Categories
વાચન સમૃદ્ધિ

સુબ્રમણ્યમ્ ભારતી

જ. 11 ડિસેમ્બર, 1882 અ. 11 સપ્ટેમ્બર, 1921

તમિળના પ્રસિદ્ધ લેખક, કવિ, સંગીતકાર અને પત્રકાર સુબ્રમણ્યમ્ ભારતીનો જન્મ તમિળનાડુના એટ્ટાયપુરમમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ઐયર અને માતા લક્ષ્મી અમ્મલ. તેમણે પાંચ વર્ષની ઉંમરે માતાની અને અગિયાર વર્ષની ઉંમરે પિતાની  છત્રછાયા ગુમાવી. પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલીમાં થયું પછી વારાણસી ગયા. ત્યાં તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને બાળપણથી કવિતા અને સંગીતમાં રસ હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમને શ્રેષ્ઠ કવિતા માટે ‘ભારતી’નું બિરુદ આપવામાં આવ્યું. તેઓ સિસ્ટર નિવેદિતાને ગુરુ માનતા હતા. તેમણે એટ્ટાયપુરમના રાજાના મુખ્ય રાજકવિ તરીકે તેમજ મદુરાઈની સેતુપતિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે તમિળ સાપ્તાહિક ‘ભારત’ અને અંગ્રેજી વર્તમાનપત્ર ‘બાલા ભારતમ્’નું સંપાદન કર્યું. આ ઉપરાંત ‘ઇન્ડિયા’, ‘વિજયા’. ‘સૂર્યોદયમ્’, ‘સ્વદેશમિત્રન’, ‘ધ હિન્દુ’ અને ‘ચક્રવર્તિની’ના સંપાદક અને ઘણાં વર્તમાનપત્રોમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. 1908માં અંગ્રેજ સરકારે ધરપકડ વૉરન્ટ કાઢતાં તેઓ ફ્રેન્ચ શાસિત પોંડિચેરી (પુદુચેરી) ગયા. તેમણે મહર્ષિ અરવિંદને ‘આર્ય’ અને ‘કર્મયોગી’ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમની રચનાઓમાં ‘કન્નન પટ્ટુ’, ‘કુયિલ પટ્ટુ’, ‘પંજલિ સબથમ્’, ‘વિનયગર નાનમણિમલાઈ’ તેમજ પતંજલિના યોગસૂત્ર અને ભગવદ્ગીતાનો તમિળ અનુવાદ જાણીતાં છે. 1949માં તેમના સાહિત્યનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેઓ જીવનનાં છેલ્લાં વર્ષો જે ઘરમાં રહેતા હતા એ ઘર તમિળનાડુ સરકારે ખરીદીને તેને ‘ભારતી ઇલમ’ નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી પુરસ્કાર’ તેમજ ‘ભારતી યુવાકવિ પુરસ્કાર’ આપવામાં આવે છે. 1982માં કોઈમ્બતુરમાં ‘ભારતિયા યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી. 11 સપ્ટેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી ચૅર ઑફ તમિળ સ્ટડીઝ’ સ્થાપવાની જાહેરાત કરી છે. તેમના જીવન પરથી ‘ભારતી’ નામની તમિળ ફિલ્મ બનાવવામાં આવી જેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

જદુનાથ સરકાર

જ. 10 ડિસેમ્બર, 1870 અ. 19 મે, 1958

મહાન ઇતિહાસકાર સર જદુનાથ સરકારનો જન્મ બંગાળના રાજશાહી જિલ્લાના કરચમરિયાના વૈષ્ણવ-કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ કરચમરિયા, રાજશાહીનગર અને કૉલકાતામાં થયું હતું. 1889માં ઇન્ટરમીડિયેટ ફર્સ્ટ આર્ટસની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને બી.એ.ની ઇતિહાસ અને અંગ્રેજી વિષય સાથે 1891માં પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવ્યા. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવી તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જદુનાથનો પ્રથમ લેખ ‘ટીપુ સુલતાનનું પતન’ અને પ્રથમ નિબંધ ‘રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક કૃતિઓ’ વિશે હતો. 1898થી 1917ની વચ્ચે, 1901માં પ્રેસિડેન્સી કૉલેજમાં સંક્ષિપ્ત કાર્યકાળ સિવાય પટણા કૉલેજમાં તેમણે વિતાવ્યો. 1919માં તેઓ કટકની રેવનશો કૉલેજમાં અંગ્રેજી અને ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમણે બાંગ્લા શીખવવાનું પણ સ્વેચ્છાએ શરૂ કર્યું. 1926થી 1928 દરમિયાન તેમણે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. જદુનાથ સરકારનાં પ્રકાશનોમાં ‘ઇકૉનૉમિક્સ ઑફ બ્રિટિશ ઇન્ડિયા’, ‘હિસ્ટ્રી ઑફ ઔરંગઝેબ’ 1થી5 વૉલ્યુમ, ‘શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ’, ‘ફોલ ઑફ ધ મુઘલ એમ્પાયર’ વૉલ્યુમ 1થી 4, ‘મિલિટરી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા’ મોખરે છે. બાંગ્લામાં તેમનાં પુસ્તકોમાં ‘પટનાર કથા’, ‘મરાઠા જાતિબિકાશ’ અને ‘શિબાજી’નો સમાવેશ થાય છે. જદુનાથ સરકારને 1904માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ગ્રિફિથ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1926માં કમ્પેનિયન ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 1929માં તેમને નાઇટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1936માં ઢાકા યુનિવર્સિટી દ્વારા તેમને ડી. લિટ.થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ 80 વર્ષના થયા ત્યારે બાંગિયા સાહિત્ય પરિષદ અને બાંગિયા ઇતિહાસ પરિષદે અનુક્રમે 1949 અને 1950માં તેમનું વિશેષ સન્માન કર્યું હતું. જદુનાથ પોતાના સમયના ભારતના અને વિદેશના મહાન ઇતિહાસકારોમાંના એક હતા. ડૉ. કે. આર. કાનુન્ગો અને ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (આગ્રા યુનિવર્સિટી) જેવા પ્રસિદ્ધ ઇતિહાસકારો તેમના શિષ્યો હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ફ્રિટ્ઝ જેકબ હેબર

