Categories
વાચન સમૃદ્ધિ

ઊર્મિલા ભટ્ટ

જ. 1 નવેમ્બર, 1933 અ. 22 ફેબ્રુઆરી, 1997

રંગભૂમિ, ફિલ્મ અને ટીવીના પરદે જાજરમાન અભિનય આપનાર ઊર્મિલા ભટ્ટનો જન્મ દહેરાદૂનમાં થયો હતો. એમણે વડોદરામાં જ નૃત્યનાટકની તાલીમ લીધી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્ર સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતમાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958 દરમિયાન તત્કાલીન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યનાં અધ્યાપિકા તરીકે તથા ત્યારબાદ વડોદરાની મ. સ. યુનિવર્સિટી સંચાલિત ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટસ ખાતે અધ્યાપિકા તરીકે સંનિષ્ઠ સેવા આપી હતી. ત્યારબાદ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. 1960માં રાજકોટની સંગીતકલા અકાદમીમાં લોકનૃત્યકાર તરીકે જોડાયાં. માર્કંડ ભટ્ટ જેવા નામી કલાકાર સાથે નાટકોમાં અભિનય કર્યો અને 1965માં બંને લગ્નગ્રંથિથી જોડાયાં. તેમણે માર્કંડ ભટ્ટ સાથે ફિલ્મોમાં અભિનય પણ આપ્યો હતો. તેમણે ખ્યાતનામ દિગ્દર્શકો સાથે વિવિધ શૈલીનાં નાટકોમાં ભૂમિકાઓ ભજવી. તેમણે ભજવેલાં જાણીતાં નાટકોમાં ‘ભગવદજ્જુકીયમ’, ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’, ‘નંદિની’, ‘મરચન્ટ ઑવ્ વેનિસ’, ‘અત્ર લુપ્તા સરસ્વતી’, ‘ધરા ગુર્જરી’, ‘આણલ દે’, ‘શેતલને કાંઠે’, ‘મા’, ‘ઘૂંઘટપટ’ વગેરેનો સમાવેશ થાય છે. ચતુર્થ મુંબઈ રાજ્ય નાટ્યસ્પર્ધા 1958 તથા ગુજરાત રાજ્ય નાટ્યસ્પર્ધા 1962માં તેમણે શ્રેષ્ઠ અભિનયનાં પારિતોષિક મેળવ્યાં હતાં. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મો, 75થી વધુ ગુજરાતી ફિલ્મો અને 10થી 15 રાજસ્થાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. બે દાયકા સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરી ભારે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે બંગાળી, ભોજપુરી, હરિયાણવી વગેરે ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનયક્ષેત્રે તેમણે કરેલા વિશિષ્ટ પ્રદાન બદલ 1970માં ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ ઍસોસિયેશન, સિમલા દ્વારા તથા 1981માં ત્રિવેણી, વડોદરા દ્વારા તથા 1987માં વડોદરાની 30 જેટલી સંસ્થાઓ દ્વારા તેમને સન્માનવામાં આવ્યાં હતાં. સ્ત્રીનિકેતન, વડોદરાના પ્રમુખપદે રહી તેમણે અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. મુંબઈમાં તેમના ઘરમાં જ તેમની હત્યા થઈ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

