Categories
વાચન સમૃદ્ધિ

એ. કે. હંગલ

જ. 1 ફેબ્રુઆરી, 1914 અ. 26 ઑગસ્ટ, 2012

ભારતીય હિન્દી સિનેમાના ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ એક આગવી ઓળખ ધરાવે છે. એમનું મૂળ નામ અવતાર ક્રિષ્ણ હંગલ હતું. તેઓ જન્મે કાશ્મીરી પંડિત હતા. પિતા સ્વાતંત્ર્યસેનાની હોવાને કારણે દેશભક્તિના સંસ્કાર એમને બાળપણથી જ પ્રાપ્ત થયા હતા. તેઓ ફિલ્મજગતમાં આવતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાની તરીકે સતત સક્રિય રહ્યા. અર્થોપાર્જન માટે દરજીકામથી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ અભિનય પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. 1936માં કરાંચીમાં શ્રી સંગીત પ્રિયા મંડળમાં જોડાયા, જ્યાં વિવિધ નાટકોમાં અભિનય કર્યો. મિત્રોના પ્રભાવથી માર્કસવાદી વિચારધારા અપનાવી. સામ્યવાદી ચળવળોની પ્રવૃત્તિઓને કારણે કારાવાસ પણ ભોગવવો પડ્યો. કારાવાસમાંથી મુક્ત થયા પછી મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં અભિનય માટે ઇપ્ટા સંસ્થા સાથે જોડાયા. જીવનનાં પચાસ વર્ષ પછી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1966માં બાસુ ભટ્ટાચાર્યના દિગ્દર્શનમાં ફિલ્મ ‘તીસરી કસમ’માં અભિનય કર્યો. ‘શાગિર્દ’, ‘આઈના’, ‘શોલે’, ‘શૌકીન’, ‘નમકહરામ’, ‘બાવર્ચી’, ‘અર્જુન’, ‘આપ કી કસમ’, ‘અવતાર’ જેવી લગભગ 225 ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પાત્રો ભજવ્યાં. 2001માં ફિલ્મ ‘લગાન’માં તેમનો અભિનય ધ્યાનાકર્ષક રહ્યો. 2008 સુધી એમની અભિનયયાત્રા ચાલુ રહી. 2008માં સિરિયલ ‘ક્રિષ્ણ ઔર કંસ’માં મહારાજા ઉગ્રસેનના પાત્રને એમણે અવાજ આપ્યો. 2008માં ‘હમસે હૈ ઝમાના’ ફિલ્મમાં અભિનય કરીને અભિનયક્ષેત્રે સંન્યાસ લીધો. 91 વર્ષે ફૅશન શોમાં વ્હિલચૅર ઉપર બેસીને રેમ્પ વૉક કરીને એક આગવી ઓળખ પણ આપી. 2006માં ભારત સરકારે એમને પદ્મભૂષણ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા. એ. કે. હંગલ સદા એક સંસ્કારી, નીતિવાન, આદર્શ વ્યક્તિના પાત્રમાં ભાવકોના હૃદયમાં સદાય બિરાજમાન રહેશે. 98 વર્ષની ઉંમરે ઉંમરાધીન વ્યાધિઓ અને ફૅક્ચર થવાને કારણે તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર સોમનાથ શર્મા

જ. 31 જાન્યુઆરી, 1923 અ. 3 નવેમ્બર, 1947

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થનાર મેજર સોમનાથ શર્માનો જન્મ કાંગડામાં થયો હતો. તેમના દાદા મોહનલાલ કાશ્મીરના મહારાજા ગુલાબસિંહની સેનાના યોદ્ધા હતા. પિતા અમરનાથ ડૉક્ટર હતા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતાં ભારતીય સૈનિકોની સારવાર માટે પ્રૅક્ટિસ છોડી અને લશ્કરમાં જોડાયા હતા. માતા સરસ્વતી પ્રથમ વિશ્વયુદ્ધની કથાઓ સંભળાવતી હતી. કૉલેજશિક્ષણ પૂર્ણ કરી તેઓ 1941માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા. તેઓ બ્રિટિશ હિંદની સેના વતી બર્મા મોરચે લડ્યા હતા. અરાકાન મોરચે સફળતા બદલ તેમને મેન્શન્ડ ઇન ડિસ્પેચિસ ચંદ્રક આપવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે તેઓ દિલ્હીમાં હતા. તેમના હાથે ફ્રૅક્ચર થયું હતું. તેમણે મોરચા પર જવા માટે જીદ કરી. 4થી કુમાઉં બટાલિયનની ટુકડી સાથે તેઓ શ્રીનગર પહોંચ્યા. 3 નવેમ્બર, 1947ના રોજ 700 જેટલા પાકિસ્તાની સૈનિકોએ બડગામ સરહદે હુમલો કર્યો ત્યારે ડેલ્ટા કંપનીમાં 90 સૈનિકો હતા. મેજર શર્માએ જવાનોનો જુસ્સો વધાર્યો. દુશ્મનોને માર્યા. આથી બીજું આક્રમણ આવ્યું. ડેલ્ટા કંપનીના સૈનિકો ઘાયલ થયા. જવાનોને શસ્ત્રસરંજામ પૂરો પાડવા દોડધામ કરી. દુશ્મનો નજીક આવતાં તેમને પીછેહઠ કરવાનો આદેશ મળ્યો, છતાં તેમણે લડવાનું નક્કી કર્યું. આપણા શસ્ત્રાગાર પાસે દુશ્મનની તોપનો ગોળો આવ્યો. દારૂગોળો ફાટ્યો એ સાથે જ મેજર સોમનાથ શર્મા શહીદ થયા. તેમની સૂઝબૂઝને કારણે શ્રીનગરની હવાઈ પટ્ટી પાકિસ્તાનના હાથમાં જતાં બચી હતી. ભારત સરકારે 21 જૂન, 1950ના રોજ તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો હતો. પરમવીરચક્ર મેળવનાર તેઓ પ્રથમ હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જયશંકર પ્રસાદ

