Categories
વાચન સમૃદ્ધિ

ઍંજલ્સ ફ્રેડરિક

જ. 28 નવેમ્બર, 1820 અ. 5 ઑગસ્ટ, 1895

જર્મન સમાજવાદી ચિંતક અને કાર્લ માર્કસના નિકટના સાથી ઍંજલ્સ ફ્રેડરિકનો જન્મ બાર્મેન પ્રુશિયામાં એક પૈસાદાર કુટુંબમાં થયો હતો. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટા ભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે કાર્લ માર્કસ સાથે પ્રથમ મુલાકાત થઈ જે આધુનિક સામ્યવાદી વૈજ્ઞાનિક વિચારસરણીના ઘડતરમાં નિર્ણાયક સાબિત થઈ. ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક તરીકે ઍંજલ્સ પ્રખ્યાત બન્યા. માર્કસે સંપાદિત કરેલા ઍંજલ્સના બે લેખો જર્મન ફ્રેન્ચ ઇયર બુકમાં પ્રકાશિત થયા હતા. માન્ચેસ્ટર અને સાલફોર્ડ જેવાં ઇંગ્લૅન્ડનાં ઔદ્યોગિક નગરોમાં વસતા કામદાર વર્ગની હાલાકી તથા કંગાલિયતનું પ્રત્યક્ષ અવલોકન કરવાની તેમને તક મળી હતી. જે તેમના પુસ્તક ‘ધ કન્ડિશન ઑવ્ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લૅન્ડ, ઍન્ટિ દુહરિંગ(Anti Duhring)માં સ્પષ્ટપણે દેખાય છે. તેમના ‘ઓરિજિન ઑવ્ ધ ફૅમિલી પ્રાઇવેટ પ્રોપર્ટી ઍન્ડ ધ સ્ટેટ’માં ખાનગી મિલકત તથા પુરુષવર્ગના વર્ચસ પર આધારિત સમાજવ્યવસ્થામાં સ્ત્રીવર્ગની પરાધીનતા વખોડી કાઢવામાં આવી છે. ‘ધ હોલિ ફૅમિલી’ (1845), ‘ધ જર્મન આઇડિયોલૉજી’ (1845) તથા ‘ધ કૉમ્યુનિસ્ટ મૅનિફેસ્ટો’ (1848) એ ત્રણ માર્કસ તથા ઍંજલ્સની સંયુક્ત કૃતિઓ છે. ઉપરાંત ‘ફ્રેડરિક ઓસ્વાલ્ડ’ તખલ્લુસથી ઍંજલ્સે લખેલા ઘણા લેખો તત્કાલીન વર્તમાનપત્રો તથા સામયિકોમાં પ્રકાશિત થયા હતા. માર્કસના અવસાન (1883) પછી તેના શકવર્તી ગ્રંથ ‘દાસ કૅપિટલ’ના બીજા તથા ત્રીજા ભાગને માર્કસનાં કાચાં લખાણોને આધારે સંકલિત અને સંપાદિત કરી પ્રકાશિત કરવામાં ઍંજલ્સે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્લ માર્કસમાં તલસ્પર્શી વિશ્લેષણ કરવાનું કૌશલ્ય હતું તો ઍંજલ્સમાં કુશાગ્ર બુદ્ધિમત્તા, પ્રખર પાંડિત્ય તથા કામદારવર્ગની તત્કાલીન પરિસ્થિતિનું સ્વાનુભવ પર આધારિત ભાથું હતું. બંનેના સંયુક્ત પ્રયાસથી જ વૈજ્ઞાનિક સમાજવાદ(માર્કસવાદ)ની વિચારસરણીનો જન્મ થયો છે. ઍંજલ્સને માર્કસના વૈચારિક ઉત્તરાધિકારી ગણવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હરિવંશરાય બચ્ચન

જ. 27 નવેમ્બર, 1907 અ. 18 જાન્યુઆરી, 2003

હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમજ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ અલાહાબાદ પાસે પ્રતાપગઢ જિલ્લામાં એક નાના ગામ બાબૂપટ્ટીમાં થયેલો. તેમનું મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ. તેઓનો જન્મ કાયસ્થ પરિવારમાં થયેલો. તેમને બાળપણમાં ‘બચ્ચન’ (જેનો અર્થ બાળક કે સંતાન) કહેવામાં આવતા. આ શબ્દ તેમણે પોતાના તખલ્લુસ તરીકે રાખ્યો. વળી મોટા પુત્ર અમિતાભના શાળાપ્રવેશ સમયે તેમણે પોતાની જ્ઞાતિ ન જણાવવા આ ‘બચ્ચન’ શબ્દને અટક તરીકે જ રાખ્યો. આરંભમાં તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનું શિક્ષણ લીધું, પછી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ત્યારબાદ સેંટ કૈથરીન કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને ત્યારપછી થોડો સમય આકાશવાણીમાં કાર્ય કરી પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા. તેઓ હિન્દુસ્તાની અને અવધી ભાષામાં પણ પારંગત હતા. 1935માં ‘તેરા હારા’ તેમનું પ્રથમ પ્રકાશન હતું પણ તેમને ‘મધુશાલા’ની રચનાઓને કારણે અગ્રસ્થાન મળ્યું. 1936માં તેમણે ‘મધુબાલા’ તથા 1937માં ‘મધુકલશ’ના કવિતાસંગ્રહ બહાર પાડ્યા. તેમની રચનાઓમાં ઉમર ખય્યામની રુબાયતોનો પ્રભાવ જોવા મળે છે. ‘નિશા નિમંત્રણ’ (1938) અને ‘એકાન્ત સંગીત’ (1937) નામના કાવ્યસંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘આકુલ અંતર’ (1943), ‘સતરંગિની’ (1945), ‘હલાહલ’ (1946) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે. આ ઉપરાંત તેમના આત્મચરિત્ર ગ્રંથો જેમાં પ્રથમ ખંડ ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’(1960)માં પ્રથમ પત્નીના અવસાન સમયની વ્યથા-કથા, બીજા ખંડ ‘નીડર કા નિર્માણ’ (1970), ત્રીજા ખંડ ‘બસૈર સે દૂર’(1977)માં દેશ-નગર-પરિવારથી દૂર કેમ્બ્રિજમાં સંશોધન અને ચોથા ખંડ ‘દશદ્વાર અને સોપાન’માં અનેક રોચક વર્ણનો છે. આ ઉપરાંત ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબૅથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેઓ 1952થી અલાહાબાદ રાજ્યસભાના મનોનીત સભ્ય હતા અને તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાન માટે અનેક સન્માન પણ આપવામાં આવેલાં જેમાં 1976માં ‘પદ્મભૂષણ’ પારિતોષિક ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.