જયકૃષ્ણ હરિવલ્લભદાસ

જ. 31 ઑક્ટોબર, 1919 અ. 18 જાન્યુઆરી, 2000

મિલ-ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ, દાનવીર, સમાજસેવક, સ્ત્રીકેળવણીના હિમાયતી અજાતશત્રુ જયકૃષ્ણભાઈનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા હરિવલ્લભદાસ અને માતા મહાલક્ષ્મીબહેન. 1926માં પિતાની સાથે અમદાવાદ આવ્યા. 18 વર્ષની વયે પિતાના વ્યવસાયમાં જોડાયા અને કુશળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. તેમણે શ્રી અંબિકા ગ્રૂપના નામે પાંચ ટેક્સટાઇલ મિલોનું સંચાલન કર્યું. તેઓ 31 વર્ષની વયે દરિયાપુર મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. એ પછી 42 વર્ષની ઉંમરે 4 મે, 1961થી 4 મે, 1965 સુધી અમદાવાદના મેયર બની સમાજસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેમણે કૉર્પોરેશનની સમિતિઓમાં વિરોધપક્ષના સભ્યોને પ્રતિનિધિત્વ અપાવી એક નવી પરંપરા શરૂ કરી. તીર્થધામ વિકાસ, કેળવણી અને આરોગ્યક્ષેત્રે તેમણે મહત્ત્વનાં કાર્યો કર્યાં. તેઓ 1961થી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચાન્સેલર અને 1963થી પ્રમુખ રહ્યા. તેમણે એચ. કે. આર્ટસ અને એચ. કે. કૉમર્સ કૉલેજનું સંચાલન કર્યું. મહીપતરામ રૂપરામ આશ્રમમાં 47 વર્ષ સુધી ચૅરમૅન તરીકે કાર્ય કર્યું. તેમણે અટિરાની ગવર્નિંગ કાઉન્સિલમાં 28 વર્ષ અને વહીવટી સભાના પ્રમુખ તરીકે 8 વર્ષ કાર્ય કર્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીના આરંભે 38 વર્ષ સુધી ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ બન્યા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની ગવર્નિંગ કાઉન્સિલમાં 38 વર્ષ રહ્યા. તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપનીના ચૅરમૅન, અપંગ માનવ મંડળ, અંધજન માનવ મંડળ, ઇન્ડો-જાપાન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશન, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તેમજ અમદાવાદ મિલ-માલિક મંડળના પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં અને મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં ફાળો આપ્યો હતો. તેઓ 27 એપ્રિલ, 1995થી અવસાન સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમને જાપાનના પ્રતિષ્ઠિત ‘ધી ઑર્ડર ઑફ ધ રાઇઝિંગ સન’ ઍવૉર્ડ, રાજીવ ગાંધી ગોલ્ડમેડલ અને સમાજરત્નના ઇલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય નરેન્દ્રદેવ

જ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૯ અ. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૬

ભારતના પ્રમુખ સ્વાતંત્ર્યસેનાની, સાહિત્યકાર, પત્રકાર તથા શિક્ષાવિદ નરેન્દ્ર દેવનો જન્મ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ખત્રી પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સ્વામી રામતીર્થ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત દીનદયાળ શર્માના સંપર્કમાં રહેવાનો મોકો મળેલો. આથી મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિ અનુરાગ. તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવેલી, પછી કાશીની ક્વીન્સ કૉલેજમાં પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. ૧૯૧૩માં એમ.એ.ની ઉપાધિ પણ મેળવી. રાજનીતિમાં રસ ધરાવતા હોવા છતાં પરિવારના આગ્રહથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૦ સુધી ફૈજાબાદમાં વકીલાત કરી. દેશમાં અસહયોગ આંદોલનના પ્રારંભ પછી જવાહરલાલની સૂચના અને મિત્ર શિવપ્રસાદ ગુપ્તના આમંત્રણથી કાશી વિદ્યાપીઠ આવ્યા. અહીં ડૉ. ભગવાનદાસની અધ્યક્ષતા હેઠળ કાર્ય શરૂ કર્યું અને ૧૯૬૨માં પોતે પણ અધ્યક્ષ બન્યા. ત્યારથી આચાર્યની ઉપાધિ તેમના નામનું એક અંગ બની ગઈ. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં ૧૯૩૦માં ‘મીઠાના સત્યાગ્રહ’ તથા ૧૯૩૨માં આંદોલનમાં ભાગ લીધો આથી કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા તથા અન્ય સહયાગીઓ સાથે મળીને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૪૮માં પાર્ટીના સંમેલનમાં અધ્યક્ષતા કરી. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉત્તરપ્રદેશની માધ્યમિક શિક્ષા સમિતિની અધ્યક્ષતા કરી ઘણાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. સંસ્કૃત ભાષા ભણાવવાનો તેમનો આગ્રહ રહેતો. બૌદ્ધ ધર્મના અનુરાગી હોવાથી ‘અભિધર્મકોશ’ પ્રકાશિત કરાવ્યું હતું. ‘અભિધમ્મત્થસંહહો’નું હિંદી ભાષાંતર કરેલું. વળી પ્રાકૃત તથા પાલિ વ્યાકરણ હિંદીમાં તૈયાર કર્યું હતું પણ આકસ્મિક નિધન થવાથી અમુક રચનાઓ પ્રાપ્ત થતી નથી. તેઓએ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક પત્રિકા, ‘સમાજ’ ત્રૈમાસિક, ‘જનવાણી’ માસિક, ‘સંઘર્ષ‘ અને ‘સમાજ’ સાપ્તાહિકોનું સંપાદન કરેલું. તેમની રચનાઓમાં સમાજવાદ, રાષ્ટ્રીયતા અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યપણે રહેતા.