Categories
વાચન સમૃદ્ધિ

બાજી રાઉત

જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

રામચન્દ્ર શુક્લ

જ. ૪ ઑક્ટોબર, ૧૮૮૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૪૧

હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક, વિવેચક, કવિ, અનુવાદક અને અધ્યાપક રામચન્દ્ર શુક્લનો જન્મ ઉત્તરપ્રદેશના અગોના ગામમાં થયો હતો. તેઓ નવ વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું. એમણે પ્રાથમિક શિક્ષણ રાઠમાં મેળવ્યું. ૧૯૦૧માં મિર્ઝાપુરની લંડન મિશન સ્કૂલમાંથી હાઈસ્કૂલની ફાઇનલ પરીક્ષા FA પાસ કરી. પિતાની ઇચ્છા હતી કે તેઓ કચેરીમાં જઈ દફતરી કામ શીખે. એટલે તેમને કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ મોકલ્યા. તેમને વકીલાતમાં રુચિ ન હતી, આથી નાપાસ થયા. તેમણે સ્વઅભ્યાસથી સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ફારસી અને ઉર્દૂનું જ્ઞાન મેળવ્યું. તેઓ ૧૯૦૩થી ૧૯૦૮ સુધી ‘આનંદ કાદમ્બિની’ના સંપાદક રહ્યા. ૧૯૦૪થી ૧૯૦૮ સુધી લંડન મિશન સ્કૂલમાં કલાશિક્ષક બન્યા. ૧૯૦૮માં ‘કાશી નાગરી પ્રચારિણી સભા’માં ‘હિન્દી શબ્દસાગર’ના સહાયક સંપાદક બન્યા. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક થયા અને ૧૯૩૭થી ૧૯૪૧ સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. એમનો સર્વપ્રથમ નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ ૧૯૦૯માં ‘સરસ્વતી’ સામયિકમાં પ્રગટ થયો. તેઓ નિબંધક્ષેત્રે એમના યુગના શ્રેષ્ઠ લેખક હતા આથી એમના સમકાલીન યુગને ‘શુક્લયુગ’ કહેવામાં આવે છે. તેમણે વિવેચનમાં વ્યવસ્થિત માનદંડ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમની ભાષા સંસ્કૃત નિષ્ઠ, શુદ્ધ અને ખડી બોલી છે. તેમણે ‘કાવ્ય મેં રહસ્યવાદ’, ‘કાવ્ય મેં અભિવ્યંજનાવાદ’, ‘ચિંતામણિ’ (ભાગ ૧-૨), ‘અધ્યયન, ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’, ‘વિચારવીથી’, ‘બુદ્ધચરિત’, ‘અભિમન્યુ-વધ’, ‘ગ્યારહ વર્ષ કા સમય’ જેવા ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત તેમણે બંગાળી અને અંગ્રેજીમાંથી અનુવાદો આપ્યા છે. મૂર્ધન્ય વિવેચક, ઇતિહાસકાર અને યુગપ્રવર્તક નિબંધકાર તરીકે હિન્દી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે.

Categories
વાચન સમૃદ્ધિ

દશરીબહેન ચૌધરી

જ. ૩ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૨ ઑક્ટોબર, ૨૦૧૩

ભારતીય સ્વાતંત્ર્યસેનાની દશરીબહેનનો જન્મ વેડછી, સૂરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો. માતાનું નામ અંબાબહેન અને પિતાનું નામ રૂમસીભાઈ. રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવણભાઈ ચૌધરી પાસેથી શીખ્યાં હતાં. દશરીબહેને પ્રાથમિક શિક્ષણ વેડછી આશ્રમમાં લીધું હતું. ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. દશ વર્ષનાં દશરીબહેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયાં હતાં. સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલાં. દિલરુબા વગાડવામાં પારંગત થયેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીનાં ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું. સ્વતંત્રતાસંગ્રામમાં દશરીબહેને ગાયેલું ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ખૂબ લોકપ્રિય થયેલું. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કામાં દશરીબહેન સક્રિય કાર્યકર રહ્યાં હતાં. ૧૯૩૩માં માત્ર ૧૫ વર્ષની  ઉંમરે જેલની સજા પણ ભોગવી હતી. તેમને પહેલાં સાબરમતી જેલ અને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં હતાં. કસ્તૂરબા ગાંધી પણ ત્યારે યરવડા જેલમાં હતાં. કસ્તૂરબાના કહેવાથી દશરીબહેને કસ્તૂરબાને લખતાંવાંચતાં શીખવ્યું. બાએ બાપુને પત્ર લખ્યો ત્યારે બાપુએ લખેલું કે ‘આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તું કરી શકી છે.’ જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયાં હતાં. એમાં તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આદિવાસી પ્રજામાં વ્યસન, અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી.