Categories
વાચન સમૃદ્ધિ

મહર્ષિ મહેશ યોગી

જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008

ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન કર્યું. 1952 પછી ભાવાતીત ધ્યાન(ટ્રાન્સન્ડેનટલ મેડિટેશન – TM)ના પ્રચારાર્થે વિશ્વસ્તર પર ઝુંબેશ આદરી. 1970માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિક ‘સાયન્સ ઍન્ડ સાયન્ટિફિક અમેરિકન’માં લખાણ પ્રસિદ્ધ થયું અને તેઓ પ્રસિદ્ધિ પામ્યા. 1972માં પોતે તૈયાર કરેલ વૈશ્વિક યોજનાનું વિમોચન કરી તે દ્વારા ચેતનાશુદ્ધિ અંગેના નવા વૈજ્ઞાનિક અભિગમ ‘સર્જનાત્મક ગ્રહણશક્તિ’નો પ્રારંભ કર્યો. છેલ્લાં લગભગ 40 વર્ષમાં તેમણે વિશ્વના બધા જ ભૌગોલિક વિભાગોમાં વિશ્વશાંતિ પરિષદો અને સભાઓનું આયોજન કર્યું છે. તેમના વિશ્વભરના પ્રવાસોને કારણે તેમના અનુયાયીઓમાં તેઓ ‘ધ ફ્લાઇંગ યોગી’ નામથી ઓળખાય છે. અઠ્ઠાવીશ દેશોની 200 જેટલી યુનિવર્સિટીઓ તથા સંશોધનસંસ્થાઓમાં 600 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો થયા પછી એવું ફલિત થયું છે કે તેમના આ કાર્યક્રમો દ્વારા માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહિ, પરંતુ સામાજિક સ્તર પર પણ ઘણા લાભ થયા છે. 1987માં તેમણે ‘મહર્ષિ વેદવિજ્ઞાન વિશ્વવિદ્યાપીઠ’ના નેજા હેઠળ 7000 જેટલા વૈદિક વૈજ્ઞાનિકોનું જૂથ ઊભું કર્યું છે, જેમના દ્વારા મહર્ષિના ભાવાતીત ધ્યાન તથા ભાવાતીત સિદ્ધિ કાર્યક્રમો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

તાંજાવુર (તાંજોર)

ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10° 48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 26,30,000 (2025, આશરે) છે. ચક્રવાતને કારણે તે જૂન અને ઑક્ટોબર દરમિયાન અવારનવાર વાવાઝોડાનો ભોગ બને છે. સરાસરી વાર્ષિક તાપમાન 27.5° સે. રહે છે. ઉનાળા તથા શિયાળામાં અનુક્રમે 30° થી 32° સે. અને 25.5° સે. થી 27° સે. તાપમાન રહે છે. દરિયાકિનારે આવેલ ત્રિકોણપ્રદેશમાં નાળિયેર, આંબા અને કેળનાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર, શેરડી અને મગફળીના મુખ્ય પાક ઉપરાંત મકાઈ, તમાકુ, મરચાં વગેરેનો પણ પાક થાય છે. કાવેરીની નહેરોને કારણે ડાંગરનો પાક બે વખત લેવાય છે. નેવેલીમાં લિગ્નાઇટની ખાણો છે.

