Categories
વાચન સમૃદ્ધિ

મંગેશ કેશવ પડગાંવકર

જ. 10 માર્ચ, 1929 અ. 30 ડિસેમ્બર, 2015

વિખ્યાત મરાઠી કવિ અને પ્રાધ્યાપક મંગેશ પડગાંવકરનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના વેંગુર્લામાં થયો હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લામાં લીધું. પછી ઉચ્ચશિક્ષણ માટે મુંબઈ ગયા. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી તરખડકર સુવર્ણચંદ્રક મેળવ્યો. એ જ પ્રમાણે 1958માં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ન. ચિં. કેળકર સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે 1951-52માં મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં નોકરી કરી. 1953થી 1955 ‘સાધના’ સાપ્તાહિકના સહાયક સંપાદક તરીકે કાર્ય કર્યું. 1957માં આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે જોડાયા. 1964થી 1970 સુધી પ્રોડ્યુસર તરીકે કાર્ય કર્યું. તેમણે મુંબઈની સોમૈયા કૉલેજ તથા મીઠીબાઈ કૉલેજમાં મરાઠી ભણાવ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઑનરરી પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે 14 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. મરાઠીમાં ‘નવકાવ્ય’ તરીકે જાણીતો કાવ્યપ્રકાર તેમણે પ્રયોજ્યો છે. તેમનાં મોટા ભાગનાં ગીતોની ગ્રામોફોન રેકર્ડસ બહાર પડી છે. પુણે યુનિવર્સિટીનું થીમ ગીત પણ તેમણે લખ્યું છે. તેઓ મરાઠી ‘મુર્ગી ક્લબ’ના સભ્ય હતા. 2010માં દુબઈમાં યોજાયેલા બીજા વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધારાનૃત્ય’, ‘જિપ્સી’, ‘ઉત્સવ’, ‘વિદૂષક’ કાવ્યસંગ્રહો; મીરાંબાઈનાં હિંદી ગીતોનો પદ્યાનુવાદ ‘મીરા’, ‘બબલગમ’, ‘ભોલાનાથ’, ‘ભટકે પક્ષી’ વગેરે મુખ્ય બાળકાવ્યસંગ્રહો છે. તેમણે કેટલીક અમેરિકન કૃતિઓ તથા જે. કૃષ્ણમૂર્તિનાં ભાષણોના મરાઠીમાં અનુવાદ કર્યા છે. તેમના કાવ્યસંગ્રહો ‘જિપ્સી’ અને ‘છોરી’ને તથા બાળગીતોનો સંગ્રહ ‘બબલગમ’ને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિક મળ્યાં છે. ‘સલામ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. તેમને 1956માં એમ. પી. લિટરરી ઍવૉર્ડ, 2008માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, 2012માં પુણે યુનિવર્સિટી દ્વારા જીવનસાધના ગૌરવ પુરસ્કાર અને 2013માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સોલી જહાંગીર સોરાબજી

જ. 9 માર્ચ, 1930 અ. 30 એપ્રિલ, 2021

પ્રખ્યાત નિર્ભીક ધારાશાસ્ત્રી અને ભારતના એટર્ની જનરલ સોલી સોરાબજીનો જન્મ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. પિતા જહાંગીર અને માતા પેરીન. તેમણે મુંબઈમાં ભરડા ન્યૂ હાઈસ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને રોમન લૉ અને ન્યાયશાસ્ત્રમાં કિન્લોચ ફોર્બ્સ ગોલ્ડ મેડલ મળ્યો હતો. 1953થી 1970 સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ હતા. તેઓ 1977થી 1980 સુધી ભારતના સૉલિસિટર જનરલ અને 9 ડિસેમ્બર, 1989થી 2 ડિસેમ્બર, 1990 સુધી એટર્ની જનરલ તરીકે નિયુક્ત થયા. એ પછી ફરીથી 7 એપ્રિલ, 1998થી પુનઃ પદ સંભાળ્યું. તેમણે અનેક કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કટોકટી દરમિયાન રાજકીય કેદીઓને કાયદાકીય સેવા પૂરી પાડી હતી. 1984નાં શીખ વિરોધી રમખાણોના પીડિતો માટેની નાગરિક ન્યાય સમિતિ માટે કાર્ય કર્યું. તેઓ ભારતના બંધારણના અર્થઘટનના નિષ્ણાત હતા. તેમણે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના અધ્યક્ષ તરીકે, લઘુમતી અધિકાર જૂથના કન્વીનર તરીકે, લઘુમતીઓના સંરક્ષણ માટે  સંયુક્ત રાષ્ટ્રમાં સબકમિશનના સભ્ય તરીકે, હેગ ખાતે કાયમી મધ્યસ્થ અદાલતના સભ્ય તરીકે, કૉમનવેલ્થ લૉયર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ભારત-પાકિસ્તાન ફ્રૅન્ડશિપ સોસાયટીના સ્થાપક સભ્ય હતા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં, ‘ધ લૉ ઑવ્ ધ પ્રેસ સેન્સરશિપ ઇન ઇન્ડિયા’, ‘ધી ઇમરજન્સી, સેન્સરશિપ ઍન્ડ ધ પ્રેસ ઇન ઇન્ડિયા’, ‘ઇક્વાલિટી ઇન ધ યુ.એસ. ઍન્ડ ઇન્ડિયા’, ‘ચૅપ્ટર ઑન ધ કૉન્સ્ટિટ્યૂશન ઍન્ડ ધ ગવર્નર’નો સમાવેશ થાય છે. તેમણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમને 1991માં પદ્મભૂષણ, 2002માં પદ્મવિભૂષણ, 2006માં જસ્ટિસ કે. એસ. હેગડે ફાઉન્ડેશન ઍવૉર્ડ અને 2006માં ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનનો હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઑટો હાન

