Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયા

જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

ઍંજલ્સ ફ્રેડરિક

જ. 28 નવેમ્બર, 1820 અ. 5 ઑગસ્ટ, 1895

જર્મન સમાજવાદી ચિંતક અને કાર્લ માર્કસના નિકટના સાથી ઍંજલ્સ ફ્રેડરિકનો જન્મ બાર્મેન પ્રુશિયામાં એક પૈસાદાર કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટા ભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે કાર્લ માર્કસ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક તરીકે ઍંજલ્સ પ્રખ્યાત બન્યા. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા હતા. માન્ચેસ્ટર અને સાલફોર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદાર વર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી. જે તેમના પુસ્તક ‘ધ કન્ડિશન ઑવ્ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લૅન્ડ, ઍન્ટિ દુહરિંગ(Anti Duhring)માં સ્પષ્ટપણે દેખાય છે. તેમના ‘ઓરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે. ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયોલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) એ ત્રણ માર્કસ તથા ઍંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી ઍંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં ઍંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માર્કસવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. ઍંજલ્સને માર્કસના વૈચારિક ઉત્તરાધિકારી ગણવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હરિવંશરાય બચ્ચન

જ. 27 નવેમ્બર, 1907 અ. 18 જાન્યુઆરી, 2003

હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમજ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ અલાહાબાદ પાસે પ્રતાપગઢ જિલ્લામાં એક નાના ગામ બાબૂપટ્ટીમાં થયેલો. તેમનું મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ. તેઓનો જન્મ કાયસ્થ પરિવારમાં થયેલો. તેમને બાળપણમાં ‘બચ્ચન’ (જેનો અર્થ બાળક કે સંતાન) કહેવામાં આવતા. આ શબ્દ તેમણે પોતાના તખલ્લુસ તરીકે રાખ્યો. વળી મોટા પુત્ર અમિતાભના શાળાપ્રવેશ સમયે તેમણે પોતાની જ્ઞાતિ ન જણાવવા આ ‘બચ્ચન’ શબ્દને અટક તરીકે જ રાખ્યો. આરંભમાં તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનું શિક્ષણ લીધું, પછી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ત્યારબાદ સેંટ કૈથરીન કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને ત્યારપછી થોડો સમય આકાશવાણીમાં કાર્ય કરી પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા. તેઓ હિન્દુસ્તાની અને અવધી ભાષામાં પણ પારંગત હતા. 1935માં ‘તેરા હારા’ તેમનું પ્રથમ પ્રકાશન હતું પણ તેમને ‘મધુશાલા’ની રચનાઓને કારણે અગ્રસ્થાન મળ્યું. 1936માં તેમણે ‘મધુબાલા’ તથા 1937માં ‘મધુકલશ’ના કવિતાસંગ્રહ બહાર પાડ્યા. તેમની રચનાઓમાં ઉમર ખય્યામની રુબાયતોનો પ્રભાવ જોવા મળે છે. ‘નિશા નિમંત્રણ’ (1938) અને ‘એકાન્ત સંગીત’ (1937) નામના કાવ્યસંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘આકુલ અંતર’ (1943), ‘સતરંગિની’ (1945), ‘હલાહલ’ (1946) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે. આ ઉપરાંત તેમના આત્મચરિત્ર ગ્રંથો જેમાં પ્રથમ ખંડ ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’(1960)માં પ્રથમ પત્નીના અવસાન સમયની વ્યથા-કથા, બીજા ખંડ ‘નીડર કા નિર્માણ’ (1970), ત્રીજા ખંડ ‘બસૈર સે દૂર’(1977)માં દેશ-નગર-પરિવારથી દૂર કેમ્બ્રિજમાં સંશોધન અને ચોથા ખંડ ‘દશદ્વાર અને સોપાન’માં અનેક રોચક વર્ણનો છે. આ ઉપરાંત ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબૅથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેઓ 1952થી અલાહાબાદ રાજ્યસભાના મનોનીત સભ્ય હતા અને તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાન માટે અનેક સન્માન પણ આપવામાં આવેલાં જેમાં 1976માં ‘પદ્મભૂષણ’ પારિતોષિક ખાસ ઉલ્લેખનીય છે.