Categories
વાચન સમૃદ્ધિ

મેજર શૈતાનસિંહ ભાટી

જ. 1 ડિસેમ્બર, 1924 અ. 18 નવેમ્બર, 1962

ચીન સાથેના યુદ્ધ સમયે અજોડ પરાક્રમ કરનાર મેજર શૈતાનસિંહનો જન્મ જોધપુર જિલ્લાના બંસાર ગામમાં થયો હતો. પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમસિંહ અને માતા જવાહરકુંવર. પિતાને બ્રિટિશ સરકારે ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર(OBE)થી સન્માનિત કર્યા હતા. ચોપાસણીની રાજપૂત હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જોધપુરની જશવંત કૉલેજમાંથી સ્નાતક થયા. તેઓ સારા ફૂટબૉલ ખેલાડી હતા. સ્નાતક થયા પછી જોધપુર સ્ટેટના દળમાં અધિકારી તરીકે જોડાયા. આઝાદી પછી જોધપુર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું, આથી તેમને કુમાઉ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. તેમણે 1961માં ‘નાગા હિલ્સ ઑપરેશન’ અને ગોવાના ભારતમાં જોડાણ માટે ‘ઑપરેશન વિજય’માં ભાગ લીધો હતો.  તેમને 1955માં કૅપ્ટન અને 1962માં મેજરના પદ પર બઢતી આપવામાં આવી હતી. 1962માં ચીન સાથેના યુદ્ધ વખતે કુમાઉ રેજિમેન્ટની 13મી બટાલિયનની સી કંપની રેઝાંગ લા ખાતે તૈનાત હતી. મેજર શૈતાનસિંહ તેનું નેતૃત્વ કરતા હતા. 18 નવેમ્બર, 1962ની સવારે પાંચ વાગ્યે ચીની લશ્કરે હુમલો કર્યો, જેમાં ઘણા ચીની સૈનિકો માર્યા ગયા. એ પછી સવારે 5:40 વાગ્યે આગળની અને પાછળની બાજુઓથી ચીની સૈનિકોએ ફરી હુમલો કર્યો. આ હુમલામાંથી 7મી અને 8મી પ્લાટૂનના બધા સૈનિકો શહીદ થયા. યુદ્ધ દરમિયાન શૈતાનસિંહ ભારતીય પોસ્ટ વચ્ચે સંકલન કરી સૈનિકોને પ્રોત્સાહન આપતા હતા. ચીની સૈનિકોમાં મોટી સંખ્યા હતી અને ભારતીય જવાનો ઓછા હતા. તેઓ એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ પર જતા હતા ત્યારે દુશ્મનની ગોળીથી ઘવાયા. તેમના હાથ અને પગમાં ગોળીઓ વાગી. તેમણે સાથીઓને આગળ વધવા કહ્યું. ભારતીય સૈનિકો છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આ યુદ્ધમાં 123 ભારતીય સૈનિકોમાંથી 109 શહીદ થયા. યુદ્ધવિરામ પછી રોઝાંગ લા વિસ્તાર No man’s land જાહેર થયો. ત્રણ મહિના પછી મેજર શૈતાનસિંહ અને સાથી સૈનિકોના બરફથી ઢંકાયેલા મૃતદેહો મળી આવ્યા. તેમના પાર્થિવ દેહને જોધપુર લાવવામાં આવ્યો અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુદ્ધમાં તેમણે દર્શાવેલ બહાદુરીભર્યું પરાક્રમ અને ફરજનિષ્ઠા બદલ 1963માં તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની સ્મૃતિમાં તેમના બંસાર ગામનું નામ શૈતાનસિંહનગર કરવામાં આવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

વિન્સ્ટન ચર્ચિલ

જ. 30 નવેમ્બર, 1874 અ. 24 જાન્યુઆરી, 1965

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન, સમર્થ રાજપુરુષ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર વિન્સ્ટન ચર્ચિલનો જન્મ વુડસ્ટોક, લંડનમાં થયો હતો. પિતા રૅન્ડોલ્ફ ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ હેરો અને સેન્ડહર્સ્ટ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ 1895માં લશ્કરમાં જોડાયા. 1900માં તેઓ ઓલ્ડમમાંથી રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે આમસભામાં જોડાયા, પરંતુ 1906માં ઉદારમતવાદી પક્ષમાં ભળ્યા. 1908માં તેમને ગૃહખાતાનો હવાલો સોંપવામાં આવ્યો. 1911માં ચર્ચિલને નૌકાખાતામાં (ફર્સ્ટ લૉર્ડ ઑવ્ એડમિરલ્ટી) તરીકે મૂકવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેનાપતિ લૉર્ડ ફિશર સાથે મતભેદ થતાં રાજીનામું આપી લશ્કરમાં જોડાયા. ફ્રાન્સની ભૂમિ પર જર્મની સામે લડવા પણ ગયા. સમય જતાં ઉદારમતવાદી પક્ષ સાથે પણ મતભેદો થતાં ફરી રૂઢિચુસ્ત પક્ષમાં જોડાયા. 1924માં પક્ષના ઉમેદવાર તરીકે આમસભામાં ચૂંટાયા અને બોલ્ડવિન પ્રધાનમંડળમાં તેમને નાણાખાતું સોંપાયું. તેમણે દેશમાં સોનાનું ચલણ ફરી શરૂ કર્યું. કરવેરામાં ફેરફારો કરી દેશના અર્થતંત્રને યુદ્ધની અસરમાંથી મુક્ત કરી ફરી ચેતનવંતું બનાવ્યું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં વડાપ્રધાન નેવિલના પ્રધાનમંડળમાં તેમને નૌકાખાતું સોંપવામાં આવ્યું. 1940માં નેવિલે રાજીનામું આપતાં ચર્ચિલ બ્રિટનના વડાપ્રધાન બન્યા. તેઓ 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડ અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં તથા હિટલરના ભયની સામે લોકોનું દેશાભિમાન જગાડવામાં તેમનો મોટો ફાળો હતો. તેમણે દેશને વિજય અપાવવા માટે આપેલો સંકેત V (V for victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો. તેઓ યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તાઓમાંના એક ગણાતા. 1951ની ચૂંટણીમાં ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ વિજયી બનતાં 77 વર્ષની વયે પ્રધાનમંડળની રચના કરી. તેમણે લખેલ આત્મકથાત્મક યુદ્ધ-સંસ્મરણો ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ વિશ્વસાહિત્યમાં નોંધપાત્ર બની રહ્યું અને મુખ્યત્વે એ માટે જ 1953માં તેમને સાહિત્ય નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયા

જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.