જ. 8 માર્ચ, 1879 અ. 28 જુલાઈ, 1968

જર્મન રસાયણશાસ્ત્રી અને 1944ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા ઑટો હાનનો જન્મ ફ્રેન્કફર્ટમાં થયો હતો. ઑટો હાનનાં માતાપિતાએ તેમને સ્થપતિ બનાવવાનો વિચાર સેવેલો પણ ઑટો હાનને પહેલેથી જ રસાયણશાસ્ત્રમાં રુચિ હતી તેથી તેમણે યુનિવર્સિટી ઑફ માર્બર્ગમાં રસાયણશાસ્ત્ર ભણવા પ્રવેશ મેળવ્યો. 1901માં તેમણે ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1904માં તેઓ અંગ્રેજી ભણવા લંડન ગયા. ત્યાં રેડિયોઍક્ટિવિટીમાં રસ ધરાવતા સર વિલિયમ રામસે સાથે કામ કર્યું. અહીં કાચા રેડિયમને શુદ્ધ બનાવવાના કાર્યમાં જોડાયા. આ પ્રક્રિયા દરમિયાન એક નવો જ કિરણોત્સર્ગ પદાર્થ, જેને તેમણે રેડિયોથોરિયમ નામ આપ્યું તે મળ્યો. સર રામસેની મદદથી તેમને બર્લિનની યુનિવર્સિટીમાં પોસ્ટ મળી તેથી 1906માં તેઓ જર્મની આવ્યા. ત્યારબાદ ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી લીઝ મેટનર સાથે બર્લિન-ડેહલેનની ‘કેઇઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર કેમિસ્ટ્રી’માં જોડાયા. અહીં તેઓ નાની પણ સ્વાયત્ત રેડિયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વડા બન્યા. 1913માં તેમનાં લગ્ન એડિથ જંગહેન્સ સાથે થયાં. બીજે વર્ષે વિશ્વયુદ્ધ થવાથી તેઓ 1915માં કેમિકલ વૉરફેર સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત રહ્યા. વિશ્વયુદ્ધ બાદ લીઝ મેટનર સાથે મળી તેમણે સૌપ્રથમ વાર પ્રોટેક્ટિનિયમ-231 છૂટું પાડ્યું. ત્યારબાદ 12 વર્ષ રસાયણશાસ્ત્રમાં રેડિયોઍક્ટિવની ઍપ્લિકેશન (પ્રસ્તુતતા) માટે ફાળવ્યા. 1934માં ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી એનરિકો ફર્મીના કાર્યમાં તેમને ઘણો રસ પડ્યો. તેમણે લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે મળી યુરેનિયમના વિખંડનની પ્રક્રિયા પર કાર્ય કર્યું. વિશ્વયુદ્ધ બાદ બીજા ન્યૂક્લિયર વૈજ્ઞાનિકો સાથે તેમને ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવ્યા અને 1944માં તેમને નોબેલ પારિતોષિકવિજેતા જાહેર કર્યા. જ્યારે તેઓ જર્મની પાછા આવ્યા ત્યારે તેમને ‘કેઇઝર વિલ્હેમ સોસાયટી’(પછીથી મેક્સ પ્લેન્ક સોસાયટી ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ)ના પ્રમુખ બનાવ્યા. આ ઉપરાંત 1966માં તેમને લીઝ મેટનર અને સ્ટ્રાસમૅન સાથે એનરિકો ફર્મી ઍવૉર્ડ પણ એનાયત થયો.