Categories
વાચન સમૃદ્ધિ

શાંતિસ્વરૂપ ભટનાગર

જ. 21 ફેબ્રુઆરી, 1894 અ. 1 જાન્યુઆરી, 1955

ખ્યાતનામ વૈજ્ઞાનિક અને ઉર્દૂ કવિ શાંતિસ્વરૂપ ભટનાગરનો જન્મ ભેરા ગામમાં થયો હતો. તેમણે આઠ મહિનાની ઉંમરે પિતા પરમેશ્વરી સહાયની છત્રછાયા ગુમાવી. તેમણે પ્રાથમિક શિક્ષણ સિકંદરાબાદની દયાનંદ ઍંગ્લો-વૈદિક હાઈસ્કૂલમાં મેળવ્યું. 1911માં લાહોરની દયાલસિંહ કૉલેજમાં જોડાયા. કૉલેજમાં સરસ્વતી સ્ટેજ સોસાયટીના સભ્ય બન્યા. તેમણે ‘કરામતી’ નામનું ઉર્દૂ નાટક લખ્યું. તેમણે 1916માં ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. અને 1919માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. દયાલસિંહ કૉલેજ ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃત્તિ મળતાં વિદેશમાં ભણવા ગયા. 1921માં ડૉક્ટરેટની પદવી મેળવી ભારત પાછા ફર્યા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જોડાયા. યુનિવર્સિટી ગીત લખ્યું. પછી પંજાબ યુનિવર્સિટીમાં જોડાયા. 1924થી 1940 રાસાયણિક સંશોધન પ્રયોગશાળાના નિયામક તરીકે રહ્યા. 1940માં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન બોર્ડના નિયામક રહ્યા. સ્વતંત્રતાપ્રાપ્તિ પછી શિક્ષણ વિભાગ, પરમાણુ ઊર્જાપંચ અને વૈજ્ઞાનિક સંશોધન વિભાગમાં સચિવ તરીકે કાર્ય કર્યું. 1938માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના રસાયણ વિભાગના અધ્યક્ષ બન્યા અને 1945માં તેના સર્વાધિક પ્રમુખ બન્યા. તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝના સ્થાપક ફેલો હતા અને તેના પ્રમુખ રહ્યા હતા. તેમણે રસાયણશાસ્ત્રમાં ચુંબકત્વના વિનિયોગ ઉપર અને પાયસ (emulsion) ઉપર સંશોધન કર્યું છે. તેમના પ્રયત્નથી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, પુણેમાં રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા, હૈદરાબાદમાં ભૂભૌતિકવિજ્ઞાનની, ગોવામાં સમુદ્રવિજ્ઞાનની, બૅંગાલુરુમાં વૈજ્ઞાનિકીની, જમશેદપુરમાં ધાતુવિદ્યાની અને પિલાણીમાં ઇલેક્ટ્રૉનિક્સની — એમ બાર રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તેમજ કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને 1936માં ઑર્ડર ઑફ બ્રિટિશ અમ્પાયરનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. 1943માં લંડનની રૉયલ સોસાયટીની ફેલોશિપ આપવામાં આવી. 1941માં નાઇટ બેચલર અને 1954માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર અપાય છે. ભારત સરકારના ટપાલખાતાએ 1994માં તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

જ. 20 ફેબ્રુઆરી, 1894 અ. 2 માર્ચ, 1980

બહુમુખી પ્રતિભા ધરાવનાર, સાહિત્યકાર જારોસ્લાવનો જન્મ કાલ્નિક પોલૅન્ડમાં થયો હતો. 1912માં કીવ વિશ્વવિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918માં તેઓ પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષ દરમિયાન તે પાર્લમેન્ટના સ્પીકરના અંગત સચિવ રહ્યા. ત્યારબાદ વિદેશ મંત્રાલયમાં જોડાયા. 1932થી 1936 દરમિયાન તેમણે જુદી જુદી મહત્ત્વની રાજકીય કામગીરી સ્વીકારી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી રાજકીય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લીધી. 1953માં શાંતિ માટેની પોલૅન્ડની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેમણે સંભાળી અને પાર્લમેન્ટના અધ્યક્ષ તરીકે સેવા આપી, રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયા. 1943થી 1949 અને 1959થી 1972 એમ બે વખત તે પોલૅન્ડના લેખકસંઘના અધ્યક્ષ બન્યા. 1955થી તેમણે ‘ક્રિયેશન’ (Two rezosc) નામના સાહિત્યિક માસિકના મુખ્ય સંપાદક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમનાં કાવ્યોમાં મુખ્યત્વે પોલૅન્ડનાં પ્રકૃતિદૃશ્યની ઊર્મિકવિતાનો આવિષ્કાર છે. ગદ્યલેખનના ક્ષેત્રે પણ તેમણે નિબંધો, નાટકો, જીવનચરિત્રો, ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ અને ભાષાંતરો દ્વારા તમામ સ્વરૂપોમાં વૈવિધ્યપૂર્ણ ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરીઝ’ (1959) તથા નવલકથા ‘ફેઇમ ઍન્ડ ગ્લૉરી’ વિશેષ ઉલ્લેખનીય છે. ત્રણ ખંડોમાં આલેખાયેલી તે નવલકથામાં 1914થી 1945 દરમિયાન પોલૅન્ડમાં વ્યાપેલી અશાંતિ અને ક્ષુબ્ધતાનું નિરૂપણ છે. તેઓ ચાર વખત સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝ માટે નામાંકિત થયા હતા. તેમને અનેક પોલિશ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રામ વી. સુતાર

જ. 19 ફેબ્રુઆરી, 1925 અ. 8 ડિસેમ્બર, 2025

ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારનો જન્મ બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા તરફની રુચિ તેમને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં દોરી ગઈ. ત્યાં તાલીમ લીધી અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. તેઓ કહેતા કે, તેમણે શિલ્પો તરફની રુચિ અજંતા અને ઇલોરા ગુફાનાં શિલ્પોમાંથી મેળવી. તેઓ 1950નાં પાછલાં વર્ષોમાં મંદિરોની મૂર્તિઓને પુનઃપ્રસ્થાપનાનું કાર્ય કરતા તેથી શિલ્પકળામાં વધુ ને વધુ હથોટી કેળવતા ગયા. તેમણે ઇટાલિયન શિલ્પો પાસેથી વસ્ત્રો પર પડતી સળોને અપનાવી. તેમણે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રચના કરી છે. 14 મીટર ઊંચા ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બનાવી હતી, જેની નકલ કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવી છે. તેમણે ભારતીય સંસદસ્થિત મહાત્મા ગાંધીની બેઠેલી સ્થિતિમાં પ્રતિમાની ડિઝાઇન કરી હતી. તેની મોટી પ્રતિકૃતિ તેમણે વિધાનસભા ખાતે બનાવી હતી. આ ઉપરાંત બૅંગાલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 33 મીટર ઊંચી કૅમ્પ ગૌડાની પ્રતિમાના ડિઝાઇનર પણ તેઓ હતા. 2008માં તેમણે કૃષ્ણ-અર્જુન રથની કાંસ્ય પ્રતિમા બનાવી હતી. બ્રિસ્બેનના ભારતીય સમુદાયે રોમા સ્ટ્રીટ પાર્કલૅન્ડ ખાતે રામ. વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જેનું અનાવરણ 2014માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને 1999માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર, 2018માં તેમને 2016ના સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કાર મળ્યો હતો. તેમને રાજ્ય સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પસંદ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચ, 2025ના રોજ વિધાનસભાને આપી હતી.