Categories
વાચન સમૃદ્ધિ

મેજર સોમનાથ શર્મા

જ. 31 જાન્યુઆરી, 1923 અ. 3 નવેમ્બર, 1947

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થનાર મેજર સોમનાથ શર્માનો જન્મ કાંગડામાં થયો હતો. તેમના દાદા મોહનલાલ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહની સેનાના યોદ્ધા હતા. પિતા અમરનાથ ડૉક્ટર હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતાં ભારતીય સૈનિકોની સારવાર માટે પ્રૅક્ટિસ છોડી અને લશ્કરમાં જોડાયા હતા. માતા સરસ્વતી પ્રથમ વિશ્વયુદ્ધની કથાઓ સંભળાવતી હતી. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી તેઓ 1941માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા. તેઓ બ્રિટિશ હિંદની સેના વતી બર્મા મોરચે લડ્યા હતા. અરાકાન મોરચે સફળતા બદલ તેમને મેન્શન્ડ ઇન ડિસ્પેચિસ ચંદ્રક આપવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓ દિલ્હીમાં હતા. તેમના હાથે ફ્રૅક્ચર થયું હતું. તેમણે મોરચા પર જવા માટે જીદ કરી. 4થી કુમાઉં બટાલિયનની ટુકડી સાથે તેઓ શ્રીનગર પહોંચ્યા. 3 નવેમ્બર, 1947ના રોજ 700 જેટલા પાકિસ્તાની સૈનિકોએ બડગામ સરહદે હુમલો કર્યો ત્યારે ડેલ્ટા કંપનીમાં 90 સૈનિકો હતા. મેજર શર્માએ જવાનોનો જુસ્સો વધાર્યો. દુશ્મનોને માર્યા. આથી બીજું આક્રમણ આવ્યું. ડેલ્ટા કંપનીના સૈનિકો ઘાયલ થયા. જવાનોને શસ્ત્રસરંજામ પૂરો પાડવા દોડધામ કરી. દુશ્મનો નજીક આવતાં તેમને પીછેહઠ કરવાનો આદેશ મળ્યો, છતાં તેમણે લડવાનું નક્કી કર્યું. આપણા શસ્ત્રાગાર પાસે દુશ્મનની તોપનો ગોળો આવ્યો. દારૂગોળો ફાટ્યો એ સાથે જ મેજર સોમનાથ શર્મા શહીદ થયા. તેમની સૂઝબૂઝને કારણે શ્રીનગરની હવાઈ પટ્ટી પાકિસ્તાનના હાથમાં જતાં બચી હતી. ભારત સરકારે 21 જૂન, 1950ના રોજ તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો હતો. પરમવીરચક્ર મેળવનાર તેઓ પ્રથમ હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જયશંકર પ્રસાદ

