Categories
વાચન સમૃદ્ધિ

આઈ. એસ. જોહર

જ. 16 ફેબ્રુઆરી, 1920 અ. 10 માર્ચ, 1984

હિન્દી ફિલ્મજગતના અભિનેતા, લેખક, નિર્દેશક આઈ. એસ. જોહરનો જન્મ પાકિસ્તાનના તાલગંગમાં થયો હતો. આઈ. એસ. જોહરનું મૂળ નામ ઇંદ્રજિત સિંહ જોહર હતું. હિન્દી ફિલ્મોમાં હાસ્યઅભિનેતા તરીકે તેઓ જાણીતા હતા. લગભગ 50 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ભારતીય દર્શકોને હાસ્યનું મનોરંજન આપવાનું એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમને ભારતના ચાર્લી ચૅપ્લિન ગણવામાં આવતા હતા. રાજનીતિ તથા અર્થશાસ્ત્રમાં સ્નાતક, અનુસ્નાતક તથા એલએલ.બી.નો અભ્યાસ કરનાર આઈ. એસ. જોહર શિક્ષિત અભિનેતા તરીકે પણ જાણીતા હતા. અભિનયનો શોખ એમને માયાનગરી મુંબઈ લઈ આવ્યો. જ્યાં બી. આર. ચોપરા એમના મિત્ર બન્યા. 1949માં ‘એક થી લડકી’ ફિલ્મ સાથે લેખન તથા અભિનય બંને ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું. 1951માં બી. આર. ચોપરા માટે ફિલ્મ ‘અફસાના’નું લેખન કર્યું, જેની સફળતાએ બી. આર. ચોપરાને એક અલગ ઊંચાઈ તરફ દિશા આપી. સામાજિક પ્રશ્નો સામે કટાક્ષભર્યો અવાજ ઉઠાવવા માટે આઈ. એસ. જોહર લેખન અને અભિનયને માધ્યમ બનાવતા. હાસ્ય નિષ્પત્તિ માટે એમનો એક આગવો અંદાઝ હતો. 1962માં લૉરેન્સ ઑફ અરેબિયા, 1958માં ‘હેરી બ્લૅક’ તથા ‘ડેથ ઑન ધ નાઇલ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં અભિનય કરીને એમણે એક અલગ ઓળખ ઊભી કરી હતી. 1970માં ‘જોની મેરા નામ’માં ત્રણ ભૂમિકામાં અભિનય કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપવા બદલ એમને ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘તીન દેવીયાં’, ‘બઢતી કા નામ દાઢ઼ી’, ‘નાસ્તિક’, ‘જોહર-મહેમૂદ ઇન ગોવા’, ‘જોહર-મહેમૂદ ઇન હૉંગકૉંગ’ જેવી અનેક ફિલ્મોમાં એમનો અભિનય દર્શકોના ચિત્તમાં ચિરંજીવ બન્યો. અંગત જીવનમાં તેઓ પાંચ વખત લગ્નગ્રંથિથી બંધાયા હતા. વિચક્ષણ લેખન, સહજ હાસ્યઅભિનય તથા નિર્દોષ અંગભંગિઓ આઈ. એસ. જોહરની વિશેષતા હતાં. ભારતીય ફિલ્મ દર્શકો એમને સદાય યાદ રાખશે.

