Categories
વાચન સમૃદ્ધિ

બુરગુલા રામકૃષ્ણ રાવ

જ. 13 માર્ચ, 1899 અ. 14 સપ્ટેમ્બર, 1967

ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના બીજા અને છેલ્લા મુખ્યમંત્રી રજવાડાંઓના રાજકીય એકીકરણ પહેલાં તેઓ હૈદરાબાદ રજવાડાના નિઝામનો પ્રતિકાર કરનારા તેલુગુભાષી નેતાઓમાંના એક હતા. તેઓ સંસ્કૃત અને તેલુગુ ભાષાના વિદ્વાન હતા. તેમનો જન્મ પદકલ્લુ ગામ, કાલવાકુર્થ, હૈદરાબાદ રાજ્યમાં થયો હતો. તેમના પિતાનું નામ નરસિંહ રાવ અને માતાનું નામ રંગનાયકમ્મા હતું. ભણવામાં હોશિયાર હોવાથી ‘એલીઝ’ શિષ્યવૃત્તિ મેળવી, મુંબઈમાં ભણ્યા અને કાયદામાં સ્નાતકની ઉપાધિ મેળવી. હૈદરાબાદ પાછા આવી વકીલનો વ્યવસાય અપનાવ્યો, પરંતુ તે ઝાઝો સમય સુધી ન કરતાં જાહેર ચળવળોમાં ભાગ લેવા લાગ્યા અને બે વાર જેલવાસ પણ ભોગવ્યો. હૈદરાબાદ રાજ્યના દીવાન મિર્ઝા ઇસ્માઇલ દ્વારા આપવામાં આવેલ કાયદાનો પૉર્ટફોલિયો પણ છોડી દીધો. તેઓ હૈદરાબાદ રાજ્ય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1932માં દેવરકોંડા ખાતે આંધ્ર મહાસભાના બીજા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે હૈદરાબાદ સ્વદેશી લીગ અને નિઝામ વિષય લીગના સચિવ તરીકે કાર્ય કર્યું હતું. 1950માં વેલ્લોડી સરકારના મંત્રીમંડળમાં મહેસૂલમંત્રી રહ્યા હતા. નિઝામ શાસનના અંત પછી પોતાની વહીવટી કુશળતાથી એક સ્થિર લોકશાહીની વ્યવસ્થા કરી હતી. તેમણે તેલંગણામાં જાગીરદાર અને મુક્તેદારની વ્યવસ્થા નાબૂદ કરી ભાડૂઆતનો કાયદો રજૂ કરી પ્રથમ ભારતીય સુધારકની છબી ઉપસાવી હતી. નવેમ્બર, 1956થી જુલાઈ, 1960 સુધી તેઓ  કેરળના રાજ્યપાલ રહ્યા હતા અને જુલાઈ 1959માં તેમણે ભારતમાં પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સરકારને બરતરફ કરી હતી. ભારતમાં પહેલી વાર કલમ 356નો ઉપયોગ કરવામાં આવ્યો. એપ્રિલ, 1962 સુધી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. 1962થી 1966 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સેવાઓ ફક્ત તેલંગણામાં જ નહીં, પરંતુ પડોશી વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. તેમની રાજનીતિ માટે ઘણા ટોચના રાજકારણીઓ તરફથી પ્રશંસા પણ મેળવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ હેન્રી પર્કિન

જ. 12 માર્ચ, 1838 અ. 14 જુલાઈ, 1907

બ્રિટિશ રસાયણવિદ વિલિયમ હેન્રી પર્કિનનો જન્મ લંડનમાં થયો હતો. 15 વર્ષની વયે તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી’માં રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક તરીકે કાર્યરત બન્યા અને તેમણે ઘરે સંશોધનો કરવાનું શરૂ કર્યું. પ્રો. હૉફમૅનની પ્રેરણાથી તેમણે કિવનાઇનના સંશ્લેષણની શક્યતા અંગે પ્રયોગો કરવાનું શરૂ કર્યું. 1856ના ઈસ્ટર વૅકેશન દરમિયાન તેમણે એનીલીનના ઉપચયન દ્વારા ક્વિનાઇન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ પ્રયોગ દરમિયાન તેમણે નોંધ્યું કે કાળા રંગની ઉપનયન નીપજ સાથે જાંબલી રંગનો એક પદાર્થ પણ બને છે. આ પદાર્થને મોવે (Mauve) નામ આપવામાં આવ્યું જે પાછળથી એનીલીન પર્પલ કે ટીરીઅન પર્પલ તરીકે ઓળખ પામ્યો. મોવે રેશમને રંગવામાં વપરાય છે. 18 વર્ષની વયે પર્કિને પોતાના પિતાની મદદ લઈને મોવેના ઉત્પાદનની ફૅક્ટરી સ્થાપી. આ ફૅક્ટરીમાં તેમણે કોર-ટાર આધારિત બીજા ઘણા રંગકો (dyes) બનાવ્યા. ખૂબ ઓછાં સાધનો સાથે તેમણે આ રંગકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માંડ્યું. આ દરમિયાન પણ તેમનો અભ્યાસ ચાલુ હતો. 1860 સુધીમાં તેમણે ગ્લાયસીન (એમિનોઍસિડ) તથા ટાર્ટરિક ઍસિડનું સંશ્લેષણ કર્યું. મોવે ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં તથા પોસ્ટેજ-સ્ટૅમ્પના છાપકામમાં વપરાતો થયો. તે પછી પર્કિને મજન્ટા અને એલિઝરીન રંગકો પણ બનાવ્યા. પાછળથી તેમણે રંગ બનાવવાનું છોડી દીધું અને માત્ર સંશોધનકાર્યમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1867માં તેમણે ઍરોમૅટિક ઍસિડ મેળવવાની એક સામાન્ય રીત શોધી અને વિકસાવી જે પર્કિન-પ્રક્રિયા તરીકે ઓળખાઈ. તેમના ત્રણે દીકરાઓ પણ પ્રખ્યાત કાર્બનિક રસાયણવિદો હતા. પર્કિનને તેમના જીવનકાળ દરમિયાન અનેક સન્માનો પ્રાપ્ત થયાં : 1866માં રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી પામ્યા. 1879માં રૉયલ મેડલ અને 1889માં ડેવી મેડલ એનાયત થયા. 1906માં મોવેની શોધની 50મી વર્ષગાંઠે તેમને ‘સર’ની ઉપાધિથી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વિજય હઝારે

