Categories
વાચન સમૃદ્ધિ

જયા દેસાઈ

જ. 2 એપ્રિલ, 1933 અ. 23 ડિસેમ્બર, 2010

ગુજરાત મૂળનાં બ્રિટનનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા જયાબહેનનો જન્મ આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં થયો હતો. 22 વર્ષની ઉંમરે સૂર્યકાંત સાથે લગ્ન થયાં. 1956માં પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં ગયાં. ત્યાંથી 1967માં બ્રિટનમાં આવ્યાં. તેમણે બ્રિટનમાં સીવણ મશીન કામદાર તરીકે કાર્ય કર્યું, પછી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરીમાં જોડાયાં. અહીં એશિયન મહિલાઓની સંખ્યા વધુ હતી. તેમને ઓછો પગાર આપી વધુ કામ કરાવવામાં આવતું. ભારે વજન ઊંચકવા જેવાં કામ પણ મહિલાઓએ કરવાં પડતાં. રેસ્ટરૂમમાં જવા માટે પણ પરવાનગી લેવી પડતી. ફરજિયાત ઓવરટાઇમ કરાવવામાં આવતો. 20 ઑગસ્ટ, 1976ના રોજ જયાબહેનને ઑવરટાઇમ કરવાની સૂચના આપવામાં આવી. અગાઉથી જાણ કરી ન હોવાથી તેમણે ના પાડી અને પુત્ર સુનિલ સાથે નીકળી ગયાં. મૅનેજર સાથે બોલાચાલી થતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ફૅક્ટરી નથી, પ્રાણીસંગ્રહાલય છે. અહીં કેટલાક વાંદરાઓ છે જે તમારે ઇશારે નાચે છે. બાકીના સિંહ છે. અમે સિંહ છીએ. કામદારોમાં વાત ફેલાતાં થોડા દિવસોમાં બીજા કામદારો પણ વિરોધમાં જોડાયા. ગ્રુનવિકમાં યુનિયનને મંજૂરી નહોતી. જયાબહેનનો પુત્ર સુનિલ મજૂર પક્ષના આગેવાનને મળ્યો. તેમણે એપેક્સ યુનિયનનો સંપર્ક કરાવ્યો. આથી કામદારોને હડતાળનો પગાર મળ્યો. એક વર્ષ પૂરું થતાં સુધીમાં 20,000થી વધુ લોકો સમર્થનમાં આવ્યા. હડતાળના સમાધાન માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. તેણે હડતાળને વાજબી ગણાવી. ફૅક્ટરીના માલિકે ન માન્યું. યુનિયનોએ પણ પીછેહઠ કરી. આથી હડતાળ સમેટવી પડી. એ પછી જયાબહેને બીજે નોકરી કરી. ત્યારબાદ હૅરો કૉલેજમાં અધ્યાપન કર્યું. 60 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી. 14 ડિસેમ્બર, 2016ના રોજ ‘બીબીસી રેડિયો ફોર’ના વુમન્સ અવર દ્વારા 2016ના પાવર લિસ્ટમાં જયાબહેનનો સમાવેશ કરવામાં આવ્યો. ડેવિડ મેન્સેલે જયાબહેનનું પૉર્ટ્રેટ બનાવ્યું હતું. જે નૅશનલ પૉર્ટ્રેટ ગૅલરી, લંડને ખરીદ્યું. હડતાળ પર આધારિત નાટક ‘વી આર ધ લાયન્સ મિસ્ટર મૅનેજર’ ટાઉનસેન્ડ થિયેટર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમના કાર્ય વિશે એક કૉમિક સ્ટ્રિપ બનાવવામાં આવી. જયાબહેન અને ગ્રુનવિક હડતાળ અંગેની ડૉક્યુમેન્ટરી યૂ-ટ્યૂબ પર 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘સ્ટ્રાઇકર્સ ઇન સારીસ’ પ્રસારિત કરવામાં આવી. 2007માં તેમને GMB જનરલ ટ્રેડ યુનિયન દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ઑટો વૉન બિસ્માર્ક

