જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫

ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. ૧૮૯૫માં બોડસ કિર્લોસ્કર નાટકમંડળીમાં જોડાયા. એ થિયેટરક્ષેત્રે એમનો સત્તાવાર પ્રવેશ હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગ્ય તાલીમ પ્રાપ્ત ન કરી હોવા છતાં જી. બી. દેવલે ૧૯૦૧માં તેમને પોતાના ‘સંશયકલ્લોલ’, કિર્લોસ્કરના ‘સંભદ્ર’, એસ. કે. કોલ્હાટકરના ‘મૂકનાયક’ અને ૧૯૧૧માં ખાદિલકરના ‘માનાપમાન’ (સન્માન અને અપમાન) જેવાં મંડળીનાં નાટકોમાં નાની સ્ત્રી-ભૂમિકાઓ માટે તાલીમ આપી ત્યારે તેમનામાં સંગીત પ્રત્યેની સંવેદનશીલતા વિકસી હતી. આ નિર્માણમાં તેમને મુખ્ય ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. તેમણે પૌરાણિકથી લઈને સામાજિક અને ગંભીરથી લઈને હાસ્ય સુધીની વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૧૩માં બોડસે ગોવિંદરાવ ટેમ્બે સાથે મળીને ગંધર્વ નાટક મંડળીની રચના કરવામાં બાલ ગંધર્વને સારી મદદ કરી હતી. તેમની યાદગાર ભૂમિકામાં ‘સંશયકલ્લોલ’માં હાસ્યાસ્પદ ફાલ્ગુનરાવ, ૧૯૧૬માં ખાદિલકરના ‘સિવાયમ્વર’(પુરુષની પસંદગી)માં કૃષ્ણ અને ૧૯૧૯માં ગડકરીના ‘એકચ પ્યાલા’(જસ્ટ વન ગ્લાસ)માં દારૂડિયા સુધાકરનો સમાવેશ થાય છે. ૧૯૫૬ સુધીમાં તેમણે યશવંત સંગીત નાટક મંડળી જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે જોડાઈને અભિનય કર્યો હતો. ગણપતરાવ બોડસે મરાઠી રંગભૂમિમાં ‘રાત્રિ’ પ્રણાલીને લોકપ્રિય બનાવી હતી જેમાં કલાકારોને તેમના પ્રદાન બદલ માતબર રકમ આપવામાં આવતી હતી. તેમની આત્મકથા ‘માજી ભૂમિકા’ (મારી ભૂમિકા) ૧૯૪૦માં પ્રકાશિત થઈ હતી. અભિનયક્ષેત્રે તેમને અનેક ઍવૉર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૬૫માં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
અશ્વિન આણદાણી