Categories
વાચન સમૃદ્ધિ

સુભદ્રાબહેન શ્રોફ

જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006

ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને સ્વાતંત્ર્યસેનાનીઓની ટુકડીમાં જોડાયાં. ખેડા જિલ્લાના નાના ગામમાં ભાષણ આપીને સ્વાતંત્ર્યની લડતનો પ્રચાર કરતાં સુભદ્રાબહેન પકડાયાં. તેમને ત્રણ માસની જેલની સજા થઈ. જેલવાસ દરમિયાન સુભદ્રાબહેનનાં માતુશ્રી બીમાર પડ્યાંના સમાચાર આવ્યા. પોતે પેરોલ પર છૂટી શકે, પરંતુ એ માટે કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવી પડે. એ એમને મંજૂર ન હતું. સુભદ્રાબહેન જેલમાં જ રહ્યાં. તેમનાં માતુશ્રી અવસાન પામ્યાં. દુ:ખદ પ્રસંગે પણ મક્કમતાથી તેમણે જેલવાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી તેઓ વડોદરા અને મુંબઈમાં રાષ્ટ્રીય શાળામાં જોડાયાં. દરબાર ગોપાળદાસે, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યને રાજકોટમાં કન્યાકેળવણી માટેની સંસ્થા શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. 1946ની 9મી જૂને દરબારસાહેબ, ભક્તિબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી, નારણદાસભાઈ ગાંધીના સહયોગથી રાષ્ટ્રીય શાળાના મકાનમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામળજીભાઈ વિરાણીના પુત્રોની નાણાકીય સહાયથી થઈ. શરૂઆતમાં 11 ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી બાળમંદિર, પ્રાથમિક શાળા, પ્રી-પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, વ્યક્તિત્વ વિકાસ-કેન્દ્ર અને લોકવિજ્ઞાન-કેન્દ્ર જુદા જુદા સમયે શરૂ કરવામાં આવ્યાં. તેઓએ 1946થી 1966 સુધી સતત 20 વર્ષ આ સંસ્થાના આચાર્યપદે રહી 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1964માં સંસ્થાનાં નિયામક બન્યાં તથા 24 વર્ષ કાર્યરત રહ્યાં. 1965માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારના મહિલા ઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢશિક્ષણ સહિત અનેક મહત્ત્વની સમિતિઓમાં વર્ષો સુધી સક્રિય સભ્ય રહ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુજીત કુમાર

જ. 7 ફેબ્રુઆરી, 1934 અ. 5 ફેબ્રુઆરી, 2010

હિન્દી તથા ભોજપુરી સિનેમાના અભિનેતા સુજીતકુમારનો જન્મ વારાણસીમાં સંપન્ન ખેડૂત પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ વારાણસીમાં મેળવ્યા પછી વકીલાતના શિક્ષણ માટે પરદેશ ન જતાં વારાણસીમાં જ લેવાનું પસંદ કર્યું. કૉલેજના દિવસોમાં નાટકોમાં અભિનય કરતા રહ્યા. દરમિયાન ફિલ્મનિર્દેશક ફની મજુમદારની નજરમાં આવ્યા અને મુંબઈ આવી ફિલ્મજગતમાં નસીબ અજમાવવાનું એમણે સૂચન કર્યું. મુંબઈ માયાનગરીમાં ઘણા સંઘર્ષ પછી પણ કામ ન મળતાં એમણે ભોજપુરી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો. 1963માં ભોજપુરી ફિલ્મ ‘વિદેસીયા’થી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું અને નસીબજોગે એમની ભોજપુરી ફિલ્મોથી ડૂબતું જતું ભોજપુરી ફિલ્મજગત ફરીથી પુનર્જીવિત થયું. તેઓ ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા. તેમણે 1966માં હિન્દી ફિલ્મ ‘લાલ બંગલા’ સાથે હિન્દી સિનેમાજગતમાં પ્રવેશ થયો. ‘આરાધના’, ‘અમરપ્રેમ’, ‘ઇત્તફાક’, ‘હાથી મેરે સાથી’, ‘આંખે’, ‘જુગનુ’, ‘ધરમ-વીર’, ‘અવતાર’ જેવી લગભગ 70 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. વિશેષ કરીને રાજેશ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં તથા સહાયક ખલનાયકની ભૂમિકામાં તેઓ દેખાયા હતા. સાથે ફિલ્મનિર્માણમાં પણ એમણે જંપલાવ્યું. ‘ખેલ’, ‘આસમાં સે ઊંચા’, ‘દરાર’, ‘અનુભવ’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. પત્ની કિરણ સિંહ એક વાર્તાલેખિકા હતાં. 2005માં એમનું નિધન થયું. પત્નીના અવસાન પછી સુજીતકુમારનું જીવન લાગણીના ધોરણે એકલતાભર્યું બની ગયું. પુત્ર જતીનકુમાર અને પુત્રી હેના સિંહ એમનાં સંતાનો પિતા માટે સદાય સહારો બની રહ્યાં. 1996માં ફિલ્મ ક્રાન્તિવીરમાં અભિનય કરવા સાથે સુજીતકુમારે અભિનયને તિલાંજલી આપી અને પુત્ર જતીનકુમાર સાથે ફિલ્મનિર્દેશનનું કાર્ય ચાલુ રાખ્યું. કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું.