Categories
વાચન સમૃદ્ધિ

રંગા રાવ દિવાકર

જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૮૯૪ અ. ૧૬ જાન્યુઆરી, ૧૯૯૦

સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક દિવાકર રંગા રાવનો જન્મ મડીહાલ કર્ણાટકમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ખડતલ યુવાન દિવાકરે પોતાના વ્યાયામશિક્ષક પાસેથી મલ્લકુસ્તી અને કટારયુદ્ધની તાલીમ હાંસલ કરી હતી. તેમણે બેલગામ, પુણે અને મુંબઈમાં અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય અને ભાષામાં તેઓએ એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૧૯માં કાયદાની પરીક્ષા આપી, પરંતુ કાયદાની ઉપાધિ ન સ્વીકારતાં, અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા, પણ કૉંગ્રેસના નાગપુર અધિવેશન વખતે તેમણે પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કાર્લાઇલ, ઇમર્સન, વર્ડ્ઝવર્થ, રસ્કિન વગેરે લેખકોનાં લખાણ વાંચ્યાં હતાં. તેમણે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તથા કર્ણાટકના ઇતિહાસનું પણ અધ્યયન કર્યું. રાષ્ટ્રવાદી આંદોલનના એક સાધન તરીકે તેમણે ‘કર્મવીર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. તેઓ પોતાના અખબારમાં ‘સ્વતંત્ર ભારત’ અને એકતંત્ર કર્ણાટક પર લખતા હતા. તેમણે સિરસી, સિદ્ધાપુર, અંકોલા અને હિરેકુરુર તાલુકાઓમાં ના-કરની લડતની આગેવાની લીધી તથા મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. તેમના રાજકીય વિચારો પર ઉપનિષદો અને ભગવદગીતાની પ્રગાઢ અસર હતી. આઝાદી પ્રાપ્ત થતાં તેમણે પોતાની જાહેર કારકિર્દીને બે પાસાંઓમાં વહેંચી નાંખી. પ્રથમ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની સેવાઓના સારતત્ત્વ રૂપે ગાંધીચિંતનને પ્રચારવાનું – પ્રસારવાનું કાર્ય હાથ ધર્યું તો બીજી બાજુએ બધા કન્નડભાષી લોકોને એક કરીને કર્ણાટકને એકીકૃત કરવાનું કાર્ય કર્યું. તેમનાં લખાણો ઇતિહાસ, ધર્મ અને ચિંતન તથા સાહિત્ય – એમ ત્રણ વિભાગોમાં જોવા મળે છે. તેમના  પુસ્તક ‘સત્યાગ્રહ : તેનો ઇતિહાસ અને ટૅકનિક’નો યુરોપના દેશોની ભાષામાં અનુવાદ થયો છે. તેમણે અનેક સંસ્થાઓનાં સભ્યપદ શોભાવ્યાં છે. તે ઉપરાંત તેઓ કેન્દ્રીય મંત્રી (૧૯૪૮-૫૨), બિહારના ગવર્નર (૧૯૫૨-૫૭) તથા રાજ્યસભાના સભ્ય (૧૯૬૨-૬૮) પણ રહી ચૂક્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

મનહરલાલ ચોક્સી

જ. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૪ મે, ૨૦૦૫

‘મુનવ્વર’ તખલ્લુસ ધરાવનાર મનહરલાલનો જન્મ સૂરતમાં નગીનદાસ ચોકસીને ત્યાં થયો હતો. તેમનું વતન અને નિવાસ બંને સૂરત. ૧૯૪૭માં મૅટ્રિક થયા. તેમણે હિંદી ‘વિનીત’ પરીક્ષા પણ પાસ કરી હતી. ડિપ્લોમા વિથ બૅન્કિંગ કર્યા બાદ ધ સૂરત ડિસ્ટ્રિક્ટ કો-ઑ. બૅન્ક લિ., સૂરતમાં તેમણે નોકરી કરેલી. સૂરતના ‘ગુજરાત મિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ તેમણે ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ મન મૂકીને કરાવ્યો હતો. એમણે ગઝલો અને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી. તેમની પાસેથી ‘પ્રીતનાં પારેવડાં’ (૧૯૬૩), ‘ઝળહળ અંતરજ્યોત’, ‘હૂંફ’ વગેરે નવલકથાઓ તથા ‘ગંગાસ્નાન’ એ વાર્તાસંગ્રહ મળ્યાં છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું છે. ‘મુનવ્વર’ ઉપનામથી તેઓ ઉર્દૂ શાયરી પણ કરતા. વીસમી સદીના મધ્યભાગમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો ત્યારે ગઝલો ખૂબ લખાતી ગઈ. આ દરમિયાન કેટલાક પરંપરામાં લખતા ગઝલકારો પણ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા હતા તેમાં સૂરતના આ ગઝલકાર મનહરલાલનું પ્રદાન નોંધપાત્ર હતું. ‘ગુજરાતી ગઝલ’ (૧૯૬૪) અને ‘અક્ષર’ (૧૯૭૩) તેમના મહત્ત્વના સંગ્રહો છે. તેમણે ગુજરાતી અને ઉર્દૂ એમ બંને ભાષામાં ગઝલસાધના કરી હતી. આધુનિક કાવ્ય વિભાવનાની અસરથી ગઝલ પણ રંગાવા લાગેલી. મનહરલાલ પરંપરા સાચવીને પણ નવા માહોલમાં ગોઠવાતા ગયા. સૂરતમાં ગની દહીંવાળા, ભગવતીકુમાર શર્મા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, અમીન આઝાદ જેવા સર્જકોની વચ્ચે રહીને મનહરલાલે ગઝલની જ્યોત જલતી રાખી હતી. એમણે પરંપરા નિભાવવા સાથે બદલાતી સ્થિતિ સાથે પણ કદમ મેળવી રાખ્યા હતા. મનહરલાલને કશાની આશા-અપેક્ષા ન હતી. એમને કોઈ ચંદ્રક મળ્યો નથી, પણ એમને નામે ચંદ્રક અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

