Categories
વાચન સમૃદ્ધિ

મલ્હારરાવ હોલકર

જ. 16 માર્ચ, 1693 અ. 20 મે, 1766

ઇન્દોરના પ્રથમ મહારાજા મલ્હારરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મુરુમ ગામમાં ખાંડુજી હોલકરને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન ખેડ તાલુકાનું વફગાંવ હતું, પરંતુ હોલ ગામમાં આવી સ્થાયી થયા આથી હોલકર કહેવાયા. 1696માં પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ત્રણ વર્ષના હતા. માતા એમને લઈને ખાનદેશના તાલોદ ગામમાં ભાઈ ભોજરાજ બારગલના ઘરે રહેવા ગયાં. મલ્હારરાવ યુવાન થતાં કંથાજીએ એમને ઘોડેસવાર તરીકે પોતાની ટુકડીમાં રાખ્યા. આમ તેમની લશ્કરી કારકિર્દી શરૂ થઈ. 1721માં તેઓ પેશ્વા બાજીરાવની સેનામાં જોડાયા. પોતાની મહેનત અને બુદ્ધિથી તેઓ આગળ વધ્યા. તેઓ બાજીરાવના વિશ્વાસુ સેનાપતિ બન્યા. 1725માં તેમને 500 ઘોડેસવારના ઉપરી બનાવવામાં આવ્યા. 1728માં અમઝેરાના યુદ્ધમાં રાણોજી સિંધિયા અને ઉદાજી પવાર સાથે ભાગ લીધો. 1730માં પેશ્વાએ માળવા પ્રાંતના સૂબેદાર તરીકે તેમની નિમણૂક કરી અને ચોથ ઉઘરાવવાનું કામ સોંપ્યું. તેમણે ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝો પાસેથી બસેનનો કિલ્લો જીતી લીધો. 1748માં રોહિલ્લા અભિયાનમાં બહાદુરી માટે તેમને શાહી સરદેશમુખીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ નર્મદા અને સહ્યાદ્રી વચ્ચે આવેલા પ્રદેશના શાસક હતા. તેમણે 1717માં ગૌતમાબાઈ સાથે લગ્ન કર્યાં. એ પછી બાનાબાઈ, દ્વારકાબાઈ, હરકુબાઈ અને એક ખાંડા રાણી સાથે પણ લગ્ન કર્યાં હતાં. 1754માં ભરતપુરના જાટ મહારાજા સૂરજમલ સામે કુમ્હેર કિલ્લાના ઘેરા દરમિયાન તેમના એકના એક પુત્ર ખંડેરાવનું અવસાન થયું. ખંડેરાવના અવસાન પછી ખંડેરાવનાં પત્ની અહિલ્યાબાઈને તેમણે સતી થતાં અટકાવી હતી. મલ્હારરાવનું આલમપુર ખાતે અવસાન થયું. તેમના અવસાન પછી અહિલ્યાબાઈએ આલમપુરમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, એ સ્થળે સમાધિ છત્રી બનાવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન

જ. 15 માર્ચ, 1977 અ. 28 નવેમ્બર, 2008

2008ના મુંબઈના આતંકી હુમલા દરમિયાન ફક્ત 31 વર્ષે શહીદ થનારા ભારતીય સેનાના અધિકારી મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન બૅંગાલુરુમાં રહેતા મલયાલી નાયર પરિવારમાંથી હતા, જ્યાં તેઓ કેરળના કોઝિકોડથી સ્થળાંતરિત થયા હતા. તેઓ નિવૃત્ત ઇસરો અધિકારી કે. ઉન્નીકૃષ્ણન અને ધનલક્ષ્મી ઉન્નીકૃષ્ણના એકમાત્ર પુત્ર હતા. મેજરે બૅંગાલુરુની ફ્રેન્ક એન્થોની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1995માં વિજ્ઞાનપ્રવાહમાં સ્નાતક થયા હતા. તેઓ બાળપણથી જ સશસ્ત્ર દળોમાં જોડાવા માગતા હતા. મેજર સંદીપ 1995માં મહારાષ્ટ્રના પુણેમાં નૅશનલ ડિફેન્સ અકાદમીમાં જોડાયા. તેઓ ઑસ્કાર સ્ક્વોડ્રનના ભાગ હતા અને 94માં કોર્સ એનડીએના સ્નાતક હતા. તેમણે બેચલર ઑવ્ આર્ટસની ડિગ્રી મેળવી હતી. ભારતીય લશ્કરી અકાદમી (આઇએમએ) દેહરાદૂનમાંથી તેઓ સ્નાતક થયા અને ભારતીય સેનાની બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મેળવ્યું. 12 જૂન, 2003ના રોજ તેમને કૅપ્ટન તરીકે નોંધપાત્ર બઢતી મળી. ‘ઘાતક કોર્સ’ દરમિયાન તેમણે બે વખત ‘ઇન્સ્ટ્રક્ટર’ ગ્રેડિંગ અને પ્રશંસાપત્ર મેળવ્યું. તેમને ગુલમર્ગની હાઈ અલ્ટિટ્યૂડ વૉરફેર સ્કૂલમાં પણ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા પછી જાન્યુઆરી 2007માં તેમને એનએસજીના 51મા સ્પેશિયલ ઍક્શન ગ્રૂપના તાલીમ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એનએસજીનાં વિવિધ ઑપરેશન્સમાં પણ ભાગ લીધો હતો. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને 27 નવેમ્બર, 2008ના રોજ હોટલ તાજમહેલ મુંબઈમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલ કમાન્ડો ઑપરેશનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે 14 બંધકોને બચાવ્યા હતા. ઑપરેશન દરમિયાન તેમની ટીમ તીવ્ર પ્રતિકૂળ ગોળીબારમાં આવી હતી, જેમાં તેમની ટીમના એક સભ્યને ગંભીર ઈજા થઈ હતી. મેજર સંદીપે આતંકવાદીઓને કચડી નાખ્યા અને ઘાયલ કમાન્ડોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ પ્રક્રિયામાં તેમના જમણા હાથમાં ગોળી વાગી હતી. ઈજાઓ હોવા છતાં તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી આતંકવાદીઓ સામે લડતા રહ્યા. તેમણે ઉચ્ચ કક્ષાના નેતૃત્વ ઉપરાંત ખૂબ જ નોંધપાત્ર બહાદુરી દર્શાવી રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. 26 જાન્યુઆરી, 2009ના રોજ તેમને મરણોત્તર અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીના પ્રવેશદ્વાર પર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની પ્રતિમા છે. બૅંગાલુરુ વ્હાઇટફિલ્ડ ખાતે એક આર્મી હાઉસિંગ કૉમ્પ્લેક્સનું નામ ‘સંદીપ વિહાર’ છે.

Categories
વાચન સમૃદ્ધિ

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ  કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.