જ. 30 જાન્યુઆરી 1889 અ. 14 જાન્યુઆરી 1937

આધુનિક હિન્દી સાહિત્યના અગ્રણી સર્જક નવલકથાકાર, વાર્તાકાર અને કવિ. જન્મ વારાણસીમાં થયો હતો. પિતાનું નામ દેવીપ્રસાદ સાહુ. પિતા તમાકુ અને છીંકણીનો વ્યવસાય કરતા હતા. નાનપણમાં જ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. પછીથી ઘરે રહીને પાલિ, પ્રાકૃત, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનું અધ્યયન કર્યું. એમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન સાહિત્ય અને પુરાણકથાઓનો સ્વાધ્યાય પણ કરેલો. પહેલી વાર 9 વર્ષની ઉંમરે ‘કલાધર’ ઉપનામથી વ્રજ ભાષામાં સવૈયા છંદની રચના કરી. નવ વર્ષની ઉંમરે ‘અમરકોશ’ અને ‘લઘુકૌમુદી’ બંને કંઠસ્થ કરી લીધાં હતાં. ‘પ્રસાદ’ તેમનું ઉપનામ હતું. તેઓ છાયાવાદી કવિ તરીકે જાણીતા હતા. સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા અને સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ને છાયાવાદી સર્જક તરીકે ગણવામાં આવે છે તેમાં જયશંકર પ્રસાદને એમની સાથે મૂકવામાં આવ્યા છે. હિન્દી સાહિત્યમાં છાયાવાદી વલણને મહત્ત્વ આપનાર લેખક હતા. મહાકવિ તરીકે જયશંકર પ્રસાદ હિન્દી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચિત્રધર’ હિન્દી બોલી અને વ્રજ ભાષામાં લખાયેલો છે. 1909ની આસપાસ ‘ઇન્દુ’ નામની માસિક પત્રિકામાં ખડી બોલી હિંદીમાં રચાયેલી એમની કાવ્યકૃતિઓ પ્રગટ થવા લાગી. બીજા અનેક કાવ્યસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. એમની કવિતામાં વિષયનું વૈવિધ્ય પણ જોવા મળે છે. એમની નવલકથાઓ ‘કંકાલ’માં નૈતિક અનિષ્ટ અને સમાજની આધ્યાત્મિકને વિષયવસ્તુ તરીકે નિરૂપી આપ્યાં છે, ‘તિતલી’માં ગાંધીનો પ્રભાવ જોઈ શકાય છે અને ‘ઇરાવતી’ એમની અધૂરી રહેલી ઐતિહાસિક નવલકથા છે. એમણે લખેલાં નાટકોમાં ‘એક ઘૂંટ’, ‘સ્કંદગુપ્ત’, ‘ચંદ્રગુપ્ત’, ‘ધ્રુવસ્વામિની’ અને ‘રાજ્યશ્રી’ છે. નાટકનાં શીર્ષકો જોતાં જ એમ લાગે કે એનું કથાવસ્તુ ઇતિહાસ અને પુરાણમાંથી લીધું હશે. એમના વાર્તાસંગ્રહો ‘આકાશદીપ’, ‘આંધી’, ‘છાયા’, ‘પ્રતિધ્વનિ’ અને ‘ઇન્દ્રજાલ’ વિવિધ વર્ગોનાં વિશિષ્ટ પાત્રોના ભાવસંઘર્ષોનું કાવ્યાત્મક ભાષામાં નિરૂપણ કરતી વાર્તાઓ છે. ‘કાવ્યકલા ઔર અન્ય નિબંધ’ એમનો મરણોત્તર પ્રકાશિત વિવેચનગ્રંથ છે. એમના કાવ્યસંગ્રહ ‘કામાયની’ને મંગલાપ્રસાદ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

અન્તોન પાવલોવિચ ચેહફ

જ. 29 જાન્યુઆરી, 1860 અ. 14 જુલાઈ, 1904

રૂસી વાર્તાકાર અને નાટ્યકાર ઉપરાંત તબીબી વ્યવસાય ધરાવતા અન્તોનનો જન્મ તાગન્રોગ, રશિયામાં થયો હતો. 1884માં તેઓએ મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ મેળવી હતી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. આથી ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. ત્યારબાદ મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળામાં ચેહફે ‘વૉર્ડ નં. 6’, ‘માય લાઇફ’, ‘પેઝન્ટ’ વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. તેઓેને લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો પરિચય થયો, આથી ‘ધ લેડી વિથ ધ ડૉગ’, ‘બિટ્રોથ્ડ’ વગેરે જાણીતી વાર્તાઓ તેમણે લખી. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે લગ્ન કર્યાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહેતા. ચેહફે બે શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ અને ‘ધ થ્રી સિસ્ટર્સ’. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય કરેલ નિરીક્ષણોમાંથી તેઓએ પોતાનાં પાત્રો સર્જ્યાં છે. ચેહફનાં નાટકોમાં રૂસી જીવનનું ચિત્રણ આબેહૂબ થયેલ છે. ચેહફ મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન પામ્યા, તે ઉપરાંત તેઓ સવાયા દિગ્દર્શક તરીકે પંકાયા. આ ઉપરાંત તેઓએ લખેલ સુંદર નાટિકાઓ એટલી સરસ કે તેના લીધે પણ વિશ્વસાહિત્યમાં તેઓ સ્થાન પામી શકે. તેમની ટૂંકી વાર્તાઓનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયૉગ્રાફી’ પુસ્તક 1970માં પ્રસિદ્ધ કર્યું છે.