બૃહદીશ્વર મંદિર, તાંજાવુર

જિલ્લામાં કાપડની મિલો ઉપરાંત ખોરાકી ચીજોના તથા હાથસાળ કાપડના મુખ્ય ઉદ્યોગો છે. 70 ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે. ત્રણ શહેરો તાંજાવુર, નાગપટ્ટીનમ્ અને કુંભકોણમ્ સિવાયનો બાકીનો ગ્રામવિસ્તાર છે. નાગપટ્ટીનમ્ મધ્યમ કક્ષાનું બંદર છે. કુંભકોણમ્ તીર્થક્ષેત્ર છે. તે સાતમી સદીમાં ચોલ રાજ્યનું પાટનગર હતું. તાંજાવુર કાવેરી નદીની શાખા ઉપર ત્રિકોણાકાર પ્રદેશને પશ્ચિમ છેડે નાગપટ્ટીનમ્ થી 97 કિમી. પશ્ચિમે આવેલું છે. નવમીથી અગિયારમી સદી દરમિયાન તે ચૌલ રાજાઓની રાજધાની હતું. આ શહેર વહીવટી કેન્દ્ર ઉપરાંત જિલ્લાનું વેપારીકેન્દ્ર અને દક્ષિણ રેલવેનું મહત્ત્વનું મથક છે. અહીં કાપડ, ખેતીની પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો ઉપરાંત હાથવણાટ, વીણા, ઝવેરાત, ગાલીચા અને ધાતુકામ વગેરેના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. તે જમીનમાર્ગો તથા રેલવે દ્વારા ચેન્નાઈ, ચિત્તુર, સાલેમ, કરૂર, બૅંગાલુરુ, નાગપટ્ટીનમ્ સાથે જોડાયેલું છે. રાજરાજ પહેલાએ ઈ. સ. 1000માં બંધાવેલ 50મી. ઊંચા ગોપુરમવાળું બૃહદીશ્વર મંદિર તથા કિલ્લો જોવાલાયક છે. ઇતિહાસ : તાંજાવુર પર દસમી સદીના મધ્યભાગથી ચોલ રાજાઓનું 1400થી હોયસલ વંશનું અને 1465થી વિજયનગરનું શાસન હતું. તે બિજાપુરના સુલતાન નીચે હતું ત્યારે શિવાજીના પિતા શાહજી તેનો વહીવટ સંભાળતા હતા. શાહજીનો પુત્ર વ્યંકોજી 1676માં તાંજોરની ગાદીએ બેઠા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાંજાવુર (તાંજોર), પૃ. 824 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાંજાવુર/)

Categories
વાચન સમૃદ્ધિ

કુન્દનિકા કાપડિયા

જ. 11 જાન્યુઆરી, 1927 અ. 30 એપ્રિલ, 2020

ગુજરાતી સાહિત્યનાં અગ્રગણ્ય નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. પિતા નરોત્તમદાસ અને માતા રંભાબહેન. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલના ગોધરામાં થયું હતું. તેમણે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1948માં બી.એ.ની પદવી મેળવી. તેમણે 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લીધો હતો, આથી તેમને જેલ પણ થઈ હતી. તેમણે લખેલી પહેલી વાર્તા ‘જન્મભૂમિ’એ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં દ્વિતીય સ્થાને આવી હતી. તેમણે 1955માં ‘યાત્રિક’ સામયિક શરૂ કર્યું હતું. તેઓ 1962થી 1980 સુધી ‘નવનીત’ સામયિકનાં સંપાદક હતાં. તેમણે 1968માં કવિ મકરંદ દવે સાથે લગ્ન કર્યાં. તેમના સર્જનમાં પ્રકૃતિ, પ્રેમ, માનવીય સંવેદના અને મૂલ્યો જોવા મળે છે. સમાજમાં થતા નારીશોષણ સામે વિદ્રોહની કથા ‘સાત પગલાં આકાશમાં’ તેમની બહુચર્ચિત નવલકથા છે. આ નવલકથાએ તેમને આગવી ઓળખ આપી છે. તેમનું તખલ્લુસ ‘સ્નેહધન’ હતું. તેમણે ‘પ્રેમનાં આંસુ’, ‘વધુ ને વધુ સુંદર’, ‘કાગળની હોડી’ જેવા વાર્તાસંગ્રહો, ‘અગનપિપાસા’, ‘પરોઢ થતાં પહેલાં’, ‘સાત પગલાં આકાશમાં’ જેવી નવલકથાઓ અને ‘દ્વાર અને દીવાલ’, ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’ જેવા નિબંધસંગ્રહો આપ્યા છે. ‘પુરુષાર્થને પગલે’, ‘કિશોર ડિટેક્ટિવ’, ‘વસંત આવશે’ વગેરે જેવા અનુવાદ તેમની પાસેથી મળ્યા છે. ‘પરમ સમીપે’ પ્રાર્થનાસંગ્રહ છે. વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ આશ્રમની સ્થાપના કરી તેમણે અને તેમના પતિ મકરંદભાઈએ આદિવાસી સમાજની સેવા આરંભી હતી. મકરંદભાઈના દેહાવસાન પછી કુન્દનિકાબહેને આશ્રમનું સંચાલન કર્યું હતું. તેમના સર્જનને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પોંખવામાં આવ્યાં છે. 1984માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. 1985માં ‘સાત પગલાં આકાશમાં’ માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો.