Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ માંકડ

જ. 13 ફેબ્રુઆરી, 1928 અ. 5 નવેમ્બર, 2022

ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક મોહમ્મદભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં વલીભાઈ માંકડને ત્યાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપેલી. ત્યારબાદ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે કાયમી વસવાટ. 1982થી 1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી. 1984થી 1990 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્યપદે હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. મોહમ્મદ માંકડે ‘સંદેશ’માં વર્ષો સુધી ‘કેલિડોસ્કોપ’ નામની કટાર લખેલી. તેમની પાસેથી ‘કાયર’, ધુમ્મસ’, ‘અજાણ્યા બે જણ’, ‘વંચિતા’, ‘બંધનગર’ (1-2), ‘અશ્વદોડ’ વગેરે સત્તરેક નવલકથાઓ મળી છે. ‘માટીની મૂર્તિઓ’, ‘વાત વાતમાં’, ‘ઝાકળનાં મોતી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘આજની ક્ષણ’, ‘કેલિડોસ્કોપ’ (ભાગ 1-4), ‘સુખ એટલે’, ‘ઉજાસ’ વગેરે નિબંધસંગ્રહો છે. ‘ચંપૂકથાઓ’ (1-2) બાળભોગ્ય વાર્તાઓનો સંગ્રહ છે. ‘મહાનગર’ એ તેમનું અનૂદિત પુસ્તક છે. તેમને 1987માં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક મળેલો. તેમની ‘વેળાનાં વછૂટ્યાં’, ‘ઉજાસ’, ‘અશ્વદોડ’, ‘ના’, ‘ક્યારે આવશો ?’ વગેરે કૃતિઓને પુરસ્કારો મળ્યા છે. 2007નો રણજિતરામ ચંદ્રક મળેલો અને 2018માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રવિ કોંડોલા રાવ

જ. 11 ફેબ્રુઆરી 1932 અ. 28 જુલાઈ 2020

ભારતીય અભિનેતા, પટકથાલેખક, નાટ્યકાર, પત્રકાર અને લેખક રવિ કોંડોલા રાવનો જન્મ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં થયો હતો. પિતા પોસ્ટમાસ્તર હતા. રવિ કોંડોલા રાવનું પ્રાથમિક શિક્ષણ શ્રીકાકુલમમાં થયું હતું. 1948માં રાજમુન્દ્રીમાં આરએસએસ અને હિન્દુ મહાસંમેલન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. એની સામે જે સત્યાગ્રહ થયો તેમાં રવિ કોંડોલા રાવે ભાગ લીધો હતો પરિણામે જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેમણે સાહિત્યનાં પુસ્તકોનું વાચન કર્યું. રાવ એક કુશળ પત્રકાર હતા. તેમણે તેલુગુ અખબારો અને સામયિકોમાં લેખનકાર્ય કર્યું હતું. રવિ કોંડોલા રાવ ‘મહોદય’ સાપ્તાહિક અખબાર માટે લેખ લખતા હતા. તેમણે ‘આનંદવાણી’ સાપ્તાહિક મૅગેઝિનમાં સહતંત્રી તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘વિજયા ચિત્રા’, ‘સિતારા’, ‘આંધ્ર જ્યોતિ’ અને અન્ય પ્રકાશનો સાથે પણ સંકળાયેલા હતા. તેમને લેખનની પ્રેરણા કોડાવતિગંતી કુટુમ્બા રાવ પાસેથી મળેલી. ‘મન ઓહાલુ’ એ ઉપનામથી તેઓએ વાર્તા લખવાનું શરૂ કરેલું. શ્રેષ્ઠ વાર્તાલેખન માટે નંદી પુરસ્કાર મળેલો. રવિ કોંડોલા રાવે તેલુગુ સિનેમા અને તેલુગુ થિયેટરમાં પણ કાર્ય કરેલું. તેમને ફિલ્મોમાં અભિનય કરવા માટેનું પ્રોત્સાહન મુલ્લાપુડી વેંકટા રમના, ગુથા રામીનેડુએ આપ્યું હતું. ફિલ્મમાં પ્રવેશ 1958માં શોભા સાથે અભિનેતા તરીકે કર્યો હતો. તેઓએ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કાર્ય કર્યું હતું. 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તેમને ‘પ્રેમિંચી ચૂડુ’(1964)એ અભિનેતા તરીકે ઓળખ અપાવી હતી. ‘બ્લૅક ઍન્ડ વ્હાઇટ’ તેલુગુ સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટે નંદી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પીઢ અભિનેત્રી રાધા કુમારી તેમનાં પત્ની હતાં. તેઓની સાથે લગભગ 100 ફિલ્મોમાં તેમણે સહ-અભિનેતા તરીકે કાર્ય કરેલું. તેમના ભાઈ આર. કામેશ્વર રાવ એક અગ્રણી ડબિંગ કલાકાર હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રવિ કોંડોલા રાવનું 88 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ શંકરશેઠ મુરકુટે

