Categories
વાચન સમૃદ્ધિ

અન્ના ચંડી

જ. 5 એપ્રિલ, 1905 અ. 20 જુલાઈ, 1996

સંવેદનશીલ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ તથા કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતાં અન્ના ચંડીનો જન્મ કેરળના તિરુવનંતપુરમ્(ત્રિવેન્દ્રમ્)માં થયો હતો. તે સમયે સ્ત્રીઓને મૅટ્રિકથી વિશેષ ભણવાની તક મળતી નહોતી. તેમ છતાં મહિલાઓના અધિકારોની બાબતમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં કેરળની મહિલાઓ વધુ પ્રગતિશીલ અને સાહસિક હતી. અન્નાએ 1926માં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી સૌપ્રથમ કાયદાશાસ્ત્રમાં પદવી હાંસલ કરી. સમગ્ર કેરળ રાજ્યમાં આવું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. એ પછી 1929થી બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની સાથોસાથ એમણે સ્ત્રીઓના હક્કો માટે મલયાળમ ભાષામાં ‘શ્રીમતી’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકનાં તેઓ પ્રથમ સંપાદક બન્યાં અને મહિલા-અધિકાર માટે લડત શરૂ કરી. 1938માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર અને 1949માં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ થયાં. 1959ની નવમી ફેબ્રુઆરીએ તેમની કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેઓને વડી અદાલતનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું. એ સમયે વડી અદાલતનું ન્યાયમૂર્તિપદ મેળવનાર તેઓ વિશ્વનાં બીજાં મહિલા હતાં. 1967ની પાંચમી એપ્રિલ સુધી તેઓએ આ ગૌરવવંતા પદ પર કામગીરી બજાવી. અન્ના ચંડીના પતિ પોલીસઇન્સ્પેક્ટર હતા. બંને વચ્ચે સમજદારીનો સેતુ મજબૂત હતો, પરિણામે અન્ના સફળતા હાંસલ કરતાં ગયાં, પણ તે માટે પોતાના અંગત જીવનનો ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. એમના પતિની બદલી જુદાં જુદાં શહેરોમાં થતી હતી. આથી બંનેને પોતાના વ્યવસાય સંભાળવા જુદા રહેવું પડતું હતું. પરિણામે અન્નાને શિરે ઘરગૃહસ્થી, વ્યવસાય તથા બાળકોના ઉછેરની જવાબદારી આવી, પરંતુ પ્રતિકૂળ સંજોગોનો તેમણે હિંમતભેર સામનો કર્યો. અન્નાને વાંચન અને સર્જનનો શોખ હોવાથી ‘મર્ડર ઑફ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (સેક્શન 206, પીનલ કોડ) નામના નાટકની રચના કરી; એટલું જ નહીં, પણ એનું સફળ નિર્દેશન કર્યું તથા નાટકમાં ભૂમિકા પણ ભજવી. તેમણે પોતાની આત્મકથા લખી છે જે 1973માં પ્રકાશિત થઈ હતી. તેઓ ત્રાવણકોર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને આજીવન મહિલાઓના અધિકાર માટે લડત આપતાં રહ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પરવીન બાબી

જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર.  ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.

Categories
વાચન સમૃદ્ધિ

મણિબહેન પટેલ

જ. 3 એપ્રિલ, 1903 અ. 26 માર્ચ, 1990

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબહેનનો જન્મ કરમસદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બોરસદની પ્રાથમિક શાળામાં થયું. પછી મુંબઈની ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. વલ્લભભાઈ વિદેશથી આવી અમદાવાદમાં સ્થાયી થયા. મણિબહેનને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યાં. 1920માં અસહકારના આંદોલનને લીધે શાળા છોડી, પરંતુ ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ થયાં તેમજ વિનીત પરીક્ષા પાસ કરી. સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં ત્યારે કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ઇનામો મેળવ્યાં હતાં. પિતાની સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાયાં. તેમણે અસહકારના આંદોલન તેમજ મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓ ઘણી વખત જેલમાં રહ્યાં હતાં. 1942માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. 1930થી પિતાના અંગત સચિવ તરીકે કામ કર્યું. રસોઈ અને સફાઈથી લઈને વલ્લભભાઈની મિટિંગો અને પત્રવ્યવહાર સુધીનાં બધા કામો તેમણે કર્યાં. વલ્લભભાઈ મણિબહેને કાંતેલ ખાદીમાંથી બનેલાં વસ્ત્રો પહેરતા. તેમનું જીવન સાદગીસભર હતું. તેઓ હંમેશાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં. તેઓ 1952માં દક્ષિણ ખેડાની અને 1957માં આણંદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં. 1962માં આણંદની બેઠક પરથી હાર્યાં. એ પછી 1973માં સાબરકાંઠાની અને 1977માં મહેસાણાની બેઠક પરથી લોકસભાનાં સભ્ય ચૂંટાયાં. 1964થી 1970 સુધી રાજ્યસભાનાં સભ્ય હતાં. તેઓ 1954થી 1964 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હતાં. તેઓ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય હતાં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હતાં. તેમણે ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ પુસ્તકો લખ્યાં છે. ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ સંપાદિત ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત ‘સરદાર્સ કૉરસ્પૉન્ડન્સ’(10 ગ્રંથો)નું સંપાદન કર્યું છે. એમનું પુસ્તક ‘ઇન્સાઇડ સ્ટોરી ઑવ્ સરદાર પટેલ : ધ ડાયરી ઑવ્ મણિબહેન પટેલ 1936-50’ ખાસ ઉલ્લેખનીય છે.