જ. 1 એપ્રિલ, 1815 અ. 30 જુલાઈ, 1897

જર્મન સામ્રાજ્યના સર્જક, પ્રથમ ચાન્સેલર અને તે સમયના પ્રશિયાના વડાપ્રધાન બિસ્માર્કનો જન્મ શોનહોઝન, પ્રશિયામાં થયો હતો. તેઓ પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. 1847માં પ્રશિયાની ધારાસભાના સભ્ય બન્યા. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે તેઓ પ્રશિયાના વડાપ્રધાન બન્યા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી હતા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં. વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા જર્મનીનું એકીકરણ કર્યું. જર્મન રાજ્યોને એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી હતી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ બન્યો અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર બન્યા. તેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરે કેન્દ્ર સરકાર હસ્તક રાખ્યાં. તેમનો જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે કૅથલિકો સાથેનો સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેનો સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ ન કરવા છતાં મિત્રતા જાળવી હતી. તેમની અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ ગણાયા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સમતુલા જાળવી રાખવાની, ફ્રાન્સને એકલું પાડવાની તથા જર્મનીનું સંરક્ષણ કરવાની હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેના પુત્ર વિલિયમ બીજા સાથે બિસ્માર્કને અનેક મતભેદો થયા. આમ પણ બિસ્માર્કની નીતિઓથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ ત્રસ્ત હતા. વૃદ્ધ બિસ્માર્કે 20 માર્ચ, 1890ના રોજ રાજીનામું આપતાં એક ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુમેનબર્ગના ડ્યૂકની અને ફિલ્ડમાર્શલની પદવીઓથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદીબાઈ જોષી

જ. 31 માર્ચ, 1865 અ. 26 ફેબ્રુઆરી, 1887

ભારતનાં પ્રથમ મહિલાતબીબ જેમણે 1886ની સાલમાં અમેરિકા જઈને ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી. તેમનો જન્મ મુંબઈ નજીકના કલ્યાણ ગામે ગણપતરામ જોષીને ત્યાં થયો હતો. નવ વર્ષની કુમળી વયે તેમનાં લગ્ન ગોપાળરાવ સાથે કરવામાં આવ્યાં હતાં. પતિ એક સામાન્ય કારકુન હતા. પત્નીની બુદ્ધિપ્રતિભા જોઈને તેમણે આનંદીને શિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો. તેમના આ નિર્ણય સામે ઘણો વિરોધ થયો, પરંતુ ગોપાળરાવ અને આનંદીબાઈ સમાજ સામે અડીખમ રહ્યાં. તેમણે અનેક વિરોધનો, અપમાનનો સામનો કરવો પડ્યો. આનંદીબાઈ ઘરની બહાર નીકળે એટલે લોકો તેના પર કચરો ફેંકે, હડધૂત કરે. શાળા જવા માટે આનંદીને ટાંગામાં ખ્રિસ્તી ગોરી મેડમના પગ પાસે બેસવું પડે. ખ્રિસ્તી પાસે ભણીને આનંદીએ જાણે હિંદુ ધર્મનું સત્યાનાશ વાળ્યું હોય તેવું લોકો માનતા. આમ અનેક મુશ્કેલીઓ અને પજવણી સાથે આનંદીબાઈએ શિક્ષણ પૂરું કર્યું. આનંદીબાઈને ડૉક્ટર બની રોગગ્રસ્તોની સેવા કરવાની ઝંખના હતી. પતિ ગોપાળરાવને લાગ્યું કે રૂઢિચુસ્ત સમાજમાં આનંદીબાઈ ભારતમાં તો નહીં જ ભણી શકે. આથી તેમણે આનંદીબાઈને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તે સમયે પુરુષો માટે પણ પરદેશગમન સમાજને સ્વીકાર્ય નહોતું.   ત્યારે ફક્ત 17 વર્ષની વયે ચુસ્ત બ્રાહ્મણ સમાજની સ્ત્રીને એકલા અમેરિકા જઈ ડૉક્ટર બનવાનું બીડું પતિએ ઝડપ્યું. આનંદીબાઈ પણ પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. આ સમાચારે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી મૂક્યો. પણ આનંદીબાઈ તેમના નિર્ણયમાં અફર રહ્યાં. અવરોધ અને વિરોધ વચ્ચે તેઓએ 1883ની સાલમાં સ્ટીમરમાં અમેરિકા જવા પ્રયાણ કર્યું. પેન્સિલવેનિયાની વિમેન્સ કૉલેજમાં તેમણે શિક્ષણ શરૂ કર્યું. અપોષણ, પૈસાની તંગી અને તાપણાની ધૂણી શ્વાસમાં જવાથી તેમને શારીરિક તકલીફો થવા લાગી. આનંદીબાઈએ 1886માં 11મી માર્ચે ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી અને ભારતનાં પ્રથમ મહિલાડૉક્ટર બનવાનું માન મેળવ્યું. અતિ શ્રમ, અપોષણ તથા અસ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં આનંદીબાઈ ટી. બી.નો શિકાર બન્યાં. માત્ર 22 વર્ષની ઉંમરમાં આનંદીબાઈનું નિધન થયું. ન્યૂયૉર્કમાં આનંદીબાઈની પ્રતિમા મૂકવામાં આવી છે.