Categories
વાચન સમૃદ્ધિ

જેમ્સ વૉટ્સન

જ. 6 એપ્રિલ, 1928 અ. 6 નવેમ્બર, 2025

પ્રસિદ્ધ અમેરિકન જનીન-વિજ્ઞાની, જૈવ-ભૌતિકવિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિક સહવિજેતા. જન્મ શિકાગો, ઇલિનોય, યુ.એસ.એ.માં અને બાળપણ પણ શિકાગોમાં વિતાવ્યું. અભ્યાસ હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં 1943માં 15 વર્ષની વયે શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રયોગલક્ષી કૉલેજમાં દાખલ થયાં અને 1947માં સ્નાતકની ઉપાધિ મેળવી. બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશોધનોથી તેઓ પ્રભાવિત હતા અને પક્ષીનિરીક્ષણનો રસ પણ તેમને જનીનવિદ્યાના અભ્યાસ તરફ દોરી ગયો. આથી શિષ્યવૃત્તિ મળતાં ઇન્ડિયાના વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા અને વિષાણુશાસ્ત્રમાં જીવાણુભોજી વિષાણુઓ પર સંશોધન કરી 1950માં પ્રાણીશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની ઉપાધિ હાંસલ કરી. 1950-51માં તેઓ મર્ક-ફેલો તરીકે કોપનહેગનમાં ગયા અને જીવાણુસંલગ્ન વિષાણુઓ પર સંશોધન કર્યું. 1951-53 દરમિયાન ક્વૅન્ડિશ પ્રયોગશાળામાં સંશોધક તરીકે જોડાયા અને X-કિરણ વિવર્તન ટૅકનિકનો અભ્યાસ કર્યો. તેઓ બ્રિટિશ જૈવ-ભૌતિકવિદ ફ્રાન્સિસ ક્રિકને મળ્યા અને બંનેએ DNA અણુઓની સંરચના ઉકેલવાના પ્રયત્નો કર્યા. પરિણામરૂપ 1953માં બ્રિટિશ જર્નલ ‘નેચર’માં DNA અણુના પ્રતિરૂપ વિશેનું પ્રકાશન બે સંશોધનપત્રો રૂપે કર્યું. આ દરમિયાન નોબેલવિજેતા ભૌતિકવિદ શ્રોડિન્જરના ‘What is life’ પુસ્તકના વાચનથી પ્રભાવિત થઈ સંભાવ્ય જટિલ સ્વરૂપના એક અણુ દ્વારા આનુવંશિકતાને લગતી જૈવિક વિધિનું નિયમન કઈ રીતે થાય છે તે જાણવા પ્રેરિત થવાથી લંડનના બાયૉફિઝિકલ યુનિટમાં જોડાયા અને કોષાંતર્ગત ન્યૂક્લીઇડ ઍસિડના પારજાંબલી સૂક્ષ્મવર્ણપટનો સ્પેક્ટ્રૉફોટોમિતીય અભ્યાસ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ન્યૂક્લીઇડ ઍસિડના અણુની સૂક્ષ્મતમ રચનાના અને આ અણુમાં સંકેતના સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી સંતાનમાં કઈ રીતે સ્થાનાંતર પામે છે તેને લગતા મૌલિક સંશોધન બદલ ક્રિક–વૉટ્સન–વિલ્કિન્સ ત્રિપુટીને 1962ના વર્ષનું દેહધર્મવિજ્ઞાન ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું. વૉટ્સનનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘મોલેક્યુલર બાયૉલૉજી ઑવ ધ જીન’ (1965) અને ‘ધ ડબલ હેલિક્સ’(1968)ને ગણાવી શકાય. 1981માં તેમણે જોહન ટૂઝ સાથે લખેલ ‘ધ ડી.એન.એ. સ્ટોરી’ પ્રકાશિત કર્યું. 1988થી 1992 દરમિયાન ધ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ખાતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ ફાળો આપ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

અન્ના ચંડી

જ. 5 એપ્રિલ, 1905 અ. 20 જુલાઈ, 1996

સંવેદનશીલ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ તથા કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતાં અન્ના ચંડીનો જન્મ કેરળના તિરુવનંતપુરમ્(ત્રિવેન્દ્રમ્)માં થયો હતો. તે સમયે સ્ત્રીઓને મૅટ્રિકથી વિશેષ ભણવાની તક મળતી નહોતી. તેમ છતાં મહિલાઓના અધિકારોની બાબતમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં કેરળની મહિલાઓ વધુ પ્રગતિશીલ અને સાહસિક હતી. અન્નાએ 1926માં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી સૌપ્રથમ કાયદાશાસ્ત્રમાં પદવી હાંસલ કરી. સમગ્ર કેરળ રાજ્યમાં આવું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. એ પછી 1929થી બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની સાથોસાથ એમણે સ્ત્રીઓના હક્કો માટે મલયાળમ ભાષામાં ‘શ્રીમતી’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકનાં તેઓ પ્રથમ સંપાદક બન્યાં અને મહિલા-અધિકાર માટે લડત શરૂ કરી. 1938માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર અને 1949માં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ થયાં. 1959ની નવમી ફેબ્રુઆરીએ તેમની કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેઓને વડી અદાલતનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું. એ સમયે વડી અદાલતનું ન્યાયમૂર્તિપદ મેળવનાર તેઓ વિશ્વનાં બીજાં મહિલા હતાં. 1967ની પાંચમી એપ્રિલ સુધી તેઓએ આ ગૌરવવંતા પદ પર કામગીરી બજાવી. અન્ના ચંડીના પતિ પોલીસઇન્સ્પેક્ટર હતા. બંને વચ્ચે સમજદારીનો સેતુ મજબૂત હતો, પરિણામે અન્ના સફળતા હાંસલ કરતાં ગયાં, પણ તે માટે પોતાના અંગત જીવનનો ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. એમના પતિની બદલી જુદાં જુદાં શહેરોમાં થતી હતી. આથી બંનેને પોતાના વ્યવસાય સંભાળવા જુદા રહેવું પડતું હતું. પરિણામે અન્નાને શિરે ઘરગૃહસ્થી, વ્યવસાય તથા બાળકોના ઉછેરની જવાબદારી આવી, પરંતુ પ્રતિકૂળ સંજોગોનો તેમણે હિંમતભેર સામનો કર્યો. અન્નાને વાંચન અને સર્જનનો શોખ હોવાથી ‘મર્ડર ઑફ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (સેક્શન 206, પીનલ કોડ) નામના નાટકની રચના કરી; એટલું જ નહીં, પણ એનું સફળ નિર્દેશન કર્યું તથા નાટકમાં ભૂમિકા પણ ભજવી. તેમણે પોતાની આત્મકથા લખી છે જે 1973માં પ્રકાશિત થઈ હતી. તેઓ ત્રાવણકોર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને આજીવન મહિલાઓના અધિકાર માટે લડત આપતાં રહ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પરવીન બાબી

જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર.  ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.