Categories
વાચન સમૃદ્ધિ

દશરીબહેન ચૌધરી

જ. ૩ ઑક્ટોબર, ૧૯૧૮ અ. ૨ ઑક્ટોબર, ૨૦૧૩

ભારતીય સ્વાતંત્ર્યસેનાની દશરીબહેનનો જન્મ વેડછી, સૂરતમાં આદિવાસી કુટુંબમાં થયો હતો. માતાનું નામ અંબાબહેન અને પિતાનું નામ રૂમસીભાઈ. રાષ્ટ્રવાદ અને રચનાત્મક પ્રવૃત્તિઓના પાઠ તેઓ તેમના દાદા જીવણભાઈ ચૌધરી પાસેથી શીખ્યાં હતાં. દશરીબહેને પ્રાથમિક શિક્ષણ વેડછી આશ્રમમાં લીધું હતું. ગાંધીજી સાથેના સીધા સંપર્કને લીધે તેમણે ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. દશ વર્ષનાં દશરીબહેન બારડોલી સત્યાગ્રહ વખતે સભા, સરઘસ, પિકેટિંગ વગેરે કાર્યક્રમોમાં ઉત્સાહથી જોડાયાં હતાં. સંગીત પ્રત્યેના ઝુકાવને લીધે પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે એ સંગીત શીખેલાં. દિલરુબા વગાડવામાં પારંગત થયેલાં. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર પટેલના કહેવાથી આઝાદીનાં ગીતો ગાઈ જનજાગૃતિનું કાર્ય કર્યું હતું. સ્વતંત્રતાસંગ્રામમાં દશરીબહેને ગાયેલું ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ખૂબ લોકપ્રિય થયેલું. સવિનય કાનૂનભંગની લડતના બીજા તબક્કામાં દશરીબહેન સક્રિય કાર્યકર રહ્યાં હતાં. ૧૯૩૩માં માત્ર ૧૫ વર્ષની  ઉંમરે જેલની સજા પણ ભોગવી હતી. તેમને પહેલાં સાબરમતી જેલ અને પછી પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં હતાં. કસ્તૂરબા ગાંધી પણ ત્યારે યરવડા જેલમાં હતાં. કસ્તૂરબાના કહેવાથી દશરીબહેને કસ્તૂરબાને લખતાંવાંચતાં શીખવ્યું. બાએ બાપુને પત્ર લખ્યો ત્યારે બાપુએ લખેલું કે ‘આ છોકરીને કહેજો કે જે હું ન કરી શક્યો તે તું કરી શકી છે.’ જેલમાંથી મુક્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં બારડોલી મુકામે તેઓ સરઘસમાં જોડાયાં હતાં. એમાં તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. તેમણે દક્ષિણ ગુજરાતની આદિવાસી પ્રજા માટે કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આદિવાસી પ્રજામાં વ્યસન, અંધશ્રદ્ધા તથા કુરિવાજો દૂર કરવા માટે તેમણે વ્યાપક ઝુંબેશ ચલાવેલી.

Categories
વાચન સમૃદ્ધિ

લાલબહાદુર શાસ્ત્રી

જ. ૨ ઑક્ટોબર, ૧૯૦૪ અ. ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬

ભારત દેશના ત્રીજી લોકસભાના ૧૯૬૪થી ૧૯૬૬ સુધીના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો ઉછેર મુગલસરાય, ઉત્તરપ્રદેશ ખાતે લાલબહાદુર શ્રીવાસ્તવના નામે થયો હતો. એમના પિતા શારદાપ્રસાદ એક ગરીબ શિક્ષક હતા. જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. એમનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહીંયાંથી જ એમને ‘શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. સ્નાતક થયા બાદ શાસ્ત્રીજી ભારત સેવક સંઘ સાથે જોડાયા. ત્યાંથી જ તેમના રાજનૈતિક જીવનની શરૂઆત થઈ હતી. દેશસેવાના વ્રતધારી શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી જીવ્યા અને ગરીબોની સેવામાં એમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧ના સત્યાગ્રહ આંદોલનમાં એમની મહત્ત્વપૂર્ણ ભાગીદારી હતી અને તેઓને જેલમાં પણ રહેવું પડ્યું હતું. આઝાદી મળ્યા બાદ શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી તરીકે એમણે પ્રથમ વાર મહિલાને બસ-કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી તરીકે એમણે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં લાલબહાદુર શાસ્ત્રીને અખિલ ભારત કૉંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી જિતાડવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજીએ ૨૭ મે, ૧૯૬૪ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. ૧૯૬૬માં તેમને ‘ભારતરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એસ. ડી. બર્મન

જ. ૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૭૫

ભારતીય ફિલ્મોના સંગીતનિર્દેશક, ગાયક. સચિવ દેવ બર્મનનો જન્મ ત્રિપુરાના રાજઘરાનામાં નવદ્વીપ દેવ બર્મન તથા નિર્મલાદેવી બર્મનને ત્યાં થયો હતો. અભ્યાસમાં ખૂબ તેજસ્વી એવા બર્મનદાએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સંગીતના શોખ અને તકોને કારણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરતાં, અભ્યાસને તિલાંજલિ આપીને સંગીતક્ષેત્રે પ્રયાણ કર્યું. સંગીતકાર કે. સી. ડે પાસે એમણે કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં પાસે સરોદ તથા ખલીફા બાદલ ખાં પાસે સારંગીની તાલીમ મેળવી હતી. તબલાવાદનમાં પણ તેઓ નિપુણ હતા. ૧૯૩૫માં બંગાળી ફિલ્મ ‘સુરુ દેરે પ્રિયે’માં સંગીતનિર્દેશન કર્યું. ત્યાં સુધી તેઓ કલકત્તા આકાશવાણીના નિયમિત ગાયક હતા. બંગાળી ભક્તિસંગીત ‘બાઉલ’ ગાયન એમની એક આગવી વિશેષતા હતી. તેનો અદભુત ઉપયોગ એમણે અનેક ફિલ્મગીતોના નિર્દેશનમાં કર્યો. ૧૯૪૬માં હિન્દી ફિલ્મ ‘શિકારી’માં એમના નિર્દેશનમાં બનેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં અને એક અનોખા સંગીતકાર તરીકે એમની ઓળખ ઊભી થઈ. ‘જાલ’, ‘પ્યાસા’, ‘આરાધના’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘સુજાતા’, ‘ગાઇડ’, ‘અભિમાન’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપીને તેઓ એક ગુણવત્તાસભર સંગીતકારની હરોળમાં સ્થાન પામ્યા. એમના ગાયેલા ‘સૂનો મેરે બંધૂ રે’, ‘સફલ હોગી તેરી આરાધના’, ‘ઝીંદગી ઐ ઝીંદગી’ જેવાં અનેક હૃયસ્પર્શી ગીતો સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરના પ્રસાદરૂપ ગણાય છે. શ્રેષ્ઠ સંગીતનિર્દેશક માટે ફિલ્મફેર ઍવૉર્ડ, રાષ્ટ્રીય પુરસ્કારો, સંગીત નાટક અકાદમી જેવા અનેક પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.