Categories
વાચન સમૃદ્ધિ

હર્ષિદા પંડિત

જ. 15 ફેબ્રુઆરી, 1927 અ. 27 ફેબ્રુઆરી, 2012

મનોવિજ્ઞાનક્ષેત્રે ઉમદા માર્ગદર્શક અને અધ્યાપક હર્ષિદા પંડિતનો જન્મ અમદાવાદમાં થયો. પ્રારંભિક શિક્ષણ પણ અમદાવાદમાં જ લીધું. ત્યારબાદ ભાગલપુર અને મુંબઈમાં વધુ અભ્યાસ અર્થે ગયાં. 1948માં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. 1950માં માનસશાસ્ત્ર તથા તત્ત્વજ્ઞાન સાથે એમ.એ. કર્યું. આ ઉપરાંત 1944માં કોવિદ અને 1949માં વિશારદની ઉપાધિઓ પણ મેળવી. ભણવાનો એટલો શોખ કે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને પણ 1953માં વિદેશ ભણવા ગયાં. આ પહેલાં 1951માં શ્રી રામુ પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. 1957માં શૈક્ષણિક માનસશાસ્ત્રમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાંથી એમ.એસ.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ પેસેડોનાની વેસ્ટર્ન પર્સોનલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનની તાલીમ લીધી. 1958માં અમેરિકાથી ભારત આવીને અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજમાં માનસશાસ્ત્રનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં. 1960માં એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક તરીકે જોડાયાં. 1962થી 1987 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાં મનોવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપકપદે અને ત્યારબાદ વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા આપી. 1983માં ‘વહેમનું મનોવિજ્ઞાન’ પર મહાનિબંધ લખી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1986માં યુ.એસ.એ.માંથી ઇન્ટરનેશનલ એકૅડેમી ઑફ પ્રૉફેશનલ કાઉન્સેલિંગ ઍન્ડ સાઇકોથૅરપીમાં ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું. 1987માં એસ.એન.ડી.ટી.માંથી નિવૃત્ત થયા બાદ એ. કે. મુન્શી યોજનાના બાળમાર્ગદર્શન કેન્દ્ર તથા યૂથ કાઉન્સેલિંગ સેન્ટરમાં સેવાઓ આપી. 1989માં સરલા શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઍન્ડ ગાઇડન્સ જેવી સંસ્થામાં માનસિક મંદબુદ્ધિ ધરાવનાર બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. માનવવર્તનમાં જુદાં જુદાં પાસાંઓ વિશેની કટારો ‘ગુજરાત સમાચાર’, ‘સ્ત્રી’, ‘સમકાલીન’ વગેરેમાં લખતાં. ‘નવનીત-સમર્પણ’, ‘અનસૂયા’, ‘ઉજાસ’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ અને ‘અખંડ આનંદ’ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા. તેમણે અનેક પુસ્તિકાઓ અને પુસ્તકો પણ લખ્યાં છે જેવાં કે, ‘બાળકોને જાતીય જ્ઞાન કેમ આપવું’, ‘ફ્રોઇડ પછીનું મનોવિશ્લેષણ’, ‘બાળમાનસને ઓળખીએ’, ‘મૂંઝવતું બાળવર્તન’, ‘સ્ત્રી-માનસશાસ્ત્ર’ અને ‘માનવમનની આંટીઘૂંટીઓ’ વગેરે. તેમનાં પુસ્તકો સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે ભજવ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ. શાળા-કૉલેજમાં અભિનય માટે ઇનામો મળ્યાં હતાં. તેઓ મિત્રના સ્ટુડિયોમાં જતા અને ફોટોગ્રાફીની બધી જ ટૅકનિક શીખ્યા. તેમને અભિનય અને સારામાં સારાં કપડાં પહેરવાનો શોખ હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ મુંબઈ ગયા. ફિલ્મજગતમાં તસવીરકાર તરીકે ઘૂમતા હતા. એમણે અરુણા ઈરાનીના પિતા ફરદૂન ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કરી. એ ભૂમિકાને કારણે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડવી પડી. તેમણે રાજેશકુમાર નામે બાર વર્ષ સુધી નાટકો કર્યાં. તેમણે દિલીપકુમાર અને સાયરાબાનુના નિકાહ વખતે ફોટા પાડ્યા અને બદરી કાચવાલાના સામયિકના છેલ્લા પાને એ ફોટા છપાયા. બીજા દિવસે દિલીપકુમારે કહ્યું કે એ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ ! 1967-68માં ‘પ્રીત પિયુ ને પાનેતર’ નાટક માટે મુંબઈ ગયા. રાજ કપૂરે તેમને ‘મેરા નામ જોકર’માં નાનકડો રોલ આપ્યો અને ત્યારથી ફિલ્મો સાથે જોડાયા. 1967માં તેમની પહેલી ફિલ્મ ‘ગુજરાતણ’ આવી. એ પછી ‘કંકુ’, ‘સંસારલીલા’, ‘જનનીની જોડ’, ‘જનમટીપ’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘જેસલ તોરલ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ‘જેઠા’ની ભૂમિકાથી તેઓ ખલનાયક તરીકે લોકપ્રિય બન્યા. તેમણે 250 જેટલી ફિલ્મો, ધારાવાહિકો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું. તેમણે ‘કોરાકાગઝ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમને અનેક ઍવૉર્ડઝ મળ્યા હતા. 2006માં ‘થોડી ખુશી થોડે ગમ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ભારતીય ટેલિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.