જ. 30 જાન્યુઆરી 1889 અ. 14 જાન્યુઆરી 1937

આધુનિક હિન્દી સાહિત્યના અગ્રણી સર્જક નવલકથાકાર, વાર્તાકાર અને કવિ. જન્મ વારાણસીમાં થયો હતો. પિતાનું નામ દેવીપ્રસાદ સાહુ. પિતા તમાકુ અને છીંકણીનો વ્યવસાય કરતા હતા. નાનપણમાં જ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. પછીથી ઘરે રહીને પાલિ, પ્રાકૃત, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનું અધ્યયન કર્યું. એમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન સાહિત્ય અને પુરાણકથાઓનો સ્વાધ્યાય પણ કરેલો. પહેલી વાર 9 વર્ષની ઉંમરે ‘કલાધર’ ઉપનામથી વ્રજ ભાષામાં સવૈયા છંદની રચના કરી. નવ વર્ષની ઉંમરે ‘અમરકોશ’ અને ‘લઘુકૌમુદી’ બંને કંઠસ્થ કરી લીધાં હતાં. ‘પ્રસાદ’ તેમનું ઉપનામ હતું. તેઓ છાયાવાદી કવિ તરીકે જાણીતા હતા. સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા અને સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’ને છાયાવાદી સર્જક તરીકે ગણવામાં આવે છે તેમાં જયશંકર પ્રસાદને એમની સાથે મૂકવામાં આવ્યા છે. હિન્દી સાહિત્યમાં છાયાવાદી વલણને મહત્ત્વ આપનાર લેખક હતા. મહાકવિ તરીકે જયશંકર પ્રસાદ હિન્દી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચિત્રધર’ હિન્દી બોલી અને વ્રજ ભાષામાં લખાયેલો છે. 1909ની આસપાસ ‘ઇન્દુ’ નામની માસિક પત્રિકામાં ખડી બોલી હિંદીમાં રચાયેલી એમની કાવ્યકૃતિઓ પ્રગટ થવા લાગી. બીજા અનેક કાવ્યસંગ્રહો તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. એમની કવિતામાં વિષયનું વૈવિધ્ય પણ જોવા મળે છે. એમની નવલકથાઓ ‘કંકાલ’માં નૈતિક અનિષ્ટ અને સમાજની આધ્યાત્મિકને વિષયવસ્તુ તરીકે નિરૂપી આપ્યાં છે, ‘તિતલી’માં ગાંધીનો પ્રભાવ જોઈ શકાય છે અને ‘ઇરાવતી’ એમની અધૂરી રહેલી ઐતિહાસિક નવલકથા છે. એમણે લખેલાં નાટકોમાં ‘એક ઘૂંટ’, ‘સ્કંદગુપ્ત’, ‘ચંદ્રગુપ્ત’, ‘ધ્રુવસ્વામિની’ અને ‘રાજ્યશ્રી’ છે. નાટકનાં શીર્ષકો જોતાં જ એમ લાગે કે એનું કથાવસ્તુ ઇતિહાસ અને પુરાણમાંથી લીધું હશે. એમના વાર્તાસંગ્રહો ‘આકાશદીપ’, ‘આંધી’, ‘છાયા’, ‘પ્રતિધ્વનિ’ અને ‘ઇન્દ્રજાલ’ વિવિધ વર્ગોનાં વિશિષ્ટ પાત્રોના ભાવસંઘર્ષોનું કાવ્યાત્મક ભાષામાં નિરૂપણ કરતી વાર્તાઓ છે. ‘કાવ્યકલા ઔર અન્ય નિબંધ’ એમનો મરણોત્તર પ્રકાશિત વિવેચનગ્રંથ છે. એમના કાવ્યસંગ્રહ ‘કામાયની’ને મંગલાપ્રસાદ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.