Categories
વાચન સમૃદ્ધિ

શેખ આદમ આબુવાલા

જ. ૧૫ ઑક્ટોબર, ૧૯૨૯ અ. ૨૦ મે, ૧૯૮૫

કવિ અને નવલકથાકાર તરીકે જાણીતા શેખ આદમ આબુવાલાનું પૂરું નામ આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી વિષય સાથે તેઓ એમ.એ. થયા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કરી હતી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે તેઓ મૉસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને જર્મની ગયા. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી તેઓ પશ્ચિમ જર્મનીમાં રહ્યા. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિંદુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કરેલું. ભારત પરત આવ્યા પછી પત્રકાર તરીકે રહ્યા. ‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘અજંપો’, ‘હવાની હવેલી’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘તાજમહાલ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. રાજકીય અને સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધપાત્ર છે. ગઝલના સ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. તેમણે પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી હતી. તેઓ ભારતઝુરાપો એમની ગઝલોમાં વ્યક્ત કરતા રહ્યા હતા. તેમની પાસેથી ‘તમન્ના તમાશા’, ‘તું એક ગુલાબી સપનું છે’, ‘આયનામાં કોણ છે ?’ વગેરે મળી સાતેક નવલકથાઓ મળી છે. તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાતો’ નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ એ તેમનું આત્મકથાત્મક પુસ્તક છે. વળી તેમણે ઉર્દૂમાં પણ ગઝલસંગ્રહો આપ્યા છે. ‘દીવાને આદમ’ (૧૯૯૨) એ તેમની સમગ્ર કવિતાનો સંચય છે. અમદાવાદમાં આંતરડાની બીમારીથી તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ

જ. ૧૪ ઑક્ટોબર, ૧૯૫૦ અ. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧

માત્ર છ માસની લશ્કરી કારકિર્દીમાં શહીદ થનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલનો જન્મ પુણેમાં થયો હતો. પિતા મદનલાલ ભારતીય સેનામાં એન્જિનિયર હતા. સનાવરની લૉરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૭માં ખડકવાસલાની નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. તાલીમ પૂર્ણ કરી ૧૩ જૂન, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ સ્ક્વૉડ્રનનું કમાન્ડિંગ કરી રહ્યા હતા. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ૧૭મી પૂના હોર્સની બ્રાવો ટૅન્ક સ્ક્વોડ્રન તેમજ ૩જી ગ્રેનેડિઅર્સ સૈનિક ટુકડી પર પાકિસ્તાની દળોએ જોરદાર આક્રમણ કરતાં ૧૭મી પૂના હોર્સની આલ્ફા ટૅન્ક સ્ક્વૉડ્રનના ખેતરપાલ જરપાલ તરફ જવા નીકળ્યા. રસ્તામાં તેમના પર પાકિસ્તાની દળોએ ફાયરિંગ કર્યું. ખેતરપાલ ટૅન્કમાંથી ગોળા ફેંકતા દુશ્મનો તરફ આગળ વધતા રહ્યા. દુશ્મન પાસે પહોંચી તેઓ ટૅન્કમાંથી બહાર નીકળ્યા અને પાકિસ્તાની સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા અને શસ્ત્રસરંજામ કબજે કર્યો. આગળ વધતાં પાકિસ્તાનની ૧૪ ટૅન્કો સાથે યુદ્ધ થયું. તેમણે ૧૦ ટૅન્કોનો નાશ કર્યો. દુશ્મનની ટૅન્કનો એક ગોળો ખેતરપાલની ટૅન્ક પર પડ્યો. ટૅન્કની સપાટી પરથી આગની જ્વાળા નીકળવા માંડી. ખેતરપાલને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ તેમણે બાકીની ચાર ટૅન્કો તરફ આગેકૂચ કરી. તેમણે બે ટૅન્કોનો નાશ કર્યો. પાકિસ્તાની સૈનિકો રણભૂમિ છોડી નાસી ગયા. એ દરમિયાન એક ગોળો ટૅન્ક પર પડ્યો. ટૅન્કમાંના ડ્રાઇવર, ઑપરેટર અને તોપચી જખમી થયા. ખેતરપાલ ગંભીર રીતે ઘવાયા હોવા છતાં ફાયરિંગ કરતા રહીને દુશ્મનની ટૅન્ક તરફ ધસી ગયા. ખેતરપાલની ટૅન્કમાંથી ગોળો છૂટે એ પહેલાં જ દુશ્મનની ટૅન્કનો ગોળો આવ્યો. અસંખ્ય કરચો તેમના પેટમાં ઘૂસી ગઈ. સાથળમાં ઘણા ઘા થયા. પગનું હાડકું ભાંગી ગયું અને તેઓ શહીદ થયા. ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અસાધારણ બહાદુરી માટે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો. પરમવીરચક્ર મેળવનાર તેઓ સૌથી નાની ઉંમરના સૈનિક છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

ભૂલાભાઈ દેસાઈ

જ. ૧૩ ઑક્ટોબર, ૧૮૭૭ અ. ૬ મે, ૧૯૪૬

વિદ્વાન વકીલ અને સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈનો જન્મ અનાવિલ પરિવારમાં થયો હતો. પિતા જીવણજી અને માતા રમાબાઈ. તેમણે શાળેય શિક્ષણ વલસાડની અવાબાઈ હાઈસ્કૂલ અને મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ સ્થાને પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવી વર્ડ્ઝવર્થ પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. નોકરી દરમિયાન એલએલ.બી. થયા. ૧૯૦૫માં મુંબઈમાં વકીલાત શરૂ કરી. ૧૯૧૬માં તેઓ હોમરૂલ લીગમાં જોડાયા. થોડાં વર્ષો લિબરલ પાર્ટીના સભ્ય પણ રહ્યા. ૧૯૨૮માં ભારતમાં બંધારણીય સુધારાઓ માટેના સાયમન કમિશનનો તેમણે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ તેમણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કરી જોરદાર રજૂઆત કરી જેથી ખેડૂતોને લાભ થયો. તેઓ ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાયા. વિલાયતી માલના બહિષ્કાર માટે મુંબઈ સ્વદેશી સભાની સ્થાપના કરી. સરકારે ૨૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. ૧૯૩૪-૩૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને ભારતીય સૈનિકોના સમાવેશનો તેમણે વિરોધ કર્યો. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, આથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને દસ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૫માં વચગાળાની સરકારની રચના માટે તેમણે મુસ્લિમ લીગના લિયાકત અલીખાન સાથે વાટાઘાટો કરી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના શાહ નવાઝખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરુબક્ષસિંહ ધિલ્લોન પર રાજદ્રોહના કેસમાં તેમણે બચાવપક્ષના વકીલ તરીકે અભ્યાસપૂર્ણ દલીલો કરી હતી. મોતીલાલ સેતલવાડે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. મુંબઈમાં તેમના નામે રોડનું નામાભિકરણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