જ. 10 ફેબ્રુઆરી, 1803 અ. 31 જુલાઈ, 1865

ભારતીય પરોપકારી શિક્ષાવિદ અને સમાજસેવક જગન્નાથ મુરકુટેનો જન્મ મુરબાદમાં ધનિક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા શંકરશેઠ સુવર્ણકાર હતા અને તેઓ શંકરશેઠ તરીકે ઓળખાતા. જગન્નાથ પોતે નાના શેઠ તરીકે જાણીતા થયા હતા. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું અને 18 વર્ષની વયે પિતા ગુમાવ્યા. તેઓ તેમનો પારંપરિક વ્યવસાય છોડીને મુંબઈમાં આવી વસ્યા. અહીં તેમણે પારસી અને અફઘાની વેપારીઓ સાથે વ્યવસાય કર્યો અને મુંબઈના વિકાસ અને શિક્ષણક્ષેત્રે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે અનેક શાળાઓની સ્થાપના કરી. એ માટે તેમણે સ્કૂલ સોસાયટી અને નેટિવ સ્કૂલ ઑફ મુંબઈની સ્થાપના કરી. 1856માં તેમના દ્વારા સ્થાપિત મુંબઈ વિશ્વવિદ્યાલયની સૌથી પ્રાચીન કૉલેજમાંથી એક તે ઍલ્ફિન્સ્ટન કૉલેજ છે, જેમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને નેતા, દાદાભાઈ નવરોજી, મહાદેવ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક જેવા મહાનુભાવોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

તેમણે દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં સ્થપાયેલી સ્ટુડન્ટ લાઇબ્રેરી માટે આર્થિક સહાય કરી. હિન્દુ સમાજનો ભારે વિરોધ હોવા છતાં તેમણે મહિલાઓ માટેની શાળાની સ્થાપના માટે વિપુલ ધનરાશિ અર્પણ કરી. પોતાની શાળાઓમાં તેમણે અંગ્રેજી સાથે સંસ્કૃત લાઇબ્રેરી પણ સ્થાપી. 26 ઑગસ્ટ, 1852માં તેમણે બૉમ્બે ઍસોસિયેશનના નામે રાજનીતિક દળની સ્થાપના કરી જેમાં તત્કાલીન મુંબઈની એક પ્રસિદ્ધ વ્યક્તિ સભ્ય બની હતી. ગિરગાંવમાં નાના ચોક પાસે ભવાની – શંકરમંદિર અને રામમંદિર જગન્નાથ મુરકુટેની જ દેણ છે. પ્રાચીન મુંબઈનાં અનેક ક્ષેત્રે આજે પણ તેમનાં સ્થાપત્યો મુંબઈના વિકાસ અને મહત્ત્વપૂર્ણ યોગદાનનાં સાક્ષી છે. તત્કાલીન બ્રિટિશ રાજને પણ તેમણે મુંબઈનાં અનેક વિકાસકાર્યો માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે. જગન્નાથ મુરકુટેને મુંબઈના ‘આદ્ય શિલ્પકાર’ માનવામાં આવે છે.