Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર નારાયણ દ્વિવેદી

જ. 6 ફેબ્રુઆરી, 1915 અ. 11 ડિસેમ્બર, 1998

હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગીતકાર રામચંદ્ર દ્વિવેદીનો જન્મ ઉજજૈન જિલ્લાના બડનગરમાં થયો હતો. તેઓ કવિ ‘પ્રદીપ’ના નામથી ખ્યાતનામ છે. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ પ્લેગને કારણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા. તેમનું શાળેય શિક્ષણ ઇન્દોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ અને લખનઉમાં થયું. ટીસર્ચ ટ્રેનિંગ કોર્સ કરીને શિક્ષક બન્યા. તેમને કવિતા લખવા અને રજૂ કરવાનો શોખ હતો. તેમણે કવિસંમેલનોમાં શ્રોતાઓને મોહિત કર્યા હતા. મુંબઈમાં યોજાયેલા કવિસંમેલનમાં તેમની કવિતાથી પ્રભાવિત થઈ હિમાંશુ રૉય દ્વારા તેમને ‘કંગન’ ફિલ્મમાં ચાર ગીતો લખવા આપ્યાં જેમાંનાં ત્રણ ગીતો તેમણે ગાયાં હતાં. તેમણે 1500 ઉપરાંત ગીતોની રચના કરી. અનેક ફિલ્મોમાં તેમનાં ગીતો લોકપ્રિય બન્યાં. જેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી મા’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ ઉલ્લેખનીય છે. તેમનાં અનેક ગીતો લોકહૈયે વસી ગયાં હતાં. જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’, ‘ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ’, ‘પિંજરે કે પંછી રે’ જેવાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ‘કિસ્મત’ ફિલ્મના ગીતની ‘હિંદોસ્તાં હમારા હૈ’, પંક્તિમાં ‘ભારત છોડો’ ચળવળનો ધ્વનિ માલૂમ પડતાં અંગ્રેજ સરકારે તેમને પકડવા વૉરન્ટ કાઢ્યું હતું, પરંતુ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા. 1962ના ભારત-ચીન યુદ્ધમાં પરમવીર મેજર શૈતાનસિંહ ભાટીના બલિદાનથી પ્રભાવિત થઈ તેમણે ‘એ મેરે વતન કે લોગો’ ગીત લખ્યું એ ગીતથી તેમને ‘રાષ્ટ્રકવિ’નું સન્માન મળ્યું. તેમણે એ ગીતની રૉયલ્ટી ‘યુદ્ધ વિધવા ભંડોળ’માં આપી હતી. કવિ પ્રદીપને અનેક ઍવૉર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશનનો શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવૉર્ડ, સૂરસિંગાર ઍવૉર્ડ, રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંસ્કૃતિ સંબંધ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ વગેરે તેમને મળ્યા હતા. ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ કપ્તાન

જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974

જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો હતો અને ભારે નામના પણ મેળવી હતી. મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતકની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ ઉપરાંત તેઓ ‘કપ્તાન’ નામનું માસિક ચલાવતા હતા. તેમના દૃઢ સંકલ્પબળે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતોનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને તેમાંથી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી. તેઓ અપરિણીત રહીને દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસ માટે અવિરત કાર્યરત રહ્યા હતા. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો વિરલ સુમેળ તેમના જીવનમાં જોવા મળે છે. તેઓ રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરી શકતા. દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવવા બદલ તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમના પ્રદાનની સ્મૃતિ કાયમ રાખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

બિરજુ મહારાજ

જ. 4 ફેબ્રુઆરી, 1938 અ. 17 જાન્યુઆરી, 2022

ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકના સરતાજ બિરજુ મહારાજ, લખનઉના ‘કાલકા-બિંદાદન’ ઘરાનાના વંશજ હતા. તેમણે તેમના પિતા અને ગુરુ જગન્નાથ મહારાજ (અચ્છન મહારાજ) અને કાકાઓ શ્રી લચ્છુ મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી નૃત્યની બારીકાઈઓ શીખી. બાળવયથી જ તેઓ પિતા સાથે નૃત્યની રજૂઆતોમાં જોડાતા. સાત વર્ષની ઉંમરથી તેમણે એકલા જ નૃત્ય પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે નવ વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમણે પરિવારની નૃત્યની પરંપરા વિરાસત તરીકે સ્વીકારવાનું અને નૃત્યને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર તરીકે માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે સંગીત ભારતી(નવી દિલ્હી)માં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી અને થોડાંક જ વર્ષોમાં તેઓ દિલ્હીની ભારતીય કલા કેન્દ્ર(જે પાછળથી કથક કેન્દ્ર બન્યું)ના સૂત્રધાર બન્યા અને ત્યાં જ અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા. કથકની આધારભૂત શૈલીમાં ફેરફાર કર્યા વગર તેમણે તેમાં મૌલિક ભાવ અને નવી શબ્દરચનાઓ ઉમેર્યાં, આથી તેમની પ્રસ્તુતિ અલગ તરી આવી. નૃત્ય રજૂ કરતી વખતે માત્ર નૃત્ય જ ન કરવું, પણ તેને અનુરૂપ સમજ આપવાની તેમની રીતથી તેઓ જનસામાન્યના દિલ સુધી પહોંચી શક્યા. તેમના નૃત્યની ભાવનાત્મક અંગભંગિમાઓ જનસમૂહને સંમોહિત કરી દેતી. ગુરુ તરીકે તેમણે હજારો શિષ્યોને કથકની આવનારી પેઢીને તાલીમ આપી અને તૈયાર કર્યા. કથકને વિશ્વસ્તરે પહોંચાડવા ભારત અને અન્ય દેશોમાં પ્રવાસ કર્યો. નૃત્ય પ્રસ્તુતિની સાથે તે અંગેનાં વ્યાખ્યાન અને ડેમોન્સ્ટ્રેશન આપ્યાં. 1998માં તેમણે દિલ્હીમાં પોતાની નૃત્યશાળા ‘કલાશ્રમ’ની સ્થાપના કરી. આ સંસ્થાનું ધ્યેય નૃત્ય, સંગીત, ચિત્રકળા અને નાટ્યકળાની કેળવણી આપવાનું હતું. ભારતીય સિનેમામાં ‘શતરંજ કે ખિલાડી’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ઉમરાવજાન’ વગેરેમાં તેમણે નૃત્યનિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. બિરજુ મહારાજને પદ્મવિભૂષણ (1986), કાલિદાસ સન્માન (1989)થી નવાજવામાં આવ્યા હતા. 2012માં ‘વિશ્વરૂપમ્’ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 2016માં ‘મોહે રંગદો લાલ’ (બાજીરાવ મસ્તાની) ગીત માટે ફિલ્મફેર ઍવૉર્ડ અપાયો હતો.