જ. 9 ડિસેમ્બર, 1868 અ. 29 જાન્યુઆરી, 1934

જર્મન ભૌતિક-રાસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રિટ્ઝ જેકબ હેબરનો જન્મ બ્રેસ્લો, પોલૅન્ડમાં થયો હતો. તેઓ એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. તેમના જન્મ પછી લગભગ ત્રણ અઠવાડિયાંમાં માતાનું મૃત્યુ થયું તેથી જુદા જુદા સંબંધી પાસે ઉછેર થયો. શરૂઆતમાં જ્હોનનેમ પ્રાઇમરી શાળામાં અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉંમરે બ્રેસ્લોમાં સેંટ ઇલિઝાબેથ ક્લાસિકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1886માં સપ્ટેમ્બરમાં સેંટ ઇલિઝાબેથ જીમેનઝિયમમાંથી ઉત્તીર્ણ થઈ રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે હાલની બર્લિનની હમબોલ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબલ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑફ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરી 1891માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાંથી 1889માં એક વર્ષની સ્વૈચ્છિક સેવા માટે ‘સિક્સ્થ ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટ’માં દાખલ થયા. ત્યાંથી પાછા આવી શાર્લોટનબર્ગમાં કાર્લ લિબરમનના વિદ્યાર્થી તરીકે ઑર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. હેબર 1906થી 1911 સુધી કાલ્સરૂહ યુનિવર્સિટીમાં ભૌતિક-રસાયણના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1912માં તેઓ ડાહલેમ ખાતે નવા શરૂ થયેલ કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિકલ કેમિસ્ટ્રી ઍન્ડ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રીના નિયામક તરીકે નિમાયા. જમીનની ફળદ્રૂપતા વધારવા હવામાંના નાઇટ્રોજનને સસ્તી પદ્ધતિ વડે સંયોજન રૂપે મેળવવાના વિચારને લક્ષમાં લઈ હેબરે સતત બે વર્ષ સુધી (1907-1909) સંશોધન કરીને શોધી કાઢ્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયાનું સંશ્લેષણ થઈ શકે છે. 1913માં કાર્લ બોશે આ પ્રક્રિયા ઔદ્યોગિક ઉત્પાદન માટે વિકસાવી. આથી આ વિધિ હેબર-બોશ પ્રવિધિ તરીકે જાણીતી છે. હેબરને મૂળતત્ત્વોમાંથી એમોનિયાના સંશ્લેષણ માટેની પદ્ધતિ શોધવા બદલ 1918નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ ઉપરાંત તેમને રૉયલ સોસાયટી(લંડન)નો રમફર્ડ ચંદ્રક તથા લંડનની કેમિકલ સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ એનાયત થયેલાં. આ ઉપરાંત ઘણી બધી વિજ્ઞાનની અકાદમીએ તેમને માનાર્હ સભ્યપદ એનાયત કરેલું. તેમણે જર્મન ભાષામાં લખેલાં પુસ્તકો ‘ધ થીઅરેટિકલ બેસિઝ ઑવ્ ટૅકનિકલ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રી’ (1898) અને ‘ધ થરમૉડાયનેમિક્સ ઑવ્ ટૅકનિકલ ગૅસ રિએક્શન્સ’ (1905) બદલ તેમને સારી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1920માં તેમણે ભૌતિક-રસાયણના અભ્યાસ માટે ઉત્તમ કક્ષાની પ્રયોગશાળા સ્થાપી હતી જે ઉદ્યોગોને મદદરૂપ બની એ વિશ્વની એક અગ્રણી સંસ્થા બની.