Categories
વાચન સમૃદ્ધિ

નૌશાદ અલી

જ. 25 ડિસેમ્બર, 1919 અ. 5 મે, 2006

સંગીતકાર, સંગીતદિગ્દર્શક, ફિલ્મનિર્માતા, લેખક અને કવિ નૌશાદ અલીનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા લખનઉ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં તેમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમજ પંડિત ખેમચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓનો સાથ મળ્યો હતો. નૌશાદ અલીને સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. 1940ના વર્ષમાં ‘પ્રેમનગર’ નામની ફિલ્મમાં સંગીત પીરસવાની તક મળી હતી. સંગીતકાર તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને 1944માં રજૂ થયેલ ‘રતન’ નામના ચલચિત્રમાં મળી હતી. જેમાં જોહરાબાઈ આમ્બાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, કરણ દીવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. આ ભવ્ય સફળતા પ્રાપ્ત કર્યા પછી નૌશાદે 35 જેટલી સિલ્વર જ્યૂબિલી હિટ, 12 ગોલ્ડન જ્યૂબિલી તેમજ ત્રણ ડાયમંડ જ્યૂબિલી ફિલ્મો આપી રૂપેરી પડદે ભવ્ય સફળતા મેળવી હતી. જેમાં ‘અંદાઝ’, ‘મધર ઇન્ડિયા’, ‘અનમોલ ઘડી’, ‘બૈજુ બાવરા’, ‘ઉડન ખટોલા’, ‘દીવાના’, ‘મુગલ-એ-આઝમ’, ‘દુલારી’, ‘લીડર’, ‘સંઘર્ષ’, ‘મેરે મહેબૂબ’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘ગંગા જમુના’, ‘આદમી’, ‘ગંવાર’, ‘સાથી’, ‘આઇના’ અને ‘ધર્મકાંટા’ જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે. સિનેમાક્ષેત્રે અપાતા ખ્યાતનામ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી 1981માં અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મભૂષણ ઍવૉર્ડથી નૌશાદ અલીને 1991માં સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયા

જ. 24 ડિસેમ્બર, 1880 અ. 17 ડિસેમ્બર, 1959

સ્વાતંત્ર્યસેનાની ડૉ. પટ્ટાભી ભોગરાજુ સીતારામૈયાનો જન્મ ગંડુગોલાણુમાં થયો હતો. પિતા સુબ્રહ્મણ્યમ્ અને માતા ગંગામ્મા. બાળપણમાં પિતાને ગુમાવ્યા. તેમણે ઇલોરની ક્રિશ્ચિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1901માં એમ.બી. ઍન્ડ સી.એમ.ની પદવી મેળવી. મસુલિપટનમમાં દવાખાનું શરૂ કર્યું. 1907માં તેમણે આગેવાનો સાથે મળીને નૅશનલ કૉલેજ માટે ફાળો એકઠો કર્યો અને 1910માં આંધ્રજાતીય કલાસલની સ્થાપના કરી. શરૂઆતમાં તેઓ લાલ-બાલ-પાલ પ્રત્યે આકર્ષાયા. હોમરૂલલીગના સભ્ય થયા. તેમણે ‘જન્મભૂમિ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ‘આંધ્ર સહકાર પત્રિકા’ શરૂ કરી. તેમણે આંધ્ર બૅન્ક, ભારતલક્ષ્મી બૅન્ક, આંધ્ર ઇન્સ્યૉરન્સ કંપની, હિંદુસ્તાન ઇન્સ્યૉરન્સ કંપની વગેરેની સ્થાપના કરી. તેઓ 1916માં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય થયા. તેઓ કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના સભ્ય ચૂંટાયા હતા. સાયમન કમિશનનો વિરોધ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે મસુલિપટનમના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. 1938માં કૉંગ્રેસના પ્રમુખપદ માટે ગાંધીજીએ તેમનું નામ સૂચવ્યું હતું, પરંતુ ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝનો વિજય થતાં તેઓ હારી ગયા હતા. તેમણે આઝાદીનાં આંદોલનોમાં ભાગ લઈ ઘણી વખત ધરપકડ વહોરી હતી. તેઓ 1946માં ચેન્નાઈમાંથી બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1948માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના જયપુર અધિવેશનના પ્રમુખ હતા. જુલાઈ, 1952થી જૂન, 1957 સુધી મધ્યપ્રદેશના ગવર્નર તરીકે સેવા આપી હતી. ‘ઇન્ડિયન નૅશનાલિઝમ’, ‘હિસ્ટરી ઑફ ધ ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ વૉલ્યુમ 1 અને 2, ‘નૉન-કો-ઑપરેશન’, ‘ગાંધી ઍન્ડ ગાંધીઝમ્’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. ભારત સરકારના ટપાલખાતાએ 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ચૌધરી ચરણસિંહ

જ. 23 ડિસેમ્બર, 1902 અ. 29 મે, 1987

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા ભારતના પૂર્વવડાપ્રધાન ચરણસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના  મેરઠના નૂરપુર ગામે એક જાટ પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. 1929માં તેઓ મેરઠ પાછા ફર્યા અને કૉંગ્રેસમાં જોડાયા હતા. ચરણસિંહ ચૌધરી છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશની વિધાનસભામાં 1937માં ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1946, 1952, 1962 અને 1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. જૂન, 1951માં રાજ્યના કૅબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 1954માં તેઓ ડૉ. સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં મહેસૂલ અને કૃષિ કૅબિનેટ મંત્રીપદે રહ્યા હતા. અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા ચૌધરી ચરણસિંહ પોતાના કઠોર પરિશ્રમ માટે ખૂબ જાણીતા હતા. સંસદીય અને વ્યવહારુ વલણ ધરાવતા હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા માટે પણ તેમની પ્રસિદ્ધિ હતી. તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીનસુધારણાના શિલ્પી હતા. તેમણે કરેલી પહેલને પગલે જ  ઉત્તરપ્રદેશના મંત્રીઓને મળતા ઊંચા પગાર અને અન્ય અધિકારો પર કાપ મુકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે લૅન્ડ હોલ્ડિંગ ઍક્ટ, 1960ને અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. એક સમર્પિત જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ એમની તાકાત હતી. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. ફુરસદના સમયનો ઉપયોગ વાંચન-લેખનમાં કરતા હોવાથી ‘જમીનદારીનાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ‘ગ્રામીણોની માલિકી અને કામદારોની જમીન’ જેવાં પુસ્તકો અને ચોપાનિયાંના તેઓ લેખક રહ્યા હતા.