Categories
વાચન સમૃદ્ધિ

મેરી ક્યુરી

જ. 7 નવેમ્બર, 1867 અ. 4 જુલાઈ, 1934

રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલાવિજ્ઞાની. તેમનું મૂળ નામ મેનિયા સ્ક્લોદોવ્સ્કા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો પણ જિમ્નેસિયમ સેકન્ડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન, 1883માં ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું. પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પૅરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. આમ છતાં 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1895ના વર્ષમાં ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ત્યારબાદ પૅરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડૉક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડૉક્ટરેટની ઉપાધિ મળી. 1903માં  ક્યુરી દંપતીને બૅકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં. 19 એપ્રિલ, 1906માં માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ  પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે શોધેલાં બે નવાં રેડિયોઍક્ટિવ તત્ત્વો પૈકી એકનું નામ મેરી ક્યુરીના વતન પોલૅન્ડ પરથી પોલોનિયમ અને બીજાને રેડિયમ નામ આપ્યું. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. આજે પણ ‘રેડિયમ થૅરપી’ કૅન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે. લાંબા સમય સુધી શરીર પર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદ્ભાસન થવાથી તેઓ લ્યૂકેમિયાના દર્દથી અવસાન પામ્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

કરણ દીવાન

જ. 6 નવેમ્બર, 1917 અ. 2 ઑગસ્ટ, 1979

ભારતીય સિનેમાજગતમાં હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા કરણ દીવાનનો જન્મ ગુજરાનવાલા પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને તેમણે ઉર્દૂ ફિલ્મ મૅગેઝિન ‘જગત લક્ષ્મી’નું સંપાદન શરૂ કર્યું હતું. કરણ દીવાને 1939માં કૉલકાતામાં પંજાબી ફિલ્મ ‘પૂરણ ભગત’માં ‘પૂરણ’ની ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેરા માહી’ (1941) પણ એક પંજાબી ફિલ્મ હતી. ત્યારબાદ ‘રતન’માં તેમણે પહેલી વાર હિન્દી ફિલ્મોમાં નૌશાદ માટે ગીત ગાયું હતું. જે તે સમયે બી. આર. ચોપરા લાહોરમાં ફિલ્મપત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કરણ દીવાનને દેવિકા રાની સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી, જેમણે દીવાનને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે આનાથી દીવાનને ફિલ્મો બનાવવામાં મદદ ન મળી ત્યારે તેમણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉર્દૂ ઉચ્ચારણ શીખવ્યું હતું. 1944માં કરણ દીવાને એમ. સાદિક દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘રતન’માં અભિનય કર્યો હતો, જે તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની હતી. 1944માં જ ‘ગાલી’ નામની સામાજિક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હોવાનું કહેવાય છે. 1945માં ‘ભાઈજાન’ એક સફળ મુસ્લિમ સામાજિક કૌટુંબિક મેલૉડ્રામા હતી. 1947માં તેમણે ફિલ્મ ‘મહેંદી’માં અભિનય કર્યો હતો. 1948માં કરણ દીવાને ‘ફિર ભી અપના હૈ’, સ્વર્ણલતા સાથે ‘ચાંદ ચકોરી’ અને મીનાકુમારી સાથે ‘પિયા ઘર આ જા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1949માં બનેલી ભારત-પાકિસ્તાનના ભાગલાની લોકો પર અસર દર્શાવતી ફિલ્મ ‘લાહોર’માં તેમણે નરગિસ સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હતું. કરણ દીવાને 1950માં છ ફિલ્મોમાં અને 1955માં આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1939થી 1979 સુધીમાં સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘જ્યૂબિલી સ્ટાર’ તરીકે ઓળખાતા હતા. તેમની વીસ ફિલ્મો સિલ્વર જ્યૂબિલી તરીકે હિટ રહી હોવાનું કહેવાય છે. સોહનલાલ કંવરની ‘આત્મારામ’ (1979) તેમની છેલ્લી ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત બલરામ પાઠક

જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.