Categories
વાચન સમૃદ્ધિ

બિરજુ મહારાજ

જ. 4 ફેબ્રુઆરી, 1938 અ. 17 જાન્યુઆરી, 2022

ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકના સરતાજ બિરજુ મહારાજ, લખનઉના ‘કાલકા-બિંદાદન’ ઘરાનાના વંશજ હતા. તેમણે તેમના પિતા અને ગુરુ જગન્નાથ મહારાજ (અચ્છન મહારાજ) અને કાકાઓ શ્રી લચ્છુ મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી નૃત્યની બારીકાઈઓ શીખી. બાળવયથી જ તેઓ પિતા સાથે નૃત્યની રજૂઆતોમાં જોડાતા. સાત વર્ષની ઉંમરથી તેમણે એકલા જ નૃત્ય પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે નવ વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમણે પરિવારની નૃત્યની પરંપરા વિરાસત તરીકે સ્વીકારવાનું અને નૃત્યને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર તરીકે માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે સંગીત ભારતી(નવી દિલ્હી)માં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી અને થોડાંક જ વર્ષોમાં તેઓ દિલ્હીની ભારતીય કલા કેન્દ્ર(જે પાછળથી કથક કેન્દ્ર બન્યું)ના સૂત્રધાર બન્યા અને ત્યાં જ અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા. કથકની આધારભૂત શૈલીમાં ફેરફાર કર્યા વગર તેમણે તેમાં મૌલિક ભાવ અને નવી શબ્દરચનાઓ ઉમેર્યાં, આથી તેમની પ્રસ્તુતિ અલગ તરી આવી. નૃત્ય રજૂ કરતી વખતે માત્ર નૃત્ય જ ન કરવું, પણ તેને અનુરૂપ સમજ આપવાની તેમની રીતથી તેઓ જનસામાન્યના દિલ સુધી પહોંચી શક્યા. તેમના નૃત્યની ભાવનાત્મક અંગભંગિમાઓ જનસમૂહને સંમોહિત કરી દેતી. ગુરુ તરીકે તેમણે હજારો શિષ્યોને કથકની આવનારી પેઢીને તાલીમ આપી અને તૈયાર કર્યા. કથકને વિશ્વસ્તરે પહોંચાડવા ભારત અને અન્ય દેશોમાં પ્રવાસ કર્યો. નૃત્ય પ્રસ્તુતિની સાથે તે અંગેનાં વ્યાખ્યાન અને ડેમોન્સ્ટ્રેશન આપ્યાં. 1998માં તેમણે દિલ્હીમાં પોતાની નૃત્યશાળા ‘કલાશ્રમ’ની સ્થાપના કરી. આ સંસ્થાનું ધ્યેય નૃત્ય, સંગીત, ચિત્રકળા અને નાટ્યકળાની કેળવણી આપવાનું હતું. ભારતીય સિનેમામાં ‘શતરંજ કે ખિલાડી’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ઉમરાવજાન’ વગેરેમાં તેમણે નૃત્યનિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. બિરજુ મહારાજને પદ્મવિભૂષણ (1986), કાલિદાસ સન્માન (1989)થી નવાજવામાં આવ્યા હતા. 2012માં ‘વિશ્વરૂપમ્’ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 2016માં ‘મોહે રંગદો લાલ’ (બાજીરાવ મસ્તાની) ગીત માટે ફિલ્મફેર ઍવૉર્ડ અપાયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