લતા મંગેશકર

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

ભારતીય ગાયિકા. ‘સ્વરકિન્નરી’, ‘ભારતનો અવાજ’, ‘ભારતની કોકિલા’ જેવાં ઉપનામોથી જાણીતાં વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં શાસ્ત્રીય સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. માતા શેવંતિ મંગેશકર ગુજરાતી હોવાને કારણે મરાઠી સંગીત સાહિત્ય સાથે, ગુજરાતી લોકસંગીત-સાહિત્ય સાથે પણ એમનો એક અલગ નાતો રહ્યો. સહજ ગાયનક્ષમતા બાબતે માતાએ લતાદીદીના પિતાનું ધ્યાન દોર્યું અને પાંચ વર્ષની વયે પિતા પાસે એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ થઈ. પિતા ગાયન સાથે નાટક કંપનીનું સંચાલન કરતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં લતાદીદીએ અભિનય પણ કર્યો, પરંતુ અભિનય એમને રુચિકર ન લાગતાં અભિનયને તિલાંજલિ આપી. ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માસ્ટર વિનાયકની કંપની સાથે અર્થોપાર્જનને માટે તેઓ પોતાના કુટુંબ સાથે ૧૯૪૫માં મુંબઈમાં સ્થાયી થયાં. ઉસ્તાદ અમાન અલી ખાંસાહેબ પાસે ફરીથી શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ૧૯૪૬માં ફિલ્મ ‘આપકી સેવામેં’ માટે પ્રથમ હિન્દી ગીત ‘પા લાગું કરજોરી’ માત્ર સોળ વર્ષની ઉંમરે ગાયું. ત્યાર બાદ હિન્દી સિનેજગતના તમામ સંગીતનિર્દેશકના નિર્દેશનમાં ૫૦,૦૦૦થી પણ વધુ ગીતો એમણે ગાયાં અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ અંકિત કર્યું. ૨૦૦૭માં ૭૮ વર્ષની વયે ‘દિલ તો પાગલ હૈ’માં પાર્શ્વગાયન કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. ૨૦૨૨માં ભારતીય સેના તથા રાષ્ટ્રને સમર્પિત ‘સોગંદ મુઝે ઇસ મિટ્ટીકી’ સંગીતનિર્દેશક મયુરેશ પાઇના સંગીતનિર્દેશનમાં ગાયું. તેઓ અનેકાનેક ઍવૉર્ડ્ઝથી સન્માનિત થયાં જેમાં અનેક ફિલ્મફેર, વિવિધ રાજ્યો, સંસ્થાઓની સાથે લાઇફટાઇમ એચીવમેન્ટ, દાદાસાહેબ ફાળકે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તથા સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત થયાં. ૩૬ ભાષાઓમાં વિવિધ ગીતો ગાનાર લતા મંગેશકર ભાષાના શબ્દોના અર્થ તથા ઉચ્ચાર બાબતે વિશિષ્ટ ધ્યાન આપવાની સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમને અનિવાર્ય ગણતાં. અનેક સામાજિક સેવાઓ તથા ભારતીય સેના માટે ઋણસ્વીકાર અને આર્થિક સેવા એમના જીવનનો એક ભાગ રહ્યો. ફોટોગ્રાફી એ લતાદીદીનો વ્યક્તિગત શોખ રહ્યો. ફિલ્મ સંગીત સાથે ભજનો, ગઝલો, ગરબા, મરાઠી સંગીત એમના કંઠમાં અમરત્વ પામ્યાં છે.