Categories
વાચન સમૃદ્ધિ

લવકુમાર ખાચર

જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015

પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ  મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ માટે પ્રયત્નો કર્યા. તેમણે નેચરક્લબ અને કૅમ્પિંગની શરૂઆત કરી. તેઓ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF), ભારત સાથે જોડાયેલા હતા. તેમને વન્યજીવનના શિક્ષણ માટે WWF તરફથી અનુદાન પ્રાપ્ત થયું હતું. તેમણે 1984માં નેચર ડિસ્ક્વરી સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદના સુંદરવનના વિકાસમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમણે ગીરના અભયારણ્યમાં વન્યજીવનના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક અને ધ મરીન નૅશનલ પાર્ક એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમણે બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી જેવી અન્ય સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીરના જંગલમાં સર્વેક્ષણો કરી પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું. યુવાનો અને સાહસિકો માટે આઉટડોર સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ‘બેક ટુ નેચર’ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ‘હીંગોળગઢ નેચર કન્ઝર્વેશન એજ્યુકેશન સેન્ચ્યુરી’ના સ્થાપક હતા તેમજ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા. તેમણે કે. એસ. ધર્મકુમારસિંહજી સાથે ‘સિક્સ્ટી ઇન્ડિયન બર્ડઝ’ પુસ્તક લખ્યું હતું. WWF – ભારત માટે નેચર કૅમ્પ શરૂ કરવા અને વિકસાવવા માટે પ્રિન્સ ફિલિપ તરફથી તેમને પ્રમાણપત્ર મળ્યું હતું. 2004માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, દિલ્હી બર્ડ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને સલીમ અલી – લોક વાન થો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રાધારમણ મિત્ર

જ. 23 ફેબ્રુઆરી, 1897 અ. 7 ફેબ્રુઆરી, 1992

બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર રાધારમણ મિત્રનો જન્મ કૉલકાતામાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. 1913માં તેઓ કૉલકાતાની હિન્દુ સ્કૂલમાંથી મૅટ્રિક થયા. 1915માં તેમણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. 1917માં તેમણે સેન્ટ પાઉલસ કેથીડ્રલ મિશન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા બાદ ઉત્તરપ્રદેશમાં ઓટાવા ખાતે શિક્ષક થયા પછી  ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા. તેમાં પકડાયા, જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ કેટલાંક વર્ષો સુધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે કામ કર્યું. પાછળથી તેઓ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા. 1923માં મેરઠ કાવતરા કેસમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી. પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ 1938માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ કૉલકાતા શહેરના પ્રાચીન અવશેષોના સંશોધનમાં સતત પ્રવૃત્ત રહેલા. તેમના ‘કાલિકાતા દર્પણ’ (1-2) નામના સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની અન્ય કૃતિઓમાં ‘Bangalar Tin Manishi’, લાલબિહારી ડેને લગતું પુસ્તક ‘Kalikatay Vidyasagar’ ‘David Hare : His Life and works’ છે. આ ઉપરાંત તેમની પાસેથી વિવિધ વિષયોના નિબંધોનો સંગ્રહ પણ મળ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દુલાલ યાજ્ઞિક

જ. 22 ફેબ્રુઆરી, 1892 અ. 17 જુલાઈ, 1972

વિવિધ પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિઃસ્પૃહી રાજકીય નેતા. મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદમાં સૌપ્રથમ ક્રમે આવ્યા અને બી.એ.ની પરીક્ષામાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી પ્રથમ ક્રમે આવ્યા. અભ્યાસમાં તેજસ્વી એવા ઇન્દુલાલ 1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. થોડો સમય વકીલાત પણ કરી, પણ તે છોડી 1915માં સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન અને સત્ય’ માસિકો શરૂ કર્યાં. 1922માં ‘યુગ ધર્મ’ની શરૂઆત કરી. વળી થોડો સમય દેશસેવાનું કામ છોડી ફિલ્મક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. ઇંગ્લૅન્ડમાં આયર્લૅન્ડની સ્વતંત્રતાના પ્રચંડ સમર્થક દ વેલેરા સાથે કામ કર્યું અને 1936માં ભારત પાછા આવ્યા. 1941-42માં ‘નૂતન ગુજરાત’ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. 1944માં નેનપુર આશ્રમ શરૂ કરી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, હોમરૂલ ચળવળમાં ભાગ લીધો અને રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. રાષ્ટ્રીય કેળવણીનો આગ્રહ રાખી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં બી રોપ્યાં. સવિનય કાનૂનભંગની લડતમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી મૉસ્કો અને વિયેનાનો પ્રવાસ કર્યો અને સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના સમયે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું. ‘જનતા પરિષદ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી ગુજરાતના લાડીલા ‘ઇન્દુ ચાચા’ બન્યા. 1957થી 1972 સુધી લોકસભાના સાંસદ રહ્યા. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું. તેમણે છ ભાગમાં આત્મકથા લખી. નર્મદ સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. રાજકીય વિષયવસ્તુવાળાં ભાવનલક્ષી અને પ્રચારલક્ષી નાટકો આપવા ઉપરાંત ‘માયા’ નવલકથા, ‘વરઘોડો’, ‘આશા-નિરાશા’, ‘રણસંગ્રામ’, ‘શોભારામની સરદારી’ જેવાં નાટકો પણ લખ્યાં. ગાંધીજી સાથેનાં સંસ્મરણો આલેખતી ‘ગાંધીજીના સહવાસમાં’, ‘સત્યાગ્રહ : નિષ્ફળ અને નકામું શસ્ત્ર’ જેવાં પુસ્તકો પણ આપ્યાં. અંગ્રેજીમાં ‘મિ. ગાંધી એઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો પણ આપ્યાં. આમ એક નીડર, નિખાલસ, સ્વમાની અને પુરુષાર્થી વ્યક્તિ તરીકે લોકો તેમને સદા યાદ રાખશે.