કૌમુદી મુન્શી

જ. 3 ફેબ્રુઆરી, 1929 અ. 14 ઑક્ટોબર, 2020

ગુજરાતી સુગમસંગીતને લોકપ્રિય બનાવનાર, કુંવર નંદલાલ મુન્શી અને અનુબહેન મુન્શીના છઠ્ઠા સંતાન તરીકે જન્મેલ કૌમુદી મુન્શીના દાદા માધવલાલ મુન્શી બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોના સલાહકાર સમિતિના સભ્ય હતા અને મામા રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક હતા. દેખીતી રીતે જ ઘરમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું. 1950માં તેઓ બનારસ યુનિવર્સિટીમાંથી સંગીતમાં સ્નાતક થયા ત્યારે સમાજ ગાયિકાઓને પ્રોત્સાહન આપે તેવો ન હતો. 21 વર્ષની વયે રેડિયો પર ગાયિકા બનવાના સપના સાથે તેઓ મુંબઈ આવ્યાં. હિન્દીભાષી હોવાના લીધે ગુજરાતી ગાવાનું ખૂબ કપરું હોવા છતાં શ્રી ર. વ. દેસાઈના માર્ગદર્શન હેઠળ અને ભાઈ અક્ષય દેસાઈના પીઠબળથી તેમણે ખૂબ પરિશ્રમ કર્યો. 1952માં તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન આપ્યાં અને પસંદગી પણ પામ્યાં. મુંબઈમાં તેમને વિરલ સંગીતસર્જકો શ્રી અવિનાશ વ્યાસ, શ્રી દિલીપ ધોળકિયા, શ્રી અજિત મર્ચન્ટ વગેરેનો સહવાસ સાંપડ્યો. પરિવારોના વિરોધ વચ્ચે તેઓ શ્રી નીનુ મજુમદાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સાહિત્ય અને સંગીતને વરેલી આ જોડીએ ગુજરાતની અસ્મિતાને છાજે એવાં અસંખ્ય સુંદર સ્વરાંકનો અને ગીતોથી ગુજરાતી સુગમસંગીતને સમૃદ્ધ કર્યું. તે સમયનાં ઠૂમરીક્વીન ગણાતાં શ્રી સિદ્ધેશ્વરી દેવી પાસે તેમણે તાલીમ લીધી. જાણીતા સંગીતકાર તાજ અહેમદ ખાન પાસે ગઝલ ગાયકીની તાલીમ લીધી. લગભગ 50 વર્ષની સંગીત કારકિર્દી ધરાવનાર અને ગાતી વખતે દરેક ભાવને આત્મસાત્ કરી જાણનાર કૌમુદીબહેન ગુજરાતની ‘બુલબુલ’ (Nightangle of Gujarat) કહેવાયાં. તેઓ એવા જૂજ કલાકારોમાંનાં એક હતાં કે જે ગરબો, ગઝલ કે ઠૂમરી – દરેકને અસરકારક રીતે રજૂ કરી શકતાં. ગાનપ્રકારો દાદરા, ચૈતી, કજરી, ભોજપુરી લોકગીતો દરેકમાં તે નિપુણ હતાં. દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે ઘણા કાર્યક્રમો આપ્યા. 1952માં HMV દ્વારા તેમનું ગરબાનું આલબમ બહાર પાડવામાં આવ્યું હતું. તેમની અનેક રચનાઓને કંઠ આપ્યો છે જેમાં ‘ગુજરાત મોરી મોરી રે’, ‘ઓ શ્રીનાથજી ચોર્યાસી રંગનો સાથિયો’, ‘સાચી રે મારી સત રે ભવાની મા’ વગેરેનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીધર વેંકટેશ કેતકર

જ. 2 ફેબ્રુઆરી, 1884 અ. 10 એપ્રિલ, 1937

ઇતિહાસકાર, નવલકથાકાર અને મહારાષ્ટ્ર જ્ઞાનકોશના સર્જક શ્રીધર કેતકરનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં થયો હતો. મૂળ વતન કોંકણનું અંજનવેલ, પરંતુ કુટુંબ અમરાવતીમાં આવીને વસ્યું. માતાપિતાનું અવસાન થવાથી કાકાના આશ્રયે ઉછેર થયો. તેઓ મૅટ્રિક સુધીનું શિક્ષણ અમરાવતીમાં મેળવી મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા. કૉલેજનો અભ્યાસ અધૂરો રાખી 1906માં અમેરિકા ગયા. ત્યાં કાર્નેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા, પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ભારત પાછા આવી કૉલકાતા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદેશથી આવી ‘કેસરી’માં લખવાનું શરૂ કર્યું. તેમણે ‘વિદ્યાસેવક’ નામનું સામયિક શરૂ કર્યું. તેમાં ‘અજ્ઞાત’, ‘સહૃદય’ અને ‘ગોવિંદપૌત્ર’ જેવાં તખલ્લુસથી લેખો, વાર્તાઓ અને નવલકથાઓ લખી. તેમણે આંધ્રપ્રદેશમાં ‘રાષ્ટ્રધર્મ પ્રચારક સંઘ’ અને નાગપુરમાં ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ મંડળ લિ.’ની સ્થાપના કરી. તેમણે શારદોપાસક સંમેલન અને મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન – એમ બે મરાઠી સાહિત્ય સંમેલનોમાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું. ‘ધ હિસ્ટ્રી ઑફ કાસ્ટ ઇન ઇન્ડિયા’ (વૉલ્યુમ-I) (1990), ‘એન એસે ઑન હિન્દુઇઝમ ઇટ્સ ફોર્મેશન ઍન્ડ ફ્યૂચર’ (1911), ‘એન એસે ઑન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (1914), ‘હિન્દુ લૉ ઍન્ડ ધ મૅથડ્સ ઍન્ડ પ્રિન્સિપલ્સ ઑફ ધ હિસ્ટોરિકલ સ્ટડી ઑફ ધેર ઑફ’ (1914), ‘નિઃશસ્ત્રાંચે રાજકારણ’ (1926), ‘વિક્ટોરિયન ઇન્ડિયા’ (1937), ‘પ્રાચીન મહારાષ્ટ્ર શાતવાહન વર્ષ’ (1935) વગેરે તેમના સંશોધનાત્મક કાર્યનો પરિચય આપે છે. તેમણે મરાઠીમાં સાત નવલકથાઓ લખી છે, જેમાં ‘ગોંડવનાતીલા પ્રિયંવદા’, ‘બ્રાહ્મણકન્યા’ અને ‘વિચક્ષણ’ મુખ્ય છે. તેમણે મહારાષ્ટ્ર જ્ઞાનકોશના ચાર ખંડો અને 23 ભાગ આપ્યા છે. તેમણે ગુજરાતી જ્ઞાનકોશ તૈયાર કરવાની યોજના બનાવી હતી. ગુજરાતી જ્ઞાનકોશનો પ્રથમ ગ્રંથ 1929માં પ્રકાશિત થયો, પરંતુ તે પછી આગળ કામ થયું નહિ. તેમણે એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ સહયોગ આપ્યો હતો.