Categories
વાચન સમૃદ્ધિ

પ્રહલાદ પારેખ

જ. ૧૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌંદર્યનિષ્ઠ કવિતાના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયેલા પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ મંગળાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધેલું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના વ્યક્તિત્વઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો. જેલવાસ ભોગવ્યો. ફરી અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષા પાસ કરી. પછી વધુ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ ભણ્યા. ત્યાં રવીન્દ્રનાથના સહવાસને કારણે કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. ૧૯૪૫થી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં જોડાયા અને છેક સુધી ત્યાં રહ્યા. રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તેમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા એ નવીન કવિતાનું એક લક્ષણ ગણાય છે. એ પછી તેમની પાસેથી ૧૯૪૮માં ‘સરવાણી’ નામે ગીતસંગ્રહ મળે છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહીને વખાણી છે. ‘ગુલાબ અને શીવલી’ એ ભાઈ-બહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલીક નવલકથાઓના અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમણે આપેલી પરિચયપુસ્તિકા છે. તેમણે લાંબી બાળવાર્તાઓ અને ‘તનમનિયાં’માં બાળકાવ્યો પણ આપ્યાં છે.

તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

જ. ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ અ. ૧ ફેબ્રુઆરી, ૧૯૬૯

શિક્ષણશાસ્ત્રી, લેખક, સંપાદક અને ગાંધીવાદી મગનભાઈ દેસાઈનો જન્મ ધર્મજમાં પાટીદાર કુટુંબમાં થયો હતો. શાળેય શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા, પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કૉલેજ છોડી. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેમણે બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના અધ્યાપક બન્યા. સવિનય કાનૂનભંગની લડતમાં લોકમત કેળવવાનું કાર્ય કર્યું. ૧૯૩૨માં અંગ્રેજ સરકારે ગૂજરાત  વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી, પછી મગનભાઈને જેલવાસ થયો. તેમણે એક વર્ષ માટે વર્ધા મહિલા આશ્રમનું સંચાલન અને શિક્ષણ કર્યું. ૧૯૩૭થી ૧૯૬૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા. તેઓ ૧૯૪૬થી ૧૯૫૩ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ૧૯૪૬માં નવજીવન ટ્રસ્ટના સભ્ય અને ૧૯૪૭માં ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. તેઓ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ૧૯૬૦માં રાજીનામું આપ્યું. ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં ૧૯૬૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું. તેઓ અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા. શિક્ષણશાસ્ત્રી ઉપરાંત તેઓ પત્રકાર-સંપાદક પણ હતા. તેમણે ૧૯૩૯માં ‘શિક્ષણ અને સાહિત્ય’ નામનું સામયિક શરૂ કર્યું અને ૧૯૬૧ સુધી તેના તંત્રી રહ્યા. આ ઉપરાંત તેઓ અન્ય સામયિકોના પણ તંત્રી હતા. તેમણે ઘણાં પુસ્તકો અને અનુવાદો આપ્યાં છે. ‘દારૂનિષેધ અને સ્વરાજ’, ‘સત્યાગ્રહની મીમાંસા’, ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’, ‘મેકૉલે કે ગાંધી ?’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં હતાં. પ્રાથમિકથી યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એવા આગ્રહ માટે તેઓ જાણીતા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાસાગર આચાર્ય

જ. ૧૦ ઑક્ટોબર, ૧૯૪૬ અ. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

એક પ્રભાવશાળી ભારતીય દિગંબર જૈન આચાર્ય. કન્નડભાષી જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ મલ્લપ્પા હતું. પિતા પછીથી મુનિ મલ્લિસાગર બનેલા. માતાનું નામ શ્રીમતી. સમય જતાં તેઓ આર્યિકા સમયમતિ બન્યાં હતાં. બાળપણનું નામ વિદ્યાધર હતું. ૧૯૬૮માં તેમને ૨૨ વર્ષની ઉંમરે અજમેરમાં આચાર્ય જ્ઞાનસાગરે દિગંબર સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેઓ આચાર્ય શાંતિસાગરના વંશના હતા. તેમનાં માતા, પિતા, બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેમના ભાઈઓ પણ તેમના અનુસરણમાં આવ્યા અને તેમને પણ દીક્ષા આપવામાં આવી. આચાર્ય વિદ્યાસાગરે દિગંબર જૈન ધર્મમાં શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પુનરુત્થાનનું કાર્ય કરેલું. તેઓ નાનાં ભાઈ-બહેનોને ધર્મના સિદ્ધાંતો શીખવતા. ૧૯૭૨માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેઓ વિહાર કરતા હોય ત્યારે સંઘનું નેતૃત્વ કરતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષાના જાણકાર હતા. તેમના લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘નર્મદા કા નરમ કંકર’, ‘ડૂબા મત લગાઓ ડૂબકી’, ‘તોતા રોતા ક્યોં ?’, ‘મૂક માટી’ આદિ કાવ્યરચનાઓ; ‘ગરુવાણી’, ‘પ્રવચન પારિજાત’, ‘પ્રવચન પ્રમેય’ તેમનાં પ્રવચનસંગ્રહનાં પુસ્તકો છે. તેમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજીએ એમની જીવનકથા ‘આત્માન્વેષી’ નામે લખી છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મુનિ પ્રણમ્યાસાગરજીએ તેમના જીવન પર ‘અનાસક્ત મહાયોગી’ નામે કાવ્યની રચના કરી છે. આચાર્ય વિદ્યાસાગરે પ્રતિભાસ્થલી ખાતે જ્ઞાનોદય વિદ્યાપીઠ નામે છોકરીઓ માટે શાળા ખોલી હતી. ૨૦૧૮માં તેમની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી નિમિત્તે અજમેર, રેવા, શ્રવણબેલગોલા અને અન્ય સ્થળોએ સ્મારક સ્તંભો બનાવવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ કરવા માટે સદાય ઉત્સુક રહેતા અને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્રકામ કરતા હતા. તેમને અનાસક્ત યોગી, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, સંત શિરોમણિ કહેવામાં આવે છે

નલિની દેસાઈ