Categories
વાચન સમૃદ્ધિ

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાધુ વાસવાણી

જ. 25 નવેમ્બર, 1879 અ. 16 જાન્યુઆરી, 1966

ભારતીય શિક્ષણવિદ, સ્વાતંત્ર્યતાસેનાની અને શિક્ષણક્ષેત્રે મીરાં આંદોલનના પ્રણેતા સાધુ વાસવાણીનું મૂળ નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેમનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. પોતાની અંદર વિકસિત થઈ રહેલ આધ્યાત્મિક શક્તિને બાળક વાસવાણીએ બચપણથી જ જાણી લીધી હતી. તેથી તેઓ સાંસારિક બંધનોને છોડીને ભગવત ભક્તિમાં પ્રવૃત્ત થવા માગતા હતા, પરંતુ તેમનાં માતાની ઇચ્છા હતી કે પુત્ર ગૃહસ્થાશ્રમ અપનાવી પરિવારમાં જ રહે, પોતાની માતાના આગ્રહને વશ થઈ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1902માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ સાધુ વાસવાણીએ વિવિધ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ટી. જી. કૉલેજમાં અધ્યાપક તરીકે નિયુક્તિ પામ્યા હતા. લાહોરની દયાલસિંહ કૉલેજ, કૂચ બિહારની વિક્ટોરિયા કૉલેજ અને કૉલકાતાની મેટ્રોપોલિટન કૉલેજમાં ભણાવ્યા બાદ 1916માં તેઓ પટિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય બન્યા હતા. સાધુ વાસવાણીએ જીવહત્યા અટકાવવા માટે જીવનપર્યંત પ્રયત્નો કર્યા હતા. સમસ્ત જીવોને તેઓ એકસમાન માનતા હતા. જીવહત્યા રોકવા માટે પોતાનું મસ્તક કપાવવા પણ તેઓ તૈયાર હતા. માત્ર જીવજંતુ જ નહિ, પરંતુ વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે તેવો તેમનો મત હતો. યુવાનોને સારું શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કરવામાં તેમને ખૂબ રસ હતો. તેઓ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક સહિષ્ણુતા અને એકતાના  પ્રખર હિમાયતી હતા. 30 વર્ષની વયે સાધુ વાસવાણી ભારતના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. ત્યાં પોતાનું અસરકારક ભાષણ કર્યા બાદ તેઓ સમગ્ર યુરોપમાં ધર્મનો પ્રચાર કરવા માટે ગયા હતા. પ્રભાવશાળી વક્તા હોવાથી ભારતના વિવિધ પ્રદેશોમાં પરિભ્રમણ કરીને તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવ્યો હતો. બંગાળના ભાગલા વખતે સાધુ વાસવાણીએ સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ગાંધીજીની સાથે રહી સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ જોડાયા હતા. તેઓ ખેડૂતોના હિતરક્ષક અને આધુનિક ખેતીના હિમાયતી હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હર્બર્ટ સટક્લિફ

જ. 24 નવેમ્બર, 1894 અ. 22 જાન્યુઆરી, 1978

ઇંગ્લૅન્ડની યોર્કશાયર કાઉન્ટી તરફથી અને ઇંગ્લૅન્ડ તરફથી પ્રૉફેશનલ ક્રિકેટર તરીકે હર્બર્ટ સટક્લિફે 54 ટેસ્ટમાં 60 રનની સરેરાશથી 4555માં રન કર્યા હતા અને પ્રથમ કક્ષાની 754 મૅચમાં 52 રનની સરેરાશથી 50670 રન કર્યા હતા. ટેસ્ટમૅચ ક્રિકેટમાં 16 સદી કરનારા એ પ્રથમ ખેલાડી હતા અને હર્બર્ટ સટક્લિફ અને જેક હોબ્સની ઓપનિંગ જોડી અત્યંત વિખ્યાત બની હતી અને ક્રિકેટજગતની એ એક અત્યંત સમર્થ ઓપનિંગ જોડી ગણાતી હતી. પોતાની એકાગ્રતા અને દૃઢતાથી જમોડી બૅટ્સમૅન હર્બર્ટ સટક્લિફ અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને માટે મહત્ત્વની રમત ખેલતો હતો. એમના સમયગાળા દરમિયાન યોર્કશાયરે બાર વખત કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં વિજય મેળવ્યો અને આજે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના હેડિંગ્લેનાં મેદાન પર બે ગેટને હર્બર્ટ સટક્લિફનું નામાભિધાન કરવામાં આવ્યું છે. આઈ.સી.સી. ક્રિકેટ હૉલ ઑફ ફેમમાં પણ હર્બર્ટ સટક્લિફને સ્થાન મળ્યું છે. આઠ વર્ષની વયથી જ ક્રિકેટની રમતને ગંભીરપણે ખેલતા હર્બર્ટ સટક્લિફ સતત પોતાની બૅટિંગ કલામાં વિકાસ સાધતા રહ્યા. તેરમા વર્ષે 1908માં નિશાળ છોડીને બૂટ કંપનીમાં ક્લિકર તરીકે જોડાયા. એમની ક્રિકેટ કામયાબીને લીધે એમને સ્થાનિક કાપડની મિલે કારકુન તરીકે રાખ્યા, જ્યાં એ હિસાબ-કિતાબ સંભાળતા હતા અને એમાંથી અંતે એ સફળ વેપારી બન્યા. એમણે યોર્કશાયર તરફથી ઇસેક્સની ટીમ સામે 313 રનનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો અને પહેલી વિકેટની ભાગીદારીમાં પર્સી હોમ્સ સાથે 555 રનનો એ સમયે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. નિવૃત્ત થયા પછી યોર્કશાયરની ક્લબ કમિટીમાં 21 વર્ષ સુધી કામ કરનાર હર્બર્ટ સટક્લિફે ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી.