જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.
અનિલ રાવલ


