Categories
વાચન સમૃદ્ધિ

ગણપતરાવ(ગણેશ) બોડસ

જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫

ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. ૧૮૯૫માં બોડસ કિર્લોસ્કર નાટકમંડળીમાં જોડાયા. એ થિયેટરક્ષેત્રે એમનો સત્તાવાર પ્રવેશ હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગ્ય તાલીમ પ્રાપ્ત ન કરી હોવા છતાં જી. બી. દેવલે ૧૯૦૧માં તેમને પોતાના ‘સંશયકલ્લોલ’, કિર્લોસ્કરના ‘સંભદ્ર’, એસ. કે. કોલ્હાટકરના ‘મૂકનાયક’ અને ૧૯૧૧માં ખાદિલકરના ‘માનાપમાન’ (સન્માન અને અપમાન) જેવાં મંડળીનાં નાટકોમાં નાની સ્ત્રી-ભૂમિકાઓ માટે તાલીમ આપી ત્યારે તેમનામાં સંગીત પ્રત્યેની સંવેદનશીલતા વિકસી હતી. આ નિર્માણમાં તેમને મુખ્ય ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. તેમણે પૌરાણિકથી લઈને સામાજિક અને ગંભીરથી લઈને હાસ્ય સુધીની વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૧૩માં બોડસે ગોવિંદરાવ ટેમ્બે સાથે મળીને ગંધર્વ નાટક મંડળીની રચના કરવામાં બાલ ગંધર્વને સારી મદદ કરી હતી. તેમની યાદગાર ભૂમિકામાં ‘સંશયકલ્લોલ’માં હાસ્યાસ્પદ ફાલ્ગુનરાવ, ૧૯૧૬માં ખાદિલકરના ‘સિવાયમ્વર’(પુરુષની પસંદગી)માં કૃષ્ણ અને ૧૯૧૯માં ગડકરીના ‘એકચ પ્યાલા’(જસ્ટ વન ગ્લાસ)માં દારૂડિયા સુધાકરનો સમાવેશ થાય છે. ૧૯૫૬ સુધીમાં તેમણે યશવંત સંગીત નાટક મંડળી જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે જોડાઈને અભિનય કર્યો હતો. ગણપતરાવ બોડસે મરાઠી રંગભૂમિમાં ‘રાત્રિ’ પ્રણાલીને લોકપ્રિય બનાવી હતી જેમાં કલાકારોને તેમના પ્રદાન બદલ માતબર રકમ આપવામાં આવતી હતી. તેમની આત્મકથા ‘માજી ભૂમિકા’ (મારી ભૂમિકા) ૧૯૪૦માં પ્રકાશિત થઈ હતી.  અભિનયક્ષેત્રે તેમને અનેક ઍવૉર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૬૫માં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. સુમંતભાઈ મહેતા

જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશાંતચંદ્ર મહાલનોબિસ

જ. ૨૯ જૂન, ૧૮૯૩ અ. ૨૮ જૂન, ૧૯૭૨

ભારતીય અર્થતંત્ર તથા વિજ્ઞાનને આગવો આકાર આપનાર પ્રશાંતચંદ્ર ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી તેમજ ખ્યાતનામ આંકડાશાસ્ત્રી હતા. તેમણે શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. ૧૯૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૨ સુધી પ્રાધ્યાપક તરીકે, ૧૯૨૨થી ૧૯૪૮ સુધી તે વિભાગના અધ્યક્ષ અને તે જ કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. આ સાથે તેઓએ અધ્યક્ષ તરીકેની સેવાઓ પણ આ જ યુનિવર્સિટીમાં આપી. ૧૯૪૫થી ૧૯૪૮ સુધી તેઓએ બંગાળની સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે કામ કર્યું. ૧૯૪૯માં ભારત સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે નિમણૂક થઈ. તેમણે કૉલકાતા ખાતે ૧૯૩૧માં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની સ્થાપના કરી. આ સંસ્થાએ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. તે પછી ભારતમાં આવાં ઘણાં કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. પ્રશાંતચંદ્રે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સચિવ અને નિદર્શક તરીકે રહીને તેનો વિકાસ કર્યો. ભારતને આર્થિક આયોજનના ક્ષેત્રે સાચી સફળતાઓ માટેનો માર્ગ ચીંધ્યો. ૧૯૪૮ પછી તેઓ કલકત્તા યુનિવર્સિટીના સન્માનનીય પ્રાધ્યાપક અને ૧૯૫૫થી ૧૯૬૫ સુધી તેમણે આયોજન પંચના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. યુનાઇટેડ નૅશન્સના આંકડાશાસ્ત્રીય પંચના સભ્ય અને ૧૯૫૪થી ૧૯૫૮ દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૫૦માં  ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના પણ પ્રમુખ થયા. ૧૯૫૨માં બૅંગકૉક ખાતે મળેલી  આંકડાશાસ્ત્રીઓની પરિષદના પ્રમુખ થયા. ભારતમાં પ્રસિદ્ધ એવા આંકડાશાસ્ત્રના સામયિક ‘સાંખ્ય’ના સ્થાપક અને સંપાદક તરીકે આજીવન સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ પછી હોમીભાભા તથા ભટનાગરની જેમ તેઓએ પણ ભારતીય અર્થતંત્રને આગવી રીતે આકાર આપ્યો. ૨૦૦૭થી ૨૯ જૂનને નૅશનલ સ્ટૅટિસ્ટિક્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. તેમની શતાબ્દી નિમિત્તે ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ૧૯૬૮માં તેમને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.