવાદ્યોનો સંગ્રહ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીને ભેટ તરીકે અર્પ્યો છે. ભારતના ટપાલખાતાએ આ સંગ્રહ પૈકી કેટલાંક વાદ્યો પર ટિકિટો બહાર પાડી છે. સંગીતક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1968માં ભારત સરકારે તેમને પદ્મશ્રી અને 2000માં પદ્મભૂષણ જેવાં સન્માનોથી નવાજ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

રામનારાયણ વિ. પાઠક

જ. 8 એપ્રિલ, 1887 અ. 21 ઑગસ્ટ, 1955

ગુજરાતી સાહિત્યના સર્જક અને અધ્યાપક રામનારાયણ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ગણોલમાં થયો હતો. પિતાની અવારનવાર બદલી થવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ મેળવ્યું. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં મેળવ્યું. 1904માં મૅટ્રિક તથા 1908માં પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ક્ષય રોગ થવાથી સાદરા રહેવા ગયા. 1920માં ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા અને જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા, પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં શાળા છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1928 સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1926માં ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી પૂર્ણકાલીન તંત્રી બન્યા. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજના અધ્યાપક બન્યા અને ‘પ્રસ્થાન’નું તંત્રીપદ છોડ્યું. તેઓ ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે જાણીતા છે. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે જોડાયા. તેમણે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો. એક વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું હતું. તેઓ ‘શેષ’ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખતા હતા. તેમણે 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. એ પછી એક વખત ‘ભૂલારામ’ ઉપનામ પણ રાખ્યું હતું. ‘શેષનાં કાવ્યો’, ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર), ‘દ્વિરેફની વાતો’ ભાગ 1થી 3, ‘સ્વૈરવિહાર’ ભાગ 1-2, ‘મનોવિહાર’, ‘આલોચના’, ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’, ‘નર્મદાશંકર કવિ’, ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’, ‘બૃહત્ પિંગળ’ તેમનાં નોંધપાત્ર સર્જનો છે. તેઓ 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને 1949માં નર્મદચંદ્રક અને 1956માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ વર્ડઝવર્થ

જ. 7 એપ્રિલ, 1770 અ. 23 એપ્રિલ, 1850

અંગ્રેજી સાહિત્યના એક મહત્ત્વના રોમૅન્ટિક કવિ તથા ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમના ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. વર્ડઝવર્થની પ્રસિદ્ધ રચના ‘ધ પ્રેલ્યુડ’ (The Prelude) છે. જે એક આત્મકથાત્મક કવિતા માનવામાં આવી છે. વર્ડઝવર્થ 1843થી તેમના મૃત્યુ સુધી ઇંગ્લૅન્ડના મહાકવિ રહ્યા હતા. 1818 સુધી તેઓ સાહિત્ય અને વ્યક્તિગત જીવન પર વધારે ધ્યાન આપતા હતા. તેમનાં બે બાળકોનાં મૃત્યુએ તેમને દુઃખથી ભાંગી નાખ્યા, છતાં તેમણે લખવાનું કામ ચાલુ રાખ્યું. 1798 અને 1808ની વચ્ચેનો દસકો તેમના રચનાત્મક જીવનનો સુવર્ણયુગ માનવામાં આવે છે. આ દરમિયાન તેઓએ ‘લ્યુસી પોએમ્સ ટીનબર્ટ એબેટી’, ‘ધ પ્રેલ્યુડ’, ‘પોએમ્સ : ઇમિટેશન ઑફ ઇમોરાલિટી’ જેવી અમર રચનાઓ લખી. આ રચનાઓથી તેઓ એક પ્રશંસિત સાહિત્યકાર તરીકે ઓળખાયા અને તેઓને અંગ્રેજી રોમૅન્ટિક આંદોલનના પ્રમુખ સ્વર બનાવી દીધા. 1843માં તેઓ બ્રિટનના મહાકવિ તરીકે નિયુક્ત થયા, આ પદ તેઓએ જીવનપર્યંત નિભાવ્યું. ઇંગ્લૅન્ડની પ્રાકૃતિક સુંદરતા માણવા તેઓએ વિસ્તૃત પદયાત્રા કરી હતી. જેમાં આલ્પ્સ પર્વત, ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીના અનેક પ્રદેશો આવરી લીધા હતા. તેમની રચનાઓમાં તેમની અંદર રહેલો પ્રકૃતિપ્રેમ અને માનવીય ભાવનાઓ સ્પષ્ટ રૂપમાં છલકાય છે. તેમની પ્રમુખ રચનાઓ ‘સાઇમન લી’, ‘વી આર સેવન’, ‘પ્રિફેસ ટુ ધ લિરિકલ બલ્લાડ્સ’, ‘ઑડ ટૂ ડ્યૂટી’, ‘ધ સોલિટરી રીપર’ (1802), ‘ધ વર્લ્ડ ઇઝ ટૂ મચ વિથ અસ’, ‘માર્ય હાર્ટ લિપ્સ અપ’ વગેરે રચનાઓ છે. તેઓ માનતા હતા કે કવિતાની ભાષા સ્વાભાવિક બોલચાલની ભાષા જેવી સરળ હોવી જોઈએ તો આમ જનમાનસ તેને માણી શકે.