કિશોરીલાલ ગોસ્વામી


જ. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૫ અ. ૨૯ મે, ૧૯૩૩

હિંદી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક કિશોરીલાલ ગોસ્વામીનો જન્મ બનારસમાં થયો હતો. તેમનું સમગ્ર શિક્ષણ કાશીમાં થયું હતું. હિંદી સાહિત્યમાં તેમની ગણના પ્રથમ મૌલિક વાર્તાકાર તરીકે થાય છે. તેઓ ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં ગુરુ કૃષ્ણા ચૈતન્ય કિશોરીલાલનાં માતામહ થાય, તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ પણ લખી હતી. તેમણે કુલ ૬૫ નવલકથાઓ, ૩ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેઓ સરસ્વતી મૅગેઝિનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે, જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’, ‘ઇન્દુમતી’ અને ‘ગુલબહાર’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’, ‘ત્રિવેણી’, ‘સ્વર્ગીય કુસુમ’, ‘લીલાવતી’, ‘ચપલા’, ‘ચંદ્રિકા વાજડાઉં ચંપાકલિ’, ‘ચંદ્રાવલિ’, ‘તરુણ તપસ્વિની’, ‘ઇન્દુમતી વનવિહંગિની’, ‘પુનર્જન્મ’, ‘માધવી માધવ’ અને ‘અંગુડી કા નગીના’નો સમાવેશ થાય છે. ‘હૃદય હરિણી’, ‘લવંગલતા’, ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’, ‘કનકકુસુમ’, ‘હિરાબાઈ’, ‘સુલતાના’, ‘મલ્લિકાદેવી’, ‘લખનઉ કી કબ્ર’ વગેરે તેમની ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે. તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’નો સમાવેશ થાય છે.

અમલા પરીખ

સુષમા સ્વરાજ


જ. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ અ. ૬ ઑગસ્ટ, ૨૦૧૯

ભારતીય રાજકારણી અને સુપ્રીમ કોર્ટનાં વકીલ. ૧૯૯૮માં થોડા સમય માટે દિલ્હીનાં સૌપ્રથમ મહિલામુખ્યમંત્રીપદે રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મોદી સરકારમાં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું. ઇન્દિરા ગાંધી પછી વિદેશમંત્રીના પદ પર રહેનાર તેઓ બીજાં મહિલાનેતા હતાં. તેઓ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વિનયન વિદ્યાશાખા અને કાયદાની વિદ્યાશાખાનાં સ્નાતક હતાં. અંબાલા કૅન્ટોનમેન્ટ ખાતે એસ. ડી. કૉલેજનાં શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકેનાં પારિતોષિકો ઉપરાંત એન.સી.સી.નાં પણ શ્રેષ્ઠ કૅડેટ તરીકે સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ કૅડેટ પુરવાર થયાં હતાં. ૧૯૭૦માં વિદ્યાર્થિની નેત્રી તરીકે તેમણે ઇન્દિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કામગીરી આરંભી અને રાજકારણમાં અને જાહેરજીવનમાં સક્રિય રસ લેવાનો શરૂ કર્યો. ૧૯૭૭માં ૨૫ વર્ષની વયે તેઓ હરિયાણાનાં સૌથી યુવા મંત્રી બન્યાં હતાં. ૧૯૭૭-૧૯૭૯ સુધી દેવીલાલ સરકારમાં શ્રમ અને રોજગારમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાયાં. ૧૯૮૭માં ફરી દેવીલાલની સરકારમાં શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી બન્યાં. તેઓ ઉત્તમ વક્તા હોવાથી ત્રણ વાર હરિયાણા વિધાનસભાનાં ઉત્તમ વક્તા તરીકે વરણી પામ્યાં. સંસ્કૃત ભાષા પર પણ તેમની હથોટી ઉત્તમ કક્ષાની હતી. તેઓ અન્ય સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોમાં પણ વિવિધ હોદ્દા ધરાવતાં હતાં. ૧૯૯૦માં રાજ્યસભાનાં સાંસદ બની કેન્દ્રીય રાજકારણમાં આવ્યાં. ૧૯૯૬ની ૧૧મી અને ૧૯૯૮ની ૧૨મી લોકસભામાં દક્ષિણ દિલ્હી મતવિસ્તારમાંથી ચૂંટાઈ સાંસદ બન્યાં. તેઓ વાજપાઈ મંત્રીમંડળમાં માહિતી અને સંચાર મંત્રાલયનાં મંત્રી બન્યાં. ૨૦૦૦માં ઉત્તરાખંડનાં અને ૨૦૦૬માં મધ્યપ્રદેશનાં સાંસદ તરીકે રાજ્યસભામાં કાર્યરત રહ્યાં. તેઓ ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય, પક્ષનાં અધ્યક્ષ અને મંત્રી તથા પક્ષનાં પ્રવક્તા જેવા વિવિધ મહત્ત્વના હોદ્દા પણ સંભાળી ચૂક્યાં હતાં. મોદી સરકારમાં વિદેશમંત્રી તરીકે તેમણે કેટલાક ભારતીયોને વિદેશથી સ્વદેશ લાવવામાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે ૨૦૨૦માં તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

રાજશ્રી મહાદેવિયા

સરોજિની નાયડુ


જ. ૧૩ ફેબ્રુઆરી, ૧૮૭૯ અ. ૨ માર્ચ, ૧૯૪૯

અંગ્રેજી ભાષાનાં ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. તેઓનો સ્વર ખૂબ મીઠો હોવાથી તેમને ‘હિંદની બુલબુલ’નો ખિતાબ મળ્યો હતો. સરોજિનીનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો, પણ તેમનો ઉછેર ભારતીય તરીકે થયો હતો. પિતા અઘોરીનાથ વિદ્વાન, વૈજ્ઞાનિક અને સમાજસુધારક અને માતા વરદાસુંદરી દેવી કવયિત્રી હતાં. સરોજિનીએ બાર વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી ચેન્નાઈ ઇલાકામાં પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ ૧૮૯૫માં તેઓ ઇંગ્લૅન્ડ ગયાં જ્યાં કિંગ્ઝ કૉલેજ તથા ગિરટન કૉલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. આ સમયે તેઓ વિખ્યાત સાહિત્યકાર એડમંડ ગોસ તથા સાયમન્સના સંપર્કમાં આવ્યાં હતાં. સરોજિની ચૌદ વર્ષની ઉંમરે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યાં અને ૧૮૯૮માં તેમની સાથે લગ્ન કર્યાં હતાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હીરાની ઉંબર’ ઈ. સ. ૧૯૦૫માં બહાર પડ્યો. આ ઉપરાંત ‘ધ લેડી ઑફ ધ લેક’ શીર્ષક હેઠળ કવિતા અને નાટક લખ્યું. ‘ધ ગોલ્ડન થ્રેશેલ્ડ’, ‘ધ બર્ડ ઑફ ટાઇમ’ અને ‘બ્રોકનવિંગ’ નામના કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ૧૯૧૪માં તેઓ ગાંધીજીને મળ્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ડૂબી ગયાં. ધરાસણામાં લાઠીમાર વખતે મોખરે હતાં અને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લઈ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી. આમ ગાંધીજીનાં એક અનન્ય શિષ્યા તરીકે તેઓએ ૧૯૨૦થી ૧૯૪૯ સુધી દેશસેવા કરી હતી. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતાં તે દરમિયાન તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૪ના રોજ તેમની સ્મૃતિમાં પંદર પૈસાની ટિકિટ બહાર પાડી હતી.

અંજના ભગવતી