જ. 11 માર્ચ, 1915 અ. 18 ડિસેમ્બર, 2004

ટેસ્ટ ટીમના સુકાની તરીકે એક ટેસ્ટના બંને દાવમાં સદી કરનાર, ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 1000 અને 2000 રન પૂરા કરનાર ભારતીય ખેલાડી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં લાગલગાટ ત્રણ દાવમાં સદી નોંધાવનારા પ્રથમ ભારતીય ખેલાડી વિજય હઝારેનો જન્મ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં થયો હતો. તેમનું પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે હતું. તેઓ મરાઠી ખ્રિસ્તી હતા. 1934-35માં 19 વર્ષની વયે તેમણે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1939-40માં પુણે ખાતે વડોદરા સામે મહારાષ્ટ્ર તરફથી રમતાં તેમણે ત્રેવડી સદી ફટકારતાં અણનમ 316 રન નોંધાવ્યા હતા., જે તેમની ક્રિકેટ કારકિર્દીનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો હતો. વડોદરા સ્થાયી થયા બાદ તેમણે વડોદરા રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રૉફી સ્પર્ધામાં રમવાનું શરૂ કર્યું હતું. 1946-47માં વડોદરા ખાતે વડોદરા તરફથી હોલકરની ટીમ સામે રમતાં વિજય હઝારેએ શાનદાર 288 રન નોંધાવ્યા હતા અને ગુલ મોહંમદ સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 577 રન ઉમેર્યા હતા. 1939-40ની રણજી ટ્રૉફી સીઝનમાં મહારાષ્ટ્રની ટીમને વિજય અપાવવામાં બૅટ્સમૅન વિજય હઝારેનું મહત્ત્વનું યોગદાન રહ્યું. એ પછી મહારાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી મેળવી શકી નથી. 1946માં લૉડ્ઝ ખાતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1947-48માં ઑસ્ટ્રેલિયા ખાતે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો દેખાવ શાનદાર રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઝડપી બૉલરોનો સામનો કરી એડિલેડ ટેસ્ટમાં તેમણે બંને દાવમાં સદીઓ નોંધાવી હતી. એવી સિદ્ધિ મેળવનારા તેઓ ભારતના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 1946થી 1953ના ગાળામાં તેમણે 30 ટેસ્ટમૅચોના બાવન દાવમાં છ વાર અણનમ રહીને સાત સદી, નવ અર્ધસદી સાથે 47.65ની સરેરાશથી કુલ 2192 રન નોંધાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે 1952માં નવી દિલ્હી ખાતે પ્રથમ ટેસ્ટમાં નોંધાવેલો 164નો જુમલો સર્વોચ્ચ જુમલો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં તેમણે 60 સદીઓ સહિત કુલ 18,740 રન નોંધાવ્યા હતા. વિજય હઝારેએ કુલ 14 ટેસ્ટમૅચોમાં ભારતનું કપ્તાનપદ સંભાળ્યું હતું જેમાં એક વિજય, પાંચ પરાજય અને આઠ અનિર્ણીત મૅચો રહી હતી. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સર ડૉન બ્રેડમૅનને તેમણે ત્રણ વાર આઉટ કર્યા હતા. 1960માં પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમના નામ સાથે એકદિવસીય ડોમેસ્ટિક ક્રિકેટ ચૅમ્પિયનશિપ યોજાય છે, જે વિજય હઝારે ટ્રૉફી તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1996માં હઝારેને સી. કે. નાયડુ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ આપ્યો હતો.