Categories
વાચન સમૃદ્ધિ

દરવાનસિંહ નેગી

જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મયૂરધ્વજસિંહજી મેઘરાજસિંહજી ત્રીજા

જ. 3 માર્ચ, 1923 અ. 1 ઑગસ્ટ, 2010

ધ્રાંગધ્રા-હળવદ રજવાડાના અંતિમ શાસક હીઝ હાઇનેસ મેજર મહારાણા મહારાજ સર મયૂરધ્વજસિંહજીનો જન્મ ધ્રાંગધ્રાના સુંદરવિલાસ ખાતે થયો હતો. પિતા મહારાજા સર ઘનશ્યામસિંહજી અને માતા આનુદકુંવરબા સાહેબા. તેમના જન્મ વખતે યુદ્ધનાં ઢોલ વગાડવામાં આવ્યાં હતાં અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ મહેલની શાહી શાળામાં થયું. ત્યારબાદ તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. તેમણે સમરસેટમાં મિલફિલ્ડ સ્કૂલ અને હર્ટફોર્ડશાયરમાં હીથ માઉન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હેલીબરી કૉલેજમાં અભ્યાસ કરી ભારત પરત ફર્યા. 1942માં પિતાનું અવસાન થતાં તેઓ ગાદી પર બેઠા. તેમણે દહેરાદૂનની સેન્ટ જૉસેફ એકૅડેમી અને પુણેની શિવાજી મિલિટરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. તેમણે શાસનકાળ દરમિયાન અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઓને મિલકત ધરાવવાનો અને પુનર્લગ્ન કરવાની મંજૂરી, ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ જેવા અનેક મહત્ત્વના કાયદા બનાવ્યા. તેઓ બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલના અંતિમ વાચનના સાક્ષી હતા. તેઓ સૌરાષ્ટ્રના ડેપ્યુટી ગવર્નર બન્યા. પ્રથમ ચૂંટણીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું. થોડો સમય સ્ટેટ બૅન્કના પ્રમુખ રહ્યા. 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ વર્લ્ડ અફેર્સ, મિલફિલ્ડ સોસાયટી, કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશન, ન્યૂ નિસ્મેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને હેરાલ્ડ્રી સોસાયટી ઑવ્ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાના સભ્ય હતા. રૉયલ ઍન્થ્રૉપૉલૉજિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ અને રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો હતા. તેમણે ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમને કિંગ જ્યોર્જ VI રાજ્યાભિષેક ચંદ્રક, ભારતીય સ્વતંત્રતા ચંદ્રક અને નાઇટ કમાન્ડર ઑવ્ ધ ઑર્ડર ઑવ્ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મિખાઇલ ગોર્બાચોવ

જ. 2 માર્ચ, 1931 અ. 30 ઑગસ્ટ, 2022

સોવિયત સંઘ(રશિયા, 1958-1991)ના સર્વોચ્ચ નેતા મિખાઇલ ગોર્બાચોવનો જન્મ કૉકેસસની ઉત્તરે એક ખેડૂતને ત્યાં થયો હતો. 16 વર્ષની વયે તેમણે ટ્રૅક્ટર પર કામ કરવા માંડ્યું. તે પછી 1950માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયા. 1967માં પત્રવ્યવહાર દ્વારા કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1955થી 1962ના ગાળામાં સામ્યવાદી પક્ષના યુવક મંડળ – કૉન્સોમોલમાં જોડાયા. ત્યારબાદ સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી તરીકે વરણી પામ્યા. તેમણે રશિયાના રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેની દૂરગામી અસરો વર્તાવા માંડી. આર્થિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા તથા કેન્દ્રીકરણ દૂર કરી બજારલક્ષી મુક્ત સાહસ પર આધારિત અર્થકારણ અપનાવવું તેમને જરૂરી લાગ્યું. વળી સર્વદેશીય નવવિધાન કરવું પણ આવશ્યક લાગ્યું. આ ઉદ્દેશો સિદ્ધ કરવા ગોર્બાચોવે બે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા : નવગઠન (પેરેસ્ટ્રોઇકા) અને ખુલાવટ (ગ્લાસનોસ્ટ). પેરેસ્ટ્રોઇકા નવી રચના તથા સર્વદેશીય પરિવર્તન માટેનો અને ગ્લાસનોસ્ટ દ્વારા મુક્ત સમાજ ઊભો કરવાનો હેતુ હતો. યુદ્ધકીય વાતાવરણને શાંતિમાં પલટાવવા માટે તેમણે પૂર્વ યુરોપમાં વોર્સો કરારની રૂએ લશ્કરોમાં ઘટાડો કર્યો. રાજકીય ક્ષેત્રે પ્રમુખનું સર્વોપરી સ્થાન ગ્રહણ કર્યા બાદ તેમણે સમતુલનની નીતિ અપનાવી. તેમને એકીસાથે ઘરઆંગણાક્ષેત્રે, વિદેશના આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો. વૈશ્વિક ધોરણે શાંતિથી યુદ્ધ સમાપ્ત થયું. શસ્ત્રદોડ અટકી અને લશ્કરમાં તેમજ શસ્ત્રોમાં મોટે પાયે કાપની શરૂઆત થઈ. તેમના દ્વારા રશિયાનું જે નવસંસ્કરણ થયું તે મોટે ભાગે અફર હતું. ખુલાવટની નીતિના સ્વીકાર સાથે તેમનું કાર્ય પૂર્ણ થયું તેવું કહી શકાય, પરંતુ રશિયાનું વિઘટન, એ તેના જેવી મહાસત્તાની પડતી અને તેને કારણે દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ વગેરે તેમની નેતાગીરીની નબળી બાજુ દર્શાવે છે. તેમના સત્તાત્યાગની પ્રક્રિયા રક્તવિહીન રહી તે તેમની નીતિનો વિજય દર્શાવે છે. પલટાતા યુગનાં એંધાણ પારખી તેમણે જે પરિવર્તનો કર્યાં તેમાં તેઓ સફળ રહ્યા. 1990માં તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર આપીને પશ્ચિમની દુનિયાએ તેમનું બહુમાન કર્યું.